મૂળ અમરેલીના પરંતુ હાલ અમદાવાદમાં અભ્યાસ કરતો જય કાથરોટીયા છેલ્લા થોડા વર્ષોથી પોતાના જન્મદિવસની ઉજવણી ખુબ જ યુનિક રીતે કરે છે જેમાં તેઓ અનાથ અને સ્લમ વિસ્તારના બાળકો સાથે પિકનિક, પીઝા પાર્ટી, બાળકોને સમગ્ર મુવી થિયેટર બુક કરાવી ફિલ્મ જોવા માટે લઇ જાય છે અને આ રીતે જ તેઓ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરે છે .

ધ બેટર ઇન્ડિયાને વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગત જન્મદિવસ નિમિતે ઝૂંપપટ્ટીના બાળકો માટે થિયેટર બુક કરાવી બાળકોને ‘આઈ એમ કલામ’ મુવી બતાવી હતી જેથી તેઓ પણ અભ્યાસમાં રુચિ વધારી પોતાની જાતે જ પગભર થવા માટે પ્રોત્સાહિત થાય. આ ઉપરાંત અમુક ઝૂંપપટ્ટી વિસ્તારના બાળકોને બર્ગર ખવડાવી તેમજ તેમને પુસ્તકો ભેટ આપીને પણ તેઓએ જન્મદિવસની ઉજવણી કરી.

આ વર્ષે જયે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 40 જેટલા અનાથ બાળકોને ફરવા લઈ જવાનો તેમજ પીઝા પાર્ટી કરવાનો સંકલ્પ કર્યો. તેઓ બાળકોને અડાલજની વાવ તેમજ ત્રિમંદિર જેવા અમદાવાદના ફરવાલાયક સ્થળોએ ફરવા માટે લઈ ગયા હતા અને પછી બધાએ સાથે મળીને વિવિધ વાનગીઓનો આસ્વાદ પણ માણ્યો. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં સૃષ્ટિ સંસ્થાના સેક્રેટરી ચેતનભાઈ પટેલનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો.
જય કહે છે કે, “વ્યસન અને શોખ પાછળ પૈસા વેસ્ટ કરવાને બદલે હું આવા સતકાર્યોમાં પૈસા ખર્ચ કરવાનું વધારે પસંદ કરું છું. આજના યુવાનો પોતાના વ્યસન અને શોખ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે. પરંતુ મને આવા બાળકો સાથે મારા જન્મદિવસની ઉજવણી કરીને કઈંક અલગ જ આનંદ પ્રાપ્ત થાય છે.”

ઉલ્લેખનીય છે કે, જય ધોરણ 6માં અભ્યાસ કરતા હતા ત્યારથી જ પોતાના જન્મ દિવસે ચોકલેટ વહેંચવાની જગ્યાએ પુસ્તકો વહેંચતા અને ધોરણ 12 સુધી તેમણે આ નિયમ જાળવી રાખ્યો હતો જેમાં તેઓ અત્યાર સુધી 500 જેટલા પુસ્તકો વિતરિત કરી ચુક્યા છે. પુસ્તક વિતરણ બાબતે તેઓ બધાને એક સરખી પુસ્તકો ન આપતા પોતાના ક્લાસમેટ અને શિક્ષકોને કોઈપણ પાંચ કેટેગરી પ્રમાણે પુસ્તકો વિતરિત કરતા અને તેથી જ વિદ્યાર્થી અને શિક્ષકો એકબીજાના ભાગે આવેલ પુસ્તકો અદલાબદલી કરી વાંચી શકે. આમ વાંચન બાબતે લોકોમાં રસ જાગૃત થાય તે માટેની પહેલ તેમણે છેક નાનપણથી જ શરૂ કરેલી.

આ સિવાય જય કલામ ઇનોવેટિવ વર્કસ જે અમરેલીમાં કાર્યરત છે તેના કોફાઉન્ડર પણ છે જે દ્વારા તેઓ સ્લમ વિસ્તારના બાળકોની સ્કૂલોમાં જઈને સેમિનાર ગોઠવવા, વિદ્યાર્થીઓ માટે સ્કિલ બેઝ્ડ ઇનોવેટિવ વર્કશોપનું આયોજન, વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન જેવા વેગેરે વિષય પર કાર્ય કરે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: જેલમાં જતી વખતે આ ગુજરાતીને ગાંધીજીએ બનાવ્યા હતા વારસદાર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.