લોકલ ટ્રેનમાં લોકોની ભીડ અને ઘરની બહાર ફેંકવામાં આવતો હજારો ટન કચરો! ‘સપનાંની નગરી – મુંબઈ’ ની સ્થિતિ પણ કઈંક આવી જ જોવા મળે છે.
પ્રદૂષણનું વધતું સ્તર, પાણીની અછત, ક્યારેય ખતમ ન થતો ટ્રાફિક, સખત ગરમી અને શહેરને થંભાવી દેતો વરસાદ! આ જ કારણે કદાચ દરેક મુંબઈવાસી ક્યારેક ને ક્યારેક મુંબઈની બહાર વસવાનો વિચાર કરતો જ હોય છે. પરદીવાલા પરિવાર પણ આમાંનો જ એક હતો અને તેમણે પણ આવું જ કઈંક વિચાર્યું.
જોકે પરિવાર શહેરના આલિશાન વિસ્તારના કફે પરેડમાં રહેતો હતો, પરંતુ કઈંક એવી જીવનશૈલીની શોધમાં હતા, જ્યાં શુદ્ધ હવા, પાણી અને ભોજન મળી શકે.

આ જોતાં તેમણે શહેરથી 90 કિમી દૂર અલીબાગમાં પોતાની એક એકર જમીન પર આરામદાયક, સુંદર અને સૌથી જરૂરી પર્યાવરણ અનુકૂળ ‘વેકેશન હાઉસ’ બનાવવાનો નિર્ણય લીધો.
ઘરના બે સૌથી મોટા નાના સભ્યો મિશલ અને મિખાઈલે આ કામને પોતાના હાથમાં લીધું.
પર્યાવરણમાં તેમની રૂચિ ત્યારે જાગી જ્યારે 2016 માં તેમણે પોતાની નોકરી છોડી ‘ટ્રી વેયર’ નામની કંપની ખોલી, જે પર્યાવરણને અનુકૂળ સામાન બનાવે છે.
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં મિશલ જણાવે છે, “અલીબાગમાં એક ઈકો ફ્રેન્ડલી ઘર બનાવવાનો વિચાર અમારા મનમાં ત્યારથી જ હતો, જ્યારથી આ કંપની શરૂ થઈ હતી અને અંતે 2018 માં અમે આ કામ પર કામ કરવાનું શરૂ કર્યું.”

‘વેકેશન હાઉસ’ બનાવવા માટે તે ખાસ વસ્તુની શોધમાં હતા, જે પર્યાવરણને અનુકૂળ હોય. તે ઘરના નિર્માણ માટે ભંગારના વિકલ્પ શોધી રહ્યા હતા. તેમની પાસે આ માટે ઘણા બીજા વિકલ્પ પણ હતા, પરંતુ તેમણે શિપિંગ કંટેનર પર પસંદગીનો કળશ ઢોળ્યો. તેમણે પનવેલ યાર્ડથી 6 શિપિંગ કાન્ટેનર ખરીધ્યાં. દરેક કંટેનરની લંબાઈ 40 ફૂટ અને પહોળાઈ 8 ફૂટ હતી. બધાં જ શિપિંગ કંટેનરને હાઈડ્રોક્રેનની મદદથી અલીબાગ પહોંચાડવામાં આવ્યાં.

મિશલ કહે છે, “અન્ય રીસાઈકલ કરેલ કે પર્યાવરણને અનુકૂળ સામગ્રીની તુલાનામાં, શિપિંગ કંટેનર વધારે ટકાઉ અને મજબૂત હોય છે. જ્યારે પણ એક કંટેનરને રીસાઈકલ કરવામાં આવે છે, હજારો કિલો સ્ટીલનો ફરીથી ઉપયોગ થાય છે. સૌથી સારી વાત એ છે કે, કંટેનરનો ઉપયોગ કરવાથી ઈંટ કે સિમેન્ટ જેવી નિર્માણ સામગ્રીની જરૂર નથી પડતી, જેનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થઈ જાય છે.”

ભંગારનો વિકલ્પ મળી ગયા બાદ તેમણે આર્કિટેક્ટનો સંપર્ક કર્યો અને શિપિંગ કંટેનરમાંથી ઈકો ફ્રેન્ડલી ‘વેકેશન હાઉસ’ બનાવવાનું કામ આપ્યું. વેકેશન હાઉસમાં ત્રણ બેડરૂમ, 1500 વર્ગફૂટની છત અને વચ્ચોવચ એક આંગણ બનાવવામાં આવ્યું. અલીબાગમાં લાલ માટી અને કેરીના બગીચા હોવાના કારણે આ ઘરનું નામ ‘ઑરેન્જ બૉક્સ’ રાખવામાં આવ્યું છે. ‘ઑરેન્જ બૉક્સ’ માં રમવા માટે પૂરતી જગ્યા હોવાના કારણે મોટું ખૂલ્લું આંગણ પણ છે, જે વરસાદમાં પાણી સંગ્રહિત કરવામાં મદદરૂપ થાય છે.

‘ઑરેન્જ બૉક્સ’ જ્યાં બનાવવામાં આવ્યું છે ત્યાં પાણીની અછત છે, એટલે અહીં વરસાદનું પાણી આંગણમાં બનાવેલ નાનકડા તળાવમાં ભેગુ કરવામાં આવે છે. આ સિવાય તળાવમાંથી કેટલુક પાણી ગ્રાઉન્ડ વૉટર માટે બાજુના બોરવેલમાં ઉતારવાની યોજના પણ છે.
મિશલે આ ઘરને એક એવી જગ્યા તરીકે વિકસિત કરી છે, જેમાં કોઈપણ પ્રકારના વાતાવરણમાં રહી શકાય, જેથી લોકો અહીં આવી વેકેશનમાં તેમની રજાઓ આરામથી ગાળી શકે છે. સાથે-સાથે અહીં લોકો માટે યોગ, વૃક્ષારોપણ વગેરે માટે વર્કશોપ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો: રિટાયર આર્મી ઓફિસરે શરુ કરી ઓર્ગેનિક ખેતી, સોલાર પાવરથી બન્યા આત્મનિર્ભર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.