સામાન્ય રીતે ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકોના બાળકો માટે શિક્ષણ માત્ર એક સપનું બનીને રહી જતું હોય છે. કારણ કે શાળાઓની મોંઘી ફી અને તેના પુસ્તકોનો ખર્ચ ક્યાંથી લાવવો. એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે કે “ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહી.” છતાં પણ દરરોજ અધકચરા ભૂખ્યા રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને હાથ, પગ અને હૈયાની કેણવળી આપવાનું કામ કરી રહ્યા છે. ભરતભાઈ વાળા “બાલ દેવો ભવ”નાં સૂત્રનિરધાર સાથે બાળકોનાં સુચારૂ જીવન માટે જે કામ કરી રહ્યા છે એ ખરેખર વખાણવા અને વધાવવા લાયક છે.
તમે વિચારો કે ભરતભાઈનો કેટલો ભગીરથ પ્રયત્ન હશે કે, જે બાળકો બીજા લોકોને જોઈને એની પાસેથી કંઇક ખાવા મળશે આટલું જ વિચારતાં હતા, આજે એ જ બાળકો બધાને આદરભાવ સાથે ગુડ મોર્નિંગ કહેતા થયા ગયા. એનાથી આગળ વાત કરીએ તો જે બાળકોને ક, ખ, ગ પણ નહોંતુ આવડતું એ આજે ફટાફટ અંગ્રેજીમાં કવિતા બોલતા થઈ ગયા છે. સાથે જ સ્વછતા , વ્યસનમુક્તિ, આંતરશક્તિ, આત્મવિશ્વાસ, આદર, સદભાવ જેવા અનેક ગુણો આજે આ બાળકોમાં જોવા મળે છે.

પી.ટી.સી. કરી હોવા છતાં નોકરીને જગ્યાએ જોડાયા ભગીરથ કાર્યમાં
ગોકુલધામ એપાર્ટમેન્ટ, વેજલપુર અમદાવાદમાં રહેતા ભરતભાઈ વાળા પાસે પી. ટી. સી.ની ડીગ્રી હતી છતાં પણ એણે નોકરી કરવાને બદલે આવો વિચાર શા માટે કર્યો? આ વાતનો જવાબ આપતાં ભરતભાઈ પોતાનો કિસ્સો સંભળાવે છે કે:- ” હું અને મારા મિત્ર 14 નવેમ્બર 2014માં એક ઝૂંપડપટ્ટી આગળ મળ્યા હતા. ત્યાં એક નાનું બાળક અમારી પાસે આવીને ખાવાનું માંગવા લાગ્યું. દર વખતની જેમ કોઈ ભિખારી હશે એવું સમજીને એ બાજુ ધ્યાન ના દોર્યું. પણ થોડી વારમાં એ બાળક નીચે ધૂળમાં આમ તેમ આળોટતું બરાડા પાડવા લાગ્યું કે મારી વાત કેમ કોઈ સાંભળતું નથી, હું બે દિવસથી ભૂખ્યો છું.

ભરત ભાઈ આગળ વાત કરે છે કે, પછી હું એની પાસે જઈને ઊભો રહ્યો અને બધી વાત કરી તો ખબર પડી કે એના પપ્પા બે દિવસ અગાઉ જ ટ્રેનમાં કપાઈને મરી ગયા છે અને આ ઘટનાના લીધે એની મમ્મી ભાગી ગઈ છે. હવે મને કોણ રાખશે? અને ટ્રેનમાં કપાઈને કોઈ મરી ગયું એ મને ન્યૂઝ મળ્યાં હતા પણ ખબર નહોતી કે આ બાળકનાં જ પાપા હતાં.

બાલ દિવસના રોજ ભરતભાઇ કર્યો સંકલ્પ
આ રીતે બાલ દિવસનાં રોજ બાળકો માટે કામ કરવાનો ભરતભાઈને વિચાર આવ્યો. ત્યારબાદ 17/3/2015નાં રોજ ભરતભાઈએ નવરચિત સ્લમ સ્કૂલની સ્થાપના કરી અને સરકારમાં રજૂઆત કરી સ્કૂલનું રજિસ્ટેશન પણ કરાવ્યું. અત્યારે 62 જેટલા બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. બાવળનાં ઝાડ નીચે ચાલુ કરેલી આ સ્કૂલ આજે એક 6 પંખા અને કૂલર ધરાવતી નિશાળ થઇ ચૂકી છે. લોકોનો અઢળક સાથ સહકાર મળવાથી આજે સ્કૂલની દશા ઘણી સારી છે.

ભરતભાઈ જણાવે છે કે સ્કૂલ ચાલુ થઈ પછી ત્યાંના ઝૂંપડપટ્ટીના બાળકોના 40% જેટલો સુધારો આવ્યો છે
નિયમિતતા, સ્વચ્છતા, આદરભાવ, વ્યસમુક્તિ વધી અને લોભ અને લાલચ દૂર થઈ, તેમજ તેમની આંતરશક્તિ ખીલી છે. તેમજ બાળકોને અમે પ્રવાસમાં, હોટેલમાં અને સામાન્ય માણસ કરી શકે તેવી બધી પ્રવૃત્તિઓ કરાવીએ છીએ.

સરકારને ભરતભાઈ એક સંદેશો પણ આપવા માગે છે, કે
જે લોકોએ કોઈ દિવસ પૈસાનો પણ ભાર જીલ્યો નથી એવા લોકો માટે “ભાર વિનાનું ભણતર” કંઈ કામનું નથી. બહેતર વસ્તુ એ છે કે જે લોકો આવા બાળકો માટે કામ કરે છે તેવા લોકોના પ્રતિભાવ લઈને તમારે આ દિશામાં આવા વિષયો સાથે કામ કરવું જોઈએ અથવા તો સરકારે અમારા જેવા લોકો પાસેથી માર્ગદર્શન લઈને કામો કરવા માટે જગ્યા ફાળવવી જોઈએ કે જેથી કરીને કામને વેગમાન બનાવી શકાય.
ભરત ભાઈએ જણાવ્યું કે અમારો ઉદ્દેશ્ય હજુ આખા અમદાવાદના 2000 જેટલી ઝૂંપપટ્ટીમાં શિક્ષણ આપવાનો છે. “નવરચિત સ્કૂલ” માં અત્યારે ભરતભાઈની સાથે બીજા 3 સાથી મિત્રો વેતન લઈને ત્યાં કામ કરી રહ્યા છે. આ સ્કૂલ પ્રહલાદ નગર ઝૂંપડપટીમાં આવેલી છે. આ બાળકોને હાલમાં સામાન્ય બાળક જેવું જ જીવન અને શિક્ષણ મળી રહે એ માટે ભરતભાઈ અને તેમની ટીમ તનતોડ મહેનત કરી રહી છે. અલગ અલગ તહેવારો નિમિત્તે, કોઈ જન્મદિવની ઉજવણી કરવાં એ રીતે લોકો અહીં આવતા રહે છે અને બાળકોને મદદ કરતાં રહે છે.

હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને શાળાઓ બંધ છે. એવામાં સરકારે પ્રયત્ન કર્યો કે બધાને શિક્ષણ મળે એ માટે થઈને ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું. એ વાત સ્વાભાવિક છે કે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો પાસે ન હોય સ્માર્ટ ફોન કે ઘરમાં ન હોય ટીવી. તો મોટો પ્રશ્ન એ પણ ઉભો થાય કે સામાન્ય બાળકને તો શિક્ષણ મળી જ રહેશે પણ આવા બાળકોનું શું? જો તમે પણ તમારા વિસ્તારમાં કે શહેરમાં કંઈ પણ આવું શરુ કરવા માંગતા હોય અથવા ભરતભાઈને મદદ કરવા માંગતા હોય તો નીચે અમે માહિતી શેર કરી રહ્યાં છે જેનો સંપર્ક કરી શકો છો.
Navrachit Slum School, Safal Prelude, Nr, Auda Lake Garden Road, Prahlad Nagar, Ahmedabad, Gujarat 380015
BharatBhai Vala mo no: 9574940815
આ પણ વાંચો: ગરીબનાં બાળકો તહેવારોથી વંચિત ન રહી જાય એ માટે ખાસ કિટ પહોચાડે છે આ અમદાવાદી