ગુટખા ખાવાનું છોડી એ રૂપિયા ભેગાં કર્યા અને તેમાંથી 7 વર્ષમાં વાવ્યા 1 હજાર ઝાડ

''એક દિવસ વાટિકામાં આગ લાગી અને 200 ઝાડ સળગી ગયાં હતાં. તે દિવસે હું મારી માતાના મૃત્યુ સમયે પણ નહોતો રડ્યો એટલું રડ્યો. મારા બાળકોએ મને રડતો જોઈ કહ્યું કે, પપ્પા તમે એરટેલ ડિશ હટાવી ફ્રીવાળી ડિશ લગાવી દો અને તે રૂપિયાથી ઝાડની સુરક્ષા માટે લોખંડની જાળી લઈ આવો.''

Tree man

Tree man

દરરોજ 30-40 રૂપિયાના ગુટખા ખાવા એક સામાન્ય વાત છે. લોકો સ્વાદ-સ્વાદમાં લાગેલી આ આદતના ક્યારે ગુલામ બની જાય છે, તેની ખબર પણ પડતી નથી. એવામાં તેમની ઇચ્છા હોવા છતાં વ્યસન છોડી શકતા નથી અને આગળ જતાં ભયાનક બીમારીઓના શિકાર થઈ જાય છે, પણ રાજસ્થાનના એક સાધારણ વ્યક્તિએ વ્યસન છોડી દીધું અને ગુટખાના રૂપિયાથી એવું કરી બતાવ્યું જેની કોઈને કલ્પના પણ નહોતી.

ગામ સહણ, તાલુકો નૈનવાં, જિલ્લો બૂન્દી, રાજસ્થાનના રહેવાસી મહાવીર પ્રસાદ પાંચાલે ગુટખા ખાવાનું બંધ કરી દીધું છે અને તેમણે તે રૂપિયાથી 1000 ઝાડ વાવીને સાબિત કરી દીધું છે કે જો કોઈ પણ વ્યક્તિ નક્કી કરે તો કંઈ પણ કામ મુશ્કેલ નથી.

આજે તે સતત વૃક્ષારોપણ કરતા રહે છે. તેમણે એક હનુમાન વાટિકા બનાવી છે. જેમાં 61 પ્રકારના 1000 ઝાડ ઉગાડ્યા છે. તો હવે તેમના જ સ્વમુખેથી સાંભળીએ તેમની જ કહાની.

Mahaveer Prasad

''હું મહાવીર પ્રસાદ પાંચાલ સહણનો રહેવાસી છું. બૂન્દી જિલ્લાથી મારું ગામ 60 કિલોમીટર દૂર છે. ઝાડ અને છોડ સાથે મને બાળપણથી જ લાગણી હતી. બાળપણમાં જ્યારે અમે ઘર બનાવવાનું રમતાં હતાં ત્યારે મારું ઘર સુંદર હતું. હું મારા ઘરને કનેર, નીમ અને કુઆડિયાની ડાળીથી શણગારતો હતો. બાળપણથી જ મારું સપનું હતું કે, હું ખૂબ જ ઝાડ ઉગાડું. જ્યારે હું બસથી બૂન્દી અથવા કોટા જતો ત્યારે બારી પાસે બેસી પર્વતમાળાને જોતો હતો. વરસાદના દિવસોમાં કેરી, જાંબુ, આંબલીના બીજ જ્યાં જગ્યા મળે ત્યાં વાવતો રહેતો હતો. જોકે, તે ક્યારેય મોટા ઝાડ થયાં નહીં. કેમ કે, હું તે ખોટી જગ્યાએ વાવતો હતો. ખેર, બાળપણ નીકળી ગયું ખબર જ પડી નહીં.''

''ભણતર અને પછી ઘરની જવાબદારીમાં આ શોખ દબાઈ ગયો હતો. ભણ્યા બાદ મેં ગામમાં જ કરિયાણાની દુકાન શરૂ કરી દીધી હતી. આ પછી વર્ષ 2010માં નજીકના ગામમાં ઑટો પાર્ટ્સની દુકાન શરૂ કરી હતી. 20 જૂન, 2013ની વાત છે, હું દુકાન પર ફ્રી બેઠો હતો, ત્યારે મને પહેલાંનું બધું યાદ આવ્યું હતું.''

Tree plantation

''મેં વિચાર્યું કે, અડધી ઉંમર વીતી ગઈ છે. જિંદગીની દોડાદોડીમાં ઝાડ અને છોડનો શોખ છૂટી ગયો છે. તે સમયે મારા એક મિત્ર પિતામ્બર શર્મા દુકાને આવ્યા હતાં. મેં મારા શોખ વિશે તેમને જણાવ્યું ત્યારે તેમણે ગામમાં સ્થિત હનુમાનજીના મંદિરની ખાલી પડેલી 100 વીઘા જમીન પર વૃક્ષારોપણ કરવાની સલાહ આપી હતી.''

''મનમાં પ્રબળ ઇચ્છા હતી, પણ આટલી મોટી જમીનમાં વૃક્ષારોપણ કરવા રૂપિયા નહોતાં. બીજા દિવસે, મારા એક મિત્ર લાદૂ લાલ સેને જે દુર્વ્યસન મુક્તિ પંચના નામે એનજીઓ ચલાવે છે, તે કોઈ કામથી દુકાન પર આવ્યા હતા. મારા મોઢામાં ગુટખા હોવાથી હું વિચિત્ર અવાજમાં જવાબ આપતો હતો. તેમણે મને ગુટખા છોડવાની સલાહ આપી અને કહ્યું કે, રૂપિયાને કાજુ-બદામ ખાવામાં ખર્ચ કરો અથવા ઘર ખર્ચમાં લગાડો. શું મળે છે આવું ખાવાથી?''

''તે ગયા પછી મેં વિચાર્યું કે વાત તો સાચી છે. શું મળે છે ગુટખા ખાવાથી. કેમ નહીં ગુટખા પર ખર્ચ થતાં રૂપિયા ઝાડ અને છોડ વાવવામાં કરું તો. તે દિવસોમાં હું દરરોજ 30-40 રૂપિયાના ગુટખા ખાઈ જતો હતો. મને દિશા મળી ગઈ હતી. બીજા દિવસે હું દૃઢ નિશ્ચયની સાથે હનુમાનજીના મંદિરે પહોંચ્યો હતો. હાથમાં કોદાળી હતી. તે 100 વીઘા જમીન બાવળથી ભરેલી હતી.''

Tree plantation

''મેં બાવળના બધાં ઝાડ કાપ્યાં અને ખાડા ખોદ્યા. હાથમાં છાલા પડી ગયા, પણ એક જનૂન હતું કે હું પોતાનું કામ કરતો રહીશ. હું દરરોજ સવારે દોઢથી બે કલાક કામ કરતો હતો.''

''મેં તે વર્ષે લગભગ 2 વીઘા જમીનમાંથી બાવળ કાઢી નાખ્યા અને તે જગ્યાને હનુમાન વાટિકા નામ આપ્યું. આ પછી હું સરકારી નર્સરીમાંથી છોડ ખરીદીને લાવ્યો અને વૃક્ષારોપણ કર્યું.''

''મેં વાવેલાં છોડ ઉગવા લાગ્યા હતાં, પણ આ કાર્ય એટલું સરળ નહોતું. તેમાં પણ મોટા પડકારોનો સામનો કરવો પડ્યો. કેટલાક અનુભવની કમી હતી. ખાડા વધારે ઉંડા ખોદાઈ ગયા હતા. એવામાં નુકસાનને પહોંચી વળવા માટે પાછળ નહોતું હટવું અને ન તો હાર માનવી હતી. આ રીતે છોડ વાવતો ગયો હતો."

''29 ફેબ્રુઆરી 2016માં મારા દીકરા અર્જુનનો જન્મદિવસ હતો. હું આ દિવસે એક નવી શરૂઆત કરવા માગતો હતો. મેં વિચાર્યું હતું કે છોકરાને જન્મ દિવસે મોંઘી ગિફ્ટ આપી તેમને ભૌતિકતાવાદી બનાવવીએ છીએ અને અજાણતાં જ તે ખોટો પાઠ ભણાવીએ છીએ કે જે મોંઘી ગિફ્ટ છે, તેને વધારે પ્રેમ કરી રહ્યા છે. જ્યારે પ્રેમ અને મોંઘી ગિફ્ટનો કોઈ સંબંધ હોતો નથી.''

''હું મારાં બાળકોને કિંમતી ગિફ્ટની જગ્યાએ જીવનભર કામ આવતી સીખ આપવા માગતો હતો. એટલે મેં નિશ્ચય કર્યો કે, હું આ અવસરે વૃક્ષારોપણ કરી પોતાના બાળકોને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડીશ.''

Gujarati news

''ઇતિહાસકાર ડૉક્ટર એસ. એલ. નાગૌરી માકા માર્ગદર્શક વિટ્ઠલ સનાઢ્ય, લાદૂ લાલ સેન સહિચ ગ્રામીણોની હાજરીમાં મારા દીકરાના જન્મદિવસે 51 છોડ વાવ્યા અને આ રીતે મારા કાર્યની ખ્યાતિ જિલ્લાની બહાર પણ થવા લાગી.

''પણ, ઇશ્વરને કંઈક અલગ જ મંજૂર હતું. 1 માર્ચ, 2016એ હનુમાન વાટિકા વચ્ચેથી પસાર થતી 11 હજાર કિલોવોટની લાઇનનો તાર ટૂટવાને લીધે વાટિકામાં આગ લાગી ગઈ હતી અને છોડ સળગી ગયા. તે દિવસે હું મારી માતાના નિધન સમયે પણ નહોતો રડ્યો એટલું રડ્યો. મિત્રોએ સાંત્વના આપી. થોડાંક વધેલાં વૃક્ષોની સુરક્ષિત હતાં. એક જ દિવસમાં વાડ કરવાની હતી. નહીંતો જાનવર છોડ ખાઈ જાત. મારા બાળકોએ મને વિચાર કરતો જોયો અને સલાહ આપી કે, પપ્પા તમે એરટેલ ડિશને હટાવીને ફ્રી ડિશ લગાવડાવી દો અને તે રૂપિયાથી છોડની સુરક્ષા માટે તારની જાળી લગાવડાવી દો.''

Save nature

''દિલ ભરાઈ ગયું હતું મારું. ગમે તેમ કરી જાળીથી છોડની સુરક્ષા કરીશ . છોડ વાવવાનો ક્રમ અવિરત ચાલુ રહ્યો.''

''મારા કાર્યને જોઈ મારા ફેસબુક મિત્રએ એક છોડ તેના નામથી વાવવા માટે અનુરોધ કર્યો. કેમ કે, હનુમાન વાટિકામાં મેં કોઈનો સહયોગ લીધો નહીં, એટલે વાટિકાની સામે મેં ચાર-પાંચ વીઘા જમીન પસંદ કરી અને તેને ફેસબુક વાટિકાનું નામ આપી દીઘું હતું. રાજસ્થાન ઉપરાંત અન્ય રાજ્યના મિત્રોએ પણ મને ઓનલાઇન રૂપિયા મોકલ્યા હતાં. મેં તેમના નામથી અહીં છોડ ઉગાડ્યા છે. આ ઉપરાંત મેં છેલ્લા પાંચ-છ વર્ષથી સીડબોલ બનાવી સહણથી દેઈ રોડ પર (10 કિલોમીટર) સુધી આ રીતે લગભગ 200થી 250 લીમડા ઉગાડ્યા છે.''

''આ કામમાં મારા દીકરા ચર્મેશ, અર્જુન, દીકરી નિશા, અંબિકા અને મારી પત્ની મંજૂ દેવીએ પણ મને સાથ આપ્યો હતો.''

''હું કોઈ મોટો વ્યક્તિ નથી અને ન કોઈ સંસ્થા છું, પણ હું જે લાયક છું તે આ પ્રકૃતિ માને સોંપવા માગુ છું. મારું સપનું છે કે, મારું ગામ હર્યું ભર્યું હોય. હું મારા ગામથી નજીક દેઈ ગામમાં રોડ કિનારે ઝાડ વાવીને ગ્રીન બેલ્ટ તૈયાર કરીશ.''

Positive news

''હું વિશેષ અવસરો પર ગામના લોકોને વૃક્ષારોપણ માટે પ્રેરિત કરી તેમને જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ, નોકરી મળવાની ખુશી. પૂર્વજોની સ્મૃતિ સહિત ફેસબુક વાટિકા દ્વારા છોડ ઉગાવડાવું છું.''

''આજે હનુમાન વાટિકામાં ઝાડ પર ફળ આવવા લાગ્યા છે, પણ આ ફળનો ઉપયોગ હું કરતો નથી. આ માત્ર પક્ષીઓ માટે છે. મોર, કોયલ, પોપટ, તેતર, અને નાના રંગબેરંગી પક્ષી અહીં વસવાટ કરવા લાગ્યા છે. સસલા પણ આવવા લાગ્યા છે. હનુમાન વાટિકા પક્ષીનું પ્રજનન સ્થળ બની ગયું છે. ફિલ્મ કલાકાર પ્રદીપ કાબરા, જિલ્લા વન સંરક્ષક સતીશ કુમાર જૈન પણ વાટિકામાં પોતાના હાથે ઝાડ વાવી ગયાં છે.''

Tree man

''મને ગ્રામ પંચાયત, ઉપખંડ અધિકારી, જિલ્લા કલેકટર દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. રણથંભોર ટાઇગર રિઝર્વે પણ મને સન્માનિત કર્યો હતો. મને જિલ્લા વૃક્ષવર્ધકનો પણ પુરસ્કાર પણ મળી ચૂક્યો છે.''
મહાવીર પ્રસાદનું કામ ખૂબ જ સરાહનીય છે. દેશના દરેક વ્યક્તિને તેમની જેવી રીતે વિચારીને વ્યસન છોડી તેમાંથી બચતા રૂપિયાનો સારા કામમાં ઉપયોગ કરવો જોઈએ. મહાવીર પ્રસાદ આપણા દરેક લોકો માટે પ્રરણા રૂપ છે.

જો તમે મહાવીરજીના આ સારા કામમાં પોતાનું યોગદાન આપી પર્યાવરણ બચાવવા માગો છો તો, નીચે આપેલાં સરનામા પર સંપર્ક કરી શકો છો. તમે આ નંબર 96801 03086, 94149 63450 પર તેમને કોલ કરી શકો છો.

મહાવીર પાંચાલ
પાંચાલ ઑટો પાર્ટ્સ,
બૂન્દી રોડ દેઈ, તાલુકો નૈનવાં,
જિલ્લો, બૂન્દી, રાજસ્થાન

મૂળ લેખ: ડૉ. કાયતાન કાજી

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: કચ્છના રણમાં 675 કૂવા, વાવોને પુનર્જીવિત કરી હજારો કુટુંબોનું જળ સંકટ ઉકેલવામાં મદદ કરે છે આ મહિલા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe