કોરોના મહામારીના કારણે છેલ્લા એક વર્ષથી આપણા બધાનું જીવન થંભી ગયું છે. સંક્રમણથી બચવા માટે આપણે લગભગ પોત-પોતાના ઘરોમાં જ બંધ રહ્યા. આ દરમ્યાન ઘણા લોકોએ બાગકામમાં ઝંપલાવવાનો પ્રયાસ કર્યો. આજે અમે તમને કેરળના એક એવા ફોટોગ્રાફરની કહાની જણાવી રહ્યા છીએ, જે આમ તો છેલ્લા ઘણા વર્ષોથી બાગકામ કરી રહ્યા છે, પણ લોકડાઉન દરમિયાન તેમણે પોતાના બગીચામાં જે પણ ઉગાડયું, એને એક આલ્બમનું રૂપ આપી પોતાની યાદોંમાં સાચવવાનું કામ પણ કર્યું છે.
કેરળના ત્રિશુલમાં ઇરિન્જલાકુડા(Irinjalakuda) ના રહેવાસી, 60 વર્ષીય કેવી બાબુ રાજ વ્યવસાયયે ફોટોગ્રાફર છે. 25 વર્ષની ઉંમરથી મીડિયા ફોટોગ્રાફી કરી રહેલ બાબુરાજનું પ્રકૃતિ સાથે ખાસ જોડાણ રહ્યું છે. બાળપણથી જ વૃક્ષો અને છોડ વાવવાનાના શોખીન રહ્યા બાબુરાજ, છેલ્લા 12 વર્ષથી પોતાના ઘરમાં બાગકામ પણ કરી રહ્યા છે. તેમણે પોતાના ઘરની લગભગ 20 સેન્ટ (લગભગ 8700 સ્ક્વેર ફીટ) જમીન ઉપર બગીચો તૈયાર કર્યો છે, જેમાં તે શાકભાજીથી લઈને ફળ સુધી ઉગાડી રહ્યાં છે. ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા, તેમણે પોતાની યાત્રા વિશે વાત કરી.
નથી પડતી બહારથી શાકભાજી ખરીદવાની જરૂર
બાબુરાજ કહે છે, “મેં બાગકામની શરૂઆત મારો શોખ પૂરો કરવા માટે કરી હતી. જ્યારે મારા કેટલાક મિત્ર-સંબંધીઓ ને બાગકામ કરતા જોયા, તો મેં પણ પોતાના ઘરમાં વૃક્ષો અને ઝાડ વાવવાની શરૂઆત કરી. શરૂઆતથી જ, હું કિચન ગાર્ડનને મહત્વ આપતો હતો.”

તે કહે છે, “હું વાતાવરણ મુજબ દરેક જાતની શાકભાજી ઉગાડુ છું, જેમકે લીલા મરચા, ટામેટા, રીંગણ, કાકડી, કોબીજ, અળવી, સાબુદાણા, કોળું, રાખોડી કોળું વગેરે વગેરે. મારા ત્યાં નવ પ્રકારના લીલા મરચાં છે.” શાકભાજી સિવાય, તેમણે પોતાના બગીચામાં ફળોના ઝાડ પણ વાવ્યાં છે. તેમના ત્યાં ફણસ, કેરી, પપૈયું, ચીકુ, કેળાં વગેરેના ઝાડ પણ છે.
બાબુરાજને ખેતીમાં પણ રસ છે. પણ પોતાના વ્યવસાયના કારણે તેમણે ખેતીની શરૂઆત નથી કરી. એટલે એ પોતાના ઘરના બગીચામાં જ જાત-જાતની શાકભાજી ઉગાડી રહ્યા છે. તેમણે કહ્યું કે તે જૈવિક રીતે બાગકામ કરે છે.
કેવી રીતે બનાવે છે જૈવિક ખાતર
તેમણે બગીચામાં જ એક ખાડો ખોદ્યો છે, જેમાં દરેક જાતનો જૈવિક કચરો, જેમ કે બગીચામાં પડતા સૂકા પાંદડા, ડાળખીઓ અને કિચનમાંથી નીકળતા ફળ અને શાકભાજીઓના છોતરા નાખવામાં આવે છે. આમાંથી જ થોડાક દિવસોમાં સરસ જૈવિક ખાતર તૈયાર થઈ જાય છે. તે કહે છે, “જૈવિક ખાતરની લગભગ બધી જરૂરિયાત, ઘરેથી જ પૂરી થઈ જાય છે. જેનાથી ખુબ જ સારી ઉપજ થાય છે. મારા બગીચામાંથી એટલી ઉપજ થઈ જાય છે કે મારે બજારમાંથી શાકભાજી ખરીદવાની જરૂર નથી પડતી.”

તૈયાર કર્યો લોકડાઉન ગાર્ડનિંગ આલ્બમ
બાબુરાજે લોકડાઉન દરમિયાન બગીચામાં સૌથી વધારે સમય વિતાવ્યો. આ સમયનો સદુપયોગ, તેમણે અલગ-અલગ જાતના વૃક્ષ અને છોડ વાવી અને એની સાચવણીમાં કર્યો. આજે તેમના બગીચામાં લગભગ ૩૦૦ વૃક્ષો અને છોડ છે. બાગકામનાં પોતાના આ અનુભવ અને યાત્રાને તેમણે પોતાના કેમેરામાં પણ કેદ કરી અને પછી એક આલ્બમ તૈયાર કર્યો છે.
તે કહે છે,”હું ઈચ્છતો હતો કે મારા બગીચા ની બધી યાદો મારી પાસે રહે. સાથે જ, આ ખૂબ જ સુખદ અનુભવ છે. લોકડાઉનમાં બગીચાને પૂરતો સમય આપવાના કારણે, મને ઉપજ પણ ઘણી સારી મળી રહી છે. એટલે મેં પોતાની ઉપજ અને બગીચાની તસવીરો ખેંચી ‘ગાર્ડનિંગ આલ્બમ- Krishi Gadha’ તૈયાર કર્યો.”
બાગકામના પોતાના અનુભવને બાબુરાજ વધારેથી વધારે લોકો સાથે વહેંચવા માંગે છે, જેનાથી બીજા લોકો પણ બાગકામ કરવા માટે પ્રેરિત થાય. તેમનું કહેવું છે કે જો તમે એકવાર વૃક્ષ અને છોડ વાવવાનીની શરૂઆત કરી દો, તો બાકી બધી વસ્તુઓ પોતાની જાતે જ થઈ જતી હોય છે.
બાગકામ શરૂ કરવા વાળા લોકો માટે તે બસ આટલી જ સલાહ આપે છે,”તમે એક પ્રયાસ કરો. થોડા સહેલા છોડથી શરૂઆત કરો અને પછી ધીરે-ધીરે આગળ વધો. જો તમારે ત્યાં જગ્યા હોય અને તડકો પણ સારો આવતો હોય, તો તમારે ફળ અને શાકભાજી વાવવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. કારણ કે, પોતાના ઘરમાં જૈવિક ખાતરથી ઊગેલ શાકભાજીનો સ્વાદ અને પોષણ ખુબ જ અલગ અને અદભુત હોય છે. બજારથી લાવેલી શાકભાજી કરતા ઘરે ઊગેલ શાકભાજીની વાત જ અલગ હોય છે. એટલા માટે હંમેશા હરિયાળી ફેલાવવાનો પ્રયાસ કરો.”
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 1 લીમડો કાપવાના દુ:ખમાં વાવ્યાં સંખ્યાબંધ ઝાડ-છોડ, ઘર બન્યું આધુનિક નંદનવન, છતાં લાઈટબિલ ‘ઝીરો’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.