ભારતની સંસ્કૃતિ પ્રાચીન છે એ તો બધા જ જાણે છે પણ સાથે સાથે મહત્વની બાબત એ પણ છે કે સંસ્કૃતિ પ્રાચીન હોવાની સાથે તેની સાથે સંકળાયેલ અમુક કલાઓ પણ ખુબ જ પ્રાચીન છે જેમાંની ઘણી કલાઓ અત્યારે પણ જીવંત છે અને દેશ તો ઠીક વિદેશમાં પણ ખુબ જ નામના ધરાવે છે.
ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં વર્ષોથી જે કલાનો દબદબો હતો તેવી એક કલા કે જે એક સમયે આધુનિકીકરણના કારણે દેશની પરંપરાગત કલાઓ પર ઉભા થયેલ સંકટમાં સપડાયી અને સતત વીસ વર્ષ સુધી બંધ રહી. જે તે સમયે તે લુપ્ત થવાના આરે જ હતી ત્યારે જ તે કલાને જાણનાર એક વ્યક્તિ અને તે કલા માટે દરેક રીતે મદદ આપનાર બહારના વ્યક્તિઓની મહેનતથી અત્યારે વિશ્વ ફલક પર પોતાની હાજરી નોંધાવીને દેશનું નામ રોશન કરી રહી છે.

આ પણ વાંચો: કળાથી બદલ્યો કચરાનો ચહેરો, કચ્છની મજુર મહિલાએ ઉભી કરી પોતાની બ્રાંડ, બીજાને પણ આપી રોજી
અહીં વાત થઇ રહી છે કાપડ પર પ્રિન્ટિંગ માટેની અજરખ કલાની જે કચ્છમાં સતત 500 વર્ષોથી અસ્તિત્વમાં છે. ભૂતકાળમાં આ કલાના જાણકારો કચ્છના રાજા ભરમાલજી 1 ના નિમંત્રણ દ્વારા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી ઈ.સ.1634 માં કચ્છ આવી વસ્યા. રાજા રાવ ભરમાલજી ક્રાફટ કલાના ખુબ જ રુચિ ધરાવતા હતા અને તે જ કારણે તેમને અજરખ કલા પોતાના રાજ્યમાં લાવવા માટે સિંધના કારીગરોને બોલાવી તેમને અંજાર તાલુકાના ધમડકા ગામમાં વસાવ્યા.
અજરખ કલામાં કાપડ બંને બાજુ પ્રિન્ટ થાય છે. પહેલાના જમાનામાં કચ્છની જ વાત કરીએ તો અલગ અલગ સમુદાયની રોજગારી માટેની અલગ અલગ વ્યવસ્થા રહેતી જેમ કે કણબી કપાસ ઉગાડતા અને તેઓ કપાસને ભેગું કરી તેને એક નિશ્ચિત જગ્યાએ વેંચતા. તે જગ્યાએથી આ કપાસ વણાટ કામ કરતા કારીગરો ખરીદતા અને તેઓ વણાટ કામ કરી તેમાંથી કાપડ તૈયાર કરતા. એ તૈયાર થયેલ કાપડ ખત્રી સમુદાયને વેચવામાં આવતું અને આ સમુદાય તેના પર વિવિધ ભાત પાડીને પ્રિન્ટ કરેલ કાપડ બજારમાં ગ્રાહકોને વેચાતો.

આ પણ વાંચો: કચ્છમાં 1 જ વ્યક્તિ સાચવે છે બેલા બ્લોક કળા, રોજી ન મળતાં અન્ય લોકો બીજા ધંધે વળ્યા
ધ બેટર ઇન્ડિયાએ અજરખ કલા વિશે વધારે જાણવા વર્તમાન સમયમાં આ કલા સાથે સંકળાયેલા સુફિયાન ખત્રી સાથે વાત કરી હતી. સુફિયાનભાઈનું કહેવું છે કે અજરખ કલા પાછળની એક એક ડિઝાઇન અલગ છે અને તેની પાછળના તથ્યો પણ અલગ અલગ છે જેમ કે પહેલાના જમાનામાં બાળકોને શરદી હોય તો અજરખના કાપડને હળદરમાં પલાડી બાળકની છાતી પર ઢાંકી રાખતા શરદી ઠીક થઇ જતી. તેવી જ રીતે ત્વચામાં કોઈ સમસ્યા થાય તો નીલ માં તૈયાર અજરખ કાપડ તેમાં ખુબ રાહત આપતું તે રીતે કાપડની અંદર કલરના પરપોટા જેવી ભાત વિકસાવવામાં આવતી જે ઓરી અછબડામાં પણ પહેરી શકાય તેવું હોતું અને તેના કારણે તે ઓરી અછબડામાં પણ રાહત આપતું.
સુફિયાનભાઈના પૂર્વજો 1634 થી 1950 સુધી ધમડકા, અંજારમાં રહ્યા. અત્યારે સુફિયાનભાઈ પણ ધમળકામાં જ સ્થાયી છે. જ્યાં તેઓ 150 કારીગરો સાથે આ કલાને હજી વધારે વિકસાવી રહ્યા છે પરંતુ એક સમય એવો પણ હતો કે જયારે આ કલા અસ્ત પામવાને આરે હતી.

આ પણ વાંચો: કચ્છની વર્ષો જૂની કળા છે લુપ્ત થવાના આરે, આખા ગુજરાતમાં માત્ર બે કારીગરો સાચવે છે આજે
સમય જતા મિલમાં બનેલ કાપડ પહેરવાનું ચલણ વધતા અજરખનું કામ બંધ થયું અને સતત 20 વર્ષ સુધી તે ઠપ રહ્યું. આમ1950 થી 1970 સુધી આ કામ બંધ રહ્યું તે પછી સુફિયાનભાઈના દાદા મોહમ્મદભાઈએ હિમ્મત કરીને આ કામ ફરી શરુ કર્યું. મોહમ્મદભાઈએ આ કામ શરુ કર્યું તેની પાછળની કહાની પણ એકદમ રોચક છે.

આ પણ વાંચો: પાકિસ્તાનથી ભારત પોતાની એપિક કળા લાવ્યા, ગુજરાતમાં 22 ગામની 200 મહિલાઓને આપી રોજી
એક દિવસ 1970માં આ રીતની કારીગરીને પ્રોત્સાહન આપે છે તેવી ગુજરાત સરકારની એક પહેલ કે જે ગુર્જરીના નામે ઓળખાય છે તેના એમડી ભસીન સાહેબે ધમડકાની મુલાકાત લીધી અને તેઓ અજરખ કલાથી પ્રભાવિત થયા. તેમેણે અજરખ કલાને જાણવા અને તેને નવી ઢબ આપી નવા જમાના પ્રમાણે તેને ઢાળી તેનું વેચાણ દેશ વિદેશમાં વધારવા માટે એનઆઇડીથી બે છોકરીઓ ધમડકામાં મોકલી. તે બે છોકરીઓમાંથી એક વર્તમાન સમયના સમતા પાર્ટીના લીડર જયા જેટલી હતા. આમ અજરખ કલાને જીવતદાન મળ્યું અને 1970 થી 1990 સુધી અજરખ કલાનું કામ ગુર્જરી સાથે જ ચાલુ રહ્યું. આગળ જતા કળાની નામના વધતા તે દેશ વિદેશમાં ફેલાઈ.
સુફિયાનભાઈના પિતાને આ કાળમાં નિપુણતા માટે ડી મોન્ટફોર્ટ યુનિવર્સીટી, ઇંગ્લેન્ડમાંથી માનદ ડોક્ટરેટની ડિગ્રી મળી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે જયારે સુફિયાનભાઈના પિતા યુકે ગયા હતા ત્યારે તેમણે ઇજિપ્તમાં 5000 વર્ષ જુના મમી સાથે લપેટાયેલું એક કાપડ જે યુકેના એક મ્યુઝિયમમાં છે તે જોયું તો તે હૂબહૂ અજરખ કલા દ્વારા જ બનેલ કાપડ હોય તે રીતનું હતું. સાથે સાથે નેધરલેન્ડમાં પણ 16 મી સદીમાં બનેલ અજરખ કાપડને પણ તેમણે ત્યાંના મ્યુઝિયમમાં જોયું. આમ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ કલા ખરેખર તો ખુબ પ્રાચીન કલા જ છે.

આ પણ વાંચો: પાકિસ્તાનથી ભારત પોતાની એપિક કળા લાવ્યા, ગુજરાતમાં 22 ગામની 200 મહિલાઓને આપી રોજી
સુફિયાનભાઈ પણ દેશ વિદેશમાં ફરીને અજરખ કલા વિશે લોકોને જાણકારી આપે છે અને સાથે સાથે નવી નવી રીત જાણીને કલાને અપડેટ પણ કરે છે. અત્યારે જાપાન અને યુએસએ, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડથી વિદ્યાર્થીઓ પણ આ કલા શીખવા માટે તેમની પાસે છેક કચ્છ સુધી આવે છે.
છેલ્લે સુફિયાનભાઈ બસ એટલું જ કહે છે કે તેમને હજી જો મોકો મળે તો આ કલાના ઇતિહાસને એકદમ વ્યવસ્થિત જાણવો છે અને તે માટે તેઓ પાકિસ્તાનના સિંધ અને વિદેશોમાં જ્યાં પણ આ કલા બાબતે સચોટ તથ્ય છે ત્યાં જઈને જાણકારી પણ મેળવવી છે જેથી તે વધારે સારી રીતે આ કલાને સમજી શકે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કમળની દાંડીમાંથી ઈકો ફ્રેન્ડલી કાપડ બનાવી 10 મહિલાઓને રોજી આપે છે વડોદરાની યુવતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.