“ડુંગળી લોકોને રડાવી શકે છે, પરંતુ બીજી એવી કોઈ શાકભાજી પણ નથી બની જે તેમને હસાવી શકે.” – વિલ રોગર્સ
ભારતમાં ડુંગળી વગર અનેક શાક કે રેસિપીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. શું તમે કબાબ, રાજમા ચાવલ કે પછી બિરયાનીની ડુંગળી વગર કલ્પના કરી શકો? ઉપરની તમામ ડીશમાંથી જો તમે ડુંગળીને હટાવી દો તો સ્વાદ એકદમ ફિક્કો પડી જાય છે. ભારતમાં તો ડુંગળીને ગરીબોની કસ્તુરી કહેવામાં આવે છે. ગરીબો પાસે ખાવા માટે કંઈ ન હોય તો તેઓ રોટલી અને ડુંગળી ખાઈને દિવસો કાઢી શકે છે.

ડુંગળીની અછતને કારણે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આસપાસના દેશમાં પણ અનેક સમસ્યા ઊભી કરે છે. ભારતમાં જ્યારે જ્યારે ડુંગળીના ભાવ આસમાને પહોંચે છે ત્યારે સરકાર તેના નિકાસ પર પ્રતિબંધ લગાવી દે છે. અત્યારે તો ડુંગળી બધાને પોસાય તેવા ભાવમાં છે પરંતુ અત્યાર સુધીમાં ઘણીવાર તેના ભાવ આસમાને પહોંચી ચૂક્યા છે. જોકે, સૌ પહેલા ભારતમાં ડુંગળીના પ્રવાસ વિશે થોડી વિગત મેળવી લઈએ.
2,500 વર્ષ પહેલા ડુંગળીનો ઉલ્લેખ મેડિકલ ભાષામાં ચરખા સંમહિતા તરીકે કરવામાં આવ્યો હતો. જેની ચાર સદી બાદ તેનો ઉલ્લેખ એક ધાર્મિક પુસ્તકમાં આધ્યાત્મિક જીવન માટે મેળ ન ખાય તેવા ખોરાક તરીકે કરવામાં આવ્યો હતો. ‘Indian Food: A Historical Companionમાં ફૂડ ઇતિહાસવિદ કેટી આચાર્યએ સાતમી સદીમાં ચીનમાંથી ભારતના પ્રવાસે આવેલા એક પ્રવાસી Hieun Tsangના ક્વોટનો ઉલ્લેખ કર્યો છે.

જેમાં Tsang લખ્યું છે કે, “ડુંગળી અને લસણ ખૂબ ઓછા જાણીતા છે. જો કોઈ લોકો ખાવામાં તેનો ઉપયોગ કરે છે તો તેને ટાઉનની બહાર કાઢી મૂકવામાં આવે છે.”
મુઘલ યુગમાં ડુંગળીનો પ્રવેશ કિચનમાં થયો હતો. જોકે, થોડા વર્ષે પહેલાની વાત કરવામાં આવે તો ભારતની આઝાદીના સંઘર્ષમાં ડુંગળીએ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે!
આ સ્ટોરી અન્ય કોઈ નહીં પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે શરૂ થાય છે. એક વૈષ્ણવ પરિવારમાં જન્મ થયો હોવા છતાં ગાંધીજીને ડુંગળી ખૂબજ પ્રિય હતી.
1936માં સુભાશ ચંદ્ર બોઝ સાથે પત્રવ્યવહારમાં ગાંધીજીએ લખ્યું છે કે, “મને લાગે છે કે બે હાનિકારક શાકભાજી (ડુંગળી અને લસણ) પ્રત્યે આવો ભેદભાવ તેમની દુર્ગંધને કારણે રાખવામાં આવે છે, જોકે આ જ તેની ખાસિયત છે. આયુર્વેદ આ બંનેને ખૂબ સારા ગણાવે છે. મને ખબર નથી કે ડુંગળી અને લસણ ન હોય તો ગામ લોકો શું કરતા.” કદાચ ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીની જે ભૂમિકા રહી હતી તેનાથી તેમનામાં ડુંગળી પ્રત્યેનો ભેદભાવ ખતમ થઈ ગયો હતો.

1918માં ગુજરાાતના ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ નિવડ્યો અને ભયંકર દુષ્કાળ પડ્યો હતો. આમ છતાં બ્રિટિશ સરકારે લેન્ડ ટેક્સ માફ કર્યો ન હતો. આથી ગાંધીજીએ ખેડૂતોને ટેક્સ ચૂકવવાની મનાઈ ફરમાવી અને સત્યાગ્રહનો રસ્તો અપનાવ્યો. જે બાદમાં બ્રિટિશરોએ પેનલ્ટી નોટિસ આપવાની શરૂઆત કરી હતી. આ સંઘર્ષ પાંચ મહિના સુધી આવ્યો હતો. જે બાદમાં ગાંધીજીના નજીકના સાથી મોહનલાલ પંડ્યાના એક વિચાર સાથે આ સંઘર્ષ ખતમ થઈ ગયો હતો.
વિરોધ બાદ અંગ્રેજ સરકારે પાક સાથેના ખેતરો જપ્ત કરવાનું શરૂ કર્યું હતું. જેમાં એક ખેતરમાં ડુંગળી બગડી રહી હતી. જેથી મોહનલાલ પંડ્યા અને તેમના કેટલાક સાથીઓ સરકાર હસ્તકના ખેતરમાંથી ડુંગળી ઉપાડી લાવ્યા હતા. આ ગુના બદલ સરકારે તેમને જેલમાં ધકેલી દીધા હતા. જે બાદમાં તેમનું નામ ડુંગળી ચોર પડી ગયું હતું.
જે બાદમાં એક પત્રમાં ગાંધીએ લખ્યું છે કે, “આપણે આંધળી સરકાર સામે ક્યારેય નહીં ઝૂકીએ, પરંતુ જો જરૂર પડે તો આપણે ડુંગળી ઉખાડી નાખીશું અને હજારો વખત જેલમાં જઈશું.” આ સત્યાગ્રહને કારણે એક યુવા વકીલે પોતાની પ્રેક્ટિસ છોડી દીધી હતી અને તેઓ ગાંધીજીની આઝાદીના સંઘર્ષ સાથે જોડાઈ ગયા હતા.
આ વકીલ બીજા કોઈ નહીં પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સરદાર પટેલ અને ડુંગળીની વાત કરીએ ત્યારે ભારતની આઝાદીની લડાઈ વખતના એક રસપ્રદ બનાવ વિશે જરૂર વાત કરવી પડે.

‘To livee in Mankind’માં Reginald Reynolds એક બનાવને યાદ કરતા લખે છે કે, “ડુંગળીને અનેક આશ્રમવાસીઓ ઉશ્કેરનારો ખોરાક, બ્રહ્મચર્યની દુશ્મન માને છે.”
હકીકતમાં આશ્રમમાં કેટલાક શાકભાજી આવ્યા હતા, જેમાં ડુંગળી પણ સામેલ હતી. જ્યારે ગાંધીજીના અનુયાયીઓએ ડુંગળી બહાર કાઢીને ફેંકવાનો પ્રયાસ કર્યો ત્યારે Reynolds તરફથી તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ વખતે તેમને સરદાર વલ્લભભાઈ પટેલે સાથે આપ્યો હતો.
“હું અને Reynolds ડુંગળી ખાઈશું,” સરદાર પટેલે ખૂબ જ હિંમતભેર આ વાત કરી હતી. જે બાદમાં અમે બંને અલગ બેઠા હતા અને અમે ડુંગળી ખાધી હતી. અમારા સાથીએ ખૂબ જ વિચિત્ર રીતે અમને જોઈ રહ્યા હતા. તેમના માટે જાણે અમે નરમાંસભક્ષી હતા.
આ રીતે આઝાદીની ચળવળમાં જેનો રોલ રહ્યો છે તેવી ડુંગળી ન અવગણી શકાય તેવું ભોજનનું એક ઘટક તો છે જ પરંતુ તેની સાથે સાથે લોકો સાથે તેનો ભાવુક સંબંધ પણ છે. કદાચ આ જ કારણ છે કે ભાવ વધારાને કારણે આ બંને શાકભાજી (ડુંગળી-લસણ)ને ચાહનાર લોકોને ખૂબ દુઃખ પહોંચે છે.
આ પણ વાંચો: જ્યારે આખી પાકિસ્તાની સેના પર ભારે પડ્યો હતો ભારતીય સેનાનો આ રબારી જાસૂસ!
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.