Powered by

Home આધુનિક ખેતી સુરતનો આ ખેડૂત કોઈપણ જાતના માર્કેટિંગ વગર અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સુધી વેચે છે ઑર્ગેનિક ગોળ

સુરતનો આ ખેડૂત કોઈપણ જાતના માર્કેટિંગ વગર અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સુધી વેચે છે ઑર્ગેનિક ગોળ

સુરતના માંડવી તાલુકાના ગોવિંદ વઘાસિયા છેલ્લાં 35 વર્ષથી શેરડીની ખેતી કરે છે. વર્ષો પહેલાં, તેમના પિતા પાક વેચવા માટે સારા ભાવ કે બજાર પર નિર્ભર રહેતા હતા. પરંતુ આજે તેઓ પોતાનાં ઉત્પાદનોની કિંમત જાતે જ નક્કી કરે છે અને ઘણા ટન ગોળ વેચી સારો નફો કમાય છે.

By Mansi Patel
New Update
Successful Gujarat Farmer

Successful Gujarat Farmer

ખેતરમાં તૈયાર થતા ઉત્પાદનોને વેચવા માટે ખેડૂત જો બજાર ભાવ ઉપર નિર્ભર રહેશે, તો તે ક્યારેય ઇચ્છિત ભાવ મેળવી શકશે નહીં. લગભગ 30 વર્ષ પહેલાં, સુરતના ગોવિંદભાઈ વઘાસિયા (Successful Gujarat Farmer) લણણીના લગભગ નવ મહિના પછી પણ તેમના શેરડીના પાકના વાજબી ભાવની રાહ જોતા હતા.

ત્યારે જ તેમણે નક્કી કર્યું કે શેરડી વેચવાને બદલે પોતાનો ગોળ કેમ ન બનાવવો જોઈએ. જોકે તેમણે તેમના પિતા પાસેથી ગોળ બનાવવાની સાચી તકનીક શીખી હતી, પરંતુ તેઓ ખેતીને યોગ્ય વ્યવસાય બનાવવા માંગતા હતા, તેથી તેમણે કૃષિ યુનિવર્સિટીનો સંપર્ક કર્યો.

તેમને યુનિવર્સિટી તરફથી માર્ગદર્શન મળ્યું કે આ રીતે ખેડૂત તેના પાકનો માલિક છે. આ સાથે, કૃષિ ક્ષેત્રે સારો નફો કેવી રીતે મેળવવો તે પણ જાણ્યું.

તેમણે પોતાની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાની બ્રાન્ડ નામથી ગોળ બનાવવાનું શરૂ કર્યું. તેમણે એક નાના ફેરફારથી શરૂઆત કરી હતી અને આજે તેમનો ગોળ બનાવવાનો પ્લાન્ટ લગભગ 350 લોકોને રોજગારી આપે છે. છેલ્લા 10 વર્ષથી તેઓ ઓર્ગેનિક ગોળ પણ બનાવી રહ્યા છે.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તેઓ કહે છે, “10 કિલો ગોળ લઈ જતો ગ્રાહક, આવતા વર્ષે 100 કિલો ગોળ લેવા અમારી પાસે આવે છે. મારા માટે આ મારી સફળતા અને નફો છે.”

Sugarcane Farmer

તે પોતાના પિતાના શબ્દોને પોતાના જીવનનો સિદ્ધાંત માને છે. તેના પિતા કહેતા હતા કે દુનિયાના અન્ય કોઈ વ્યવસાયને બદલે જો તમે ખેતીમાં સખત મહેનત કરશો તો તમે માનસિક શાંતિની સાથે સારો નફો પણ મેળવી શકશો.

ખેતીમાં તેમની આવક વધારવા માટે, તે સતત કંઈક શીખતા રહે છે. પછી ભલે તે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો હોય અથવા નવી પ્રોડક્ટ્સ બનાવવાનો હોય.

ઓર્ગેનિક પદ્ધતિઓ દ્વારા નફો વધ્યો
ગોવિંદભાઈ અગાઉ રાસાયણિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને વીઘા દીઠ માત્ર 20 થી 22 ટન શેરડી ઉગાડવામાં સક્ષમ હતા. જ્યારે ગાય આધારિત ઓર્ગેનિક પદ્ધતિમાં તે એક વીઘામાંથી 28 થી 30 ટન ઉત્પાદન મેળવે છે, જે સ્વાદ અને ગુણવત્તામાં પણ અનેકગણી સારી છે. ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવાનો બીજો ફાયદો સમજાવતાં તેઓ કહે છે, “જ્યારે અમે રસાયણોનો ઉપયોગ કરીને શેરડી ઉગાડતા હતા, ત્યારે પ્રથમ વર્ષમાં ઉત્પાદન સારું હતું, પરંતુ બીજા વર્ષે શેરડીની ગુણવત્તા અને ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થતો હતો. જ્યારે ઓર્ગેનિક પદ્ધતિ અપનાવીને આ બધી સમસ્યાઓનો અંત આવ્યો.”

એક ટન શેરડીમાંથી તે લગભગ 120 કિલો ગોળનું ઉત્પાદન કરે છે. આ રીતે તેના ખેતરમાં લાગેલાં પ્લાન્ટમાં દરરોજ 11 હજાર કિલો ગોળનું ઉત્પાદન થાય છે.

Organic Jaggery

તેમની પાસે લગભગ 100 એકર ખેતીની જમીન છે, જેમાં તે 22 એકર જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ઓર્ગેનિક પ્રોડક્ટ્સની માંગ જોઈને, તે આગામી દિવસોમાં પોતાના ખેતરોને વધુને વધુ કેમિકલ મુક્ત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવતા વર્ષે તે ઓર્ગેનિક મગફળીમાંથી તેલ બનાવવાનું શરૂ કરશે.

ખેતીનાં કચરામાંથી બનાવે છે ઉત્તમ ખાતર
ગોવિંદભાઈ ખેતર તૈયાર કરવા માટે ખૂબ જ સસ્તી અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની ટેક્નિકનો ઉપયોગ કરે છે, જે વેલ્યૂ એડિશન કર્યા પછી જ શક્ય બન્યું. ગોળ બનાવ્યા બાદ, તે શેરડીની બાકીની છાલને ગાયના છાણમાં ભેળવીને ખાતર બનાવે છે. તેમણે કહ્યું, “શેરડીની મીઠાશને કારણે, તેની છાલમાંથી ઉત્તમ વર્મી ખાતર તૈયાર થાય છે. જોકે, આ ખાતર બનાવવામાં ઘણો સમય લાગે છે. પરંતુ તેનાથી આપણી જમીન ઘણી નરમ બની જાય છે.”

આ રીતે, ઓર્ગેનિક પદ્ધતિઓ અપનાવીને, તેમને બહારથી કંઈપણ ખરીદવું પડતું નથી. જો કે, ઓર્ગેનિક ખેતીમાં જોડાવાની પ્રેરણા તેના ગ્રાહકો તરફથી મળી. ઘણા ગ્રાહકો તેમની પાસેથી ઓર્ગેનિક ગોળની માંગ કરતા હતા, ત્યારે જ તેમને સમજાયું કે ઓર્ગેનિક પદ્ધતિઓ તેમના ખેતર માટે સારી છે, અને લોકો તેને ખુશીથી ખરીદશે.

How To Increase Farm Profit

ગોળમાંથી બનેલી તેમની પ્રોડક્ટ વિદેશમાં જાય છે
આટલા મોટા પાયે ઉત્પાદન હોવા છતાં, તે કોઈપણ પ્રકારનું માર્કેટિંગ વગેરે કરતા નથી. તેમજ સોશિયલ મીડિયા પર તેની કોઈ વેબસાઈટ કે એકાઉન્ટ નથી. તેઓ કહે છે, “વર્ષોથી, ઘણા રિસેલર અમારી પાસેથી ગોળ લઈને ગુજરાતભરમાં વેચી રહ્યા છે. એ જ રીતે, અમારી ગુણવત્તા જોઈને અમેરિકા, કેનેડા અને યુરોપ જેવા દેશોના લોકો પણ ફોન દ્વારા ઓર્ડર આપે છે.”

ગોળના એક કિલો પેકિંગથી લઈને 10 અને 15 કિલો બોક્સ તેમના કારખાનામાં બનાવવામાં આવે છે. તો, તેની ફેક્ટરીમાં ખાંડની જગ્યાએ વપરાતો ગોળનો પાવડર અને બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક ગોળની ચોકલેટની પણ ખૂબ માંગ છે.

ગુજરાતના ઘણા ખેડૂતો હવે ગાય આધારિત ખેતીમાં જોડાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેઓ ગોળનો ઉપયોગ ખાતર બનાવવા માટે પણ કરે છે. ગુજરાતભરના 27 થી 30 જેટલા ખેડૂતો તેમના ખેતર માટે જીવામૃત ખાતર બનાવવા માટે વઘાસિયા ફાર્મમાંથી ગોળ લે છે. આગામી દિવસોમાં તે પોતાના પ્લાન્ટમાં ઓટોમેટિક મશીનો લાવવા જઈ રહ્યા છે, જેથી ઉત્પાદન વધુ સારું થઈ શકે.

તમે વઘાસિયા ફાર્મમાં બનાવેલ પારસ મોતી ગોળ અથવા અન્ય પ્રોડક્ટ ખરીદવા માટે તેમનો 8000799941, 9909918816 પર સંપર્ક કરો.

મૂળ લેખ: પ્રીતિ ટૌંક

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો:ગાય આધારિત ખેતી & પ્રોસેસિંગ કરી કમાણી દોઢ ગણી અને ખર્ચ અડધો કર્યો જામનગરના આ ખેડૂતે

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.