આપણામાંના મોટાભાગના લોકો બીજાના દુઃખને સમજી શકતા નથી જ્યાં સુધી આપણે પોતે જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર ન થઈએ. માણસ તો પોતાની જરૂરિયાત માટે બોલીને મદદ માંગી શકે છે, પરંતુ મૂંગા પ્રાણીઓ માટે બહુ ઓછા લોકો આગળ આવે છે. આજે અમે તમને જમ્મુના એક એવા પરિવાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે આ મૂંગા ઘાયલ પ્રાણીઓના દર્દને પોતાનું દર્દ સમજીને છેલ્લા 28 વર્ષથી તેમની સેવા કરી રહ્યા છે.
જમ્મુના હક્કલ ગામમાં રહેતા હખૂ પરિવારે પ્રતિકૂળ સંજોગોને કારણે કાશ્મીરમાં પોતાનું ઘર છોડીને જમ્મુમાં સ્થાયી થવું પડ્યું હતું. આજે પ્રાણીઓ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતો આ પરિવાર પોતાના ઘરે પ્રાણીઓ માટે શેલ્ટર હોમ ચલાવી રહ્યો છે.
હખૂ પરિવાર 1993 થી 2018 સુધી આ કામ પોતાના ખર્ચે કરતુ હતુ, પરંતુ થોડા સમય પહેલા તેઓએ પોતાનું ટ્રસ્ટ બનાવ્યું છે, જેના દ્વારા તેઓ હવે અન્ય લોકોની મદદ લે છે. હાલમાં તેમના શેલ્ટર હોમમાં 300થી વધુ બીમાર અને ઘાયલ પ્રાણીઓની સેવા કરવામાં છે.
40 વર્ષીય નમ્રતા હખૂ તેના પિતા રાજેન્દ્ર અને માતા ઉર્મિલા હખૂ સાથે પ્રાણીઓની સેવા કરવાનું કામ કરે છે. નમ્રતાએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “મને આ પ્રાણીઓની પીડા પોતાની લાગે છે. મે મારી માતા પાસેથી પ્રાણીઓને પ્રેમ કરવાનું શીખ્યું છે.”

ઘર છોડીને જમ્મુ જવુ પડ્યુ
નમ્રતાના દાદા વ્યવસાયે ડૉક્ટર હતા અને તેના પિતા દવાની દુકાન ચલાવતા હતા. સપ્ટેમ્બર 1989માં, રાજેન્દ્ર હખૂની દવાની દુકાન પાસે સ્થિત BSF કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. હુમલામાં ઘાયલ થયેલા જવાનોની પ્રાથમિક સારવાર રાજેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. નમ્રતાએ જણાવ્યું કે તે ઘટના પછી તેના પિતાને આતંકવાદીઓ તરફથી ધમકીભર્યા ફોન આવવા લાગ્યા, જેમાં તેમને કાશ્મીર છોડીને જવા માટે કહ્યુ હતુ. બાદમાં આતંકીઓએ તેના પિતાનું અપહરણ કરી લીધું હતું. તે દિવસોને યાદ કરતાં, નમ્રતા કહે છે, “જ્યારે તેઓ મારા પિતાને લઈ ગયા, ત્યારે અમને લાગ્યું કે અમે તેમને ગુમાવ્યા છે પરંતુ અમે નસીબદાર હતા કે કેટલાક લોકોની સારવાર કરાવ્યા પછી, આતંકવાદીઓએ મારા પિતાને છોડી દીધા. આ ઘટના પછી અમે ડિસેમ્બર 1989માં કાશ્મીર છોડી દીધું.”
હખૂ પરિવાર પાસે જમ્મુમાં 1600 ચોરસ ફૂટ જમીન હતી. તે સમયે નમ્રતા માત્ર 10 વર્ષની હતી અને તેનો ભાઈ તેના કરતા નાનો હતો.
બેન્ઝ અને બ્રાવો સાથે જર્ની શરૂ થઈ
જમ્મુમાં રાજેન્દ્ર હખૂએ કમિશનના આધારે નાની-મોટી નોકરીઓ કરવાનું શરૂ કર્યું અને બંને બાળકોને જમ્મુની એક શાળામાં પ્રવેશ અપાવ્યો. પરંતુ અહીં આવીને તેને સમજાયું કે પ્રાણીઓ, ખાસ કરીને કૂતરા પ્રત્યે લોકોનું વલણ સારું નથી. જ્યારે હખૂ પરિવાર હંમેશા પ્રાણી પ્રેમી રહ્યો છે. નમ્રતા કહે છે, “1993માં મારી માતાએ ઘાયલ કૂતરાને ઘરમાં આશ્રય આપ્યો હતો. મારો ભાઈ પણ ક્યાંકથી એક કૂતરો ઘરે લઈ આવ્યો હતો. અમે તેમને બેન્ઝ અને બ્રાવો નામ આપ્યું હતુ. તે બંને 15 વર્ષથી વધુ સમય સુધી અમારી સાથે રહ્યા.”
નમ્રતા કહે છે કે તેના માતા-પિતા રસ્તા પર ઘાયલ પ્રાણીઓને જોતા હતા, પછી તેઓ તેમની સેવામાં લાગી જતા હતા. તેમણે પોતાના ઘરે કેટલાક પ્રાણીઓને આશ્રય આપ્યો. તેમના ઘરમાં બાઉન્ડ્રી વોલ ન હોવાથી અનેક પશુઓ ભાગી પણ જતા હતા. આ પછી તેમણે 1997માં બાઉન્ડ્રી વોલ બનાવી અને આ પ્રાણીઓને આશ્રય મળ્યો.

ઘરમાં બાઉન્ડ્રી વોલ બનાવવાનું સૌથી મોટું કારણ એ હતું કે ઘાયલ અને નબળા પ્રાણીઓને ખાવા માટે અહીં-તહીં ભટકવું ન પડે. આ ઉપરાંત તેઓ રસ્તાના કિનારે રહેતા પ્રાણીઓને પણ ખવડાવતા રહે છે.
પ્રાણીઓની સેવા કરવા માટે લગ્ન કર્યા નથી
નમ્રતા કહે છે, “અમારી પાસે અત્યારે 20 કૂતરા છે, જ્યારે કેટલાક પ્રાણીઓ અમારા દરવાજાની બહાર રાખવામાં આવ્યા છે. તો, કેટલાક લોકો ત્રણ-ચાર દિવસનું કહીને તેમના કૂતરાઓને અમારી પાસે છોડી દે છે અને તેમને લેવા ક્યારેય આવતા નથી. તેમની પાસે હાલમાં મરઘા, બિલાડી, ડુક્કર, બળદ, ગરુડ, વાંદરા અને 340 કૂતરા છે. તેણે કહ્યું કે તેમની પાસે એવા 50 કૂતરા છે, જે ચાલી પણ શકતા નથી.
વર્ષ 2018માં, નમ્રતા અને તેના પરિવારને લાગ્યું કે આ અમારું એકલાનું કામ નથી. લોકો પાસેથી થોડી મદદની આશા રાખીને તેમણે વર્ષ 2018માં Hakhoo Street Animals Foundation Trustના નામથી એક સંસ્થા રજીસ્ટર કરાવી.
હાઈસ્કૂલના અભ્યાસ બાદ નમ્રતા કોમ્પ્યુટર સેન્ટર ચલાવતી હતી. પરંતુ જેમ જેમ પ્રાણીઓની સંખ્યા વધવા લાગી, તેમના માતા-પિતા માટે તેમને સંભાળવું મુશ્કેલ બન્યું. આખરે વર્ષ 2016માં તેણે કોમ્પ્યુટર સેન્ટરનું કામ છોડવું પડ્યું. નમ્રતા આ પ્રાણીઓની બાળકોની જેમ સેવા કરે છે. તેના માતાપિતા સાથે, તેણે આ પ્રાણીઓની સેવા કરવા માટે લગ્ન પણ કર્યા નથી.

પ્રાણીઓની સેવા કરવા માટે દાગીના વેચી દીધા
નમ્રતાએ કોમ્પ્યુટર સેન્ટરમાંથી જમા થયેલા પૈસા અને તેની માતાએ તેના તમામ દાગીના આ હેતુ માટે વેચી દીધા. નમ્રતાએ કહ્યું, “આ પ્રાણીઓની તબીબી અને ખોરાકની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, અમે વિવિધ સ્થળોએથી લોન પણ લીધી છે, જે લગભગ રૂ.10 લાખ છે.”
આ શેલ્ટર હોમમાં પ્રાણીઓને દિવસમાં ત્રણ વખત ખોરાક, સમયાંતરે રસી અને દવાઓ વગેરે આપવામાં આવે છે. હાલમાં, હખૂ પરિવાર માટે આવકનો એકમાત્ર સ્ત્રોત સરકાર તરફથી મળતુ માઈગ્રંટ રિલીફ ફંડ છે. આ અંતર્ગત તેને દર મહિને 9,750 રૂપિયા મળે છે. નમ્રતા ભવિષ્યમાં આ પ્રાણીઓ માટે એક સારું શેલ્ટર હોમ બનાવવા માંગે છે જેના માટે તેને તમારી મદદની જરૂર છે.
જો તમે Hakhoo Street Animals Foundation Trust વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે સોશિયલ મીડિયા પર તેમનો સંપર્ક કરી શકો છો. તમે તમારી સીધી મદદ પણ પહોંચાડી શકો છો.
Hakhoo Street Animals Foundation (Regd.) Trust. Ac/No.: 0559010100000477
IFSC: JAKA0KARNBG,Sol Id : 0559
J&K Bank,Branch Karan Bagh,Jammu,J&K
For PayTm: +919419199777
GooglePay: +919906345777
For PhonePe: +919906345777
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: વડોદરાના યુવાને રખડતાં કૂતરાં માટે શેલ્ટર બનાવી શરૂ કર્યું ખવડાવાનું, 50 શ્વાનની રાખે છે સંભાળ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.