ગુજરાતના અમરેલી જિલ્લાના મોટા દેવાલ્યા ગામમાં એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલ મનસુખભાઇ જગાની બહુ ભણેલા નથી અને તેમનું જીવન પણ સંઘર્ષથી ભરેલું રહ્યું છે. આર્થિક સ્થિતિ ઠીક ન હોવાથી તેમણે સ્કૂલનું ભણતર વચ્ચેથી જ છોડી દીધું અને પિતાને ખેતીમાં મદદ કરવામાં જોતરાઇ ગયા. પાણીની અછતના કારણે તેમના ખેતરમાં પણ ખાસ ઉત્પાદન થતું નહોંતુ એટલે બીજાંના ખેતરમાં મજૂર તરીકે કામ પણ કરવું પડ્યું. ત્યારબાદ મનસુખભાઈએ વર્ષો સુધી હીરાની ફેક્ટરીમાં હીરા ઘસવાનું પણ કામ કર્યું. પરંતુ તેમનું ત્યાં મન લાગતું નહોંતું. તેઓ કઈંક અલગ જ કરવા ઇચ્છતા હતા. આ માટે ગામ પાછા આવી ગયા. હંમેશાંથી મશીન અને અન્ય ઉપકરણો સાથેના લગાવના કારણે મનસુખભાઈએ અહીં તેમનો એક નાનકડો વર્કશોપ શરૂ કર્યો અને સાથે-સાથે ખેતી પણ કરવા લાગ્યા.
તેઓ જણાવે છે કે, વર્કશોપમાં તેઓ વસ્તુઓ રિપેર કરતા હતા. પરંતુ ખેડૂતો તેમની પાસે ઘણી સમસ્યાઓ લઈને આવતા હતા અને તેઓ તેમની આ સમસ્યાઓનું સમાધાન કરવા ઇચ્છતા હતા. પોતાનું મગજ લગાવી તેઓ સસ્તામાં પડે તેવાં ઉપયોગી મશીન બનાવવા લાગ્યા, જેથી ખેડૂત ભાઇઓની મદદ થઈ શકે. પરંતુ તેઓ હંમેશાંથી કઈંક એવું બનાવવા ઇચ્છતા હતા જે એકદમ નવું હોય અને ઉપકરણ પણ અનોખુ હોય, સાથે-સાથે ખેતીમાં પણ ઉપયોગી નીવડી શકે.
પરંતુ શું એ જ તેમને સમજાતું નહોંતું. તેઓ જણાવે છે, “ખેડૂતોને સમસ્યાઓ તો થતી જ હતી અને સાથે-સાથે પાણીની અછતના કારણે સમસ્યાઓ બહુ વધી જતી હતી. પૈસાના અભાવના કારણે તેઓ યોગ્ય ઉપકરણો પણ ખરીદી શકતા નહોંતા. બસ એમાંથી જ મને વિચાર આવ્યો કે, કઈંક એવું બનાવું કે, ખેડૂતોની ટ્રેક્ટરની જરૂરિયાત પૂરી થઈ શકે.”
બુલેટ સાંટી

વર્ષ 1994માં મનસુખભાઈએ તેમનો પહેલો આવિષ્કાર કર્યો, “બુલેટ સાંટી.” આ એકદમ ટ્રેક્ટરની જેમજ કામ કરે છે. તેમણે એક એવું ‘સુપર હળ’ બનાવ્યું , જે ખોદણીથી લઈને વાવણીની સાથે-સાથે જમીનને સમથળ બનાવવામાં પણ કામ છે. મનસુખભાઈ જણાવે છે કે, તેમને લગભગ 5 વારના પ્રયત્ન બાદ સફળતા મળી.
પરંતુ તેમનો આ આવિષ્કાર ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી સાબિત થયો છે. ખેડૂતોને હવે મજૂરો કે બળદ વગેરે પર નિર્ભર રહેવું નથી પડતું, સાથે-સાથે ખેડકામથી લઈને વાવણી માટે ટ્રેક્ટરની જરૂર પણ નથી પડતી.

તેઓ વધુમાં જણાવે છે, “બુલેટ સાંટીની મદદથી ખેડૂતો માત્ર અડધા કલાકમાં બે એકર જમીનને ખેડી શકે છે અને એ પણ માત્ર એક લીટર ડિઝલમાં જ. કોઇપણ ખેતરનું નિંદણ અને વાવણીનું કામ પણ ઝડપથી થઈ શકે છે અને તેમાં ખર્ચ પણ બહુ ઓછો લાગે છે. જેમાં પ્રતિ હેક્ટર માત્ર 8 રૂપિયાનો જ ખર્ચ આવે છે. તમે તમારા બાઇકમાંથી જ આ બુલેટ સાંટી બનાવી શકો છો. આ કામમાં લાગે છે માત્ર 30-35 મિનિટ જ. તેના પાછળ ખર્ચ લાગે છે 30-40 હજાર રૂપિયા.”
વર્ષ 2000 માં પ્રોફેસર અનિલ ગુપ્તાના સંગઠન, હની બી નેટવર્કને મનસુખભાઇ વિશે ખબર પડી. તેમણે ગામમાં જઈને બુલેટ સાંટી જોયું અને તેનું નિરિક્ષણ કર્યું. આ હની બી નેટવર્કના પ્રયત્નથી જ મનસુખભાઈને તેમની બુલેટ સાંટીને એડવાન્સ લેવલ પર ડેવલપ કરવામાં મદદ મળી. તેમણે મનસુખભાઇના આ આવિષ્કાર માટે પેટન્ટ પણ ફાઇલ કરી અને આજે ભારત અને અમેરિકામાં આ ટેક્નોલૉજી પર તેમને પેટન્ટ મળેલ છે.
અત્યારે આ બુલેટ સાંટીની કિંમત લગભગ 1 લાખ 70 હજાર રૂપિયા છે. સૃષ્ટિ સંગઠનાના પ્રોજેક્ટ કોઑર્ડીનેટર ચેતન પટેલ જણાવે છે, “જ્યારે મનસુખભાઈને પેટન્ટ મળી ત્યારે તેમણે કહ્યું હતું કે, જો કોઇ મોટી કંપની તેમની ટેક્નોલૉજી લેશે તો, તેઓ રૉયલ્ટી લેશે. પરંતુ જો કોઇ સામાન્ય મિકેનિક કે કોઇ સામાન્ય ખેડૂત તેમની ટેક્નોલૉજીનો ઉપયોગ કરવા ઇચ્છે તો તેઓ તેના માટે રૉયલ્ટી નહીં લે.”
સમસ્યા એ છે કે, હજી સુધી કોઇ મોટી કંપની આ ટેક્નોલૉજી માટે આગળ નથી આવી. કોઇપણ મોટી કંપનીએ તેમાં ઈન્વેસ્ટ નથી કર્યું, પરંતુ જો તેને મોટા પાયે બનાવવામાં આવે તો, તેની કિંમત ઘટી શકે છે અને વધુમાં વધુ ખેડૂતો સુધી તેનો ફાયદો પહોંચાડી શકાય છે. મનસુખભાઇ એક સીરિયલ ઈનોવેટર છે. તેમણે બુલેટ સાંટી બાદ પણ બીજા ઘણા આવિષ્કાર કર્યા, જેમાં સાઇકલ પર મૂકીને ઉપયોગમાં લઈ શકાય તેવા સ્પ્રેયર અને સીડ-ડ્રિબલરનો સમાવેશ થાય છે.
સાઇકલ સ્પ્રેયર:

વર્ષ 2005 માં તેમણે 8 દિવસમાં એક ઈનોવેશન કર્યું. તેઓ જણાવે છે કે, આ માટે તેમણે એક સાઇકલની પાછળના પૈડામાં થોડા બદલાવ કર્યા અને પછી તેના પર સ્પ્રેયરને એડજસ્ટ કર્યું. આ સાઇકલ સ્પ્રેયર ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી છે. સૌથી સારી વાત એ છે કે, તેનાથી આરામથી આખા ખેતરમાં બહુ ઓછા ખર્ચે સ્પ્રે કરી શકાય છે.
માત્ર ત્રણ કલાકમાં ખેડૂત 4 એકરમાં સ્પ્રે કરી શકાય છે. ટેન્કની ક્ષમતા 25-30 લીટર છે. તેમાં વધારે મજૂરોની પણ જરૂર નથી પડતી. કામ પૂરું થઈ જાય પછી સ્પ્રેયરને સાઇકલમાંથી કાઢી શકાય છે. આ આવિષ્કાર માટે પણ મનસુખભાઈને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનથી સન્માન મળ્યું છે અને તેના પર તેમની પેટન્ટ પણ છે.
સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર

સ્પ્રેયર બાદ તેમણે એક સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર બનાવ્યું. તેનાથી વાવણી તેમજ ખેતરમાં ખાતર નાખવાનું કામ સરળતાથી કરી શકાય છે. તેનાથી સમાન રૂપે બી રોપી શકાય છે અને સમારૂપે ખાતર પણ ખેતરમાં નાખી શકાય છે. આમાં બીજનું નુકસાન થતું નથી અને ખાતરનો બગાડ પણ અટકે છે.
મનસુખભાઈના આવિષ્કારોની સૌથી સારી વાત એ છે કે, તેને ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે. સૃષ્ટિની મદદથી મસસુખભાઈની આ ટેક્નોલૉજી બીજા દેશો સુધી પણ પહોંચી છે. તેમને દક્ષિણ આફ્રિકા જઈ તેના ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરવાની પણ તક મળી. મનસુખભાઈ કહે છે કે, તેમણે સપનામાં પણ વિચાર્યું નહોંતું કે, તેમને રાષ્ટ્રપતિ સન્માન મળશે અને કોઇ બીજા દેશમાં જવાની તક મળશે.

મનસુખભાઈની બુલેટ સાંટીની ટેક્નોલૉજીની મદદથી આજે 150 સામાન્ય ફેબ્રિકેટર મશીન બનાવવામાં આવ્યાં છે. 5 હજાર પરિવારોને આ ટેક્નોલૉજીથી રોજગાર મળી રહ્યો છે. લગભગ 20,000 ખેડૂતો આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતના ઉપેન્દ્રભાઈ રાઠોડે આ ટેક્નોલૉજી પર આધારિત સનેડો ટ્રેક્ટર બનાવ્યું છે, જે ખેડૂતો માટે ખૂબજ મદદરૂપ બન્યું છે.
મનસુખભાઈનો ઉદ્દેશ્ય ખેડૂતો માટે કામ કરતા રહેવાનો છે. તેઓ કૃષિ ક્ષેત્રમાં એવાં ઉપકરણો લોકોને આપવા ઇચ્છે છે, જે તેમના કામને વધારે સસ્તુ અને સરળ બનાવે.
જો તમે મનસુખભાઈની ટેક્નોલૉજી વિશે વધુ જાણવા ઇચ્છતા હોય અને વધુ જાણવા ઇચ્છતા હોય તો 9726518788 પર સંપર્ક કરી શકો છો.
તસવીર માટે આભાર: NIF અને સૃષ્ટિ
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: આત્મનિર્ભર ધનીરામ: લોકડાઉનમાં કામ ઠપ્પ થયું તો લાકડાની સાઈકલ બનાવી, વિદેશથી મળવા લાગ્યા ઓર્ડર