વીજળી કનેક્શન વગર પણ આ ચાના સ્ટોલ ઉપર બળે છે 9 લાઈટો અને FM રેડિયો પણ વાગે છે

અંધારાને કારણે ગ્રાહકો ગુમાવતા હતા હવે સોલર પેનલથી વીજળી ઉત્પન્ન કરીને રાત-દિવસ રહે છે અજવાળુ અને ગ્રાહકોનો પણ રહે છે ધમધમાટ

Chaiwala Using Solar Power

Chaiwala Using Solar Power

છેલ્લા કેટલાક સમયથી ભારતમાં વીજળીની સમસ્યાને લઈને સમાચાર આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કોલસાની અછતને કારણે થર્મલ પ્લાન્ટ્સમાં વીજળીનું ઉત્પાદન નથી થઈ રહ્યું. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી ઑફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, ભારતમાં લગભગ 80% પ્લાન્ટ જ્યાં કોલસામાંથી વીજળી ઉત્પન્ન થાય છે તે 'સુપરક્રિટિકલ' સ્થિતિમાં છે. જેના કારણે રાજસ્થાન, બિહાર જેવા રાજ્યોમાં 14 કલાકથી વધુનો પાવર કટ થઈ રહ્યો છે.

કોલસો હજુ પણ ભારતમાં મોટાભાગની વીજળી ઉત્પન્ન કરે છે. જે પર્યાવરણની દૃષ્ટિએ યોગ્ય નથી અને સાથે જ તે મોંઘું પણ છે. તેથી વીજ કાપ, અને વધેલા વીજ બિલ ઘણા લોકો માટે સમસ્યા બની ગયા છે. આવી સ્થિતિમાં, હવે વીજળી માટે સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા કુદરતી સ્ત્રોતો પર નિર્ભરતા વધારવાની જરૂર છે. આ કુદરતી સંસાધનો માત્ર ઔદ્યોગિક અને રહેણાંક માટે જ નહીં, પરંતુ નાના સ્ટોલ વગેરે ચલાવતા લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ રહ્યાં છે.

તમિલનાડુના ચેન્નાઈમાં મહિન્દ્રા વર્લ્ડ સિટીમાં પોતાનો ચાનો સ્ટોલ ચલાવતા એસ.કે. દામોદરન છેલ્લા છ મહિનાથી સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે તેમને ન તો વીજળીની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે અને ન તો છ મહિનાથી વીજળી માટે અન્યત્ર પૈસા ખર્ચવા પડ્યા છે. દામોદરન જણાવે છે કે તેમની 150-વોટની બે સોલાર પેનલમાં 10-વોટની નવ લાઇટ અને એક એફએમ રેડિયો તેમના સ્ટોલમાં સરળતાથી ચાલે છે.

youtubeમાંથી મળી પ્રેરણા
દામોદરન જણાવે છે કે, “છેલ્લા ત્રણ વર્ષથી અમે આ ચા સ્ટોલ ચલાવીએ છીએ. અમારા આ રોડસાઈડ સ્ટોલ પર વીજળી નહોતી. આવી સ્થિતિમાં, અમારી પાસે ડીઝલ જનરેટરનો ઉપયોગ કરવાનો વિકલ્પ હતો. પરંતુ જો અમે ડીઝલ જનરેટરનો ઉપયોગ કર્યો હોત, તો તે અમને મોંઘું પડત અને સાથે જ પ્રદૂષણ પણ થતુ."

એટલા માટે તે ઈચ્છતા હતા કે વીજળીની કોઈ બીજી રીતે વ્યવસ્થા કરવામાં આવે. કારણ કે દિવસ દરમિયાન બધું સારું રહેતુ હતું, પરંતુ રાત્રે ખૂબ જ અંધારું થઈ જતુ હતું. દામોદરન કહે છે કે મહિન્દ્રા ટેક સિટીમાં બધી સારી કંપનીઓ છે અને સાંજ અને રાત્રિ દરમિયાન અહીં ખૂબ ભીડ થાય છે. કારણ કે બ્રેકના સમય દરમિયાન તમામ કર્મચારીઓ નજીકના સ્ટોલ પર ખાવા-પીવાની કે ચાની મજા માણવા આવે છે.

પરંતુ તેના સ્ટોલ પર ફક્ત રિચાર્જેબલ લેમ્પ હતો, જેનો પ્રકાશ ઘણો ઓછો હતો. જેના કારણે ઘણી વખત તેમને ગ્રાહકો ગુમાવવા પડતા હતા. તેથી એક દિવસ યુટ્યુબ પર વિડીયો જોતી વખતે તેને સોલાર પેનલ વિશે ખબર પડી અને તેણે તરત જ તેના સ્ટોલ માટે સોલાર પેનલ લગાવવાનું નક્કી કર્યું.

Solar Energy

બેટરી બે દિવસ સુધી ચાલે છે
દામોદરન કહે છે કે તેમને એમેઝોનમાંથી બે સોલાર પેનલ મળી અને તેને તેમણે તેમના ટી સ્ટોલ પર લગાવી. તેનો આખો ખર્ચ તેના માટે 17 હજાર રૂપિયા હતો. તે કહે છે, “પરંતુ હવે હું સોલાર પેનલને કારણે છેલ્લા છ મહિનાથી કોઈ ચિંતા વગર વીજળીનો ઉપયોગ કરી રહ્યો છું. મારે હવે વીજળી માટે એક રૂપિયો પણ ખર્ચવો નથી પડતો અને મારા ટી સ્ટોલ પર રાત્રે એક મિનિટ પણ અંધારું રહેતું નથી. આ કારણે ગ્રાહકો પણ મારી જગ્યાએ આવીને બેસવાનું પસંદ કરે છે. કારણ કે અહીં સારો પ્રકાશ રહે છે."

તેમણે જણાવ્યું કે તેની સોલાર પેનલ બેટરી સાથે જોડાયેલી છે. સૌર પેનલો સૂર્યપ્રકાશનો ઉપયોગ ઊર્જા બનાવવા માટે કરે છે, જે છથી આઠ કલાકમાં બેટરી ચાર્જ થઈ જાય છે. તેઓ કહે છે કે એકવાર બેટરી ચાર્જ થઈ જાય પછી તે લગભગ બે દિવસ આરામથી ચાલે છે. વરસાદની ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો હોય તો પણ બેટરી ચાર્જ થાય છે અને તેમનું કામ ચાલે છે. બેટરી સાથે એક નાનું ડિજિટલ મીટર જોડાયેલ છે, જે તમને જણાવે છે કે કેટલું ચાર્જિંગ બાકી છે.

ઓછા રોકાણ સાથે વધુ સમસ્યાઓનો ઉકેલો
દામોદરનના પુત્ર શિવરામનનું કહેવું છે કે જો તેણે ડીઝલ જનરેટર લીધું હોત તો તેણે ત્રણ-ચાર કલાક લાઈટ માટે ડીઝલ પાછળ રોજના 150 રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હોત. આ રીતે, દર મહિને લગભગ રૂ.4500, તેમને માત્ર વીજળી માટે ખર્ચવા પડતા. પરંતુ હવે તેમનો વીજળી પરનો ખર્ચ શૂન્ય છે. તેઓએ માત્ર એક વખતના રોકાણથી તમામ સમસ્યાઓ હલ કરી છે.

ઉપરાંત, તે ઇકો-ફ્રેન્ડલી પણ છે. તે કહે છે, “તે ખૂબ જ સારું રોકાણ છે. કારણ કે ફૂડ સ્ટોલ, ટી સ્ટોલ જેવા પ્લેટફોર્મ માટે વીજળીનું કનેક્શન નથી. આવી સ્થિતિમાં રાત્રે પ્રકાશની જોગવાઈ માથાનો દુખાવો બની રહે છે.
પણ હવે મારી ચિંતા ખતમ થઈ ગઈ છે.”

અલબત્ત, આજના સમયમાં સૌર ઉર્જા એક શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે ભારત કોલસાના વપરાશ અને પર્યાવરણીય અધોગતિની કટોકટીનો સામનો કરી રહ્યું છે, તેથી વધુને વધુ લોકોએ દામોદરન જેવી સૌર ઉર્જા અપનાવવાની જરૂર છે.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 50 ગરીબ બાળકોને દત્તક લઈ માતા બની ભણાવે છે અને સાચવે છે આ પોલીસ કૉન્સ્ટેબલ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો

Related Articles
Here are a few more articles:
Read the Next Article
Subscribe