નવરાત્રીમાં સમગ્ર જગ્યાએ લોકો નવ દિવસની આરાધના બાદ ગરબાનું વિસર્જન કરતા હોય છે. પહેલાના સમયમાં એકદમ દેશી અને માટીમાંથી જ બનાવેલા ગરબાનો લોકો ઉપયોગ કરતા હતા જયારે અત્યારે વિવિધ પ્રકારના ગરબાઓ બજારમાં જોવા મળે છે જેમાં માટી ઉપરાંત બીજા મટિરિયલ્સનો ઉપયોગ પણ ખુબ વધ્યો છે અને ઉપરથી તેને વિસર્જિત કરતા પર્યાવરણ માટે તે ખુબ હાનિકારક પણ છે.
તો હવે સવાલ એ છે કે, આ ગરબીનું એવું તો શું કરવું કે, તેનાથી પર્યાવરણને નુકસાન ન થાય?
જેના જવાબમાં ઘણા પર્યાવરણપ્રેમીઓએ હલ શોધી કાઢ્યો છે. આજકાલ આસપાસ ચકલીઓનું પ્રમાણ ખૂબજ ઘટી રહ્યુંછે, કારણકે ઘટી રહેલ હરિયાળીના કારણે ચકલીઓને સુરક્ષિત રહેઠાણ નથી મળતું. તો ગરબીને પાણીમાં પધરાવવાની જગ્યાએ તેમાં નાનકડું કાણુ પાડી ચકલી માટે માળો બનાવી તેને ઘરની બહાર લટકાવી દેવામાં આવે તો, ચકલીને સુરક્ષિત આશિયાના મળી શકે છે અને તમને પણ વર્ષોથી સાંભળવા ન મળતો ચકલીનો કલરવ સાંભળવા મળી શકે છે.
આ પણ વાંચો: 5 સરળ સ્ટેપ્સમાં શીખો, ઘરમાં પડેલ જૂનાં જીન્સમાંથી સુંદર-ડિઝાઇનર પ્લાન્ટર્સ બનાવતાં

તમારા ઘરે ગરબામાંથી ચકલીના માળા બનાવવામાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેમ કે,
- માળામાં પ્રવેશ દ્વાર ફક્ત ચકલી જઈ શકે તેટલું જ રાખવું જેથી બીજા કોઈ પક્ષીઓ તેને હેરાન ન કરે.
- ટકાઉ ગરબાનો ઉપયોગ કરી માળાને બનાવવો જોઈએ અને ઊંચે લગાવવો જોઈએ, જેથી ચકલીની સુરક્ષા જળવાઈ રહે.
- ગરબામાં નાનું જ ફક્ત ચકલી જઈ શકે તેવું પ્રવેશદ્વાર બનાવી પછી તે ગરબા ઉપર ઢાંકવાના ઢાંકણમાં છિદ્ર પાડી તેને વ્યવસ્થિત રીતે દોરી વડે ગરબાના કાંઠીલા સાથે બાંધી ઊંચે લટકાવવું.
- હવે આગળનું કામ ચકલી જાતે કરશે. આસપાસ ફરતી ચકલી આ સુરક્ષિત સ્થાન દેખાતાં જ તે પણ માળો બનાવશે અને શિયાળાની ઠંડીમાં હૂંફ મળશે તેને.
આમ, ચાલો આ પવિત્ર નવરાત્રીના તહેવારની પુર્ણાહુતી પછી માં શક્તિની આરાધના તેના આ ગરબાને ચકલીઓ માટેના માળામાં રૂપાંતરિત કરીને કરીએ અને પર્યાવરણજા જતનમાં આપણો ફાળો આપીએ.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: શું તમે વીજળીનું બિલ ઘટાડવા માગો છો? તો આ 6 સરળ રીતે કરી શકો છો ઓછું
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.