માણસ માત્ર શ્વાસ લઈને જીવી શકે એ શક્ય નથી. શરીરમાં લોહીનું પણ એટલું જ મહત્વ છે. ઘણીવાર લોહી ન મળવાના કારણે લોકો મોતને ભેટે છે. તો આવો મળીએ એક એવી મહિલાને કે જેણે અત્યાર સુધીમાં 2000 કરતાં પણ વધારે લોકોને લોહી પૂરું પાડ્યું છે. કોઈના જીવમાં જીવ પૂરવાનું કામ કરનાર આ મહિલાનું નામ છે નમ્રતા પટેલ. તે સતત બે વર્ષથી આવું સરસ કામ કરી રહ્યાં છે. પરિણિત હોવા છતાં આટલો સમય કાઢીને જનસેવાનું કામ કરવું એ દરેકના હાથની વાત નથી.

આ રીતે કરી શરૂઆત
નામ છે નમ્રતા પટેલ એટલે નામ એવા જ ગુણ છે. આ મહિલા સ્વભાવે પણ એકદમ નમ્ર અને સુશીલ છે. બે વર્ષથી જે લોકોને લોહીની જરૂર હોય એને મદદ કરી રહ્યા છે. પહેલાં તેણે એક જગ્યાએ લોહી આપ્યું હતું. એક મિત્રનો કોલ આવ્યો અને તેણે કહ્યું કે મારે લોહીની જરૂર છે ત્યારે આ મહિલા લોહી આપવા ગયા અને પછી પોતે એક નવી શરૂઆત કરી અને લોકોને મદદ કરવાનું શરુ કર્યું. કોઈ જરૂરિયાત મંદ લોકોનો એક ફોન આવે કે બેન અહીં લોહીની જરૂર છે તો બેન તરત કામે લાગી જાય અને લોહી પૂરું પાડે.

સોશિયલ મીડિયાને બનાવ્યું હથિયાર
હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બધી હોસ્પિટલ તેમજ અલગ અલગ સંસ્થા પાસે નમ્રતા બહેનનો નંબર છે. આખા ગુજરાતમાંથી કોઈ પણને લોહીની જરૂર હોય અને બહેનનો કોન્ટેક્ટ કરે તો લગભગ વાંધો નથી આવતો અને કામ પાર પડી જાય છે. અમદાવાદમાં રહીને નમ્રતા પટેલનું હવે સારુ ગૃપ થઈ ગયું છે. તેણે સોશિયલ મીડિયા પર પણ પોતાના આ કામ વિશે માહિતી શેર કરી છે અને તેઓનું આ કામ મોટાભાગે સોશિયલ મીડિયા પરથી જ થઈ રહ્યું છે. તેઓ પાસે અલગ અલગ ગૃપો છે જેમાં તે એક મેસેજ મુકે કે, આ હોસ્પિટલમાં આ ગૃપના લોહીની જરૂર છે અને નીચે દર્દીનો કોન્ટેક્ટ પણ લખી આપે જેથી કામમાં પણ પારદર્ષિતા રહે.

કોઈ જ પૈસા નહીં, એકદમ મફતમાં કરે છે કામ
સૌથી મોટી વાત એ છે કે નમ્રતા બહેને વાત કરતાં જણાવ્યું હતું કે, એમનું કોઈ જ NGO કે ફાઉન્ડેશન નથી. તેઓ કોઈ પાસેથી એક પણ પૈસા લેતા નથી અને એક પણ પૈસા કોઈને આપતાં પણ નથી. ટૂકમાં કહીએ તો ‘લેના દેના બંધ ફીર ભી આનંદ’ જેવા સૂત્રથી કામ થઈ રહ્યું છે. તેમના પતિ પણ તેમને આ કામમાં ટેકો આપે છે અને સાથમાં સાથ પુરાવે છે. આ કામ કરીને નમ્રતા પટેલે એ સાબિત કરી બતાવ્યું કે સોશિયલ મીડિયાનો એક મેસેજ પણ લોકોનું જીવન બની શકે છે.

મળ્યું કરદાતાનું સન્માન
એક ટીમ છે જે દર વર્ષે ભારતના સમગ્ર રાજ્યમાંથી આવા લોકોને કરદાતા તરીકે સન્માન કરે છે. જે પણ લોકો આાવી રીતે દર્દીને લોહી પુરુ પાડવાનું કામ કરતાં હોય તેમને દર વર્ષે નવાજે છે. તો 2019માં નમ્રતા બહેનને પણ કરદાતા તરીકે સન્માન મળ્યું છે જે એક ખુબ ગૌરવ લઈ શકાય એવી વાત છે.

પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે પણ કરે છે જોરદાર કામ
હજુ આ બહેન વિશે એક વાત તો કહેવાની રહી જ ગઈ. અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓ 6 મહિના કે એક વર્ષ સુધી ઓડિયો સાંભળીને યાદ તો કરી લેતા હોય છે. પરંતુ પછી પરીક્ષા વખતે તેમને વ્રાઈટરની જરૂર પડે, કે જેમાં વિદ્યાર્થી બોલે અને વ્રાઈટર લખે. તો એના માટે પણ નમ્રતા બહેન ખુબ જ સારુ કામ કરી રહ્યા છે. આખા ગુજરાતમાં અત્યાર સુધીમાં આ બહેને 3000 કરતાં પણ વધારે વિદ્યાર્થી માટે વ્રાઈટર ગોઠવી આપ્યાં છે અને પોતે જાતે પણ 200 જેટલા વિદ્યાર્થીના પેપર લખ્યા છે.

રસોઈમાં પણ વળે છે ગજબનો હાથ
આ સિવાય વાત કરીએ તો રસોઈ માટે રેસિપી આપવા માટે પણ નમ્રતા બહેન જાણીતા છે. ક્યારેક ક્યારેક અમદાવાદનાં ન્યુઝ પેપરમાં પણ એ રેસિપી પબ્લિશ થાય છે. નમ્રતા પટેલ હાલમાં તેમના પરિવાર સાથે અમદાવાદ રહે છે. તો જો તમારી આજુબાજુ કોઈ દર્દીને લોહીની જરૂર હોય અથવા તો તમારે આવા કોઈ કામની શરૂઆત કરવી હોય, એ સિવાય અંધ વિદ્યાર્થીને કોઈ મદદરૂપ થવાની પણ આપની ઈચ્છા હોય તો આપ નમ્રતા બહેનનો 9687231053 પર સંપર્ક કરી શકો છે અને શહેરીજનોને મદદરૂપ બની શકો છો.
આ પણ વાંચો: લોકોને કચરામાંથી ખાવાનું વીણી જોતા માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપવાનું શરૂ કર્યું