Powered by

Home આધુનિક ખેતી ગુજરાતી ખેડૂતનો પક્ષી પ્રેમ, દર વર્ષે પક્ષીઓને દાણા નાખવા માટે ખર્ચે છે 1.5 લાખ રૂપિયા!

ગુજરાતી ખેડૂતનો પક્ષી પ્રેમ, દર વર્ષે પક્ષીઓને દાણા નાખવા માટે ખર્ચે છે 1.5 લાખ રૂપિયા!

મળો ગુજરાતના પક્ષી પ્રેમી પરિવારને, દરરોજ તેમના ઘરે આવે છે 3,000 પક્ષી!

By Nisha Jansari
New Update
Parrot Lover

Parrot Lover

જૂનાગઢ જિલ્લાના હરસુખભાઈ ડોબરીયાને વર્ષ 2017માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે પક્ષીઓના સંરક્ષણ માટે શ્રીશ્રી સમ્માન એવોર્ડ મળ્યો છે. દરરોજ અંદાજે 2,500થી લઈને 3,000 જેટલા પોપટ, ચકલીઓ અને અન્ય પક્ષીઓ હરસુખભાઈના ઘરે આવે છે.

હરસુખભાઈ છેલ્લા 17 વર્ષથી આ પક્ષીઓની દેખરેખ રાખી રહ્યા છે. આની શરૂઆત આકસ્મિક રીતે થઈ હતી. હરસુખભાઈએ બાજરાનું એક ડૂંડૂ તેની બાલકનીમાં રાખ્યું હતું. 2000ના વર્ષમાં હરસુખભાઈને અકસ્માત થયો હતો. જેના પગલે તેમના પગમાં ફ્રેક્ચર આવ્યું હતું. તેઓ જ્યારે ઘરે આરામ કરતા હતા ત્યારે તેમના એક મિત્રો ખેતરથી બાજરાનુ ડૂંડું લઈને આવ્યા હતા. હસરુખભાઈએ આ ડૂંડું તેની બાલ્કનીમાં મૂકી દીધું હતું. આ ડૂંડાને કારણે પોપટ આવવા લાગ્યા હતા. થોડા દિવસોમાં પોપટની સંખ્યા વધવા લાગી હતી, જેનાથી હરસુખભાઈના આનંદનો કોઈ પાર રહ્યો ન હતો.

Harsukhbhai
Harsukhbhai

"બીજા દિવસે મેં જોયું તો બે પોપટ આવ્યા હતા. જે બાદમાં બે, ત્રણ, 10 અને એક મહિનામાં તો 100-150 પોપટ આવવા લાગ્યા હતા. પોપટની સાથે સાથે ચકલીએ પણ દરરોજ મારા ઘરની બાલ્કનીમાં આવવા લાગી હતી," તેમ હરસુખભાઈએ જણાવ્યું હતું.

જોકે, પક્ષીઓ તો આવવા લાગ્યા હતા પરંતુ તેમની સંખ્યા વધી ગઈ હોવાથી તેમના દાણા નાખી શકાય તેવી જગ્યા ન હતી. જે બાદમાં હરસુખભાઈએ અમુક જૂના પાઈપ લીધા અને તેમાં ડ્રીલ કરીને સ્ટેન્ડ બનાવ્યું હતું. તેમણે બાજરાના ડૂંડા આ સ્ટેન્ડમાં ગોઠવવાની શરૂઆત કરી. પક્ષીઓ ત્યાં બેસીને દાણા આરોગતા હતા.

Bird lover

આજે 20 વર્ષ પછી સ્ટેન્ડ એટલું મોટું થઈ ગયું છે કે ત્યાં દરરોજ 3000થી વધારે પક્ષીઓ દાણા ખાઈ શકે છે.

હરસુખભાઈ અને તેનો પરિવાર આ સ્ટેન્ડમાં દિવસમાં બે વખત ડૂંડા બદલે છે. તેમનું માનવું છે કે પક્ષીઓને આ સ્ટેન્ડમાં દાણા ખાવાનું ખૂબ પસંદ પડે છે.

હરસુખભાઈએ પાંચ ચોપડી સુધી અભ્યાસ કર્યો છે. જે બાદમાં તેઓ પરિવારના ગોકુલ ગૃહ ઉદ્યોગમાં મદદ કરવા લાગ્યા હતા. તેઓ દર વર્ષે પક્ષીઓને આા રીતે દાણા નાખવા માટે 1.5 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે. ફક્ત હરસુખભાઈ જ નહીં તેમના પરિવારના તમામ સભ્યોને આ પક્ષીઓ ખૂબ પ્રિય છે.

હરસુખભાઈનો પ્રપૌત્ર ક્રિપાલ જણાવે છે કે, "આ અમારા આખા પરિવારનો શોખ છે. આપણે બ્રાન્ડેડ કપડાં પહેરીએ છીએ ત્યારે એવું કહી શકીએ કે તે ક્યારેય ગંદા નહીં થાય? આપણે કપડાંને ધોઈએ છીએ અને ફરીથી પહેરીએ છીએ. કારણ કે આપણે તેમને પહેરવા માંગીએ છીએ. આ કેસમાં પણ કંઈક એવું જ છે. અમને આ પક્ષીઓ ખૂબ ગમે છે, આથી અમે તેઓ જે ગંદકી કરે છે તેમને સાફ કરીએ છીએ. આ અમારા શોખનો જ એક ભાગ છે."

save nature

શરૂઆતમાં આ પરિવાર શહેરના મધ્યમાં રહેતો હતો. અહીં તેમના ઘરના બાલ્કની ખૂબ નાની હતી. 2012માં જ્યારે પક્ષીઓની સંખ્યા વધવા લાગી ત્યારે હરસુખભાઈએ ગામની બહાર એક ઘર બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના ઘરની બહાર એક ખાસ સ્ટ્રક્ટર બનાવ્યું છે જેનાથી પક્ષીઓ આકર્ષિત થાય છે.

"મારા જૂના ઘરમાં એક એવી સમસ્યા ઊભી થઈ શકતી હતી. કારણ કે દરરોજ પક્ષીઓના અવાજથી કદાચ મારા પાડોશીઓને પરેશાન થઈ શકતા હતા. એવું પણ શક્ય હતું કે પક્ષીઓને અમે જે ખાવા માટે ડૂંડા નાખતા હતા તે બાજુમાં રહેતા લોકોના ઘર કે ફળિયામાં પડી શકતા હતા. જોકે, તેમણે ક્યારેક કોઈ ફરિયાદ કરી ન હતી. આ ઉપરાંત મને પણ એવું લાગતું હતું કે આ પક્ષીઓને થોડી વિશાળ જગ્યાની જરૂરી છે," તેમ હરસુખભાઈએ જણાવ્યું હતું.

દર વર્ષે અને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં હરસુખભાઈ દરેક પ્રકારના પક્ષીઓ તેમના ઘરે આશરો લઈ શકે તે માટે ઘરના દરવાજા ખુલ્લા રાખે છે. દર વર્ષે તેમના ઘરે અસંખ્ય ચકલીઓ માળો બાંધે છે. ખાસ કરીને કોઈ પ્રાણી આ પક્ષીઓને પરેશાન ન કરે તેની કાળજી પરિવાર તરફથી લેવામાં આવે છે. આ ઉપરાંત હરસુખભાઈ તેમના ખેતરમાં ખાસ કરીને તુંબડી ઊગાડે છે. જે બાદમાં તેનો ઉપયોગ ચકલીઓના માળા બનાવવામાં કરે છે. હરસુખભાઈ આસપાસના ખેડૂતોને પણ તુંબડી ઊગાડવાનું કહીને તેમને બી આપે છે.

Harsukhbhai

હરસુખભાઈ પક્ષી પ્રેમી હોવાની સાથે સાથે એક સારા ખેડૂત પણ છે. તેઓ પોતાના ખેતરમાં નવાં નવાં અખતરા કરતા રહે છે. તેમણે બટાકાની એક એવી જાત વિકસાવી છે જે જમીનમાં નહીં પરંતુ વેલા પર થાય છે. તેમણે એક એવો છોડ પણ શોધ્યો છે જે લસણ જેવો સ્વાદ આપે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ સારો છે. ગુજરાત સરકારે હરસુખભાઈનું કૃષિ રત્ન એવોર્ડ આપી સન્માન કર્યું હતું.

"હું માનું છું કે આ પક્ષીઓના આશીર્વાદથી હું જીવનમાં આગળ વધતો રહ્યો છું. હું માનું છું કે પક્ષીઓ અને પ્રાણીઓની દેખરેખ રાખવી એ આપણી ફરજ છે," તેમ હરસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું.

સંપર્ક:

હરસુખભાઈ ડોબરીયા
ગોકુલ ગૃહ ઉદ્યોગ, ઘનશ્યામ નગર,
વેરાવળ રોડ. મું. કેશોદ. તા. જૂનાગઢ
ફોન નંબર: 9638412929
ઇમેઇલ: [email protected]

મૂળ લેખ: માનબી કટોચ

આ પણ વાંચો:12 પાસ ખેડૂતો બનાવી ‘સ્વર્ગારોહણ’ ભઠ્ઠી, માત્ર 70 થી 100 કિલો લાકડાંથી થઈ જશે અગ્નિ સંસ્કાર

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.