Search Icon
Nav Arrow
Sustainable Home
Sustainable Home

સિમેન્ટ વગર બનાવ્યું ઘર, પીવે છે વરસાદનું પાણી, નાહ્યા-ધોયા બાદ એ પાણીથી ઉગાડે છે ફળ-શાકભાજી

જરા પણ સિમેન્ટ વગર બનાવવામાં આવ્યું ઘર, જેમાં નથી જરૂર પડતી ક્યારેય એસીની. પીવાનું વરસાદનું પાણી અને ખાવાનાં ઘરે જ વાવેલ ફળ-શાકભાજી, તે પણ નાહવા-ધોવા માટે વાપરેલ પાણીને ફિલ્ટર કરીને. પ્રકૄતિને સંલગ્ન થઈને જીવન જીવે છે આ એન્જિનિયર અને તેમનાં પત્ની અને પુત્રી.

જો તમે દેશનાં અલગ-અલગ શહેરોમાં ફરશો તો, જોવા મળશે કે, બધે ઈમારતો લગભગ એકસખી જ બને છે. આ ઈમારતો બનાવવા માટે લગભગ એકસરખી સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઘરમાં અને આસપાસ ઉગાડવામાં આવતા ઝાડ-છોડ પણ લગભગ એકસરખા જ હોય છે. તો જો તમને દેશનાં ગામડાંમાં ફરશો તો, અહીં તમે સંસ્કૃતિ અને વારસાને સાચવતાં ઘર જોવા મળશે, તો ક્યાંક પથ્થરનાં બનેલ ઘર પણ જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે, પોત-પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ આ સંસાધનોમાંથી બનેલ ઘર પ્રકૃતિની ખૂબજ નજીક હોય છે.

આજે અમે તમને જણાવી રહ્યા છીએ એક આવા જ ઘર વિશે, જે રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા સિવિલ એન્જિનિયર આશીષ પંડા અને તેમની પત્ની મધુલિકાનું છે. મધુલિકા વ્યવસાયે સૉફ્ટવેર ડેવલપર છે અને સમાજ સેવામાં પણ કામ કરે છે. આ ઘરની ઈંટથી લઈને બધુ જ પર્યાવરણને અનુકૂળ છે.

Sustainable Living

મૂળ ઓડિશાના 40 વર્ષીય આશીષ જણાવે છે કે, સ્કૂલના ભણતર સુધી તેઓ મદ્રાસમાં રહ્યા. ત્યારબાદ તેમણે બિટ્સ પિલાનીથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું. ત્યારબાદ, તેમણે દેશના અલગ-અલગ ભાગોમાં કામ કર્યું. આ જ રીતે મૂળ વિજયવાડાની 41 વર્ષીય મધુલિકાએ પણ બિટ્સ પિલાનીમાં એન્જિનિયરિંગ કર્યું. પછી માસ્ટર્સ કરી અમેરિકા જતી રહી. એક વર્ષ અમેરિકામાં કામ કર્યું. મધુલિકા જણાવે છે, “હું અને આશીષ ભલે અલગ-અલગ જગ્યાએ રહ્યા હોઈએ, પરંતુ કૉલેજ સમયથી જ અમે નક્કી કરી દીધું હતું કે, અમે રાજસ્થાન જ પાછા ફરશું. કૉલેજકાળથી જ મને સામાજિક વિષયોમાં અને આશીષને પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણમાં ખાસ રસ હતો.”

વર્ષ 2008 માં અલગ-અલગ જગ્યાએ રહ્યા બાદ અને ફર્યા બાદ આ દંપતિ રાજસ્થાન પહોંચ્યું. આશિષ કહે છે કે ત્યારે બંનેએ નક્કી કરી દીધું હતું કે, તેમને કોઈ મોટા મેટ્રો શહેરમાં નથી રહેવું. તેઓ હંમેશાંથી પ્રકૃતિની નજીક રહેવા ઈચ્છતા હતા. આ માટે તેમણે કેટલાક મહિના અલગ-અલગ ગામમાં રહીને પણ જોયું. પરંતુ પછી તેમણે નક્કી કર્યું કે, તેઓ એવી કોઈ જગ્યાએ રહેશે, જ્યાંથી તેઓ પોતાનું કામ પણ કરી શકે. મધુલિકા કહે છે, “વર્ષ 2010 માં ડુંગરપુરમાં જ અમારી દીકરીનો પણ જન્મ થયો અને ત્યારબાદ અમે અહીં જ વસવાનો નિર્ણય લીધો.”

Sustainable Home

બનાવ્યું એક અનોખુ ઘર:

આશીષ અને મધુલિકાએ ડુંગરપુરના ઉદયપુરામાં જમીન ખરીદી અને ઘર બનાવવાનું કામ શરૂ કર્યું. આશીષ કહે છે, “જ્યારે અમે ઘર બનાવવાનો નિર્ણય લીધો, તો એક વાત સ્પષ્ટ હતી કે, અમારું ઘર આ વિસ્તારમાં ઉપલબ્ધ સંસાધનોમાંથી જ બને. જે શહેરનાં સામાન્ય ઘરો જેવું ન દેખાય અને આ વિસ્તારનાં અન્ય ઘરો જેવું જ દેખાય. અમે અમારા ઘરને પર્યાવરણને અનુકૂળ બનાવવા ઈચ્છતા હતા. એટલે, અમે માત્ર રિસર્ચ પર જ 10 મહિના પસાર કર્યા અને પછી જમીન પર કામ કરવાનું શરૂ કર્યું.”

વર્ષ 2017 માં બનીને તૈયાર થયેલ તેમનું ઘર (Sustainable House), પર્યાવરણની અનુકૂળ રીતે બનાવવામાં આવ્યું છે. ઘરના નિર્માણ માટે, તેમણે બધા જ સ્થાનિક મટિરિયલનો જ ઉપયોગ કર્યો છે. જેમ કે, બલવાડાના પત્થર અને પટ્ટીઓ, ઘૂઘરાના પથ્થર અને ચૂનો વગેરે. ઘરની બધી જ દિવાલો પથ્થરની બનાવવામાં આવી છે અને તેના પ્લાસ્ટર અને છતમાં ચૂનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો ધાબુ, સીડી, છજુ વગેરે બનાવવા માટે પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું, “તમે રાજસ્થાનમાં જેટલા પણ જૂના મહેલ, હવેલીઓ અને ઘર વગેરે જોશો, તે બધા જ પત્થર, ચૂના કે માટીમાંથી બનેલ જોવા મળશે. તેનું ધાબુ બનાવવા માટે સીમેન્ટ કે સ્ટીલનો ઉપયોગ નથી થતો. છતાં આ ઈમારતો વર્ષોથી સહી-સલામત છે. તેમણે પણ આવું જ ઘર બનાવ્યું છે.”

Save Water

તેમણે ઘરના ઓરડાઓમાં બારીઓ બનાવતી વખતે હવા અને સૂરજની રોશનીનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. તેમના ઘરના પશ્ચિમી ભાગમાં બધી જ બારીઓ બનાવવામાં આવી છે, જેથી ઘરમાં પૂરતી હવા અને રોશની મળી રહે છે. દક્ષિણ ભાગમાં વધારે તડકો આવતો હોવાથી, ત્યાં બારી રાખવામાં નથી આવી. આશીષ કહે છે, “આ બધી વસ્તુઓ માટે તમારે વિસ્તાર અંગેની પૂરતી માહિતી પણ મેળવવી જોઈએ. અલગ-અલગ ઋતુમાં સૂરજનો તડકો કઈ દિશામાં પડે છે. અમારા ઘરમાં કુલ આઠ ઓરડા છે, ત્રણ માળ છે અને એક બાલ્કની છે. જેમાં જે ઓરડાઓમાં તડકો ઓછો આવે છે, તેમનો ઉપયોગ અમે બેડરૂમ તરીકે કરીએ છે. માત્ર એકજ ઓરડો એવો છે, જે ગરમીના દિવસોમાં દિવસના થોડા કલાકો દરમિયાન થોડો ગરમ થઈ જાય છે.”

જોકે આ ઘરમાં એસીની જરા પણ જરૂર નથી પડતી. તેમના ઘરનું તાપમાન બહારના તાપમાન કરતાં ઓછામાં ઓછું આઠ-દસ ડિગ્રી ઓછું રહે છે. તેઓ કહે છે, “અમે અમારા ઘરનો પહેલો માળ ‘લાઈમ કોંક્રીટ’ થી બનાવ્યો છે. આ એક પારંપરિક રીત છે, જેમાં ચૂનામાં મેથી, ગોળ અને દોરડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી છત ઠંડી અને ‘વૉટરપ્રૂફ’ રહે છે. આ સિવાય, અમે ઘરમાં અલગ-અલગ જાતના ઘણા ઝાડ-છોડ વાવ્યા છે. જેના કારણે પણ ઘરનું તાપમાન નીચું કરવામાં મદદ મળે છે.”

Rain water harvesting

આશીષ અને મધુલિકા કહે છે કે ઘણા લોકો અમારા સસ્ટેનેબલ ઘર વિશે જાણવા અમારો સંપર્ક કરે છે, આસપાસના વિસ્તાર સિવાય, ગુજરાત અને પંજાબથી પણ ઘણા લોકો અમારા ઘરને જોવા આવે છે.

ભેગુ કરે છે વરસાદનું ટીંપેટીંપુ:
આશીષ અને મધુલિકા પોતાના ઘરમાં વરસાદનું પાણી ફિલ્ટર કરીને ભેગુ કરે છે અને પીવા માટે તેનો ઉપયોગ જ કરે છે. પાણીને ફિલ્ટર કરવા માટે તેઓ નૉન-ઈલેક્ટ્રિક વૉટર પ્યોરિફાયરનો ઉપયોગ કરે છે. તેમના ઘરમાં પાણીનું એક ટપકું પણ નથી બગડતું. વરસાદના પાણીને ભેગુ કરવા માટે ઘરમાં ‘રેન વૉટર હાર્વેસ્ટિંગ’ અને ‘સ્ટોરેજ સિસ્ટમ’ બનાવડાવી છે. તેઓ જણાવે છે કે, તેમણે 45 હજાર લીટર પાણીની ટેન્ક બનાવડાવી છે, જેમાં ઘર વપરાશ માટે વરસાદનું પાણી ભેગુ કરવામાં આવે છે.

આ ટાંકીના પાણીનો પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય, અન્ય એક પાંચ હજાર લીટરની ટાંકીનું માળખુ બનાવવામાં આવ્યું છે, જેથી આ પાણી સીધુ જમીનમાં ઉતરી જાય અને તેનાથી ભૂસ્તરને વધારવામાં મદદ મળે છે. તેનાથી વરસાદની ૠતુમાં લગભગ 90 હજાર લીટર પાણી રિચાર્જ થાય છે. વરસાદના પાણી સિવાય, તેઓ પોતાના ઘરના ‘ગ્રેવાટર’ એટલે કે વાસણ, કપડાં અને નવાહા ધોવાથી નીકળતા પાણીને ફિલ્ટર કરી ઝાડ-છોડના સિંચાઈ માટે ઉપયોગમાં લે છે. તેમનું કહેવું છે કે, વર્ષમાં આ ત્રણ રીતે તેઓ લગભગ સવા બે લાખ લિટર પાણી બચાવી લે છે.

Kitchen Gardening

આશીષ કહે છે કે, જો તમે ગ્રેવાટરને રીસાયકલ કરી ગાર્ડનિંગ માટે ઉપયોગમાં લેવા ઈચ્છતા હોય તો, ખાસ ધ્યાન રાખો, કે તમે વાસણ અને કપડાં ધોવા માટે હર્બલ ઉત્પાદનોનો ઉપયોગ કરો. આ સિવાય, તેમણે ઘરની ચારેય તરફ અને સામેના રસ્તાની બંને બાજુ જમીન કાચી જ રાખી છે, જેથી તેમાં પાણી ઉતરી શકે. મોટાભાગે લોકો ઘરની પાસે પાકો રસ્તો બનાવી દે છે, પરંતુ તેના કારણે વરસાદનું પાણી નીચે ઉતરી શકતું નથી. આશીષ કહે છે કે, પાણી બચાવવાની આ રીતોથી દર વર્ષ પ્રમાણે લગભગ 20% પાણીની બચત કરીને તેઓ લગભગ 20% પાણીની બચત કરે છે અને પાછું જમીનને આપે છે. જો દરેક ઘરમાં આવું કરવામાં આવે તો, ક્યાંય પાણીની અછત નહીં પડે.

પોતાના જ ઘરના બગીચામાંથી મળે છે 80% ફળ-શાકભાજી:
આ દંપતિએ પોતાના ઘરની ખાલી જગ્યામાં જાત-જાતનાં ફળ, ફૂલ, શાકભાજી અને ઔષધીના ઝાડ-છોડ ઉગાડ્યા છે. તેમને આ બગીચામાંથી તેમની જરૂરિયાતનાં લગભગ 80% ફળ-શાકભાજી મળી રહે છે. તેઓ ઋતુ અનુસાર ફળ-શાકભાજી ઉગાડે છે, જેમ કે ગલકાં, દૂધી, ટામેટાં, મરચાં, કારેલાં વગેરે. તેમના બગીચામાં ઋતુગત શાકભાજીની સાથે-સાથે સરગવો, દ્રાક્ષ, આંબળાં, પપૈયાં, જામફળ, પૈશન ફ્રૂટ, બદામ, લીંબુ, કેળાં (ત્રણ પ્રકારનાં), સીતાફળ, દાડમ અને ચીકુ જેવાં ફળનાં ઝાડ પણ છે.

તેમણે લગભગ 150-200 પ્રજાતિના ઝાડ-છોડ પોતાના ઘરે વાવ્યા છે. તેના કારણે તેમના બગીચામાં પતંગિયાં, ચકલીઓ, મધમાખી જેવાં ઘણાં જીવોનો બસેરા બની ગયો છે. આશીષ કહે છે કે, તેમણે અરીઠા અને શિકાકાઈ જેવાં ઝાડ પણ ઉગાડ્યાં છે. જે થોડા જ વર્ષમાં ફળ આપવાનું પણ શરૂ કરશે. જેનાથી તેઓ વાળ, કપડાં અને વાસણ ધોવા માટે હર્બલ શેમ્પૂ અને ક્લીનર બનાવી શકશે.

મધુલિકા તેના બગીચામાં જૈવિક ખાતર પણ જાતે જ તૈયાર કરે છે. આ વિશે તે કહે છે, “અમારા ઘરમાંથી કોઈપણ જાતનો જૈવિક કચરો બહાર નથી જતો. કિચનમાંથી નીકળતો બધા જ ભીના કચરામાંથી અને બગીચા માટે ખાતર બનાવીએ છીએ. અમે કેટલાક ઔષધિય છોડ પણ વાવ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે, શક્ય હોય એટલું પ્રકૃતિની નજીક રહીએ.”

તેમણે તેમના બગીચામાં ગિલોય, પતરચટા, અજમાનાં પાન, તુલસી (પાંચ પ્રકારની), ખસ, કટકરંજ, લેમન ગ્રાસ, નિર્ગુડી, અરડૂસી, આક, ગુડહલ, અશ્વગંદ્ગા, શતાવરી, દમ બેલ, પીપલી, સદાબહાર અને શીશમ જેવા ઘણા ઔષધીય ગુણોવાળા છોડ વાવ્યા છે. આશીષ કહે છે, “અમારો પ્રયત્ન છે કે અમે શક્ય એટલી પ્રાકૃતિક રીતે સ્વસ્થ રહીએ. જેનાથી અમને પ્રકૃતિની અનુકૂળ રહેવામાં બહુ મદદ મળે છે. અમે અમારા અનુભવોથી શીખીએ છીએ કે, દવાઓ પર અમારી નિર્ભરતા ઘણ અંશે ઓછી થઈ ગઈ છે. જેમ કે, પહેલાં મધુલિકાને પહેલાં કંપ્યૂટર પર કામ કરવાના કારણે આંખમાં તકલીફ પડતી હતી, પરંતુ હવે ચારેય તરફ હરિયાળીથી અંખને થોડી રાહત અનુભવાય છે. સાથે-સાથે અમે શુદ્ધ ખાવાનો પ્રયત્ન કરીએ છીએ અને મધુ યોગ પણ કરે છે. જેનાથી તેને ઘણી મદદ મળી છે.”

Kitchen Gardening
Seeds for next season

આ બધા સિવાય તેઓ તેમના ઘર માટે અનાજ, દાળ, ચોખા વગેરે પણ સ્થાનિક લોકો પાસેથી જ ખરીદે છે. તેમનો પ્રયત્ન એ જ રહે છે કે, તેઓ જૈવિક રીતે ઉગાડેલ દેશી અનાજ જ ખરીદે. તેમના ઘરમાં સાફ-સફાઈથી લઈને કીડીઓને રોકવા સુધી અને અનાજ સ્ટોરા કરવા માટે પણ જૈવિક રીતોનો જ ઉપયોગ થાય છે. તેમનો પ્રયત્ન શક્ય હોય ત્યાં સુધી જીવનશૈલીને રસાયણમુક્ત બનાવવાનો છે.

મધુલિકા અને આશીષ કહે છે કે, હજુ આગળ તેમને બીજી ઘણી વસ્તુઓ પર કામ કરવું છે. તેઓ તેમના ઘરમાં સોલર પ્લાન્ટ નખાવવા ઈચ્છે છે. આગામી સમયમાં ઉર્જા બાબતે પણ તેઓ આત્મનિર્ભર થવા ઈચ્છે છે.

અંતે તેઓ માત્ર એટલું જ કહે છે, “આપણને જીવનમાં જે પણ તક મળે છે, તેનાથી આપણે પોતાની જાતને નસીબદાર માનીએ છીએ. કારણકે, દરેક વ્યક્તિ અને પરિવારનું જીવન અલગ છે. એ સાચું છે કે, દરેક વ્યક્તિ અચાનક સસ્ટેનેબલ અને ઈકો-ફ્રેન્ડલી જીવન જીવવાનું શરૂ ન કરી શકે. ઘણા લોકો માટે, જીવનની અન્ય જવાબદારીઓ વધારે મહત્વની છે. પરંતુ જે લોકો પાસે આટલાં સંસાધનો હોય તેઓ પોતાની જીવનશૈલીને ઢાળી શકે છે, તેમને આ દિશામાં કેટલાક પ્રયત્નો કરવા જોઈએ. “

જો તમે આશીષ અને મધુલિકાનો સંપર્ક કરવા ઈચ્છતા હોય તો તેમને ashis.panda@gmail.com પર ઈમેલ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: ઘરમાં જ ઉગાડે છે શાકભાજી, પાણી પણ વરસાદનું જ પીવે છે, અનોખા અંદાજમાં રહે છે આ કપલ!

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon