Powered by

Home હટકે વ્યવસાય એક સમયે બે ટંકના રોટલાના ફાંફા હતા ત્યા આ કચ્છી કળાથી પરિવારની આવકમાં થયો નોંધપાત્ર વધારો

એક સમયે બે ટંકના રોટલાના ફાંફા હતા ત્યા આ કચ્છી કળાથી પરિવારની આવકમાં થયો નોંધપાત્ર વધારો

કચ્છના એક પ્રવાસે બદલ્યું ખેડૂતનું જીવન, કળાના સહારે આખો પરિવાર બન્યો આત્મનિર્ભર

By Sanjaysinh Rathod
New Update
Kachchhi Art

Kachchhi Art

કહેવાય છે ને કે, "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા." રણ પ્રદેશ હોવા છતાં ગુજરાતનું કચ્છ એક સુંદર રળિયામણો પ્રદેશ છે. કચ્છની કળાઓ માત્ર ગુજરાત કે આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વખણાય છે. હવે ધીરેધીરે કચ્છની સાથે-સાથે બીજા વિસ્તારના લોકો પણ આત્મનિર્ભર થવા માટે કચ્છની આ કળાઓનો સહારો લઈ રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લાના સુરેશભાઈ પટેલ આમ તો ખેડૂત છે અને સાથે-સાથે પશુપાલન પણ કરે છે, પરંતુ જમીન ઓછી ઉપરાંત અનિયમિત વરસાદના કારણે સતત આવકની ખેંચ રહેતી હતી. એટલે તેમણે ખેતીની સાથે-સાથે કઈંક બીજું પણ કરવાનું વિચાર્યું, જેનાથી તેમને નિયમિત આવક મળતી રહે અને બે ટંકના રોટલાની ખેંચ ન પડે.

Gujarati News

આ માટે સુરેશભાઈ અને તેમના પરિવારની આંખો ઠરી કચ્છની આ કળા પર. જેમાં અલગ-અલગ રંગની દોરીઓને વણીને ખાટલા, નાની ખાટલી (શહેરોમાં લોકો બેસવા માટે ઉપયોગમાં લે છે), હીંચકા, તોરણ, ગણપતિ જેવી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે. આ બાબતે થોડું શીખ્યા બાદ સુરેશભાઈ અને તેમનાં પત્ની પોતાની કોઠાસૂજથી અવનવી ડિઝાઇન્સ બનાવતાં શીખી ગયાં છે.

આ બાબતે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સુરેશભાઈએ કહ્યું, "અમારા ઘરમાં બાપ-દાદાઓના સમયથી ખેતી જ થાય છે, પરંતુ મને પહેલાંથી કળામાં બહુ રસ એટલે હું શીખ્યો હતો. ઉપરાંત ખેતીની આવક પણ ઓછી પડતી એટલે હંમેશાં એવું થતું કે, સાથે કઈંક બીજું કરીએ તો બહું ખેંચ ન પડે. એટલે અમે દોરીમાંથી ભરીને આ બધી વસ્તુઓ બનાવવાની શરૂ કરી. શરૂઆતમાં આસપાસના લોકોને તેઓ આ બધી વસ્તુઓ બનાવી આપતા, જે ધીરે-ધીરે લોકોમાં પ્રચલિત થવા લાગી અને હવે બાનાસકાંઠાની સાથે-સાથે પાટણ, અમદાવાદ, મુંબઈ, અમેરિકા અને ઈગ્લેન્ડથી પણ તેમને ઓર્ડર મળવા લાગ્યા છે."

Sureshbhai Patel

સુરેશભાઈ બનાસકાંઠામાં તો કચ્છની આ કળા પણ આંખો કેવી રીતે ઠરી
આ બાબતે વાત કરતાં સુરેશભાઈએ કહ્યું, "અમે એકવાર કચ્છ ફરવા ગયા હતા. ત્યાં અમે ત્યાંના લોકોને આ બધી વસ્તુઓ બનાવી વેચતા જોયા હતા. આ બધુ અમને બહુ જ ગમી ગયું એટલે ઘરે આવ્યા બાદ પહેલાં તો અમે ઘર માટે બનાવ્યું, જે આસપાસના લોકોને ખૂબજ ગમ્યાં. જેથી અમને વિચાર આવ્યો કે, લોકોને આપણી કળા અને કામ ગમે છે તો, આવી જ આલગ-અલગ વસ્તુઓ બનાવી તેનો વ્યવસાય કરવો જોઈએ. જેમાં તેમની કાકાની બે દીકરીઓ આશાબેન અને કાજલબેનને પણ રસ પડ્યો એટલે તેમણે પણ બનાવવાનું શરૂ કર્યું. પછી તેમણે તેમના સોશિયલ મીડિયા દ્વારા થોડો-થોડો પ્રચાર પ્રસાર"

અત્યારે સુરેશભાઈની સાથે-સાથે તેમના પરિવારના 8 સભ્યો પણ આ કામમાં જોડાયા છે. સુરેશભાઈના નાનાભાઈ, બહેનો અને અન્ય એક કુટુંબી ભાઈએ પણ આ કામ શરૂ કર્યું છે. આમ કળાની મદદથી એક ખેડૂત પરિવાર.

જોકે આપણા ત્યાં શહેરોમાં મોટા-મોટા મૉલમાં આ બધી વસ્તુઓ ઊંચા ભાવે મળતી હોય છે, આના મૂળ કારીગરોને કલાકોની મહેનત બાદ પણ નજીવી મજૂરી જ મળતી હોય છે. જેના કારણે લોકો આપણી કળાઓ છોડીને અન્ય મજૂરી કરી રહ્યા છે. તો સુરેશભાઈ લોકોને આપણી આ બધી કળાઓને જાળવવા વિનંતિ કરે છે, જેથી આપણે આપણી આગામી પેઢીને આપણી સંસ્કૃતિ અને કળાનો ભવ્ય વારસો આપી શકીએ. સાથે-સાથે તેઓ લોકોને પણ વિનંતિ કરે છે, આ કારીગરોને પ્રોત્સાહન આપે, જેથી તેમને પૂરતા ભાવ મળી રહે.

જો તમને પણ સુરેશભાઈનું આ કામ ગમ્યું અને તમે પણ તેમની પાસે ખરીદવા ઈચ્છતા હોય તો તેમને આ 9898238869 નંબર પર કૉલ કરી શકો છો.

આ પણ વાંચો:જાણો કેવી રીતે બે ગૃહિણીએ પોતાના સ્વદેશી ઓવનથી અમદાવાદીઓને કર્યા પિઝાના દિવાના

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.