બાળપણમાં રામજીભાઈ મકવાણાએ એક વાર્તા સાંભળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પક્ષીઓને ખોરાક આપવાથી ભગવાન પ્રસન્ન થાય છે. આજે 85 વર્ષની વયે પણ રામજીભાઈ ન તો એ વાર્તા ભૂલી શક્યા છે કે ન તો પક્ષીઓ પ્રત્યેની કરુણતા.
સરકારી શાળામાંથી નિવૃત્ત થયા બાદ રામજીદાદાએ સિહોરના રામટેકરી વિસ્તારમાં એક નાનકડો આશ્રમ બનાવ્યો છે, જેનું નામ ‘પક્ષી તીર્થ આશ્રમ’ છે. અહીં રહીને તે જરૂરિયાતમંદ લોકો અને પક્ષીઓની સેવા કરે છે. છેલ્લા 40 વર્ષથી તેઓ તેમની પત્ની સાથે મળીને પક્ષીઓને ખોરાક અને પાણી આપવાનું કામ પણ કરી રહ્યા છે.
તેમનો આશ્રમ કોઈ અભયારણ્યથી ઓછો નથી. તેમણે પોતાના જુગાડથી અલગ-અલગ પક્ષીઓ માટે અલગ-અલગ વ્યવસ્થા કરી છે અને તેથી જ તેમના આશ્રમમાં દરરોજ 1500 થી વધુ પક્ષીઓ ખોરાકની શોધમાં આવે છે.
85 વર્ષની ઉંમરે પણ તેઓ એક દિવસની રજા નથી લેતા. રામજીદાદા કહે છે કે,”જો હું આરામ કરીશ, તો મારા પક્ષીઓ શું ખાશે.”

પણ વાંચો:ભાવનગરના પરિવારે પુત્ર-પુત્રીના લગ્નમાં બનાવી એવી કંકોત્રી કે, ચકલી પણ માંડી શકશે સંસાર
તેમનું કામ વહેલી સવારે શરૂ થઈ જાય છે. પક્ષીઓ માટે લટકાવેલા ખાદ્યપદાર્થો ભરવા, પાણી માટેના પ્યાલા ભરવા, આ બધું જ તે અને તેમના ધર્મપત્ની એકસાથે કરે છે. તેમની પત્ની હીરાબેન પણ આશ્રમમાં આવતા પ્રાણીઓ માટે દરરોજ રોટલીઓ બનાવે છે અને ખવડાવે છે.
અહીં બીજી નોંધવા જેવી બાબત એ છે કે, અહીં માત્ર પશુ-પક્ષીઓ જ નહીં પરંતુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પણ આશ્રમમાંથી ખાલી હાથે નથી જતો. રામજીભાઈ ગામના ગરીબોને પણ ઘણી મદદ કરે છે.

પણ વાંચો:કચ્છના કોલેજીયન યુવાનોને શરૂ કર્યું ચકલી બચાવ અભિયાન, ફ્રી સમયમાં બાંધ્યા 7 હજાર+ માળા
વર્ષો પહેલા તેમણે પોતાના પેન્શનના પૈસાથી આ કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ આજે રામટેકરીના ઘણા લોકો તેમને મદદ કરે છે. રામટેકરીમાં ‘સીતારામ’ તરીકે જાણીતા રામજીદાદા કહે છે કે, “દરેક વ્યક્તિ સારું કામ કરનારને મદદ કરે છે. મારા આશ્રમમાં ઘણા લોકો દાન આપવા આવે છે. આ જ કારણ છે કે છેલ્લા 40 વર્ષથી અમે સૌ સાથે મળીને પક્ષીઓની સેવા કરી શકવા સક્ષમ રહ્યા છીએ.
તેમણે આશ્રમમાં ઘણા ફળોના વૃક્ષો પણ વાવ્યા છે, જેથી પક્ષીઓ તેમાંથી ફળ ખાઈ શકે. રામજીભાઈનો સમગ્ર પરિવાર તેમને આ કામમાં મદદ કરે છે. તે અને તેમના પત્ની બંને આશ્રમમાં એકલા રહેતા હોવાથી સમયાંતરે પરિવારના અન્ય સભ્યો તેમની મદદે આવે છે.

પણ વાંચો:શંખેશ્વરના આ રિટાયર્ડ શિક્ષક દંપત્તિએ જીવનભરની મૂડી ખર્ચી રણમાં ઊભુ કર્યું જંગલ
રામજીદાદા દરરોજ સવારે ગામમાં પ્રભાતફેરી પણ કાઢે છે તો સાથે સાથે તે તૂટેલી વસ્તુઓ, ખાલી ડબ્બા વગેરે એકત્રિત કરી તેને આશ્રમના ઉપયોગમાં પણ લે છે. રામજીભાઈનો આટલો પ્રેમ જોઈને પક્ષીઓની સંખ્યા પણ દર વર્ષે વધી રહી છે. રામટેકરીમાં દરરોજ મોર, બુલબુલ, મૈના, કબૂતર, પોપટ, પક્ષી, લૈલા જેવા અનેક પક્ષીઓ ચરતા જોવા મળે છે. આ સુંદર નજારો જોવા માટે દરરોજ ઘણા પ્રવાસીઓ પણ અહીં પહોંચે છે.
રામજીદાદાની આ નિઃસ્વાર્થ સેવા અને પક્ષીઓ પ્રત્યેના પ્રેમ માટે ધ બેટર ઈન્ડિયા તેમને સલામ કરે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:ચાર પાસ ગુજરાતી ખેડૂતે 20 લાખના ખર્ચે પક્ષીઓ માટે બનાવ્યું ઘર, જરા પણ ઉતરતું નથી બંગલાથી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો