આજે અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની એક એવી હોટેલ રેસિડેન્સી વિશે, જેઓ અનુસરે છે સસ્ટેનેબલ ની વ્યાખ્યાને. આ અંગે વિસ્તૃતમાં જાણવા ધ બેટર ઈન્ડિયાએ વાત કરી રાજકોટની ધ ફર્ન રેસિડેન્સીના મેનેજિંગ ડિરેક્ટર શ્યામ રાયચુરા સાથે. જેઓ જાણીતા ઉદ્યોગ સાહસિક છે અને સાથે-સાથે આ સંદર્ભમાં કામ કરતા લોકોને સારું પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે.
સસ્ટેનેબલ લાઈફ અંગે પોતાના રસ અંગે જણાવતાં શ્યામે કહ્યું, “હું ભણતો ત્યારથી જ મને આ અંગે કઈંક નવું કરવાનો શોખ હતો અને ત્યારથી જ મેં આ અંગે વિચારવાનું શરૂ પણ કરી દીધું હતું. વર્ષ 2009-10 માં જ્યારે અમે હોટેલનું બાંધકામ શરૂ કર્યું ત્યારે અમે પ્રાથમિકતા એ રાખી કે, શક્ય એટલું પર્યાવરણને સુસંગત થઈને કામ થાય.”
પર્યાવરણના બચાવ માટે સરકાર હવે સભાન બની છે અને ઘણા નિયમો બનાવ્યા છે. પરંતુ આજથી 10 વર્ષ પહેલાં પણ તેમણે હોટેલના બાંધકામમાં લાલ ઈંટોની જગ્યાએ બ્લોકનો વપરાશ કર્યો. જેથી માટીનો ઉપયોગ ઘટે, ઓછા પાણીની જરૂર પડે અને સામે વજન પણ ઘટે. તો તેમણે આખી ઈમારતમાં અંદરની તરફ જિપ્સમ પ્લાસ્ટર કર્યું, જેથી નદીની રેતીનો ઉપયોગ ન કરવો પડે અને અને નદીના પટ ખોદવા ન પડે. તો તાપમાનના સંતુલન માટે તેમણે ડીજીયુ ગ્લાસ નો ઉપયોગ કર્યો. જેમાં ડબલ ગ્લેસ અને આર્ગન ગ્લેસ ભરેલ હોય, જેના કારણે બહારની ગરમી અંદર બહુ ઓછી આવે. જેથી એસીનો ઉપયોગ ઘણી ઓછો થઈ જાય. જેના કારણે વિજળીની ઘણી બચત થાય છે.

સોલર વૉટર હીટર
તો બીજી તરફ હોટેલના કિચન અને મહેમાનોના ઉપયોગ માટે સોલર વૉટર હીટરનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી અહીં પણ વિજળીનો ઘણો બચાવ થાય છે. તો ગુજરાતમાં આ પહેલી હોટેલ છે જેમાં, પ્રેશરાઇઝ સોલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. હોટેલ રેસ્ટોરેન્ટમાં સામાન્ય રીતે પ્રેશરાઈઝ પ્લંબિંગ સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે ત્યાં, તેમણે આજથી 9-10 પહેલાં પ્રેશરાઇઝ સોલર સિસ્ટમ ખાસ બનાવડાવી તેનો ઉપયોગ કર્યો હતો.

રેન વૉટર હાર્વેસ્ટિંગ
બીજી તરફ કુદરતની અમૂલ્ય ભેટ એવા વરસાદના પાણીને જરા પણ બગડવા નથી દેતા. વરસાદના પાણીને વહેતું અટકાવવા માટે તેમણે 200-200 ફૂટના ત્રણ બોરવેલ બનાવ્યા છે, જેના દ્વારા આખા ચોમાસા દરમિયાન વરસાદનું પાણી આ બોરવેલ દ્વારા જમીનમાં ઉતારવામાં આવે છે. જેથી પાણીનું ભૂસ્તર ઊંચુ આવે.
- પાણીની બચતની બીજી વાત કારવામાં આવે તો તેમની હોટેલમાં બધી જ જગ્યાએ પાણીની બચત થઈ શકે તેવા નળનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં પ્રેશર તો પૂરતું હોય, પરંતુ તેમાં 50% હવા અને 50% પાણી હોય, જેથી પાણીનો બચાવ થાય.
- તો આખી હોટેલમાં વપરાયેલ પાણીને રિસાયકલ કરીને તેનો ઉપયોગ સાફ-સફાઈ માટે કરવામાં આવે છે, જેથી અહીં પણ પાણીની બચત થઈ શકે.
- હોટેલના ગાર્ડન અને ટેરેસ બંને જગ્યાએ શક્ય એટલા છોડ વાવવામાં આવ્યા છે, જેથી હરિયાળી થાય અને શુદ્ધ હવા પણ મળી રહે.
- તો આખી હોટેલમાં ક્યાંય પણ ‘કટ ફ્લાવર’ નો ઉપયોગ નથી કરવામાં આવતો. એટલે ફૂલને કે છોડને કાપીને તેનો ક્યાંય પણ બુકે કે સજાવટ માટે ઉપયોગ નથી કરવામાં આવતો. આ માટે તેઓ આખા છોડ જ મૂકે છે અથવા જ્યાં જરૂરી હોય ત્યાં આર્ટિફિશિયલ છોડ કે ફૂલનો ઉપયોગ કરે છે.

- સામાન્ય રીતે હોટેલ, રેસ્ટોરેન્ટ કે રિસોર્ટમાં કચરાનું વ્યવસ્થાપન યોગ્ય રીતે નથી થતું, પરંતુ અહીં પ્લાસ્ટિકના કચરાને અન્ય રિસાયકલ થઈ શકે તેવા કચરાથી અલગ રાખવામાં આવે છે, જેથી લેન્ડફીલમાં એટલું ડંપિંગ ઘટે.

- આજકાલ એલઈડી લાઈટનું ચલણ વધ્યું છે, પરંતુ તેમણે આજથી 10 વર્ષ પહેલાં સંપૂર્ણપણે એલઈડી લાઈટનો ઉપયોગ કર્યો હતો, જેથી વિજળીનો બચાવ થઈ શકે.
- પાણીની બચત માટે તેઓ ગ્રાહકને અડધો ગ્લાસ પાણી આપે છે. પછી જરૂર હોય તો ફરી લઈ શકાય છે, પરંતુ જરૂર ન હોય તો પાણીનો બગાડ અટકે છે.
- આખી હોટેલમાં બધેજ ડબલ સ્ટોરેજ ફ્લશ ટેન્ક છે, જેથી પાણીનો બચાવ થઈ શકે.
- ઘણીવાર ગ્રાહકો બે-ત્રણ દિવસ રોકાતા હોય છે અને ઘણીવાર દરરોજ તેમની બેડશીટ ધોવાની ન જરૂર હોય તો પણ નિયમો અનુસાર ધોવાતી હોય છે. એટલે અહીં એક પહેલ શરૂ કરવામાં આવી છે કે, જો ગ્રાહકને એમ લાગે કે, બેડશીટ (ચાદર) આજે ધોવાની જરૂર નથી તો તે નોટ મૂકી દે અને એ દિવસે બેડશીટ ધોવાતી નથી. આમ પાણી અને ખર્ચ બંનેની બચત થાય છે.

ઘરમાં કે શાળાઓમાં પર્યાવરણના બચાવ માટે ઘણા પ્રયત્નો થતા હોય છે, પરંતુ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં પણ આવી પહેલ ખરેખર આવકાર્ય છે. ભવિષ્યમાં પાણીની અછતને પહોંચી વળવા અને તાપમાનને નિયંત્રણમાં રાખવા આવા પ્રયત્નો ખરેખર બધાંએ અનુસરવા જોઈએ.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે આ અંગે વધુ જાણવા ઈચ્છતા હોય તો, ધ ફર્ન રેસિડેન્સી ના એચ આર મેનેજર અમિતનો 70414 00708 નંબર પર સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો: અમદાવાદની આ 100% પ્રાકૃતિક રેસ્ટોરેન્ટ બનાવવામાં આવી છે હળદર, માટી & ફરીથી ઉપયોગમાં લેવાયેલ શણથી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.