કોરોના રોગચાળાને કારણે થયેલા લોકડાઉનમાં ફક્ત લોકોને જ નહીં પણ પ્રાણીઓને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બધા લોકો તેમના ઘરોમાં બંધ હતા અને બજારો પણ સુમસામ થઈ ગયાં હતાં. આવી સ્થિતિમાં, નિરાધાર અને મૂંગા પ્રાણીઓ માટે મુશ્કેલીઓ વધી ગઈ હતી પરંતુ, જેમ સારા સ્વભાવના લોકો જરૂરિયાતમંદ લોકો માટે અનાજ અને કરિયાણું લાવતા હતા, તેવી જ રીતે અબોલ પ્રાણીઓની સંભાળ રાખનારા ઘણા લોકો પણ હતા. આજે અમે તમને લુધિયાણાના 42 વર્ષીય રૂહ ચૌધરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે લોકડાઉન દરમિયાન દરરોજ લગભગ 500 જેટલા નિરાધાર કૂતરાઓને ખવડાવ્યું હતું.
જો કે, એવું નથી કે રૂહે આ કામ ફક્ત લોકડાઉનમાં જ કર્યું , તે દરરોજ આ નિરાધાર પ્રાણીઓને ભોજન કરવાનું કામ ઘણા લાંબા સમયથી કરે છે. તે સમજાવે છે, ” લોકડાઉન દરમિયાન બધું બંધ હતું અને આ કારણે પ્રાણીઓ ખોરાકની શોધમાં ઠેરઠેર ફરવા લાગ્યા હતા. મેં જાતે જોયું હતું કે પ્રાણીઓ અને પક્ષીઓ કેવી તકલીફમાં હતાં. હું અને મારો દીકરો દિવસમાં એકવાર જઈને આ બધાને ખવડાવતા હતા. આ સિવાય મેં અન્ય લોકોને પણ વિનંતિ કરી છે કે , તેમને જ્યાં પણ કોઈ પણ નિરાધાર પ્રાણી દેખાય ત્યાં તેને ખવડાવે “
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “નાનપણથી જ મને પ્રાણીઓ પ્રત્યે ખૂબ પ્રેમ છે. મારા પિતા પાસેથી હું પ્રાણીઓની સાર-સંભાળ રાખતા શીખી છું. જો હું કોઈ પ્રાણીને ક્યાંય ઇજાગ્રસ્ત જોઉં છું, તો તરત જ તેને યોગ્ય સારવાર આપી તેને દરરોજ ખવડાવું, હું આ બધું બાળપણથી જ કરું છું. કારણ કે હું માનું છું કે આ પૃથ્વી અને પર્યાવરણ ફક્ત આપણા માણસો માટે જ નથી, પરંતુ બધા પ્રાણીઓ અને જીવ-જંતુઓનો પણ તેમના ઉપર સમાન અધિકાર છે. જીવ-જંતુઓ માટે પણ છે અને તેમના ઉપર સમાન અધિકાર છે જરૂરિયાત તો એક યોગ્ય સંતુલન સ્થાપિત કરવાની છે, જે આપણે અન્ય જીવંત પ્રાણીઓ પ્રત્યે થોડા સંવેદનશીલ થઈને કરી શકીએ છે “

દરરોજ 75 નિરાધાર કૂતરાઓને ખવડાવવું:
રૂહ છેલ્લા ઘણા વર્ષોથી તેના વિસ્તારમાં 75 જેટલા નિરાધાર કૂતરાઓને ખવડાવી રહી છે. તે કહે છે કે કેટલીકવાર આ સંખ્યામાં વધારો થાય છે, તો ક્યારેક ઘટાડો થાય છે છે. તે તેમને દરરોજ સવારે અથવા સાંજે જઈને ખવડાવે છે. તે કહે છે, “જો તેમને દિવસમાં એક વખત પૂરતો ખોરાક મળી જાય તો તેમને બીજે ક્યાંય ભટકવાની જરૂર પડતી નથી. આ કામ કરવા માટે, અમુક સ્થળોએ હું સવારે જઇને ખાવાનું આપી આવું છું અને કેટલીક જગ્યાએ મારો 12 વર્ષનો પુત્ર સાંજે તેમને ખવડાવી આવે.”
તે કહે છે કે બધુ બરાબર ચાલી રહ્યું હતું પરંતુ, લોકડાઉન થતાંની સાથે થોડા દિવસોમાં જ તેમણે જોયું કે આ મૂંગા પ્રાણીઓ ઉપર કોઈ ધ્યાન આપી રહ્યું નથી. તેમણે કહ્યું, “જ્યારે હું ખવડાવવા જતી હતી ત્યારે મેં જોયું કે ધીરે ધીરે નિરાધાર પ્રાણીઓની સંખ્યા વધવા માંડી હતી. તેઓ જમવાની આશામાં ભટકતા હતા. ઘણી વાર મેં તેમને પત્થરો ચાટતા જોયા અને આ જોઈને મને ખૂબ જ દુઃખ થયું. તેથી, મેં રોજ વધારે ખોરાક લઈ જવાનું શરૂ કર્યું.” પરંતુ જ્યારે પ્રાણીઓની સંખ્યા 100 થી વધુ થવા લાગી, ત્યારે તેમને લાગ્યું કે, હવે આના માટે થોડા ફંડની પણ જરૂર પડશે.

પરંતુ, અન્ય લોકો પાસેથી ભંડોળ મેળવવાની જગ્યાએ, તેમણે પોતાની રીતે કંઇક કરવાનું નક્કી કર્યું. રૂહ કહે છે કે હું લાંબા સમયથી બેકિંગ કરી રહી છું અને તેની સાથે મને રસોઇ બનાવવાનું પણ ગમે છે. તેમણે ઘરેથી એક નાની પહેલ કરવાનું નક્કી કર્યું અને વિકેન્ડ માં ‘હોમ શેફ ‘ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે કહે છે, “હું પહેલાં પણ કેટલાક બેકિંગ ઓર્ડર લેતી હતી. પરંતુ આ નિયમિત નહોંતુ, ફક્ત મારા કેટલાક મિત્રો સુધી મર્યાદિત હતું. જો તેઓને કંઈક વિશેષ જોઈતું હતું, તો તેઓ મને ઓર્ડર આપતા હતા. પરંતુ ગયા વર્ષે લોકડાઉનમાં, મેં વિકેન્ડમાં નિયમિત જમવાના ઓર્ડર લેવાનું શરૂ કર્યું. મને આ ઓર્ડરથી જે પણ પૈસા મળતા હતા તે, હું આ નિરાધાર પ્રાણીઓને ખવડાવવા અને સારવારમાં વાપરવા લાગી.”
અઠવાડિયાની શરૂઆતમાં, રૂહ લોકોને તેના મેનુ વિશે કહે છે કે તે આ રવિવારે કઈ વાનગીઓ બનાવશે. શુક્રવાર સુધીમાં, તે લોકો પાસેથી ઓર્ડર લે છે. તે શનિવારે ઓર્ડર અનુસાર બધી તૈયારીઓ કરે છે અને રવિવારે જમવાનું બનાવી ગ્રાહકોને પહોંચાડે છે. તેમના મેનૂમાં એક વેજ ડીશ, એક નોન-વેજ ડીશ અને એક સ્વીટ ડીશ શામેલ છે. તે આવી વાનગીઓને ખવડાવવાનો પ્રયત્ન કરે છે, જે લુધિયાણામાં સરળતાથી ઉપલબ્ધ નથી હોતી. તે કહે છે કે તેમને અઠવાડિયામાં સાતથી આઠ ઓર્ડર મળે છે અને લગભગ 30 ગ્રાહકો તેમની સાથે જોડાયેલા છે.
આ ઓર્ડરમાંથી જે પણ પૈસા કમાય છે, તેઓ તે નિરાધાર પ્રાણીઓની સંભાળમાં વાપરી રહ્યા છે. તે કહે છે, “કોઈની મદદ કરવા માટે, તમારે ફક્ત મનથી ઉત્સાહી રહેવું જરૂરી છે અને પછી આગળનો રસ્તો તેની જાતે જ મળી રહે છે.”
જે પર્યાવરણને અનુકૂળ છે તેવું જીવન જીવે છે:
નિરાધાર પ્રાણીઓ પ્રત્યે અઢળક પ્રેમ અને સંવેદનશીલતા ધરાવતી રૂહ ચૌધરી પર્યાવરણ વિશે પણ ખૂબ જાગૃત છે. તેમના ઘરમાંથી કોઈપણ પ્રકારનો કચરો કુદરતી સ્ત્રોતો સુધી પહોંચીને પર્યાવરણને પ્રદૂષિત કરતું નથી. તે કચરાનું નિયંત્રણ તેમના ઘરે જ કરે છે. તે સમજાવે છે કે તે તેમના રસોડાના કચરામાંથી જૈવિક ખાતર બનાવે છે, જેનો ઉપયોગ તે તેના પુત્ર સાથે મળીને બાગકામ માટે કરે છે. તે પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુની ખરીદી કરતી નથી અને તમામ પ્રકારની ખરીદી માટે કપડાંની થેલીનો ઉપયોગ કરે છે.

તે કહે છે, “હું મારા પુત્ર સાથે જયારે ખરીદી કરવા જાઉં છું ત્યારે બધા લોકો તેને થેલીવાળો છોકરો જ કહે છે.” એ જ રીતે, મારા પુત્રને સારી રીતે કાર્બનિક કચરામાંથી ખાતર બનાવતા આવડે છે, અને સાથે-સાથે તે ઉત્સાહથી બાગાયતી કામ પણ કરે છે . હું મારા દીકરાને ‘હોમસ્કૂલિંગ’ નું શિક્ષણ આપી રહી છું . તેથી, તે હમણાથીજ જીવનમાં આગળ લાવનારા કામની કુશળતા શીખી રહ્યો છે. જેમ શાળાનાં પુસ્તકોમાં શીખડાવામાં આવે છે કે જમીનમાં બીજ વાવ્યા પછી અંકુરિત થાય છે, તે મારો પુત્ર બધુ પોતાની જાતે કરે છે. નાના નાના પગલે મોટા બદલાવ આવે છે, અને આમ તમે એકરાતમાં જીરો-વેસ્ટ લાઇફસ્ટાઈલ જીવી શકતા નથી. તે એક પ્રક્રિયા છે જેમાં તમે ધીમે ધીમે આગળ વધી શકો છો. જેમાં ધીમે પગલે આગળ વધી શકાય છે.”

તેમની બધી વાનગીઓનું પેકીંગ પર્યાવરણની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને તેમના ગ્રાહકોને પહોંચાડવામાં આવે છે . પોતાની વાનગીઓનું પેકીંગ કરવા માટે માટીના વાસણનો ઉપયોગ કરે છે અને તેને બંધ કરવા માટે પાંદડા અને સૂતળીની ઉપયોગ કરે છે. જો કોઈ ગ્રાહક તેમના ઘરે આવી ઓર્ડર લે, તો તેઓ ગ્રાહકને તેમના ઘરેથી જ સ્ટીલના વાસણો લાવવાનું કહે છે. તે કહે છે કે હું મારા જીવનમાંથી બને તેટલા પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવાનો પ્રયત્ન કરી રહી છું. તે રસોઈ માટે માટીના વાસણનો ઉપયોગ કરે છે અને મસાલા વગેરે પીસવા માટે ગ્રાઇન્ડિંગ સ્ટોનો ઉપયોગ કરે છે.
એ જ રીતે, તે જુના કપડાને કંઈક નવું અને ઉપયોગી બનાવવા માટે રિસાયકલ કરવાનો પ્રયાસ કરે છે. એ જ રીતે, મચ્છરોને દૂર કરવા માટે તે ગુડ નાઇટ લિક્વિડને બદલે લીમડાના તેલમાં કપૂરનો ઉપયોગ કરે છે. ઓનલાઇન ઓર્ડર સાથે આવતા પેકેજિંગ કાર્ટન અને પોલિથીનમાંથી તેઓએ નિરાધાર કૂતરાઓ માટે નાના આશ્રયસ્થાનો પણ બનાવ્યા છે. અંતમાં કહે છે, “તમે એક જ દિવસમાં બધું કરી શકતા નથી. કારણ કે, પર્યાવરણને અનુકૂળ જીવન બનાવવા માટે તમારે ધીરજ અને સંયમ રાખી આગળ વધવું પડે છે. તમે ધીમે ધીમે દરેક વસ્તુઓ પર કામ કરી શકો છો. જેમ કે શરુાતમાં ઘરના કચરાને અલગ કરીને તેનું સંચાલન કરીને ધીમે ધીમે પોલિથીનનો ઉપયોગ કરવાનું બિલકુલ બંધ કરી શકો છો અને તમારી સાથે તમારા બાળકોને પણ તેનું મહત્વ સમજાવી શકો છો. ”
જો તમારે રૂહ ચૌધરીનો સંપર્ક કરવો હોય તો તમે તેમનો સંપર્ક ફેસબુક પર કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:દરદીઓ માટે 24 કલાક ખુલ્લુ રહે છે આ દવાખાનુ, ડૉક્ટરની ફી માત્ર 10 રૂપિયા
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.