2013ની ઉત્તરાખંડ દુર્ઘટનાએ દહેરાદૂનની હિરેશા વર્માના જીવનમાં પણ મોટો બદલાવ લાવ્યો. આપત્તિમાં નિરાધાર થયેલી મહિલાઓને રોજગાર સાથે જોડવા માટે તેમણે મશરૂમની ખેતી શરૂ કરી અને તેની સાથે ઘણા લોકોને તાલીમ આપવાનું પણ શરું કર્યું. આજે તેમની કંપની વિદેશમાં મશરૂમ નિર્યાત કરી રહી છે.
આપણામાંથી ઘણા લોકો પોતાની આસપાસના જરૂરિયાતમંદ લોકો માટે કંઈક ને કંઈક કરવા માંગતા જ હોય છે, પરંતુ વ્યસ્ત જીવનશૈલી અને નોકરીને કારણે આપણે તે નથી કરી શકતા. પણ બીજી બાજુ કેટલાક હિંમતવાન લોકો એવા પણ છે જે અન્યને મદદ કરવા માટે બધું જ છોડીને આગળ આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ પણ કાર્ય સાચા ઈરાદાથી કરવામાં આવે તો તમને ચોક્કસ સફળતા મળે જ છે. આવું જ કંઈક દહેરાદૂનના હિરેશા વર્મા સાથે પણ થયું.
તેમણે વર્ષ 2013માં પોતાની સારી એવી ITની નોકરી, સુવિધાઓ અને AC વાળી ઓફિસમાં બેસવાનું કામ છોડીને મશરૂમ ઉગાડવાનું શીખ્યા. તે સમયે તેમનો ઉદ્દેશ માત્ર પૈસા કમાવવાનો ન હતો પરંતુ એવી મહિલાઓને રોજગારી આપવાનો હતો જેમણે 2013ની ઉત્તરાખંડ દુર્ઘટનામાં પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે.
માત્ર એક રૂમથી શરૂ થયેલો તેમનો નાનો વ્યવસાય આજે મોટી કંપનીમાં ફેરવાઈ ગયો છે. આ સિવાય તેમણે અત્યાર સુધી મશરૂમની ખેતીની તાલીમ આપીને 2000 લોકોને રોજગાર સાથે જોડવાનું કામ પણ કર્યું છે. હિરેશા આજે ઉત્તરાખંડની પ્રખ્યાત બિઝનેસ વુમન બની ગયા છે. આ વર્ષે જ તેમને ભારત સરકારના MSME મંત્રાલય તરફથી શ્રેષ્ઠ સશક્તિકરણ મહિલા ઉદ્યોગસાહસિક એવોર્ડ મળ્યો છે.
આઈટીની નોકરી છોડી, મશરૂમની ખેતી કરતાં ખેડૂત બન્યા.
દિલ્હીમાં જન્મેલા હિરેશાએ બોટની અને કેમેસ્ટ્રીમાં M.Sc અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA કર્યું છે. તે દહેરાદૂનમાં એક આઈટી કંપનીમાં કામ કરતા હતા. પરંતુ કેટલીકવાર વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા માટે એક ક્ષણ જ પૂરતી હોય છે.
આ પણ વાંચો: કેરી રસિયાઓને આખુ વર્ષ કેસરનો રસ અને 10 પ્રકારના આમ પાપડ ખવડાવી આવકમાં વધારો કર્યો કચ્છી ખેડૂતે
હિરેશાના જીવનમાં વર્ષ 2013 માં પણ આવો જ બદલાવ આવ્યો હતો. ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા તે કહે છે, “ઉત્તરાખંડ દુર્ઘટના પછી, હું કેટલીક મહિલાઓને મળી, જેમના પતિ કામથી બહાર ગયા હતા અને આફત સ્થળેથી ક્યારેય પાછા ફર્યા ન હતા. હું તેમના માટે કંઈક કરવા માંગતી હતી, પણ શું કરવું તે ખબર નહોતી. ત્યારે જ મને ખબર પડી કે અહીંનું હવામાન મશરૂમ્સ ઉગાડવા માટે યોગ્ય છે, અને પછી મેં તેના પર કામ કરવાનું શરૂ કર્યું.
તેમણે નાના ઓરડામાં મશરૂમ ઉગાડવાની શરૂઆત કરી. પછી હિરેશાએ માત્ર 2000 રૂપિયા ખર્ચ કરીને 25 બેગમાં મશરૂમ્સ ઉગાડ્યા, જેમાં તેમને સફળતા મળી. આ પછી, 2013ના અંત સુધીમાં તેમણે નોકરી છોડી દીધી અને મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું. તેમણે Directorate of Mushroom Research ખાતે પોતાના ઉદ્યોગને AGAL જતા મોટા પાયે કરવા માટે અને અન્ય લોકોને શીખવવા માટે યોગ્ય તાલીમ પણ લીધી હતી. સાચી માહિતી મેળવ્યા પછી, તેમણે પોતાનો પાયલોટ પ્રોજેક્ટ દહેરાદૂનના એક ગામથી શરૂ કર્યો. જેના માટે તેમણે ત્રણ ઝૂંપડીઓ બનાવી અને 500 બેગમાં મશરૂમ્સ ઉગાડ્યા. આ સાથે, તેમણે મહિલાઓ અને અન્ય ખેડૂતોને તાલીમ આપવાનું પણ શરૂ કર્યું.
ખેતીની શરૂઆતમાં જ મોટો ધંધો કર્યો
દહેરાદૂનની આસપાસ તે સમયે કોઈ મશરૂમની ખેતી કરતું ન હતું. પરંતુ હિરેશાએ 2000 ખેડૂતો અને મહિલાઓને મશરૂમની ખેતીની તાલીમ આપી, તેમના માટે રોજગારીની નવી તક ઉભી કરી. આજે લગભગ 15 લોકો તેમની સાથે કામ કરી રહ્યા છે. જેમાંથી નવ એવી મહિલાઓ છે જેમની પાસે આફત પછી કોઈ રોજગાર કે સહાય જ નહોતી.
વર્ષ 2015 માં, હિરેશાએ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે મશરૂમ ઉત્પાદન માટે યુનિટ બનાવ્યું. તે કહે છે, “અમને મશરૂમની ખેતીથી ઘણો ફાયદો થયો છે. મેં એસી રૂમ અને મશીન વગેરે માટે 80 લાખની લોન લીધી હતી, જે અમે માત્ર ત્રણ વર્ષમાં ચૂકવી દીધી.
તેમણે મશરૂમ્સ સાથે ખાતરનું યુનિટ પણ બનાવ્યું છે. તે કહે છે કે અમને ખેતીમાં ખાતરની ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હતો. તેમના સિવાય ગામના અન્ય ખેડૂતો પણ ખાતર મેળવી સકતા ન હતાં. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, તેમણે પોતાનું ખાતરનું યુનિટ બનાવ્યું. હિરેશાએ કહ્યું, “હું ખાતર બનાવવાની પ્રક્રિયામાં લગભગ આઠ વખત નિષ્ફળ ગઈ છું, પણ મેં હાર ક્યારેય ન માની કારણ કે સરકારી કૃષિ કેન્દ્રમાંથી અમને જે ખાતર મળતું હતું તે એક વર્ષ માટે ખૂબ જ ઓછું હતું. અન્ય ખેડૂતોની પણ આ જ સમસ્યા હતી. આજે અમે પંજાબમાંથી ભૂસી મંગાવીને ખાતર બનાવીએ છીએ અને સમગ્ર ઉત્તરાખંડમાં પણ તેનો સપ્લાય કરીએ છીએ.
આ પણ વાંચો: ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરવી? જાણો અમદાવાદના કાર્ડિયોલોજિસ્ટ અને ખેડૂત ડૉ.દિનેશ પટેલ પાસેથી
મશરૂમની ચા અને દવા
હાલમાં તે 10 એસી રૂમમાં વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરરોજ 1000 કિલો ઉત્પાદન ઉત્પન્ન કરે છે. અગાઉ તે જુદી જુદી સપ્લાય ચેઇન દ્વારા તેના મશરૂમ્સ વેચતા હતા. વર્ષ 2019 માં, તેમણે Han Agrocare નામથી તેમની કંપનીની નોંધણી કરાવી. હવે તે પોતાની બ્રાન્ડ હેઠળ મશરૂમના નવ પ્રકારો ઉગાડી અને વેચી રહ્યા છે. શીટકે, બટનો, ઓઇસ્ટર્સ, ક્રિમિની, એનોકી, વગેરેનો તેમાં સમાવેશ થાય છે. ખેતી કરતા એક ડગલું આગળ વધીને, હવે તેમની કંપની મશરૂમ્સનું પ્રોસેસીંગ કરીને બીજી ઘણી પ્રોડક્ટનું ઉત્પાદન પણ કરી રહી છે. જેમાં અથાણાં, કૂકીઝ, ગાંઠિયા, સૂપ, પ્રોટીન પાવડર, ચા, કોફી, પાપડ જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ સાથે, તે રાજ્યના ટિહરી, પૌરી અને ગઢવાલના ડુંગરાળ વિસ્તારોમાં મશરૂમ્સ ઉગાડવામાં પણ ખેડૂતોની મદદ કરી રહી છે. તેમના તાજા મશરૂમ્સ દિલ્હી, પંજાબ, હરિયાણા સહિત અન્ય ઘણા રાજ્યોમાં જાય છે. એટલું જ નહીં, તે તેના ડ્રાય મશરૂમ્સ વિદેશોમાં મોકલી રહી છે.
હિરેશાએ કહ્યું કે હવે અમે મેડીકલમાં ઉપયોગમાં લઇ શકાય તેવા મશરૂમની ખેતી પણ કરી રહ્યા છીએ. તેમનું આગામી લક્ષ્ય આશરે 5000 આદિવાસીઓ, મહિલાઓ અને ખેડૂતોને તાલીમ આપવાનું છે જેમની પાસે મશરૂમની ખેતી માટે જમીન નથી.
સંપૂર્ણપણે અલગ ક્ષેત્રમાંથી આવવા છતાં, હિરેશાએ એક ઉદ્યોગસાહસિક તરીકે મશરૂમ ઉત્પાદનમાં અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહીં, આજે તે પોતાની વિચારસરણી અને કંઈક નવું કરવાના ઈરાદાથી ઘણા ખેડૂતો માટે પ્રેરણા બની છે.
તમે હિરેશા અથવા તેની કંપની વિશે વધુ જાણવા માટે તેમની વેબસાઇટ ની મુલાકાત પણ લઈ શકો છો.
સંપાદન: કિશન દવે
આ પણ વાંચો: ગૌમૂત્ર, દૂધ, હળદર જેવી વસ્તુઓથી ખેતીને બનાવી સરળ, વિદેશોમાંથી ખેડૂતો શીખવા આવે છે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.
We bring stories straight from the heart of India, to inspire millions and create a wave of impact. Our positive movement is growing bigger everyday, and we would love for you to join it.
Please contribute whatever you can, every little penny helps our team in bringing you more stories that support dreams and spread hope.
This story made me
-
97
-
121
-
89
-
167