તાજેતરમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની દરખાસ્ત મોકલી છે અને આવી સુવિધા શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય હશે, એમ રાજ્યના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદીએ મંગળવારે જણાવ્યું હતું.
હાલમાં જ નવી દિલ્હીમાં તમામ રાજ્યોના નાગરિક ઉડ્ડયન મંત્રીઓની બેઠકમાં પૂર્ણેશ મોદીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને આ પ્રસ્તાવ આપ્યો હતો.
મોદીએ કહ્યું કે એર એમ્બ્યુલન્સ સેવા માટે પ્રતિ કલાકના ચાર્જને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. જો કૉલ 108 સેવામાંથી છે, તો પ્રતિ કલાકનો ચાર્જ 50,000 રૂપિયા હશે. જો તે હોસ્પિટલમાંથી છે, તો ચાર્જ પ્રતિ કલાક 55,000 રૂપિયા હશે અને જો નાગરિકો સેવાનો લાભ લેવા ઈચ્છે છે, તો ચાર્જ પ્રતિ કલાક 60,000 રૂપિયા હશે.
રાજ્યમાં આ એર એમ્બ્યુલન્સની શરૂઆતથી ચોક્કસપણે જરૂરિયાત વાળા દર્દીઓને જે તે શહેરમાં સારી હોસ્પિટલ્સમાં ખસેડવામાં સરળતા રહેશે અને સમયના અભાવે જે લોકો રોડ માર્ગે જે તે દર્દીને નિયમિત સમયગાળામાં જે તે હોસ્પિટલમાં ખસેડવામાં સફળ નથી રહેતા તે પણ મોટા ભાગે સચવાઈ જશે.
આપણે આશા રાખી શકીએ કે રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલા આ પ્રસ્તાવને કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવે અને ટૂંક જ સમયમાં રાજ્યના નાગરિકોને આ સુવિધાનો લાભ મળે.
જો સૂત્રોની માહિતીને સાચી માનીએ તો આ એર એમ્બ્યુલન્સ માટે મુખ્યમંત્રીના જુના પ્લેનને જ મોડીફાઇડ કરીને ઉપયોગમાં લેવામાં આવશે.
આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના લોકોને હવાઈ સુવિધા પૂરી પાડવા ડીસા ખાતે એર સ્ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર એવિએશન પાર્કને જોડવા માટે ટેક્સી-લિંકની દરખાસ્ત પણ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર ગુજરાતમાં અન્ય છ સ્થળોએ સી-પ્લેન સેવાઓ શરૂ કરવાની યોજના ધરાવે છે તે માટે રાજયમાં છ સ્થળોએ સી-પ્લેન સેવા ચલાવવાની શક્યતા શોધવા માટે સર્વેની કામગીરી શરૂ થઈ હોવાના અહેવાલ છે. આ માટે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાલિતાણા શેત્રુંજય ડેમ, સાપુતારા તળાવ, મહેસાણાનો ધરોઈ ડેમ અને સુરતનો ઉકાઈ ડેમ ધ્યાનમાં છે. મંત્રીએ જણાવ્યું હતું કે પાઇલોટ પ્રોજેક્ટ તરીકે, સાબરમતી રિવરફ્રન્ટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે દરરોજ બે ફ્લાઇટ્સ – સવાર અને સાંજ – ઓપરેટ થશે સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા, ગુજરાત નાગરિક ઉડ્ડયન વિભાગ, પ્રવાસન વિભાગ સાથે મળીને, અમદાવાદના આકાશમાં હેલિકોપ્ટર જોયરાઇડ્સ શરૂ કરવાનું આયોજન પણ કરી રહ્યું છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: સતત બીજા વર્ષે ભારતનાં સૌથી સ્વચ્છ શહેરોમાં સુરત બીજા નંબરે, રાષ્ટ્રપતિએ કર્યું સન્માન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો