Search Icon
Nav Arrow
Immunity Plant
Immunity Plant

ભોપાલના ગાર્ડનિંગ એક્સપર્ટ પાસેથી શીખો ઘરે રોગપ્રતિકારક શક્તિ વધારતા ઔષધિય છોડ ઉગાડવાની રીત

કોરોનાના સંક્રમણકાળમાં આ રીતે ઘરે જ ઉગાડો રોગપ્રતિકારક શક્તિ વધારતા છોડ અને વેલ

કોરોના માહામારી રોગચાળાને કારણે, લોકોમાં તેમના સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ વિશે ઘણી જાગૃતિ આવી છે. જેના કારણે લોકો તેમના ખાવા પીવાને લઈને ખૂબ સાવચેત બની રહ્યા છે. આ કારણોસર, લોકોએ તેમના ઘરોમાં ઔષધીય ગુણધર્મોવાળા છોડ રોપવાનું શરૂ કર્યું છે. આમાં એલોવેરા, તુલસી, ફુદીનો, મેથી, ધાણા, અશ્વગંધા, એલચી, આમળા, ગિલોય, લીમડો, લેમન  ગ્રાસ, તજ, નાગરવેલ, કાળા મરી, હળદર, આદુ, લસણ, કરી પાંદડા જેવા ઔષધીય છોડનો સમાવેશ થાય છે. તો ચાલો આપણે જાણીએ કે આ ઔષધીય વનસ્પતિઓ કેવી રીતે ઉગાડવી. (How to Grow Medicinal Plants)

Shirish Sharma
Shirish Sharma

ઘણા વર્ષોથી ભોપાલમાં ગાર્ડનિંગ કરી રહેલા શિરીષ શર્મા આજે આપને કેટલાક ઔષધીય છોડ વિશે જણાવી રહ્યા છે, જેને તમે તમારા ઘરની છત અથવા બાલ્કનીમાં રોપી શકો છો. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “ઔષધીય છોડ અથવા જડીબુટ્ટીઓનુ વાવેતર કરતી વખતે તમારે થોડી વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાં ઘણા છોડ છે, જે ઉગે છે અને મોટા થઇને હર્યાં-ભર્યાં ઝાડ બને છે. તમારે આ છોડ તમારા ઘરની ઉપલબ્ધ જગ્યા અનુસાર રોપવા જોઈએ. તમે ટેરેસ અથવા બાલ્કની પર અથવા કુંડામાં તજ, લીમડો વગેરે વાવી શકતા નથી. પરંતુ અન્ય છોડ જેવા કે- તુલસી, એલોવેરા, ગિલોય, પાન અને આદુ તથા હળદર વગેરે સરળતાથી કુંડામાં વાવેતર કરી શકાય છે.
જો તમે તમારા ઘરમાં ઔષધીય છોડ લગાવવા માંગતા હો, તો પછી તમે ફુદિનો , ધાણા, તુલસી અને એલોવેરા જેવા છોડથી શરૂ કરી શકો છો. જો તમારી પાસે આ ઔષધીય છોડ છે, તો પછી તમે અન્ય ઔષધીય છોડ ઉગાડવાનો પ્રયાસ કરી શકો છો. આ ઔષધીય છોડ રોપવા માટે આ સીઝન યોગ્ય છે. આ સિવાય તમે ચોમાસા પહેલા પણ આ છોડ રોપી શકો છો.. શિરીષ કહે છે કે કેટલાક ઔષધીય છોડ બીજ સાથે વાવેતર કરી શકાય છે અને કેટલાકને કટિંગ / ટુકડા વડે વાવેતર કરી શકાય છે.

અશ્વગંધા:
અશ્વગંધામાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટીઇંફેલેમેટરી ગુણધર્મો છે, જેના કારણે તેનો ઉપયોગ હૃદયરોગ, ડાયાબિટીઝ, એનિમિયા કેન્સરથી બચાવવા માટે થાય છે. જો તમે બજારમાંથી અશ્વગંધા ખરીદો છો, તો તમને તે ખૂબ મોંઘું મળશે. પરંતુ, જો તમે ગાર્ડનિંગ કરો છો, તો તમે તેને ઘરે પણ ઉગાડી શકો છો. તે કહે છે કે તમે બજારમાંથી અશ્વગંધાના બીજ સરળતાથી ખરીદી શકો છો અને તેને તમારા ઘરે રોપી શકો છો.

Ashwagandha Plantation
Ashwagandha


કેવી રીતે ઉગાડવું:
સૌ પ્રથમ, તમારે અશ્વગંધા બીજમાંથી નાના છોડ તૈયાર કરવા જોઈએ.
આ માટે, તમે નાના કુંડામાં અથવા સીડિંગ ટ્રેમાં પોટીંગ મિશ્રણ લો અને બીજ વાવો.
તમારે પોટીંગ મિશ્રણ બનાવવું પડશે જેમાં પાણી ન હોય. આ પોટીંગ મિશ્રણ બનાવવા માટે, તમે સામાન્ય જમીનમાં રેતી અને ખાતરને મિક્સ કરવી.
બીજ વાવવાનાં એક અઠવાડિયા પછી તે અંકુર ફૂટવાનું શરૂ કરશે.
હંમેશા છોડને જરૂરિયાત મુજબ પાણી આપો.
લગભગ એક મહિનામાં, તમારા છોડ મોટા કુંડામાં વાવેતર કરી શકશે.
હવે તમે મોટા કુંડામાં અશ્વગંધાના છોડ રોપી શકો છો.
પોટમાં પોટીંગ મિક્સ ભરો અને તેમાં અશ્વગંધાના છોડ લગાવો.
કુંડામાં માત્ર બે છોડ વાવો અને બંને વચ્ચે થોડું અંતર રાખો.
હવે કુંડાને લગભગ ત્રણ દિવસ એવી જગ્યાએ રાખો કે જ્યાં સીધો સૂર્યપ્રકાશ તેની ઉપર ના પડે
આ પછી તમે છોડને તડકામાં રાખી શકો છો.
અશ્વગંધાના છોડને જરૂરિયાત મુજબ પાણી આપો, વધારે પાણી નાખવાથી, તે છોડ કરમાવા લાગે છે.
આ છોડને વચ્ચે- વચ્ચે છાણીયુ ખાતર અથવા અળસિ્યા ખાતરનું પોષણ આપી શકો છો.
અશ્વગંધાના છોડને તૈયાર થવા માટે પાંચથી છ મહિનાનો સમય લાગી શકે છે.

લેમન  ગ્રાસ
લેમન  ગ્રાસનો ઉપયોગ ‘હર્બલ ટી’ બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે. તેના ઔષધીય ગુણધર્મો અને વધતી માંગને કારણે, ઘણા ખેડુતો તેની ખેતી પણ કરી રહ્યા છે. શ્રેષ્ઠ વસ્તુ એ છે કે તમે તેને સરળતાથી તમારા ઘરમાં, પોટ્સમાં ઉગાડી શકો છો. જો તમારી પાસે પણ કોઈ કુંડામાં લેમન  ગ્રાસ છે, તો પછી તમે તેનો લાભ વર્ષો વર્ષ લઈ શકો છો. તમે તમારા ઘરે સરળતાથી બજારમાંથી ખરીદેલ લેમન  ગ્રાસ પણ વાવી શકો છો.

Lemon Grass
Lemon Grass


પહેલાં, બજારમાંથી ખરીદેલ લેમન  ગ્રાસની દાંડી લો.
હવે એક કાંચના ગ્લાસમાં પાણી ભરો અને તેમાં આ દાંડીઓ મૂકો. ધ્યાનમાં રાખો કે આ દાંડીઓ સંપૂર્ણપણે પાણીમાં પલળી ન જાય.
તમારે તેમને લગભગ એક અઠવાડિયા સુધી પાણીમાં રાખવું પડશે અને ગ્લાસનું પાણી નિયમિતપણે બદલતા રહેવું.
આખા અઠવાડિયા દરમ્યાન, તમે જોશો કે આ દાંડીઓના નીચેની તરફથી ફણગા ફુટવાની શરૂઆત થઇ ગઇ હશે.
હવે તમે તેમને કુંડામાં વાવી શકો છો.
લેમન  ગ્રાસ માટે દોમટ માટી યોગ્ય છે. આ માટે, તમે સામાન્ય બગીચાની માટીમાં રેતી અને ખાતરને મિશ્રિત કરી લો.
મોટા કુંડામાં પોટિંગ મિક્સ / મિશ્રણ મિક્સ ભરી લો.
તે કુંડામાં લેમન  ગ્રાસના છોડને લગાવો અને ઉપરથી પાણી આપો.
લેમન  ગ્રાસના છોડને નિયમિતપણે પાણી આપો અને વચ્ચે વચ્ચે તમે તેને જૈવિક ખાતરથી પોષણ આપી શકો છો.
તમારો છોડ ચારથી પાંચ મહિનામાં ઉપયોગ કરવા યોગ્ય થઈ જશે.

પાનની વેલ:
શિરીષ કહે છે કે ભારતમાં પાનની ઘણી જાતો જોવા મળે છે, જેમાં બનારસ, બંગલા, દેશવારી અને મીઠાં પાંદડા વગેરે શામેલ છે. પાન ઘરે વાવવું ખૂબ જ સરળ છે. પાન એક વેલ છે જે તમે કાપીને ઉગાડી શકો છો. તમે કોઈ વ્યક્તિના ઘરેથી અથવા તમારી નજીકની પાનની વેલમાંથી કટીંગ અથવા પા મિટર જેટલો ટુકડો લઈ શકો છો અને જો આ શક્ય ન હોય તો તમે નર્સરીમાંથી એક નાનો છોડ લાવી શકો છો.

Immunity booster plant


નાગરવેલના પાન વાવવા માટે, એક પોટીંગ ખાતર મિશ્રણ તૈયાર કરો જે પોષણથી ભરેલું હોય અને જેમાં લાંબા સમય સુધી ભેજ રહે.
પોટીંગ મિશ્રણ બનાવવા માટે, તમે સામાન્ય બગીચાની માટીમાં ખાતર, કોકોપેટ અને રેતીનું મિશ્રણ કરો લો. તેની ટોચ પર તમે બોનમીલ અને નીમખલી પણ ઉમેરી શકો છો.
આ માટે, તમે માટીનું એક મોટું કુંડું લો. જેની નીચે વધારાનું પાણી નીકળી જાય એ માટે એક નાનું કાણું પાડવું અને આ કાણા પાસે એક પથ્થર મૂકવો.
હવે આ પોટમાં પોટીંગ મિક્સ ભરો.
વેલને ટેકો આપવા માટે, કુંડાની મધ્યમાં ચાર ફૂટ લાંબું લાકડું અથવા ‘શેવાળ લાકડી’ મૂકો.
હવે આ કુંડામાં તમે નાગરવેલનો ટુકડો અથવા નાની વેલ વાવી શકો છો.
છોડને નિયમિતપણે પાણી આપતા રહો અને તમે જોશો કે વેલ બે થી ત્રણ અઠવાડિયામાં વધશે.
પાનની વેલ વધવા માટે છાંયાવાળી અને ભેજવાળી જગ્યાની જરૂર છે. જો કે, છાંયાવાળોનો અર્થ એ નથી કે તે એક ઇન્ડોર પ્લાન્ટ છે. પોટને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ સીધો સૂર્યપ્રકાશ ના પડે
પાનને પોષણ આપવા માટે તમારે મહિનામાં બે વાર ગાયનું છાણ, લીમડાની કે સરસવની કેક આપવી જોઈએ.
ત્રણ મહિનામાં આ વેલ ખૂબ સારી રીતે ઉગી જશે અને તમે તેના પાંદડા વાપરી શકો છો.

શિરીષ કહે છે કે આ છોડ સિવાય તમે આ મહિનામાં અન્ય ઔષધીય છોડ જેવા કે આદુ, આમળા, કાળા મરી પણ રોપણી કરી શકો છો. આ બધા છોડ ઔષધીય ગુણથી ભરેલા છે.
તો પછી રાહ કોની જોવાની, આજે જ તમારા ઘરે ઔષધીય છોડ વાવવાની તૈયારી કરો. શિરીષનો ગાર્ડનિંગના વિડીયો જોવા માટે, તમે તેની યુટ્યુબ ચેનલ જોઈ શકો છો.
હેપ્પી ગાર્ડનિંગ


મૂળ લેખ: નિશા ડાગર


સંપાદન: નિશા જનસારી


આ પણ વાંચો: જો તમે વેકેશનમાં જઈ રહ્યા છો તો કેવી રીતે તમારા છોડને પાણી આપશો અને તેની સંભાળ રાખશો, જાણો સરળ રીતો

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon