Powered by

Home આધુનિક ખેતી મોબાઈલ ગેમ છોડી બાળકોએ આપ્યો ખેડૂત પિતાનો સાથ, થોડા જ મહિનાઓમાં થયો અઢી લાખનો નફો

મોબાઈલ ગેમ છોડી બાળકોએ આપ્યો ખેડૂત પિતાનો સાથ, થોડા જ મહિનાઓમાં થયો અઢી લાખનો નફો

ઓનલાઈન ક્લાસ બાદ મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહેતાં બાળકોને ખેતીમાં એવો તો રસ પડ્યો કે, થોડા જ સમયમાં મળ્યો અઢી લાખનો નફો. ખેતરમાંથી શાકભાજીને પાણી પાવા, શાકભાજી તોડવાથી લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાનાં કામ બાળકો કરવા લાગ્યાં હોંશે-હોંશે અને પિતાને જતી ખોટને ફેરવી નાખી નફામાં

By Gaurang Joshi
New Update
Organic Farming

Organic Farming

ગત એક વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનના કારણે, દેશભરમાં આશરે દરેક સ્કૂલ અને કોલેજ બંધ થયા છે. બાળકોનું શિક્ષણ સમગ્ર રીતે મોબાઈલ, લેપટોપ અને ઈન્ટરનેટ પર જ આધારિત થયું છે. પહેલા બાળકોને અભ્યાસ પછી, ક્યારેક જ મોબાઈલ વાપરવા મળતો હતો. જોકે, હવે કોરોનાકાળમાં અભ્યાસ ઓનલાઈન થઈ જવાના કારણે, બાળકોનો આખો દિવસ મોબાઈલ પર જ પસાર થાય છે. જે તેમના સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. જોકે, અમે આજે તમને એક એવા પરિવાર વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. જ્યાં બાળકો પોતાના ઓનલાઈન અભ્યાસ પછી મોબાઈલ પર ગેમ રમવાની બદલે, ખેતરમાં પહોંચી જાય છે. ખેતરમાંથી જ તાજી શાકભાજીઓ તોડે છે અને ગ્રાહકોને વેચે છે. હરિયાણામાં જજ્જરના માતનહેલ ગામમાં રહેતા 44 વર્ષના કુલદીપ સુહાગ અને તેમના ઘરના દરેક બાળકો, અભ્યાસની સાથે સાથે ખેતીમાં પણ મદદ કરી રહ્યા છે.

કુલદીપે ધ બેટર ઈન્ડિયાએ જણાવ્યું, 'મેં બે વર્ષ પહેલા, બે એકડ જમીન પર જૈવિક ખેતી શરુ કરી હતી. પહેલા વર્ષમાં, મને ખેતીમાં ખૂબ જ નુકસાન ઉઠાવવું પડ્યું, કારણકે ત્યારે મને જૈવિક ખેતીની ઓછી સમજ હતી. આ સાથે જ જૈવિક ખેતીમાં મહેનત વધારે છે. આ કારણે અમારે મજૂરો સાથે કામ કરાવવું પડ્યું હતું. જેથી અમારો ખર્ચ પણ વધી ગયો હતો. પહેલા વર્ષમાં નુકસાન પછી મેં ખૂબ જ હિંમત કરીને જૈવિક ખેતી કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લે મને સફળતા મળી ગઈ. જેનો શ્રેય હું મારા પરિવારને આપું છું.

પોતાની સફર વિશે તેમણે જણાવ્યું કે, 'હું ખેડૂત પરિવારમાંથી આવું છું. મેં દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. જે પછી 1995માં ખેતી કરવાનું શરુ કર્યું હતું. હું પહેલા રસાયણયુક્ત ખેતી કરતો હતો. જેથી મને વધારે ફાયદો નહોતો થઈ રહ્યો. આ માટે મેં 2003માં ખેતી છોડીને, ગામમાં જ કરિયાણા અને મોબાઈલની દુકાન શરુ કરી હતી. બે વર્ષ પહેલા થોડા કારણોસર મેં દુકાન પણ બંધ કરી હતી. પછી ખેતી કરવાનો નિર્ણય કરી હતી. જેને લઈ, મેં જૈવિક ખેતી કરવાનો નિર્ણય કર્યો હતો.'

vegetable farming

કુલદીપે જણાવ્યું કે તેને જૈવિક ખેતી કરવાની પ્રેરણા, સાસરૌલી ગામના રહેવાસી ડોક્ટર સત્યવાન ગ્રેવાલથી મળી હતી. કુલદીપે બે એકડ જમીન પર વાતાવરણ મુજબ શાકભાજીની ખેતી કરવાનું શરુ કર્યુ હતું. જોકે, શરુઆતમાં તેને ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેણે ડોક્ટર ગ્રેવાલ પાસેથી ઘણું શીખ્યું છે. જોકે, જ્યારે કુલદીપે જમીન પર કામ કરવાનું શરુ કર્યું, તો તેને એવી જાણકારીઓ મળી, જે તેને પણ પહેલા ખબર નહોતી. એકવાર નુકસાન ઉઠાવ્યા પછી, કુલદીપ થોડો અસમંજસમાં હતો કે શું તેને ફરી જૈવિક ખેતી કરવી જોઈએ?

તેણે કહ્યું કે, 'મેં આ વિશે પરિવારની સલાહ લીધી. બધાએ કહ્યું કે હવે જૈવિક ખેતી જ કરો જેથી ખેતરની માટીની હાલત સુધરે. થોડું ભલે પરંતુ ઘરમાં બાળકોને જૈવિક રીતે જ ઉગાડેલું પરંતુ યોગ્ય ભોજન મળી શકે. આ રીતે પરિવારની હિંમતથી જ મેં ફરી એકવાર ખેતી કરવાનું જોખમ ઉઠાવી લીધું. '

કુલદીપ પોતાના ખેતરમાં ટામેટાં, બે રીતના મરચા, શિમલા મરચા, કાકડી, ખીરુ, ડુંગળી, લસણ અને તરબૂચની ખેતી કરે છે. તેમણે કહ્યું કે મુખ્ય રીતે તરબૂચ, ડુંગળી અને ટામેટા ઉગાડે છે અને અન્ય શાકભાજીઓ ઉગાડવામાં આવે છે. તેમણે જાન્યુઆરી 2021માં પોતાના ખેતરમાં અલગ-અલગ પાકની લળણી ચાલુ કરી અને એપ્રિલના મહિનામાં દરેક પાક લણી લીધા હતા. આ ચાર-પાંચ મહિનાઓથી હવે પાકમાંથી જ આશરે અઢી લાખ રુપિયાનો નફો મેળવી ચૂક્યા છે.

Modern farming

છોડવા લગાવવાથી લઈ માર્કેટિંગ સુધી, બાળકોએ આપ્યો સાથ:
કુલદીપે કહ્યું કે, તેમને આ સફળતા પોતાના બાળકોના કારણે મળી છે. ગત વર્ષથી જ કુલદીપ અને તેના ભાઈના બાળકો ખેતીમાં મદદ કરી રહ્યા છે. તેમનો દીકરો, જતિન સુહાગ ગ્રેજ્યુએશનમાં પહેલા વર્ષમાં વિદ્યાર્થી છે. તેમના ભાઈના બાળકો, પાયલ સુહાગ અને અર્જુન સુહાગ હાલ અભ્યાસ કરી રહ્યા છે.

15 વર્ષની પાયલ દસમા ધોરણની વિદ્યાર્થી છે અને પોતાની અભ્યાસની સાથે જ પોતાના મોટાબાપાની મદદ પણ કરે છે. તેમણે કહ્યું કે, 'હું સોનીપતની મોતીલાલ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સમાં અભ્યાસ કરું છું. હું લોકડાઉન પહેલા હોસ્ટેલમાં રહેતી હતી. જોકે, ગત એક વર્ષથી ઘરે જ ઓનલાઈન અભ્યાસ કરી રહી છું. પરિવારજનોએ બાળકોનું એક રુટિન બનાવ્યું છે. સવારે અમે ખેતરમાં જઈએ છીએ. અમે મોટાબાપાની પણ મદદ કરીએ છીએ.'

પાયલે કહ્યું કે શરુઆતના દિવસોમાં ખેતરમાં કામ કરવામાં પરેશાની થતી હતી. જોકે, ધીમે ધીમે મજા આવવા લાગી હતી. બધા બાળકોએ કુલદીપ સાથે મળીને ખેતરને તૈયાર કર્યું અને શાકભાજી તેમજ છોડ લગાવ્યા હતાં. પાયલે કહ્યું કે બે એકડમાંથી માત્ર એક જ એકડમાં ડ્રિપ ઈરિગેશન સિસ્ટમ લગાવ્યું છે. બાકી એક એકડમાં બધાં બાળકો પોતે જ પાણી પાય છે. ખાતર બનાવવાથી લઈને કીટક નાશક બનાવવા સુધી બધા જ કામોમાં બાળકો ભાગ લે છે. કુલદીપનું કહેવું છે કે આ વખતે બહારથી કોઈ મજૂર પણ લાવવા પડ્યા નથી અને દરેક કામ સમય પર થઈ ગયું છે.

કુલદીપનો દીકરો, 18 વર્ષનો જતિન સુહાગ જણાવે છે કે ગત એક વર્ષમાં, તેમણે ખેતી વિશે ખૂબ જ શીખ્યું છે. જતિન કહે છે કે, 'હવે મને ખબર પડી ગઈ છે કે ખેતરમાં કઈ રીતે શાકભાજી ઉગાડી શકાય છે. આ સાથે જ મારી બજારની સમજ પણ વધી છે કે કયું શાકભાજી કેટલા ભાવમાં અને કેટલું વધારે વેચી શકાય છે.'

જતિન, પાયલ અને અર્જુન સાથે, તેના એક-બે કઝિન ભાઈ-બહેન પણ સવારે પાંચ કલાકે ખેતર પર પહોંચી જાય છે, ખેતર પર પહોંચીને સૌથી પહેલા બાળકો જે શાકભાજી તોડવા લાયક હોય તેને તોડી લે છે.

AP Culture

જતિને આગળ જણાવ્યું કે તે લોકો શરત લગાવે છે કે, કોણ વધારે શાકભાજી તોડશે. સારાં અને પાકેલા શાકભાજી તોડ્યા પછી, કેટલાંક ભાજી-શાકભાજીને ખેતરની ઝૂંપડીમાં રાખવામાં આવે છે. જ્યાંથી ગામના લોકો આવીને શાકભાજી ખરીદે છે. ત્યાં એવા પણ અનેક લોકો છે જે ખેતર સુધી જઈ શકતા નથી. પાયલ કહે છે કે, તેવા ગ્રાહકો માટે અર્જુન પોતાના ઘરની બહાર સ્ટોલ લગાવે છે અને યોગ્ય ભાવમાં શાકભાજી વેચે છે. સરકારી અધિકારી બનવાની ઈચ્છા રાખનાર પાયલ જણાવે છે કે, 'પહેલા તેને શાકભાજી વેચવામાં થોડું શરમ જેવું લાગતું હતું પરંતુ હવે તો દરેક ભાઈ બહેન સારા ભાવતાલ કરી શકે છે. આ ઉપરાંત લોકોને જૈવિક ફાયદાઓ પણ સમજાવે છે.'

સવાર-સાંજ ખેતરમાં સમય પસાર કર્યા સિવાય, દિવસના સમયે દરેક બાળકો અભ્યાસ પણ કરે છે. કુલદીપે કહ્યું કે, તેમની મદદ તો થઈ જ રહી છે અને બાળકોની દિવસભર ગેમમાં રહેવાની લતની પણ કોઈ ચિંતા નથી. કારણકે, હવે બાળકોનો મોહ મોબાઈલ ગેમથી વધારે એમાં છે કે એક દિવસમાં કેટલું શાક ખેતરમાંથી મળ્યું અને તેમાંથી કેટલું વેચાયું.?

કુલદીપે પોતાની એક એકડ જમીન પર જામફળનો બગીચો પણ કર્યો છે અને તે આગળ કેળાનો બગીચો પણ કરવા ઈચ્છે છે. તેનું કહેવું છે કે,'મને પરિવારનો ખૂબ જ સાથ મળી રહ્યો છે, આ કારણોસર મને વિશ્વાસ છે કે સફળતા જરુર મળશે. હું હવે માત્ર અને માત્ર જૈવિક ખેતી જ કરીશ.'

જો તમે કુલદીપ સાથે સંપર્ક કરવા ઈચ્છો છો તો, તેને 9896759517 પર કોલ કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: વલસાડના આ ખેડૂત વર્ષો જૂના આંબાને ફરીથી કરે છે કેરીથી હર્યોભર્યો, રીત છે અદભુત

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.