Placeholder canvas

Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ

Best Of 2021: આ 5 સસ્ટેનેબલ ઘર રહ્યાં છે ટૉપ પર, જે લોકોને ગમ્યાં છે ખૂબજ

વર્ષ 2021ની પૂર્ણાહૂતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતનાં 5 એવાં ઘર અંગે, જેમના ઘરે બધી જ સુખ-સુવિધાઓ હોવા છતાં વિજળી-પાણી અને શાકનો ખર્ચ છે નહિવત. જીવન જીવે છે પર્યાવરણને અનુકૂળ.

આધુનિક યુગમાં વધતી-જતી મોંઘવારીના કારણે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે. દરેક વસ્તુ બજારમાં ઉંચા ભાવે મળતી હોવાથી મહિને હજારો રૂપિયાનો ખર્ચ આવે છે અને બચતના નામે મીંડુ થાય છે. ત્યારે શું તમે તમારી આસપાસ એવું કોઈ ઘર જોયું છે, જેમને દર મહીને શાકભાજી, ફળ, લાઈટ બિલ, પાણી બિલ, ગેસ બિલ વગેરેનો શૂન્ય અથવા નજીવો ખર્ચ આવતો હોય! છતાં ઘરમાં પ્રવેશતાં જ ઘર નંદનવન જેવું લાગે અને  કુદરતના સાનિધ્યમાં છીએ તેવો અનુભાવ થાય. સાંભળીને ચોંકી ગયા ને…. તો ચાલો જાણીએ ગુજરાતના વિવિધ વિસ્તારમાં આવેલ આવા જ સન્ટેબલ ઘર વિશે જે તમને 21મી સદીમાં પણ તેમના બાંધકામ અને વિવિધ સુવિધાઓથી અહલાદક અનુભવ કરાવશે. આ 5 ગુજરાતનાં એવાં ઘરે છે, જેઓ વર્ષ 2021 માં લોકો માટે આકર્ષણરૂપ બન્યાં છે અને તેમાં રહેતા લોકો પણ પર્યાવરણને અનુકૂળ જીવન જીવે છે.

અમરીષ પટેલ
આધુનિક સમયમાં દરેક વ્યક્તિને પર્યાવરણને બચાવવવા પોતાનાથી શક્ય તેટલી મદદ કરવી જ જોઈએ, પરંતુ જો તમે કઈં ન કરી શકો તો, એટલો પ્રયત્ન તો ખાસ કરવો જોઈએ કે, તમારા કારણે પર્યાવરણને નુકસાન ન થાય. આ શબ્દો છે અમદાવાદના થલતેજમાં રહેતા સોશિયલ વર્કર અમરીષ પટેલના જેઓ સ્વાસ્થ્ય અંતર્ગત કોઈપણ રોગ એટલે કે એસિડિટીથી લઈને કેન્સર સુધીની સારવાર મફતમાં કરે છે. જેમના ઘરમાં 8 એસી, 20 પંખા અને 3 ફ્રિજ સહિત બધી જ સુવિધાઓ હોવા છતાં ‘ઝીરો’ લાઈટબિલ આવે છે અને ઉપરથી 2-3 હજાર ક્રેડિટ રહે છે. આંગણ અને ધાબા પર 150થી પણ વધારે ઝાડ- છોડની અદભુત હરિયાળી છે જેના કારણે તેમને સવારે પ્રેમથી પક્ષીઓ જગાડે છે. કારણે કે, તેમણે પોતાના ઘરમાં સોલાર પેનલ, સોલાર હિટર અને ગાર્ડનિંગ કર્યુ છે. હવે બીજા ધાબામાં તેઓ વેજિટેબલ ગાર્ડન બનાવવાની તૈયારી કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં એકપણ શાકભાજી બજારમાંથી લાવવાની જરૂર ન પડે. આટલા સ્વસ્થ જીવનના કારણે અમરીષભાઈનાં માતા 80 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ છે.

sustainable house amrish patel


છેલ્લાં 10 વર્ષથી અમરીષભાઈએ ઘરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ લગભગ બંધ કર્યો છે. તેમણે અલગ-અલગ માપની કાપડની થેલીઓ વસાવી રાખી છે. જો ભૂલથી પણ પ્લાસ્ટિક આવી જાય તો તેને કચરામાં ફેંકવાની જગ્યાએ રિયૂઝ કે રિસાયકલમાં ઉપયોગમાં લે છે. વર્ષો સુધી અમેરિકામાં લૉન્સ એન્જેલસમાં રહીને આવેલ અમરીશભાઈ અહીં RO ના પાણીનો પણ ઉપયોગ નથી કરતા.

જયદીપસિંહ અને ઈંદુબા
સૌરાષ્ટ્રમાં રહેતું આ શિક્ષક દંપતિ આધુનિક સુવિધાઓ સાથે જીવે છે સાત્વિક જીવન. આપણે વાત કરી રહ્યા છીએ.. ગીર સોમનાથ તાલુકાના ઉના ગામમાં રહેતા શિક્ષક જયદીપસિંહ પોતાના પરિવાર સાથે એક સસ્ટેનેબલ ઘરમાં ગ્રીન લાઈફસ્ટાઈલ વિતાવી રહ્યા છે. તેમના ઘરમાં સોલર હીટર, સોલાર પેનલ વસાવી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં મોટાભાગે પાણીની અછત જોવા મળે છે એટલે વરસાદના પાણીના સંગ્રહ માટે 17,000 લિટરની ટાંકી બનાવડાવી છે. જેમાં ટાંકી ભરાયા બાદ વધારાના પાણીથી આંગણમાં રહેલ કૂવો રિચાર્જ થાય છે. જયદીપભાઈના ઘરમાં 2 ટીવી, ઘરની લાઈટ, પંખા, ફ્રિઝ, પાણીની મોટર બધુ જ સોલાર પર ચાલે છે. તદ્ઉપરાંત તેમણે ઈન્ડક્શન કૂકટોપ વસાવ્યું છે, જે ઘરે જ ઉત્પન્ન થઈ વિજળીથી ચાલે છે, એટલે એલપીજીનો પણ બચાવ થાય છે. અત્યારે તેમના ઘરમાં તેઓ વાપરે છે તેનાથી લગભગ બમણી સોલાર એનર્જી ઉત્પન્ન થાય છે. જેના તેમને પૈસા પણ મળે છે. જયદીપભાઈના ઘરમાં સોલર સિસ્ટમ લગાવ્યા બાદ તેમાંથી પ્રેરિત થઈને અન્ય 12 લોકોએ પણ પોતાના ધાબા પર સોલર પેનલ લગાવડાવી છે. જયદીપભાઈનાં પત્ની ઈંદુબા પોતાના ઘરમાં ધાબા પર, આસપાસની ખાલી જગ્યા અને સોસાયટીના એક ખાલી પ્લોટમાં ઓર્ગેનિક કિચન ગાર્ડનિંગ કરી રહ્યા છે. જેમાંથી ઘરના ઉપયોગમાં લેવાતી મોટાભાગની શાકભાજી મળી રહે છે. ઈંદુબાનો પ્રકૃતિપ્રેમ પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે પણ અદભુત છે. ઘરની આસપાસ ગાય-કૂતરાં માટે પાણીનાં કુંડા મૂક્યાં છે અને ઘરમાં અલગ-અલગ પક્ષીઓ માટે સુંદર માળા બનાવીને પણ ગોઠવ્યા છે. આ પક્ષીઓ માટે સંપૂર્ણ સુવિધા ઘરમાં જ છે. તદ્ઉપરાંત શાળા સિવાયના સમયમાં તેઓ શાળાની દીકરીઓને વિવિધ હસ્તકળાઓ શીખવાડે છે. જેથી ભવિષ્યમાં તેઓ આત્મનિર્ભર બની શકે અને પરિવારને મદદરૂપ બની શકે. સાથે જ શાળાના પ્રાંગણમાં વધારાની જગ્યામાં તેમણે શાકભાજી વાવ્યાં છે, જેથી મધ્યાહન ભોજનમાં તેનો ઉપયોગ કરી શકાય અને બાળકોને પૌષ્ટિક ભોજન આપી શકાય.

Sustainable House Una

મહેશભાઈ ગોર અને પ્રતિભાબેન
રણ પ્રદેશમાં પણ હરિયાળીનો અનુભવ કરાવે છે ભુજમાં રહેતા મહેશભાઈ ગોર અને પ્રતિભાબેનનું આ આદર્શ ઘર.. આ દંપતિના ઘરે ક્યારેય પાણીની તૂટ કે લાઈટબિલની ઝંઝટ રહેતી નથી. કારણ કે, વિજળી માટે સોલર પેનલનો ઉપયોગ કરે છે અને સાથે જ ઘરમાં સોલર વૉટર હીટર અને સોલર કૂકરની પણ સુવિધા છે. રિટાયર્ડ મહેશભાઈ ગોર કુદરતને અનુરૂપ થઈને જીવન જીવે છે. તેમણે આખા પ્લોટમાં મોટો બંગલો બાંધવાની જગ્યાએ જરૂર પૂરતું જ ઘર બનાવ્યું છે અને આસપાસની ખાલી જગ્યામાં ઝાડ-છોડ વાવ્યાં. જેથી ઘરે વાવેલ શાકભાજી અને ફળો મળી રહે અને પ્રાણીઓ-પક્ષીઓને પણ કુદરતનું સાનિધ્ય મળી રહે. ચોમાસામાં જ્યારે પણ વરસાદ આવે ત્યારે તેઓ વરસાદનું પાણી ઘરે બનાવેલ ભૂગર્ભ ટાંકામાં ઉતારે છે, જેથી જરૂર સમયે આ પાણીનો ઉપયોગ થઈ શકે, અને ચોમાસા દરમિયાન વરસાદનું ટીંપુ પણ વહી ન જાય.

Eco Friendly Living At Bhuj

મહેશભાઈનાં પત્ની પ્રતિભાબેન સ્કૂલમાં આસિસ્ટન્ટ પ્રિન્સિપાલ છે અને તેઓ પણ કુદરતને અનુરૂપ થઈને જીવવાનું પસંદ કરે છે. એટલે જ મોટાભાગની રસોઈ સોલર કૂકરમાં જ બનાવે છે, માત્ર રોટલી બનાવવા માટે જ ગેસ સ્ટવનો ઉપયોગ કરે છે. પ્રતિભાબેનને પ્રાણીઓ અને પક્ષીઓ સાથે ખૂબ જ લાગણી છે. ક્યાંકથી ભૂલી પડેલ બિલાડીઓ અત્યારે તેમના ઘરના સભ્યની જેમ જ એટલા જ હકથી સાથે રહે છે. તેઓ માટીની નાનકડી માટલીનો ઉપયોગ પણ ચકલીના માળા તરીકે ઉપયોગ લે છે. ઘરની આસપાસ તેમણે વિવિધ ફળ-શાકભાજી વાવેલ છે. જેમાં તેઓ કિચન વેસ્ટનો ઉપયોગ ખાતર તરીકે કરે છે. તેઓ પાકેલી વસ્તુને ફેંકવાની જગ્યાએ ગાર્ડનમાં જ નાખી દે છે જેથી વિવિધ વસ્તુઓ ઉગતી જાય છે. આ દંપતિ શક્ય એટલી રીતે પર્યાવરણને અનુરૂપ થઈ જીવવાનું પસંદ કરે છે અને સામે પર્યાવરણ પણ તેમને એટલા જ સંતોષનો આનંદ આપે છે.

કૈલાશબેન
જેમના ઘરે પંદર દિવસે માંડ-માંડ એકવાર પાણી આવતું તેમના ઘરે ત્રણ વર્ષ સુધી ચાલી રહે એટલા પાણીનો સંગ્રહ છે. અમરેલીમાં રહેતા પ્રોફેસર કૈલાશબેન કરકરના ઈકો ફ્રેન્ડલી ઘરને ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2003-2004માં આદર્શ ઘરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બે દાયકા પહેલા માત્ર 2 લાખ 80 હજારમાં કૈલાશબેન અને તેમના પતિ દ્વારા કોઈપણ આર્કિટેકની મદદ વગર માત્ર કોઠાસૂઝથી બનાવ્યું છે. આ ઘરમાં કુદરતી પવન અને તેની દિશા દ્વારા વીજળીનો બચાવ કરવામાં આવ્યો છે. સાથે જ રેઇન વૉટર હાર્વેસ્ટિંગ ( વરસાદના પાણીનો સંગ્રહ) ની અદભૂત યોજના પણ બનાવવામાં આવી છે. જે માટે ફળિયામાં 20,000 હજાર લીટર અને ઓસરીમાં 8000 હજાર લીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતી ટાંકી બનાવી છે. ઓસરીની ટાંકીમાં વરસાદી પાણીની સાથે મ્યુનિસિપલનું પાણી પણ આવી શકે. મ્યુનિસિપલનું પાણી પાછું ન જાય તે વન વે વાલ્વ તેમને જાતે જ દસ રૂપિયામાં બનાવ્યો છે જે વીસ વર્ષથી ઉપયોગમાં છે. વરસાદી પાણીના સંગ્રહની એવી રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે, અમરેલીમાં 20 ઇંચ વરસાદ પડ્યો હતો, છતાં અગાશી અને આંગણમાંથી એક ટીંપુ પણ પાણી બહાર નહોંતુ નીકળ્યું. તે સાથે કિચન ગાર્ડનિંગ માટે અલગ જમીન ફાળવવામાં આવી છે. જેમાં દરેક શાકભાજી અને ફળ ઝાડ ઉગાડવામાં આવે છે. તે સિવાય ઋતુગત શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવે છે. ઘરમાં એક બીજી રીતે પણ પાણી વપરાશમાં લેવાય છે જેમાં કપડાં ધોવા અને ટોઇલેટ માટે ઉપયોગમાં લેવાતા પાણી સિવાય બીજું દરેક વપરાશ માટેનું પાણી એક સુવ્યવસ્થિત વ્યવસ્થા દ્વારા આસપાસ જે કિચન ગાર્ડનિંગ અને છોડવાઓને તેમના પિયત માટે આપોઆપ અપાઈ જાય છે. તે સિવાય અગાશી પરના ટાંકામાંથી પાણી ઓવર ફલૉ થાય તે પાણી પણ આપોઆપ કનેકશન આપેલ છે તે દ્વારા ઝાડ છોડના ક્યારાઓમાં અપાઈ જાય. ટપક સિંચાઈ પધ્ધતિનો પણ ઉપયોગ કરેલ છે. સોલાર પેનલ દ્વારા વર્ષે 10,000 રૂપિયાની વીજળી સરકારને વેંચવામાં આવે છે. ધાબામાં એક સોલર વૉટર હીટર પણ છે. તેમના આ ઘરે વનરાજીમાં માણવા સંખ્યાબંધ પક્ષીઓ પણ વસવાટ કરે છે.

Kanubhai Karkar

જિનલ પટેલ
એક એવુ ફાર્મ હાઉસ આવેલુ છે જ્યાં પ્રવેશતાં જ સ્વર્ગની અનુભૂતિ થાય છે જેમાં પર્યાવરણનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદ નજીક થોળ પાસે આવેલ કલરવ ફાર્મહાઉસમાં બધી જ સુવિધાઓ હોવા છતાં વિજળીનું બિલ આવતું નથી. અમદાવાદના VPA ARCHITECTS_LANDSCAPE ના જિનલ પટેલ અને તેમની ટીમે 3000 વારની જગ્યા પર ઊભુ કરેલ કલરવ ફાર્મ હાઉસમાં ઘર વપરાશના પાણીને રિસાયકલ એક અંગત તળાવમાં ભેગુ કરવામાં આવે છે જેનાથી હરિયાળી ઊગી નીકળે છે. સાથે જ પર્યાવરણીય પાંસાઓને મજબૂત કરવા માટે અલગ-અલગ સંરચનાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. જેમ કે, બાંધકામનો વિસ્તાર એકદમ જરૂરિયાત પૂરતો રાખી બાકીના વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી છોડ-વૃક્ષોને રોપવામાં આવ્યા છે. બાંધકામમાં વાપરવામાં આવેલ મટીરીયલ પર્યાવરણને હાનિકારક ન હોય તેવા જ ઉપયોગમાં લેવાયા છે, જ્યાં જરૂર લાગે ત્યાં જૂની વસ્તુઓને રિસાયકલ કરી ઉપયોગમાં લેવામાં આવી છે, મિયાવાકી પદ્ધતિથી પ્લાન્ટેશન દ્વારા લોકોના મગજમાંથી ઘરના બગીચાના બાંધકામમાં ફક્ત લોન હોવી એ જ ગાર્ડન છે તે રૂઢિગત વિચાર તોડવા માટેનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. બાંધકામ માટે દીવાલો ઈંટની જ બનાવી છે, પરંતુ તેમાં લાઈન પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. તે સિવાય વાંસની સ્ક્રિન, તળિયાના નિર્માણ માટે કોટા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘરની સિડી પોળોમાં જે સિડી હોય છે તેને રિસાયકલ કરીને બનાવવામાં આવી છે. છત ફેબ્રિકેશનની (સ્ટીલ સ્ટ્રક્ચર) બનાવેલી છે અને ઘરમાં વ્યવસ્થિત રીતે હવા ઉજાસ રહે તે રીતનું પ્લાંનિંગ કહેવામાં આવ્યું છે. સાથે અહીંયા સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે. કલરવમાં જે તળાવ બનાવવામાં આવ્યું છે તેમાં નીચેનું લેયર લીલીપોન્ડ –એક્વા ક્લચર, નીચે શેવાળ અને માછલીઓ પણ તેમાં રહે તે રીતે બનાવેલ છે. મચ્છરોનો ઉપદ્રવ અટકાવતા અમુક છોડ પણ છે. સૌથી વધારે ભાર લોકો ઇન્ડોર કરતા આઉટ ડોર રહે તેના પર આપવામાં આવ્યો છે.

VPA ARCHITECTURE

તો કેવાં લાગ્યાં ગુજરાતનાં આ સસ્ટેનેબલ ઘર તમને? તમે ક્યારે વિચારો છો આમાંનું કઈંક એક પણ તમારા ઘરે કરવાનું?

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 10-15 હજારમાં બનતાં કચ્છી ભૂંગાં બચાવે ધરતીકંપ અને રેતીનાં તોફાનોથી, બાંધકામ છે અનોખુ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.

Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.

Support the biggest positivity movement section image Support the biggest positivity movement section image

This story made me

  • feel inspired icon
    97
  • more aware icon
    121
  • better informative icon
    89
  • do something icon
    167

Tell Us More

 
X