પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા માટે આપણે જીવનમાં અનેક બદલાવ કરી રહ્યા છીએ. જોકે, એક વસ્તુ છે જેને આપણે નથી બદલી શક્યા, એ ઝાડુ છે. મોટાભાગના ઝાડુના હેન્ડલ પ્લાસ્ટિકના બનેલા હોય છે. આપણે જ્યારે તેનો ઉપયોગ કરીને ફેંકી દઈએ છીએ ત્યારે તેના હેન્ડલમાં રહેલું પ્લાસ્ટિક પ્રકૃતિના કચરામાં વધારો કરે છે.
જોકે, વ્યક્તિગત રીતે તેનાથી કોઈ નુકસાન નથી, પરંતુ આંકડા જણાવે છે કે ભારતમાં આવા આશરે 40 હજાર મેટ્રિક ટન કચરાનું ઉત્પાદન થાય છે, જે સરવાળે આપણી જમીનને નુકસાન પહોંચાડે છે.
આ ખતરાથી છૂટકારો મેળવવા માટે ભારતીય વન સેવા અધિકારી પ્રસાદ રાવ હાલ ત્રિપુરામાં તૈનાત છે, તેમણે એક નવો જ વિચાર રજૂ કર્યો છે.
પ્લાસ્ટિકને બદલે વાંસનો ઉપયોગ
પ્રસાદ રાવ અને તેમની ટીમે પોતાના પ્રયાસ થકી ઝાડુના હેન્ડલમાં પ્લાસ્ટિકને બદલે વાંસનો ઉપયોગ કર્યાં. કારણ કે વાંસ ભારતમાં સરળતાથી ઉપલબ્ધ છે, એટલું જ નહીં તેનાથી પર્યાવરણને કોઈ ખતરો પણ નથી.
રાવના કહેવા પ્રમાણે બ્રૂમ-મેકિંગ એ દેશના અનેક ભાગમાં મહત્ત્વપૂર્ણ વન ઉદ્યોગ છે, તેમજ સ્થાનિક લોકો માટે કમાણીનું સાધન છે.

આદિવાસી સમુદાયોને મદદ
ધ બેટર ઇન્ડિયા સાથે વાતચીત કરતા 2010ના વર્ષના આઈએએસ અધિકારીએ કહ્યું કે, “આશરે સાત મહિના પહેલા વન ધન વિકાસ કાર્યક્રમ અંતર્ગત અમે આ અનોખી પહેલ કરી હતી. અમારો ઉદેશ્ય એવો હતો કે વસ્તુ બનાવવા માટે પ્રાકૃતિક સંશાધનોનો ઉપયોગ થાય.”
તેમની પહેલથી 1,000 આદિવાસી પરિવારને રોજગારી મળી છે. આજે તેઓ સામગ્રી બનાવવા, તેમનું પેકિંગ કરવા સહિતનું કામ કરે છે.
રાવ કહે છે કે, “આ વિસ્તારમાં આદિવાસીઓના ઉત્થાન માટે કામ કરવાનું મને યોગ્ય લાગ્યું હતું. મને એ વાતનો આનંદ છે કે અમારા કામથી લોકોની જિંદગીમાં પરિવર્તન આવી રહ્યું છે.”
રાવની ટીમ ‘ત્રિપુરા પુનર્વાસ બાગ નિગમ’ (Tripura Rehabilitation Plantation Corporation) નામ હેઠળ કામ કરે છે. તેમનો ઉદેશ્ય વર્ષમાં ચાર લાખ ઝાડૂ બનાવવાનો છે. તેઓ આગામી વર્ષમાં આ કામમાં 10 ટકા વૃદ્ધિ ઈચ્છી રહ્યા છે.
રાવ કહે છે કે, “અમે અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મોટા પ્રમાણમાં ઉત્પાદનની તૈયારી કરી રહ્યા છીએ. પહેલા કાચા માલને પ્રૉસેસ કરવા માટે બહાર મોકલવો પડતો હતો, હવે અમે જાતે જ ઉત્પાદન અને પ્રૉસેસિંગનું કામ કરીએ છીએ.”

કિંમત કેટલી છે?
આજે બજારમાં બ્રાન્ડ અને જગ્યા પ્રમાણે ઝાડુની કિંમત 50 રૂપિયાથી લઈને 170 રૂપિયા છે. જોકે, રાવની ટીમ તરફથી બનાવવામાં આવતા ઝાડુની કિંમત ફક્ત 35થી 40 રૂપિયા છે.
ઝાડુ બનાવતા લોકો પર શું પ્રભાવ પડ્યો?
રાવ ઝાડુ બનાવવા પાછળનું ગણિત સમજાવતા કહે છે કે, “જો ઝાડુની કિંમત 35 રૂપિયા છે તો તેને બનાવવા પાછળ આશરે 15 રૂપિયાનો ખર્ચ થાય છે. વાંસનું હેન્ડલ બનાવવા માટે છ રૂપિયા, જ્યારે તેને યોગ્ય રૂપ આપવા માટે છ રૂપિયાનો ખર્ચ થાય છે. આ રીતે કુલ 25 રૂપિયાનો ખર્ચ થાય છે. આ તમામ રકમ સીધી જ આદિવાસીઓને મળે છે. આથી જેમ જેમ માંગ વધશે તેમ તેમ તેમને રોજગારી મળશે.”
ઝાડુમાં વાંસના હેન્ડલનો ઉપયોગ કરવા પાછળના અન્ય કારણો…
વાંસ ખૂબ જ ઝડપથી વધતું ઘાસ છે. તમે તેને જેટલું કાપશો તે એટલું વધારે વધશે.
વાંસની એક પ્રજાતિ (https://www.ambientbp.com/blog/the-incredible-bamboo-plant) એક દિવસમાં 35 ઇંચ એટલે કે દોઢ ફૂટ વધી શકે છે.
એક ઝાડને તૈયાર થવામાં વર્ષો લાગી જાય છે, જ્યારે વાંસને સંપૂર્ણ રીતે વિકસિત થવામાં ફક્ત પાંચ જ વર્ષ લાગે છે.
વાંસનું હેન્ડલ ખૂબ જ હળવું અને ટકાઉ હોય છે.
કેવી રીતે ખરીદી કરશો?
રાવ કહે છે કે, “અમારી પાસે આખા દેશમાંથી ફોન કૉલ આવી રહ્યા છે. અમને આશરે 15,000 ઑર્ડર મળ્યા છે.” જોકે, હાલ ફક્ત ત્રિપુરામાં જ ઉત્પાદન થઈ રહ્યું છે. આ માટે તમે રાવનો +919402307944 પર સંપર્ક કરી શકો છો.
રાવ કહે છે કે, “અમે ઇ-રિટેલ પ્લેટફોર્મ સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમને આશા છે કે બહુ ઝડપથી ત્યાં પણ અમારું ઉત્પાદન જોવા મળશે.”
આ સામાજિક પહેલનો ઉદેશ્ય આદિવાસી સમુદાયોને આર્થિક રીતે સદ્ધર બનાવવાની સાથે સાથે પર્યાવણને મટે અનુકૂળ હોય તેવા વ્યવહારોને વધારો આપવાનો છે.
આ પણ વાંચો: આ રિટાયર્ડ શિક્ષક પ્લાસ્ટિકની જગ્યાએ પત્તાંમાંથી બનાવે છે છોડ તૈયાર કરવાની ‘ગ્રો પ્લેટ’, જાણો કેવી રીતે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.