દુનિયાનો છેડો એટલે ઘર. દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે રોજની કંટાળાભરી જિંદગીથી કંટાળીને ક્યાંક શાંતિથી રહી શકાય. સ્નેહલ પટેલે પણ હંમેશા પ્રકૃતિથી નજીક આવા ઘરની કલ્પના કરી હતી. સુરતના મિકેનેકિલ એન્જિનિયર છેલ્લા આઠ વર્ષથી જ એક આવા ઘરમાં રહે છે.
તેમનું ઘર બિલકુલ અલગ પ્રકારનું છે, જેમાં વૉટર સપ્લાય નથી થતું. આ ઉપરાંત અહીં પવન અને સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે. પાણીની જરૂરિયાતને પહોંચીવળવા માટે અહીં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ફક્ત એટલું જ નહીં, ગ્રે વૉટર (વૉશિંગ મશિન, વૉશ બેસિનમાંથી નીકળતું પાણી)નો ઉપયોગ ટોઇલેટમાં જ્યારે બ્લેક વૉટરને ફિલ્ટર કરીને તેનો ઉપયોગ શાકભાજીની સિંચાઈ માટે કરવામાં આવે છે.

સમજી-વિચારીને પ્રકૃતિની નજીક ઘર બનાવવામાં આવ્યું
બાળપણથી સ્નેહલને પ્રકૃતિ સાથે ખૂબ લાગણી હતી. તેઓ કહે છે કે, “મોટા થયા બાદ મારા પિતા અમને ફેમિલી ટૂર પર ગુજરાતના ડાંગના જંગલોમાં લઈ જતા હતા. હું ત્યાં ઘણી વખત ગયો છું. 1983માં મણિપાલથી મારી એન્જીનિયરિંગની ડીગ્રી પુરી કરીને પરત આવ્યો ત્યારે મને માલુમ પડ્યું કે શહેરની હરિયાળી ખતમ થઈ ગઈ છે. મણિપાલ એક હરિયાળું શહેર છે, અને હું સુરતને આવું જ જોવા માંગતો હતો.”
નાના નાના જીવોને બચાવવા માટે તેમણે 1984માં તેમણે સુરતમાં બે અન્ય લોકો સાથે મળીને નેચર ક્લબ ખોલી હતી. આજે આ ક્લબ સાથે 2,000 સભ્યો જોડાયેલા છે, જે એક રજિસ્ટર્ડ એનજીઓ છે.

સ્નેહલ કહે છે કે, “મેં 1996માં ચાર એકર જમીન ખરીદી હતી. મેં ત્યાં ઝાડ ઊગાડવાની શરૂઆત કરી અને નક્કી કર્યું કે હું એક દિવસ અહીં રહીશ.”
સ્નેહલના ઘરે વીજળીની જરૂરિયાત પૂરી કરવા માટે છત પર સૌર અને પવન ઉર્જા માટે સેટઅપ કરવામાં આવ્યું છે. ગ્રીન બિલ્ડિંગ બનાવતા આર્કિટેક્ટ ફાલ્ગુનીએ તેમના આઇડિયા પર કામ કર્યું હતું.

સુરતના 55 વર્ષીય આર્કિટેક્ટ ફાલ્ગુની કહે છે કે, “મારી પાસે એક એવો સમજદાર ક્લાઇન્ટ હતો જેને ખબર હતી કે શું જોઈએ છે અને શું નહીં. સ્નેહલ પટેલે મને ટેક્નિકલ વસ્તુઓ અંગે માહિતી આપી હતી. તેમની વાતો પરથી પર્યાવરણ પ્રત્યે તેમનો પ્રેમ જોઈ શકાતો હતો.”
સ્નેહલ પટેલના બે માળના ઘર (12,000 વર્ગ ફૂટ જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ સામેલ છે)ના નિર્માણમાં ત્રણ વર્ષ લાગ્યા હતા. જે 5,000 વર્ગ ફૂટ ક્ષેત્રમાં બનાવવામાં આવ્યું છે. હવે ઘરના પરિસરમાં 700 ઝાડ ઊગાડવામાં આવ્યા છે. જેમાં એક તળાવ પણ છે.

સ્નેહલ અને તેનો પરિવાર છેલ્લા આઠ વર્ષથી ત્રણ બેડરૂમના આ ઘરમાં રહે છે. લાકડાનો ઉપયોગ કરીને ઘરને સ્વદેશી ટેક્નિકથી બનાવવામાં આવ્યું છે. આથી ઘર ખૂબ જ ઠંડુ રહે છે.
પર્યાવરણને અનુકૂળ ઘર
ઘરમાં વીજળીની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નેહલે પોતાના ઘર પર 7.5 કિલોવીટની ક્ષમતાની સોલાર પેનલ લગાવી છે. ચોમાસા દરમિયાન વીજળીનુ ઉત્પાદન ઓછું થઈ શકે છે, આ માટે તેમણે એક વિન્ડ જનરેટર પણ લગાવ્યું છે.

ઘરમાં પાણીની પણ ખાસ વ્યવસ્થા છે. પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અમુક પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. ઘરની છત પર પાણીની એક ટાંકી છે. જેમાં કપડાથી ફિલ્ટર કરીને વરસાદનું પાણી એકઠુંક રવામાં આવે છે, કિચન અને બાથરૂમમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
છતની ટેન્ક ફૂલ થઈ જાય છે ત્યાર બાદ પાણી ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બીજી ટાકીમાં આવે છે. આ ટેન્કની ક્ષમતા બે લાખ લીટર છે. ટેન્કમાં ભરતા પહેલ પાણીને ફિલ્ટર કરવામાં આવે છે. ટેન્ક ભરાયા બાદ વધેલા પાણીને જમીનમાં ઉતારવામાં આવે છે. આ ઉપરાંત અમુક પાણીને તળાવમાં છોડવામાં આવે છે. ગ્રે વૉટરને વોશિંગ મશીન નીચે રાખવામાં આવેલા ટેન્કમાં એકઠું કરવામાં આવે છે. ત્યાર બાદ એક પાઇપ લાઇનથી આ પાણીને ટોઈલેટમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

ઘરમાં કોઈ જ ગટર કનેક્શન નથી. બાથરૂમના પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે. રેતી, જળકુંભી, ડકવીડ અને વૉટર બેટ્યૂસ જેવા છોડ ઊગાડીને એક પ્રભાવી ફિલ્ટરેશન સિસ્ટમ બનાવવામાં આવી છે. આ છોડ પાણીને સ્વચ્છ કરવામાં મદદ કરે છે.
આ છોડને દર મહિને કાપવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘરના બગીચામાં ખાતર તરીકે કરવામાં આવે છે. શૌચાલયમાંથી નીકળતું પાણી સેટલિંગ ટેન્કમાં ચાલ્યું જાય છે. જે બાદમાં પાણીને ફિલ્ટર કરીને બગીચામાં ઉપયોગમાં લેવામાં આવે છે. બાકીની જે પદાર્થ વધે છે તેનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય છે.

આખા ઘરમાં અનેક જુગાડ
ઘરમાં મોટી બારીઓને કારણે પૂરતા પ્રમાણમાં પ્રકાશ આવે છે. જ્યારે વેન્ટિલેશનથી ઘરમાં હવા-ઉજાશ રહે છે. જેનાથી વીજળીની બચત થાય છે. આ ઉપરાંત ઇંટ અને પથ્થર સહિત તમામ સ્થાનિક સામગ્રીનો ઉપયોગ થાય છે.
તળિયામાં કોટા સ્ટોન નાખવામાં આવ્યા છે. અમુક લાકડા ગુજરાતના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાંથી મંગાવવામાં આવી છે. કારણ કે વહાણને બનાવવા માટે ઉપોગમાં લેવામાં આવતા લાકડાની ગુણવત્તા ખૂબ સારી હોય છે.

ફાલ્ગુની દેસાઈ કહે છે કે દીવાલો પર પ્લાસ્ટર નથી કરવામાં આવ્યું કે ન તો પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે રેટ ટ્રેપ બૉન્ડ વૉલ કંસ્ટ્રક્શન વિધિનો ઉપયોગ કર્યો છે, જેનાથી ઓછી ઈંટોનો ઉપયોગ કરવો પડે છે. આ ટેક્નિકમાં ઇંટોને આડીના બદલે ઊભી રાખવામાં આવે છે.
સ્નેહલ કહે છે કે, “ઘરની અંદર એક તળાવ બનાવવામાં આવ્યું છે. જેમાં માછલી અને પાણીમાં ઊગડી છોડ રાખવામાં આવ્યા છે. બેડરૂમને ઠંડો કરવા માટે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર વરસાદી પાણીના સંગ્રહ કરતી ટેન્કના માધ્યમથી પાઈપો કાઢી છે. આ પાઇટ રૂમ સાથે જોડાયેલા છે અને કિનારા પર 30 વૉટના પંખા સાથે જોડાયેલા છે. જ્યારે પંખા ચાલે છે ત્યારે પાઇપમાંથી ઠંડી હવા નેચરલ એર કન્ડિશનનો અનુભવ આપે છે.”

પક્ષીઓ માળો બનાવી શકે તે માટે બહારની દીવાલો પર 2.5થી 4 ઇંચ વાળી પીવીસી પાઇપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. છીદ્રોમાં લાકડના ટૂકડા નાખવામાં આવ્યા છે જેનાથી પક્ષીઓ તેના પર લટકી શકે છે.
ઘરની અંદર નેતર અને વાંસમાંથી બનેલું ફર્નિચર છે. જે સામાન્ય લાકડાની સરખામણીમાં ખૂબ જ ટકાઉ હોય છે. અહીં કોઈ આરઓ ફિલ્ટર નથી લગાવવામાં આવ્યું. પાંચ કૉપર પૉટ્સથી એક નેચરલ ફિલ્ટર બનાવવામાં આવ્યું છે. પાણી નારિયેળ કોલસો, માર્બલ ચિપ્સ, રેતી અને ચાંદીની સિક્કાના વરખમાંથી થઈને સૌથી નીચેના વાસણમાં જમા થાય છે.

આ ઘરને બનાવવા માટે પડકારો વિશે વાત કરતા ફાલ્ગુનીએ કહ્યું કે, “મને કોઈ જ પરેશાની નથી થઈ. કારણ કે મારા ગ્રાહકને જે જોઈતું હતું તેના વિશે તેઓ ખૂબ જ સ્પષ્ટ હતા. તેમની પાસે એક ટીમ હતી જે સ્થાયી નિર્માણની ટેક્નિક સારી રીતે જાણતી હતી. પર્યાવરણને અનુકૂળ ઘર બનાવવા માટે અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રાહકો માટે આ એક ઉત્તમ નમૂનો છે.”
સ્નેહલ કહે છે કે, “ઘરને બનાવવા માટે ત્રણ વર્ષ લાગી ગયા હતા. કારણ કે તેઓ સતત તેને વધારેમાં વધારે મજબૂતી આપવા માટે કામ કરી રહ્યા હતા. હું ઇચ્છતો હતો કે આ ઘર લોકોને પ્રેરણા આપે. ઘર એવું હોવું જોઈએ જેનાથી ઉર્જા અને સંસાધનોની બચત થાય.”
મૂળ લેખ: અંગરિકા ગોગોઇ
આ પણ વાંચો: અમદાવાદનું આ કપલ બનાવે છે રીસાઈકલ્ડ મટિરિયલમાંથી બિલ્ડીંગ, જે પર્યાવરણ માટે છે ફાયદાકારક અને સસ્તું
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.