અવની જૈન પોતાને એક ‘એક્સીડેંટલ ફર્મેપ્રિન્યોર’ માને છે એટલેકે, કિસ્મતથી બનેલી કૃષિ ઉદ્યમી. તે કહે છેકે, વર્ષો પહેલાં જ્યારે તે પોતાના દાદાજીનાં ખેતરોમાં જતી હતી ત્યારે તેમણે ક્યારેય પણ વિચાર્યુ ન હતુકે, એક દિવસ તેઓ જાતે ખેતી કરશે.
વર્ષ 2009માં તેમણે પોતાનું ‘ઉપજ’ ફાર્મ શરૂ કર્યુ, જ્યાં તેઓ શહેરમાં રહેતાની સાથે કોઈ પણ કેમિકલ પેસ્ટિસાઈડ અને ફર્ટિલાઈઝર વગર જાતે પોતાના શાકભાજી ઉગાડે છે. તેની સાથે જ, તે કૃષિ ઉદ્યમી ખેતીને અર્બન લાઈફ સ્ટાઈલનો એક હિસ્સો બનાવવા માટે ‘ગ્રો ઈટ યોરસેલ્ફ’ કિટ પણ વેચી રહ્યા છે.
આ કિટમાં તમને નારિયેળનું એક બાયોડિગ્રેડેબલ કુંડુ, બીજ, જૈવિક ખાતર, પ્લાન્ટિંગ ટેગ અને દિશા-નિર્દેશ માટે એક મેન્યુઅલ મળે છે. તમારે ફક્ત એટલું કરવાનું છે કે, તમે આ કિટમાં પાણી નાંખો અને પોતાના શાકભાજીને ઉગતા જુઓ.

ગુજરાતના વડોદરામાં જન્મેલા અને ઉછરેલા અવનીએ વર્ષ 2000માં બી.આર્કિટેક્ચર કર્યુ અને તે પછી ઘણા વર્ષોથી ઉદ્યોગમાં કામ કર્યું. પરંતુ ત્યારબાદ લગ્ન પછી બાળકોની જવાબદારી વધતાં તેણે પોતાના પરિવારને સમય આપ્યો.
ધીરે ધીરે, જ્યારે તેના બાળકો થોડા મોટા થયા અને પોતાને સંભાળવા લાગ્યા તો અવનીએ તેના બાગાયતીનો શોખને આગળ વધારવાનો વિચાર કર્યો. તેણે 50,000 ચોરસ ફૂટની તેની કુટુંબની જમીન પર શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું.
“મને પાક વિષે દાદાજી પાસેથી માહિતી મળી અને કેટલાક ઓનલાઇન સંશોધન કરીને શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. પહેલીવાર, મારે રાસાયણિક જંતુનાશક દવા વગેરેનો ઉપયોગ કરવો પડ્યો અને તે પછી ઝાડમાં પોષક તત્ત્વોનો અભાવ સ્પષ્ટ રીતે જોવા મળ્યો. ત્યારે મને ખ્યાલ આવ્યો કે રસાયણોની મદદથી ઉગાડેલી શાકભાજી મારે મારા ડિનર ટેબલ પર જોઈતી નથી, ”41 વર્ષીય અવનીએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું.

શરૂ થયો જૈવિક પ્રવાસ
જેવું તેમની શાકભાજીઓની પહેલી સાઈકલ ખતમ થવા આવી, ત્યારથી તેણે અન્ય સલામત વિકલ્પોની શોધ શરૂ કરી. તેણે ઓર્ગેનિક ખેતી પર ઓનલાઇન સંશોધન કર્યું અને ઘણા યુટ્યુબ વિડીઓઝ જોયા. સાથે જ, તેમણે કોર્નેલ યુનિવર્સિટીમાં પરમાકલ્ચર પરના લોંગ-ડિસ્ટન્સ કોર્સમાં પ્રવેશ પણ મેળવ્યો.
“મેં રાસાયણિકને બદલે સૂકા પાંદડા, બાકી રહેલાં શાકભાજી અને ભીના કચરા વગેરે જેવા બાયોમાસનો ઉપયોગ કર્યો. તે જીવજંતુઓને તો દૂર રાખે જ છે, પણ લાંબા સમય સુધી પાણીને જાળવી રાખે છે. મેં મલ્ચીંગ માટે બાયોમાસનો ઉપયોગ પણ કર્યો હતો. આ જાડા સ્તરથી નીંદણ લાગતુ નથી અને સાથે જ, ઉનાળામાં મૂળ બગડતા નથી, “તેમણે જણાવ્યું.
અવની મલ્ટિ-ક્રોપિંગ કરે છે – એક ટેક્નિક જેમાં તમે એક સાથે કોઈપણ બે પાક / શાકભાજી રોપી શકો છો. આનાથી પાણીની બચત થાય છે અને વધુ ઉપજ આપે છે. ઉદાહરણ તરીકે, તેઓ ટમેટાના બીજ સાથે તુલસીના બીજ રોપતા હોય છે. તે જ રીતે, તેઓ ગલગોટાના બીજ સાથે મૂળી જેવા શાકભાજી ઉગાડે છે. તેણે પોતાના ખેતરને પણ સપાટ રાખ્યું નથી, ક્યાંક તેણે જમીનને ઉપર અને નીચે રાખી છે જેથી બધું પાણી વહી ન જાય.

તેમણે વધુમાં સમજાવ્યું કે તેણે પોતાના ખેતરમાં ગટર / નહેર બનાવી છે અને મધ્યમાં વધુ માટી ભરીને બેડને થોડી ઉંચી કરી દીધી છે. જેના કારણે વરસાદી પાણી આ નહેરોઓમાં વહી જાય છે અને પાક સુકા રહે છે. આ ગટરમાં, આ પાણી સંગ્રહિત થાય છે અને તે જમીનમાં ભેજ રાખે છે.
તેના પરિવાર માટે થોડી શાકભાજી રાખીને, તે બાકીના શાકભાજી તેના મિત્રો અને સંબંધીઓને વહેંચે છે. હવે લોકોમાં તેમની શાકભાજીની માંગ વધી રહી છે. તેથી તેઓ હવે શાકભાજી ઉગાડવા માટે તેમના કેટલાક મિત્રો અને સંબંધીઓની જમીન લીધી છે.
અવનીએ કેટલીક જરૂરિયાતમંદ મહિલાઓને પોતાના ફાર્મમાં કામ કરવા માટે રાખી કરી છે. આજે તેની ટીમમાં 10 લોકો છે જે કે ફાર્મની અલગ અલગ ગતિવિધિઓને સંભાળે છે. પોતાના ફાર્મ માટે બીજ લેવા માટે તેમણે પાસેનાં ગામનાં ત્રણ ખેડૂતોનાં ગ્રુપ સાથે ટાઈઅપ કર્યુ છે.

બીજા લોકોને પણ શીખવાડી રહી છે
એકવાર ખેતીમાં નિષ્ણાંત બન્યા પછી, અવનીએ લોકોને, ખેડૂતોને, સ્કૂલ-કોલેજનાં વિદ્યાર્થીઓને પોતાના ફાર્મ પર એક પ્રવાસ અને વર્કશોપ માટે બોલાવવાનું શરૂ કર્યુ છે.
“મારા જેવા ઘણા લોકો છે જેઓ ખેતી કરવા માગે છે અને તેમની પાસે પણ ખાલી જગ્યા છે. પરંતુ તેઓ કેવી રીતે કરવું તે જાણતા નથી? તેથી જ મને વર્કશોપ માટેનો વિચાર આવ્યો. આ વર્કશોપ અલગ અલગ હોય છે એક મહિનાથી લઈને એક વર્ષ સુધી.”
વર્કશોપમાં, તેણી તેના ગ્રાહકોને તેના ફાર્મમાં જમીનના ટુકડા પર ફળો અને શાકભાજી ઉગાડવાની મંજૂરી આપે છે. વર્કશોપમાં તે જૈવિક ખેતી પર બધી જ જાણકારી જેવી કે, જૈવિક ખાતર, પાણી આપાવાની રીતથી લઈને વધારે ઉપજ માટે મલ્ટી-ક્રોપિંગ સુધી વિસ્તારથી જણાવે છે. ક્લાયંટને બીજની સાથે જૈવિક ખાતર પણ આપવામાં આવે છે. ઉપજ ફાર્મ દ્વારા અત્યાર સુધીમાં શહેરી ખેતી અને ઘરના બાગકામ સંબંધિત વિવિધ વિષયો પર 400 થી વધુ વર્કશોપ યોજી છે.

નંદેસરીમાં રહેતી શિવાનીએ 2017 માં અવનીની વર્કશોપ માટે નોંધણી કરાવી હતી. શિવાની વ્યવસાયે HRD મેનેજર છે અને તે બે બાળકોની માતા પણ છે. વર્કશોપ પછી, તેણે અવની પાસેથી બીજ લીધા અને પોતાની શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. તેણી તેના જૈવિક શાકભાજી તેના મિત્રો- સંબંધીઓ અને તેની કંપનીમાંના સહકર્મિઓમાં વહેંચે છે.
શિવાનીએ બેટર ઈન્ડિયાને કહ્યું કે,
“મને હંમેશાં બાગકામનો શોખ હતો અને વર્કશોપ ખૂબ જ ફાયદાકારક હતા. મારા ખેતરની શાકભાજીનો સ્વાદ અને ગુણવત્તા, બજારનાં શાકભાજી કરતા ઘણી સારી છે. ફાર્મ સેટ થયા પછી, મારા બાળકો પણ મને ખેતીમાં મદદ કરે છે.”

જેમ જેમ લોકો અવનીની વર્કશોપમાં વધવા લાગ્યા, તેઓએ તેમના મકાનમાં શાકભાજી ઉગાડવા માટે તેમની પાસેથી બીજ માંગવાનું શરૂ કર્યું. એવામાં, તેને ‘ગ્રો ઇટ યોર સેલ્ફ’ કીટ તૈયાર કરવાનો વિચાર આવ્યો. અવની કહે છે કે, હવે લોકો ઓર્ગેનિક ખોરાક તરફ આગળ વધી રહ્યા છે, પરંતુ જો તમે તેને ખરીદવા જાઓ તો તે મોંઘા હોય છે. દરેક જણ તે ખરીદી શકશે નહીં. વળી, શહેરોમાં રહેતા લોકો માટે પણ જગ્યા મોટી સમસ્યા છે. તેથી એક ફુલ ટાઈમ ફાર્મનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ છે. એવામાં,અવનીની આ કીટ એક સારો વિકલ્પ છે.
હવે અવની બાળકો માટે ખાસ કિટ તૈયાર કરી રહી છે. આ કીટમાં વાસણ અને બીજ ઉપરાંત, એક નાની બુકલેટ પણ હશે, જેમાં ખેતીની પદ્ધતિઓ, શાકભાજીની વાનગીઓ, તેના ફાયદાઓ વગેરે વિશે પણ હશે. જો તમે ઉપજ ફાર્મ વિશે વધુ જાણવા માંગતા હોય અને તેમનો સંપર્ક કરવા માંગતા હો, તો અહીં ક્લિક કરો!
મૂળ લેખ: ગોપી કરેલિયા
આ પણ વાંચો: યુનિક કિચન ગાર્ડનની આ પહેલથી ગુજરાતમાં 2000 ગ્રામિણ પરિવારોને મળી મદદ, 7500 અન્ય કુટુંબોને પણ લાભ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.