/gujarati-betterindia/media/post_attachments/2022/01/Untitled-design-15.jpg)
Bhagavanbhai Rupapara
ગુજરાતના ભગવાનજીભાઈ રૂપાપરાએ તેમના ગામમાં 2500 નાના-મોટા માટલાઓથી એવું પક્ષી ઘર બનાવ્યું છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
હજારો માટલાઓ સાથેનું આ શિવલિંગ આકારનું માળખું કોઈ થીમ પાર્ક નથી પરંતુ ગુજરાતના નવી સાંકળી ગામના ચાર ધોરણ સુધી જ ભણેલા ખેડૂત ભગવાનજીભાઈ દ્વારા બનાવવામાં આવેલ પક્ષી ઘર છે.
ગુજરાતના ભગવાનજીભાઈનો પક્ષીઓ માટેનો પ્રેમ એટલો હતો કે તેમણે ગમે તેટલા ખર્ચની પરવા કર્યા વિના પક્ષીઓ માટે આવું ઘર બનાવ્યું છે. ઘર બનાવવા માટે આપણે બધા વારંવાર આર્કિટેક્ટથી લઈને ઈન્ટિરિયર ડિઝાઈનરની મદદ લઈએ છીએ, પરંતુ ભગવાનજીભાઈએ પોતાની સમજણથી 140 ફૂટ લાંબુ અને 40 ફૂટ ઊંચું બર્ડ હાઉસ તૈયાર કર્યું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ માટે તેમણે લગભગ 20 લાખ રૂપિયા ખર્ચ્યા છે. જેમાં તેમણે 2500 જેટલા નાના-મોટા માટલાઓને એવી રીતે શણગાર્યા છે કે તેમાં અનેક પ્રકારના પક્ષીઓ પોતાનું ઘર બનાવી શકે.
આ પણ વાંચો:કચ્છના કોલેજીયન યુવાનોને શરૂ કર્યું ચકલી બચાવ અભિયાન, ફ્રી સમયમાં બાંધ્યા 7 હજાર+ માળા
વર્ષોથી ભગવાનજીભાઈને ચિંતા સતાવતી હતી કે આ પક્ષીઓ વરસાદમાં ક્યાં રહેશે. પછી શું હતું, તેમણે પોતે જ પક્ષીઓની આ સમસ્યાનું નિરાકરણ કર્યું. તેમના દ્વારા બનાવવામાં આવેલ આ સુંદર પક્ષી ઘર તેમના નાના ગામની ઓળખ બની ગયું છે. આ કામમાં તેમના પરિવારના અન્ય સભ્યોએ પણ તેમને સાથ આપ્યો હતો.
આ અનોખા પક્ષી ઘરને તૈયાર કરવામાં ભગવાનજીભાઈને લગભગ એક વર્ષનો સમય લાગ્યો હતો. 75 વર્ષના ભગવાનજીકાક્કા કહે છે કે, “ભગવાનની કૃપાથી હું આર્થિક રીતે સક્ષમ છું. મેં વિચાર્યું કે શા માટે હું આ અબોલ જીવો માટે કામ ન કરું. પક્ષીઓ આપણી પાસે મદદ માંગી શકતા નથી, પરંતુ આપણે આગળ વધીને તેમને મદદ કરવી પડશે.
/gujarati-betterindia/media/post_attachments/2022/01/Untitled-design-14-1024x580.jpg)
આ પણ વાંચો:ગાયના છાણ અને બીજના કાગળમાંથી કંકોત્રી બનાવડાવી ઉપલેટાના વ્યાપારીએ દિકરીનાં લગ્ન કર્યાં યાદગાર
75 વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના 100 એકર ખેતરનું સંચાલન કરે છે. જ્યારે તેમના બંને પુત્રો એગ્રો કંપની ચલાવે છે. અગાઉ તેમણે ગામમાં શિવ મંદિર પણ બનાવ્યું હતું અને આજે તેમણે શિવલિંગના આકારમાં આ પક્ષી ઘર પણ બનાવ્યું છે.
આજે આ પક્ષી ગૃહમાં કબૂતર, પોપટ સહિત અનેક પ્રકારના પક્ષીઓ રહે છે સાથે સાથે તે તેમના ગામની એક એવી ઓળખ પણ બની ગયું છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો:ગરમીમાં ત્રાસદી ભોગવતા મજૂરોને જોઈ મોરબીના બે ભાઈઓએ શરુ કર્યું વૃક્ષારોપણ અભિયાન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને [email protected] પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.