આપણા લોખંડી પુરૂષ સરદાર પટેલ, એક એવા ગરવા ગુજરાતી જેમના પર માત્ર ગુજરાતીઓ જ નહીં, પરંતુ આખા દેશને ગર્વ છે. આ દેશને એકીકૃત કરવાની સાથે-સાથે બીજાં પણ એવાં ઘણાં કાર્યો કર્યાં છે તેમણે, જેના અંગે દેશવાસીઓ ક્યારેય ભૂલી નહીં શકે.
સરદાર પટેલે સામ્રાજ્યવાદના ઈતિહાસને તોડી પાડવા અને રાષ્ટ્રવાદની ભાવના સાથે એકતાની ભૂગોળ બનાવવા માટે આશ્ચર્યજનક ઝડપે કામ કર્યું. તેમણે ભારતને ખંડિત થતા બચાવ્યું અને સૌથી નબળા અંગોને પણ રાષ્ટ્રીય માળખામાં એકીકૃત કર્યા.
15 ડિસેમ્બરના રોજ સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે અમે તમને જણાવી રહ્યા છીએ સરદાર પટેલની કેટલીક એવી બાબતો વિશે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

- કામ માટે સમર્પિત
1909 માં, તેમની પત્ની, ઝવેરબા પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. સફળ સર્જરી છતાં, તેણીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. જ્યારે પટેલને તેમની પત્નીના મૃત્યુની નોંધ આપવામાં આવી ત્યારે તે કોર્ટમાં સાક્ષીની ઊલટતપાસ કરી રહ્યા હતા. સરદાર પટેલે ચિઠ્ઠી વાંચી અને ખિસ્સામાં મૂકી દીધી તથા સહેજ પણ વિચલિત થયા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું. - સરદાર પટેલના જન્મની ચોક્કસ તારીખ હજુ પણ વિવાદનો વિષય છે. તેમની જન્મ તારીખના કોઈ રેકોર્ડ કરેલા દસ્તાવેજો નથી કારણ કે આવા પાસાઓની નોંધણી કરવી અનિવાર્ય કરવામાં આવી તે પહેલા જ તેમનો જન્મ થયો હતો. જો કે, તેમણે તેમની મેટ્રિકની પરીક્ષા દરમિયાન તેમની જન્મ તારીખ 31 ઓક્ટોબર લખી હતી, અને આ રીતે, તેમની જન્મજયંતિ દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેથી ભારતને એક સંકલિત સંઘ રૂપે જોડવાના તેમના પ્રયાસોને યાદ કરવામાં આવે.
- વલ્લભભાઈ પટેલને 1950 માં તેમના અવસાનના એકતાલીસ વર્ષ પછી, સ્વતંત્રતા પૂર્વ અને સ્વતંત્ર ભારતમાં તેમના યોગદાનના કારણે ઈ.સ. 1991 માં – દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ભારત રત્ન(મરણોત્તર) અર્પણ કરવામાં આવ્યો હતો.
- જ્યારે તેઓ માત્ર 33 વર્ષના હતા ત્યારે તેમની પત્ની ઝવેરબાનું અવસાન થયું, પરંતુ તેઓ ઝવેરબાને ખુબ પ્રેમ કરતા હતા અને તેથી જ તેમણે ફરી ક્યારેય લગ્ન કર્યા ન હતા.
- ભારતના પ્રથમ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર
સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તો હતા જ સાથે સાથે તેઓ સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી પણ હતા. - રાજકારણમાં પ્રવેશ
પટેલ જ્યારે લગભગ 22 વર્ષના હતા ત્યારે તેમણે મેટ્રિક પાસ કર્યું હતું. તેમને શરૂઆતમાં રાજકારણમાં રસ નહોતો. પરંતુ પાછળથી 1917 માં ગાંધીજીને મળ્યા પછી જ તેઓ તેમની નોકરી છોડીને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવા માટે પ્રેરિત થયા. - પરિવાર ક્યારેય નથી જોડાયો રાજકારણ સાથે
સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારના સભ્યો રાજકીય વર્તુળથી હંમેશા દૂર રહે છે. તેમનો પરિવાર માને છે કે સરદારનો વારસો એ વિચારની શાળા છે જે બળ દ્વારા નહીં પરંતુ અભ્યાસ દ્વારા મેળવી શકાય છે.

અને છેલ્લે, વિશ્વના લોકો પટેલને ભારતના બિસ્માર્ક કહે છે. હા, ઓટો વોન બિસ્માર્ક કે જેમણે જર્મનીના વિવિધ રજવડાઓનું વિલીનીકરણ કરાવી અખંડ જર્મની બનાવ્યું. પરંતુ મુદ્દાની વાત એ છે કે સરદાર પટેલે બિસ્માર્ક કરતાં ચૌદ ગણી સંખ્યામાં દેશી રજવડાઓનું વિલીનીકરણ કરાવી અખંડ ભારતનું નિર્માણ કર્યું. અને તે પણ અલગ અલગ ક્ષેત્ર તેમજ સંપૂર્ણ વિવિધતા ધરાવતા રજવાડાંનું જે બાબતે બિસ્માર્કને થોડી સગવડતા રહી. આમ કોઈ સરખામણીના રૂપે નહીં પરંતુ બિસ્માર્ક સરદાર કરતાં વહેલા થયા તે કારણે જ સરદારને ભારતના બિસ્માર્ક કહેવામાં આવ્યા. પરંતુ હું તો સમયની આ રેખાઓના નીતિ નિયમો ઓળંગી બિસ્માર્કને જર્મનીના સરદાર વલ્લભભાઈ પટેલ કહીશ અને તમે?
સંપાદન: નિશા જનસારી
તસવીર સૌજન્ય: વિકીપિડીયા
આ પણ વાંચો: એક દક્ષિણ આફ્રિકન પાયલોટ અને યુવા જેઆરડી ટાટાના વિચારોનું પરિણામ છે ભારતનું એરલાઈન સેક્ટર!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.