રણની રેતિયાળ માટીમાં ઉગાડ્યાં ગુલાબ સહિત 100 ફૂલ અને ઔષધીઓ, જાણો કેવી રીતે

શોખ માટે શરૂ કરેલ ગાર્ડનિંગ બન્યું જુસ્સો, એકદમ પ્રતિકૂળ જમીન અને વાતાવરણમાં બનાવ્યો સુગંધિત ફૂલોનો બગીચો

gardening

gardening

બનાસકાંઠા અને પાટણના બોર્ડર વિસ્તારમાં આવેલ રાધનપુરના ઊણ ગામમાં રહેતા જીગરભાઇ રેતાળ રણ જેવા વિસ્તારમાં પણ ઉગાડે છે ગુલાબ સહિત અલગ-અલગ પ્રકારનાં સેંકડો ફૂલ. અહીંથી કચ્છનું નાનુ રણ બહુ નજીક હોવાથી અહીં પાણી એકદમ ખારું હોય છે અને માટી પણ એકદમ રેતાળ હોવાથી ખેડૂતો પણ વર્ષનો એકાદ પાક તો માંડ લઈ શકે છે. આવા વિસ્તારમાં જીગરભાઇએ તેમના ઘરની આગળ ખુલ્લી જગ્યામાં આખુ નંદનવન ઊભુ કર્યું છે.

આજથી લગભગ બે વર્ષ પહેલાં જીગરભાઇનાં લગ્ન સાધનાબેન સાથે સાથે થયાં હતાં. સાધનાબેનને પ્રકૃતિ સાથે બહુ પ્રેમ. તેમણે તેમના પિયરમાં કોઇ સંબંધીના ત્યાં ગાર્ડનિંગ જોયું હશે અને જીગરભાઇના ઘરની બહાર તો ઘણી જગ્યા હતી એટલે તેમને પણ આ જગ્યાનો સદઉપયોગ કરવાની ઇચ્છા થઈ. એટલે તેમણે જીગરભાઇને વાત કરી.

flower gardening

આ અંગે વાત કરતાં જીગરભાઇએ કહ્યું, "શરૂઆતમાં અમે એક બોર્ડર પર ગલગોટાના છોડ વાવ્યા, પરંતુ ગરમી અને અહીંની રેતાળ જમીનના કારણે બધા જ છોડ બળી ગયા. ત્યારબાદ અમે એક ખેડૂતને આમ થવાનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે, સૌથી પહેલાં તો તમારે આ છોડ લાયક માટી બનાવવી પડે. ત્યારબાદ અમે આસપાસના ઉકરડાઓમાંથી છાણીયું ખાતર લાવ્યા. બીજી થોડી ખેતરની માટી લાવ્યા અને મિક્સ કરી ખાડા ખોદી આ -ટી ભરી. પછી ત્યારબાદ 70-80 બીજા છોડ વાવ્યા. આ છોડ મોટા તો થયા પરંતુ તેને ફૂલ આવતાં નહોંતાં. કમર સુધીની ઊંચાઈએ પહોંચ્યા પરંતુ યોગ્ય વિકાસ ન થયો અને 6-8 મહિનામાં જ એ પણ નાશ પામ્યા."

આમ છતાં હિંમત ન હાર્યા જીગરભાઇ. હવે તેમણે જમીનની સાથે-સાથે કુંડાઓમાં પણ છોડ વાવવાનું નક્કી કર્યું અને 24 સુંદર કુંડાં લાવ્યા. પછી આ બધામાં મહેંદી, બારમાસી અને અલગ-અલગ પ્રકારનાં જાસૂદ આવ્યાં. હવે ધીરે-ધીરે માટી અને છાણીયા ખાતરથી જમીન સરખી થઈ રહી હતી એટલે આ છોડની સાથે-સાથે તેમણે ગુલાબનું પણ વાવેતર કર્યું. અત્યારે તેમના ઘરમાં દેશી અને અંગ્રેજી એમ બે પ્રકારનાં ગુલાબ છે.

flowers

ત્યારબાદ કોરોના કાળમાં વિવિધ ઔષધીઓનું મહત્વ સમજાતાં તેમણે તુલસી, અરડૂસી, ગિલોય, કુંવારપાઠુ વગેરેનું પણ વાવેતર કર્યું. જીગરભાઇના જણાવ્યા અનુસાર, ગિલોયની વેલને જો લીમડા સાથે વીંટી વધવા દેવામાં આવે તો તેના ઔષધિય ગુણો વધી જાય છે. ગિલોયને ગુજરાતીમાં ગળો તરીકે ઓળખવામાં આવે છે. ગિલોયનો વિકાસ શિયાળામાં બહુ સારો થાય છે. એટલે ગિલોળની ડાળીની કલમ કરવાથી તે બહુ સરસ રીતે વિકાસ પામે છે.

છાણીયા ખાતર અંગેની વાત કરતાં જીગરભાઇ ધ બેટર ઈન્ડિયાને જણાવે છે, "અમારા વિસ્તારમાં ગાયો-ભેંસો બહુ હોય છે અને તેમના છાણના ઉકરડા પણ હોય છે. એટલે આ ઉકરડામાં નીચેની તરફથી અમે લઈએ, જે લગભગ એકાદ વર્ષ જૂનું હોય છે, એટલે તેને માટીમાં મિક્સ કરવાથી બહુ સારું પરિણામ મળે છે. ત્યારબાદ દર બે-ત્રણ મહિને અમે માટીમાં આ ખાતર મિક્સ કરતા રહીએ છીએ. પછી જો કાંપવાળી વાટી હોય તો તેમાં 30% છાણીયું ખાતર અને 70% માટી મિક્સ કરી શકાય છે."

Gardening tips

ઘણા લોકો એમ કહેતા હોય છે કે, તુલસી ઉગતી નથી. આ માટે તેમણે ખાસ ટિપ્સ આપી છે.

  • તુલસીને છોડ કે માંજરથી એમ બે રીતે ઉગાડી શકાય છે.
  • જો તુલસી ન ઉગતી હોય તો, ખાતરવાળી માટીની સાથે ગાયનું તાજુ છાણ પણ મિક્સ કરી શકાય.
  • તેનાથી છોડ બળી જવાની શક્યતા બહુ ઓછી રહે છે અને વિકાસ પણ ઝડપી થાય છે.
organic gardening

જીગરભાઇ જ્યાં રહે છે ત્યાં પાણીની ભારે અછત હોય છે અને મીઠું પાણી તો બહુ ઓછું હોય છે. અહીં અઠવાડિયામાં માત્ર એક વાર જ મીઠું પાણી આવે છે. એટલે જીગરભાઇ અઠવાડિયામાં એકજ વાર જમીનમાં ઉગાડેલા છોડને પાણી આપે છે, તો કુંડામાં ઉગાડેલા છોડને આંતરા દિવસે પાણી આપે છે, છતાં એટલાં સરસ ફૂલ આવે છે કે, કોઇને લાગે જ નહીં કે, આ રણનો રેતિયાળ પ્રદેશ છે.

જીગરભાઇ અને તેમના કાર્ય અંગે વધુ જાણવા તેમના ફેસબુક પર ક્લિક કરો.

આ પણ વાંચો: 15 વર્ષથી ધાબામાં ગાર્ડનિંગ કરી રહ્યા છે બારડોલીના નવિનભાઇ, રીંગણ, દૂધીથી લઈને મશરૂમ સહિત બધુ જ મળશે અહીં

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe