હું બાળપણથી જ વિચારતી હતી કે મારા ઘરમાં એક મોટો બગીચો હોય. જેમાં આંબા હોય અને ઉનાળામાં ફળોના રાજા ‘કેરી’ ની મજા લૂંટી શકું. સાચું કહું તો પોતાના ઘરમાં આંબો વાવવાના બહુ પ્રયત્ન પણ કર્યા, પરંતુ મને સફળતા ન મળી. મારું મન એ વિચારીને જ દુ:ખી થઈ જતું કે, દર વર્ષે ખબર નહીં આપણે કેરીના કેટલા ગોટલા આમજ ફેંકી દઈએ છીએ. ત્યારે કદાચ જો મને આવી કોઈ રીતની ખબર હોત તો, અત્યાર સુધી હું મારા ઘરે આંબાના સંખ્યાબંધ છોડ તૈયાર કરી શકત. થોડા વર્ષ પહેલાં જ મને ઘરે આંબાનો છોડ તૈયાર કરવાની સાચી રીત ખબર પડી.
મેં મારા ઘરે જ કેરીના ગોટલાને અંકુરિત કરવાનો પ્રયત્ન કર્યો. સાથે-સાથે એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે, શું કેરીની ગોટલીમાં કોઈપણ જાતની પ્રોસેસિંગ કર્યા વગર ગરે ઉગાડી શકાય છે કે નહીં. હકિકત તો એ છે કે, હું કોઈપણ ભોગે ઘરે આંબો ઊગતો જોવા ઈચ્છતી હતી અને આ માટે મેં સંખ્યાબંધ પ્રયત્નો કર્યા.

કેટલાક નિષ્ફળ પ્રયત્નો બાદ, અંતે મને સફળતા મળી જ ગઈ અને મેં નાનકડી ગોટલીને અંકુરિત કરવાની સાચી રીત શીખી લીધી (How to Grow Mango From Seed). ત્યારે મને પણ એવું લાગવા લાગ્યું કે, જે રીતે હું ગોટલીમાંથી આંબાનો છોડ તૈયાર કરી શકું છું, આ જોતાં અત્યાર સુધી ખબર નહીં મેં કેટલા ગોટલા ફેંકી દીધા હશે. હવે હું એક ગોટલાનો પણ બગાડ જોઉં છું તો મને એમજ લાગે છે કે, હું એક છોડ ખોઉં છું અને તેનાથી એક આંબો તૈયાર થઈ શકે છે. મારા પરિવારમાં જેટલી કેરી ખવાય છે તેના બધા ગોટલામાંથી આંબા વાવવા તો શાક્ય નથી. પછી મેં વિચાર્યું કે, આ ગોટલામાંથી બીજું શું-શું બની શકે છે?
મને આ જાણીને ખૂબજ આશ્ચર્ય થયું કે, કેરીના ગોટલાનો ઉપયોગ ભોજન બાદ મુખવાસ માટે પણ કરવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે, જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય, તેમના માટે તો ગોટલીનો પાવડર બહુ ફાયદાકારક છે. આ બધી બાબતો અંગે જાણ્યા બાદ મેં દરેક ગોટલીને ભેગી કરવાનું શરૂ કર્યું.

આ વાતને આજે ત્રણ વર્ષ થઈ ગયાં છે, જ્યારે મેં મારા ઘરમાં પહેલો આંબો વાવ્યો હતો. આ છોડ આજે પણ મારા ટેરેસ ગાર્ડનમાં છે. ગયા વર્ષે લૉકડાઉન દરમિયાન કેરીના ગોટલાને કઈ-કઈ રીતે અંકુરિત કરી શકાય, તેના પર મેં ઘણા પ્રયોગ કર્યા.
અ ખાસ રીતમાં, મેં 30 કરતાં વધારે ગોટલાને ઓછામાં ઓછા સંસાધનોમાં સફળતાપૂર્વક અંકુરિત કર્યા (How to Grow Mango From Seed).

આ માટે મેં કેરીના ગોટલાને નારિયેળની જટાઓ, પાણી અને ઢાંકણવાળા ડબ્બામાં અંકુરિત કર્યા. બીજ અંકુરિત કર્યા બાદ મેં તેને વાવવા માટે દૂધની કોથળીઓનો ઉપયોગ કર્યો, જેથી જે લોકો પોતાના ઘરે આંબો ઉગાડવા ઈચ્છતા હોય, તેમને હું સરળતાથી છોડ આપી શકું.
આ 6 સરળ સ્ટેપમાં ઘરે જ ઉગાડો આંબાનો છોડ:

1: કેરીને ખાઈ લીધા બાદ ગોટલીને બરાબર સાફ કરી દો.

2: ગોટલાના અંદરની ગોટલીને જરા પણ નુકસાન ન થાય એ રીતે સાવધાનીપૂર્વક તેને ખોલો.

3: ગોટલીના ઉપરના પરતને કાઢીને બરાબર સાફ કરી દો.

4: નારિયેળની કેટલીક જટાઓને એક સાથે એક ડબ્બામાં મૂકો અને તેમાં ધોયેલ ગોટલીને મૂકી ઉપર પાણી છાંટો.

5: હવે તેને ઢાંકણથી ઢાંકી, છાંયડામાં મૂકી દો.

6: જો નારિયેળની ઝટાઓ કોરી લાગે તો ઉપર થોડું પાણી છાંટો. ખાસ ધ્યાન રાખો કે, પાણી એટલું જ છાંટવું કે, તેમાં ભેજ જળવાઈ રહે.

થોડા જ દિવસોમાં, બીજ અંકુરિત થવા લાગશે. 10 દિવસોમાં બીજ એક તરફ એક ઈંચ લાંબાં મૂળ નીકળવાનાં શરૂ થઈ જશે અને બીજી તરફથી ડાળી નીકળવાની શરૂ થૈ જશે.

ત્યારબાદ એક નાનકડા કુંડામાં તેને વાવી પૉટિંગ મિક્સ ભરી કવર કરી લો. તેની એવી જગ્યાએ મૂકો જ્યાં સરખો તડકો પડતો ન હોય.
અંકુરિત ગોટલીને વાવ્યા બાદ, થોડા જ મહિનામાં તેમાં ઘણાં પત્તાં આવવા લાગે છે.

આ રીતે, તમને તમારા ઘરના બગીચામાં દર અઠવાડિયે કઈંક ને કઈંક નવું જોવા મળશે. બીજને વાવ્યા બાદ 30 દિવસો સુધી, તેમાં થતા બદલાવોને જુઓ અને આ અનુભવ તમારા માટે બહુ ખાસ બની રહેશે.

કેરીની છાલનો ઉપયોગ
કેરીની છાલના ઉપયોગ વિશે કહું તો, તેનો ઉપયોગ હું ખાતર તરીકે કરવા લાગી છું. હું આ છાલમાં થોડી માટી મિક્સ કરી, ઉપર ઢાંકણથી ઢાંકી દઉં છું. જેથી ઘરે જ પોષકતત્વોથી ભરપૂર ખાતર સરળતાથી મળી જાય છે. તેનો બીજો એક ફાયદો એ પણ છે કે, કિચનમાંથી નીકળતા આ બધા કચરાને લેન્ડફિલમાં જતો અટકાવી શકાય છે અને ઝાડ-છોડ માટે પૌષ્ટિક ખાતર બનાવી શકાય છે.
આ પણ વાંચો: વિટામીનની થઈ ઉણપ, દાદીએ ફ્રિજ અને બાથટબમાં ઉગાડ્યા 250+ શાકભાજી-ફળ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.