મુંબઇ (મહારાષ્ટ્ર) ના 51 વર્ષીય પ્રદીપ કુંભરે કહે છે કે, જો તમે સ્વપ્ન જોઈ શકો તો તમે નિશ્ચિતરૂપે તેને પૂર્ણ પણ કરી શકો છો. Ageas Federal Life Insurance ના એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા પ્રદીપ અલ્ટ્રા મેરેથોનર છે. તેમણે દેશભરમાં આયોજિત અનેક મોટી મેરેથોનમાં ભાગ લીધો છે. આ સિવાય તે સ્વિમિંગ અને સાયકલિંગમાં પણ ચેમ્પિયન છે. તેમના માટે દોડવું એ સ્પોર્ટ નથી, પરંતુ જીવનશૈલી છે. પરંતુ કહેવાય છે ને કે ભગવાન દરેકની કસોટી કરતા હોય છે. પ્રદીપને પણ જીવનની મોટી કસોટીનો સામનો કરવો પડ્યો હતો. દોડવીર માટે શારીરિક તંદુરસ્તી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો અકસ્માતમાં તમારા શરીરનો કોઈ ભાગ ખોવાઈ જાય તો? ખાસ કરીને જ્યારે તમે દોડવીર હોવ અને તમારી પાસે દોડવા માટે કોઈ પગ જ ન હોય તો?. તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
આવી પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવામાં પ્રદીપે હાર માની નહીં, પણ પરિસ્થિતિને અનુકૂળ થવા મજબૂર કરી. આજે તે પોતાની શરતો પર પોતાનું જીવન જીવે છે અને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. ચાલો જાણીએ તેના જીવનની કહાની.

કેવી રીતે બન્યા રનર
પ્રદીપ વર્ષ 2011 સુધી ન તો મેરેથોન દોડતા કે ન તો કોઈ અન્ય રમત સાથે સંકળાયેલ હતા. તેણે ઑફિસના મિત્રોને સપોર્ટ કરવા માટે Standard Chartered Mumbai Marathon નાં 6 કિ.મી. ‘ડ્રીમ રન’માં ખાલી ભાગ લીધો. પરંતુ તે પછી તે થોડું જાણતું હતા કે એક દિવસ દોડવું એ તેના જીવનનો એક અતુટ હિસ્સો બની જશે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં પ્રદીપ કહે છે, “તે સમયે હું 40 વર્ષનો પણ નહોતો, મારા કરતા ઘણા મોટી ઉંમરના લોકો 10, 21 અને 42 કિ.મી. સુધી દોડતા. જેણે મને પ્રેરણા આપી અને મેં રનિંગને મારી રૂટીનમાં લેવાનો સમાવેશ કર્યો”. તે એક સારા દોડવીર બનવા માટે નિયમિત દોડવાની સાથે દરરોજ તેનાં ખાવા-પીવાની સંભાળ રાખવા માંડ્યા તેમજ વિવિધ કસરતો કરીને પોતાને ફીટ રાખવા માંડ્યા.
તેણે કહ્યું કે એક વર્ષ પછી તેણે 21 કિ.મીની હાફ મેરેથોન ત્રણ કલાકમાં પૂર્ણ કરી. તેને મેરેથોન દોડાવવાનો એવો નશો ચડ્યો કે તેણે મુંબઈની આસપાસ યોજાતી દરેક મેરેથોનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. પ્રદીપ કહે છે, “મેં આ પછી ક્યારેય પાછું વળીને જોયું નહીં. મેં ઘણા શહેરોમાં આયોજિત 21 થી વધુ હાફ મેરેથોન અને 15 પૂર્ણ મેરેથોનમાં ભાગ લીધો છે. જે બાદ મેં અલ્ટ્રા મેરેથોનમાં પણ બે વાર ભાગ લીધો હતો”. તેમણે વર્ષ 2017 માં દેશના પ્રખ્યાત દોડવીર ‘મિલિંદ સોમન’ સાથે 160 કિલોમીટરની મુંબઈ-પુણે ઇન્ટરસિટી રનમાં પણ ભાગ લીધો હતો.

સ્પીડ બ્રેકર
તેમની ક્ષમતા ચકાસવા માટે, તેણે 2018 માં મલેશિયા આયર્નમેન (Ironman) સ્પર્ધા માટે નોંધણી કરી. તમને જણાવી દઈએ કે, આયર્નમેન ચેમ્પિયનશિપમાં સ્પર્ધકે 3.9 કિ.મી. સી-સ્વિમિંગ (SEA-Swimming), 180 કિ.મી. સાયકલિંગ અને 42 કિ.મી. દોડ માત્ર 17 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. પ્રદીપને મુંબઈ-પુણેથી 200 કિલોમીટર દૂર સાયકલ ચલાવવાનો અનુભવ તેમજ નિયમિતપણે તરવાની પ્રેક્ટિસ પણ કરતા હોવાથી તે આ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખવામાં આવી હતી. નવેમ્બરમાં પ્રદીપ આયર્નમેનમાં ભાગ લેવા મલેશિયા જવા રવાના થવાનો હતો. પરંતુ કમનસીબે, ઑગસ્ટ 2018 માં તેમની સાથે એક અકસ્માત થયો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સાયકલ ચલાવતા તેમની સાથે અકસ્માત થયો, જેમાં તેને બંને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માત પછી, તે 22 દિવસ હોસ્પિટલમાં અને આશરે આઠ મહિના સુધી પથારીમાં રહ્યાં. જોકે તે ચાલી શકતા ન હતા, પરંતુ તે આહારમાં કાળજી રાખતા અને થોડી કસરત કરતો રહ્યા. તે કહે છે, “પથારી પર બેસતી કે સૂતી વખતે થઈ શકે તેવી કસરત હું કરતો હતો. તે દરમિયાન મારા બાળકો અને પત્નીએ મને ખૂબ સાથ આપ્યો. ઘરના લોકોએ ઘરનું વાતાવરણ પહેલા જેવું જ રાખ્યું હતું. આ સિવાય ઑફિસના બધા સાથીઓ પણ દરેક સારા અને ખરાબ સમયમાં મારી સાથે ઊભા રહ્યા.
કંઇપણ ફરિયાદ કર્યા વિના પ્રદીપ ભગવાનનો આભાર માને છે કે આટલા મોટા અકસ્માત બાદ પણ આજે તે તેના પરિવાર સાથે છે.

મારે અટકવું નહોતું
પ્રદીપે અકસ્માત થયાના એક વર્ષ બાદ કૃત્રિમ પગથી 5 કિ.મી.ની મેરેથોન પૂર્ણ કરી અને ફરી એક વાર યાત્રા શરૂ થઈ. પ્રદીપ કહે છે, “મારી પાસે સામાન્ય કૃત્રિમ પગ હોવાથી દોડવું મુશ્કેલ હતું. પછી કૃત્રિમ પગ બનાવતી કંપનીએ મને બ્લેડ વાળો પ્રોસ્થેટિક લેગ ટ્રાયલ માટે આપ્યો. જેનો મેં આઠ મહિના સુધી ઉપયોગ કર્યો અને આની મદદથી હું 10 કિ.મી.ની મેરેથોન પણ દોડી શક્યો.”

પ્રદીપ, કારગિલ યુદ્ધના યોદ્ધા મેજર ડી.પી.સિંઘને તેમનો પ્રેરણા સ્ત્રોત માને છે. 2015 માં, પ્રદીપે તેમની સાથે કોચીન મેરેથોનમાં પણ ભાગ લીધો હતો. હકીકતમાં, મેજર ડી.પી.સિંહે પણ યુદ્ધમાં તેનો ડાબો પગ ગુમાવ્યા પછી કૃત્રિમ પગથી દોડવાનું શરૂ કર્યું હતું. પ્રદીપ કહે છે, “ડૉક્ટર મને કૃત્રિમ પગ લગાવતી વખતે સમજાવતા હતા કે હવે આની મદદથી તમે સામાન્ય જીવન જીવી શકશો, પરંતુ ભાગવું મુશ્કેલ છે. તે સમયે જ મને મારા મગજમાં મેજર ડી.પી.સિંઘની તસવીર આવી અને મેં વિચાર્યું કે મારે આગળ કેવું જીવન જીવવું છે.” તે સામાન્ય કૃત્રિમ પગની મદદથી, બાળકો સાથે સાયકલિગ કરે છે અને આરામથી સ્કૂટર અને કાર ચલાવે છે. આ સિવાય તે કૃત્રિમ પગ વગર પણ તરી શકે છે. આગામી સમયમાં, તે 10 કિ.મી.ની તરણ સ્પર્ધામાં ભાગ લેવા માંગે છે. અંતે, તે કહે છે, “જોકે હું પહેલાંની જેમ 50 કિ.મી દોડ અથવા 200 કિ.મી. સાયકલિંગ કરી નહિં શકુ, પણ હું ક્યાંય અટક્યો પણ નથી.”
પ્રદીપ કુંભારની કહાનીમાંથી આપણને પ્રેરણા મળે છે કે જીવનને સુખી અને સફળ બનાવવા માટે તે સંજોગોની નહીં પરંતુ હિંમતની જરૂર હોય છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: જીદના દમ પર બદલ્યું પોતાનું નસીબ! રસ્તો સાફ કરનાર આશા કંડારા બની RAS અધિકારી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.