પાટણના તન્વીબેન અને તેમના પતિ પણ આ બધા યુવાનોમાંના એક છે. તન્વીબેન અને તેમના પતિ પોતાની 70 વીઘા જમીનમાંથી 5 વીઘા જમીનમાં છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને તેઓ આ કાર્યને હજી પણ આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે અને તે કારણે જ તેમણે એક વર્ષ પહેલા Apiculture એટલે કે મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી.
ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તન્વી બેન જણાવે છે કે,”મેં B.Ed. ની ડિગ્રી મેળવેલી છે અને મારા પતિ મિકેનિકલ એન્જીનીયર છે. થોડો સમય પ્રાઇવેટ નોકરી કર્યા પછી અમને અચાનક જ વિચાર આવ્યો કે અમારી જે જમીન છે તેમાં પ્રાકૃતિક ખેતી અને ડેરી ફાર્મિંગ શરુ કરીને તેને એક બિઝનેસ મોડલમાં પ્રસ્થાપિત કરીશું તો તે આ નોકરી કરતા પણ સારી એવી કમાણી કરી આપશે. અને સાથે સાથે એ વિચાર પણ હતો કે આજના આ જમાનામાં જ્યાં રાસાયણિક દવાઓનો વ્યાપ વધી ગયો છે ત્યાં પોતાના જૈવિક ઉત્પાદનો દ્વારા જે ખેત પેદાશો અને ડેરી પ્રોડક્ટ્સ અમને મળશે તેનાથી સ્વાસ્થ્ય પણ સારું એવું રહી શકશે.”
આમ આ વિચાર આવતાની સાથે જ દંપતીએ પ્રાઇવેટ નોકરીને તિલાંજલિ આપી આજથી ચાર વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. ધીમે ધીમે તેમણે પોતાનું ડેરી ફાર્મ પણ વિકસાવ્યું. આજે તેમની પાસે 25 દેશી ગયો છે અને તેમાંથી તેઓ સારી એવી કમાણી પણ કરી રહ્યા છે.
તન્વીબેન આગળ જણાવે છે કે,”એક સમય પછી અમને એવું લાગ્યું કે આ પ્રાકૃતિક ખેતીને હજી પણ વધારે વ્યાપ પર લઇ જવાની જરૂર છે અને તે જ કારણે અમે મધમાખી ઉછેરની શરૂઆત કરી અને તેના દ્વારા ઉત્પાદિત થતા મધમાંથી સારી એવી અવાક રળવાની સાથે સાથે મધમાખી દ્વારા પ્રાકૃતિક ખેતીમાં લાભ મેળવવાનું લક્ષ્ય પણ રાખ્યું.”

પણ વાંચો: કળાથી બદલ્યો કચરાનો ચહેરો, કચ્છની મજુર મહિલાએ ઉભી કરી પોતાની બ્રાંડ, બીજાને પણ આપી રોજી
અહીંયા નોંધવા જેવી બાબત એ છે કે મધમાખી ઉછેર કેન્દ્ર જ્યાં હોય ત્યાં તેની ત્રણ કિલોમીટર આસપાસના ડાયામીટરમાં તેઓ પરાગનયન ખુબ સારા એવા પ્રમાણમાં કરે છે જેથી પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદનની સંભાવના વધી જાય છે. અને એવું જ કંઈક તન્વીબેનને પણ અનુભવાયું. આજથી એક વર્ષ પહેલા શરૂ કરેલ મધમાખી ઉછેરની શરૂઆતના કારણે તેમના ખેતરના ઉત્પાદનમાં દોઢ ગણો વધારો થયો તો સાથે સાથે તેમણે ‘સ્વાદય’ ના નામે માર્કેટમાં પોતાની બ્રાન્ડ ઉભી કરી મધ વેચીને પણ કમાણી શરુ કરી.
શરૂઆતમાં તન્વીબેને મધમાખી ઉછેરની પ્રક્રિયા કંઈ રીતે હોય તે માટેની વ્યવસ્થિત ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ ખેતરમાં મધમાખી ઉછેર માટેની બે પેટી મૂકી શરૂઆત કરી. ત્યારબાદ તેમણે એકસાથે 100 પેટીને પોતાના અડધા વીઘા જેટલા ખેતરના વિસ્તારમાં મૂકી અને તે માટે તેમને 4 લાખ આસપાસનો ખર્ચ થયો જે ખર્ચ તેમણે ટૂંક જ સમયમાં ઉત્પાદિત મધના વેચાણ દ્વારા પરત મેળવ્યો.
આજે તન્વીબેન મધમાખી ઉછેર માટેની 300 પેટીઓ ધરાવે છે અને વાર્ષિકઅંદાજિત 9 ટન આસપાસ મધનું ઉત્પાદન મેળવી રહ્યા છે. જો તમે તન્વીબેનનો સંપર્ક કરવા ઇચ્છતા હોવ તો 7627087875 નંબર પર કોલ કરીને વાત કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કોવિડમાં હીરાનો ધંધો બંધ થતાં સુરતના પરિવારે શરૂ કર્યું ડેરી ફાર્મિંગ, વાર્ષિક કમાણી 25 લાખ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો