“અમારા ગામમાં એક બહેન થેલો લઈને બાજુના ગામમાંથી બગસરાની વસ્તુ વેચવા આવતાં હતાં. જેને જોઈને મને થયું કે, હું પણ બગસરાની વસ્તુ લાવીને આસપાસના ગામમાં વેચું તો? આ પછી મેં 200 રૂપિયાથી બગસરાની વસ્તુ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં મને સારી કમાણી થતી હતી. આમ હું જ્વેલરી વેચવાનું કામ તો લગભગ છેલ્લાં 35 વર્ષથી કરું છું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી મારી જાતે જ્વેલરી બનાવીને પણ વેંચુ છું.” આ શબ્દો છે અમદાવાદના જૈનનગરમાં રહેતાં 78 વર્ષિય વૃદ્ધ વિધવા દાદી કુંવરબાના. એક સમયે બગસરાના દાગીના વેચવાથી તેમણે શરૂઆત કરી હતી, પરંતુ અત્યારે તેઓ જાતે જ દોરામાંથી જીણી-જીણી સુંદર ભાત બનાવી એક-એકથી ચડિયાતા દાગીના બનાવે છે, અને જાતે જ અમદાવાદ હાટમાં સ્ટોલ લગાવે છે અને અન્ય રાજ્યોમાં થતાં એગ્ઝિબિશનમાં પણ જાય છે. તમને આ દાદી કોઈ એગ્ઝિબિશનમાં જોવા મળે તો, બધાંથી અલગ તરી આવે. એમના સ્ટોલમાં એકલાં બેઠાં-બેઠાં દાગીના બનાવતાં રહે છે અને ગ્રાહક આવે તો ખૂબજ પ્રેમથી વાત કરે અને સૌને પોષાય તેવા જ ભાવમાં તેને વેચે છે. આજે કુંવરબાની એક આંખે મોતિયો પણ છે, એકજ આંખે સરખુ દેખાય છે, પરંતુ તેમની મહેનત, ખંત અને ધીરજમાં ક્યાંય ખોટ જોવા નથી મળતી.
કુંવરબાના માથે આજે પરિવારની પણ જવાબદારી છે. પતિનું વર્ષો પહેલાં અવસાન થયું છે. બે દિકરા અને વહુઓ સાથે રહે છે, તેમાં થોડા સમય પહેલાં મોટી વહુનું પણ અવસાન થયું, પરંતુ કુંવરબા હાર્યાં નથી. તેઓ પૌત્રોને સંભાળવાની સાથે-સાથે તેમના આ કામ માટે પણ સમય કાઢી લે છે અને સારી એવી કમાણી પણ કરી લે છે.

દરેક વ્યક્તિને પોતાના મનગમતાં કામમાં ક્યારેય કોઈ બંધન નડતું નથી. આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે કુંવરબેન રાણા. 78 વર્ષના કુંવરબા યુવાનોને પણ શરમાવે તેવા ઉત્સાહ સાથે પોતાનું મનગમતું કામ હોંશે-હોંશે કરી રહ્યા છે. મૂળ રાધનપુરના કુંવરબા છેલ્લાં 35 વર્ષથી ખુદ ડિઝાઈન કરેલી બુટ્ટી, બંગડી અને તોરણ સહિતની વસ્તુ બનાવીને વેચી રહ્યા છે. કુંવરબા આ દરેક વસ્તુ ઘરેથી અને હા,ટ મેળા- એક્ઝિબિશનમાં વેચીને દર મહિને 10થી 12 હજાર રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: કોવિડમાં પતિ ખોયા, પીડિતોની મદદ માટે 87 વર્ષની ઉંમરે અથાણાં બનાવી વેચવા લાગ્યાં
અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે યોજાયેલાં હાટમાં કુંવરબાનો સ્ટોલ પણ જોવા મળ્યો. પોતાની નાનકડી દુકાનમાં શાંતિથી બેઠાં-બેઠાં અવનવું બનાવી રહેલ આ દાદીને જોઈને અમને પણ તેમનામાં રસ પડ્યો. આ દરમિયાન કુંવરબા સાથે ધ બેટર ઇન્ડિયાએ રૂબરુ ખાસ મુલાકાત કરી હતી. જેમાં કુંવરબાએ કેવી રીતે આ વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યું? કેટલા વર્ષથી બનાવે છે? તે અંગે વિસ્તૃત વાતચીત કરી હતી. જે અમે અહીં તેમના શબ્દશ રજૂ કરી રહ્યા છીએ.

કેટલા સમયથી કરો છો અને ક્યારે આ કળા શીખ્યા?
કુંવરબાએ આ અંગે વાત કરતાં કહ્યું કે, ‘મને પહેલાંથી જ અલગ-અલગ વસ્તુ બનાવવાનો શોખ છે. ભાભર મારા પિયરમાં હતી ત્યારે શાળાએથી આવીને અમે આ જ કામ કરતાં હતાં. આ દરમિયાન આઠ આનામાં રૂમાલ પણ ભરતી હતી. આ ઉપરાંત પડદા ગૂંથતી હતી, હાથ પંખાના કાપડમાં અલગ-અલગ ડિઝાઈનના ભરત ભરતી હતી. જેમાં મટિરિયલ બીજાનું હોય અમારે ખાલી ગૂંથી અને ભરત ભરી આપવાનું હતું. જોકે, હું બીજા ધોરણ સુધી જ ભણી છું. મારા લગ્ન પછી અમે જૈનનગરમાં રહેતાં હતાં. જ્યાં ઘરની અને મારા પાંચ નાના બાળકોની જવાબદારી સાથે હું બે બંગલામાં રસોઈ અને ઘરકામ કરતી હતી. આ સાથે હું સિવણકામ પણ કરતી હતી. સિવણકામમાં હું ઓશિકાના કવર, ચાદરના છેડા ઓટવાના, અલગ-અલગ ડિઝાઈનના થેલા, બ્લાઉઝ અને ચણીયા ઉપરાંત સાડીના ફોલ ઇન્ટરલોક પણ કરતી હતી. આમ પાંચ વર્ષ પછી મેં આ કામ શરૂ કર્યું હતું.’
“આ પછી મને વિચાર આવ્યો કે, હું મારું પોતાનું જ કામ કરું તો? તે સમયે અમારા ગામમાં એક બહેન થેલો લઈને બાજુના ગામમાંથી બગસરાની વસ્તુ વેચવા આવતાં હતાં. જેને જોઈને મને થયું કે, હું પણ બગસરાની વસ્તુ લાવીને આસપાસના ગામમાં વેચું તો? આ પછી મેં 200 રૂપિયાથી બગસરાની વસ્તુ વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. જેમાં મને સારી કમાણી થતી હતી. આમ હું આ કામ છેલ્લાં 35 વર્ષથી કરું છું.”

“આ દરમિયાન મારા જેઠની છોકરીને ખબર પડી તેણે કહ્યું કે, કાકી તમે આટલું સરસ બનાવો છો. તો તમે હાટ, મેળા અને એક્ઝિબિશનમાં પણ વેચો. આ પછી તેણે મને હાટ, મેળાનું અને એક્ઝિબિશનનું રજિસ્ટ્રેશન કરાવી કાર્ડ અપાવ્યું હતું. મારા પહેલા મેળામાં સ્ટોલ પણ તેણે પોતાના રૂપિયે અપાવ્યો હતો, પણ હવે હું મારી જાતે જ મેળામાં સ્ટોલ રાખું છું.”
કંઈ કંઈ વસ્તુઓ બનાવો છો? અને કેટલો સમય લાગે છે?
કુંવરબાએ કહ્યું કે, “હું હાથે બનાવેલું તોરણ, કંદોરા, લટકણ, સેટ, કાપડના સેટ, બંગડી અને બુટ્ટી બનાવું છું. આ બધી વસ્તુ હું અલગ-અલગ દોરામાંથી જ બનાવું છું. જેમાં પ્લાસ્ટિકના મોતી અને ઓક્સોડાઈઝના મટીરીઅલનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત સેટ બનાવવા માટે જર્મન ધાતુનું મટિરિઅલ વાપરું છું. આ દરેક વસ્તુ મને ગમે એવી ડિઝાઈનની બનાવું છું અને લોકો કહે એવી ડિઝાઈનની પણ બનાવું છું. આ દરેક વસ્તુ બનાવતા મારે અંદાજીત એક-બે કલાકનો સમય લાગે છે.”
આ પણ વાંચો: જૂનાગઢની શિક્ષિકાએ શોખને બનાવ્યો વ્યવસાય, તેમની સુગરફ્રી ચોકલેટ મંગાવે છે લોકો દૂર-દૂરથી

કયા-કયા મેળામાં ભાગ લીધો છે?
આ અંગે કુંવરબાએ કહ્યું કે, “મેં અત્યારસુધી ઘણાં મેળા અને એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. મેં કોઇમ્બતુર, મૈસુર, દેહરાદુન, પશ્ચિમ બંગાળ સહિતના હાટ, મેળા અને એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. પણ ગત ઉતરાયણ પછી મારી એક વહુનું નિધન થતાં હવે મેળા અને એક્ઝિબિશનમાં ઓછું જઈ શકાય છે. કેમ કે, તેના બે નાના બાળકોને સાચવવાની જવાબદારી પણ મારા પર છે. જોકે, નાની વહુ બાળકોને સાચવે છે પણ નાની વહુને ઘરકામમાં થોડું સરળ રહે એટલે હું પણ બાળકોને સાચવું છું.”
દરેક હાટ, મેળા અને એક્ઝિબિશનમાં કેટલી કમાણી થાય છે?
આ બાબતે વાત કરતાં કુંવરબાએ કહ્યું કે, “અત્યારે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં હાટ મેળામાં છેલ્લાં સાત-આઠ દિવસથી આવી છું. આ દરમિયાન મને સ્ટોલમાં દસથી બાર હજાર રૂપિયાની કમાણી થઈ છે. આમ 10 દિવસના મેળા અને એક્ઝિબિશનમાં હું ઓછામાં ઓછા 20થી 25 હજાર રૂપિયા કમાઈ લઉં છું. આ સિવાય ઘરેથી પણ અંદાજે 10-12 હજાર રૂપિયાની કમાણી થાય છે.”
કુંવરબા પાસે બંગડી, બુટ્ટી, લટકણ, હાર, તોરણ અને કાપડના સેટ ખરીદવા માટે આ નંબર પર સંપર્ક કરી શકો છો.
કુંવરબેન નાનજીભાઈ રાણા
મોબાઇલ નંબરઃ 7043638980
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: 75 વર્ષની ઉંમરમાં છે 25નો જોશ! નાગપુરનાં આ દાદીની લારી ઉપર બનેલાં ફાફડા જાય છે છેક અમેરિકા સુધી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.