Search Icon
Nav Arrow
Miyawaki Forest
Miyawaki Forest

કચ્છની મહિલા સરપંચે ગંદા પાણીને રિસાયકલ કરી 7000+ ઝાડ વાવી ઊભું કર્યું મિયાવાકી જંગલ

ગામલોકો અને સ્વયંસેવકોની મદદથી કચ્છના રણમાં બનાવ્યું 7000+ ઝાડનું જંગલ, જેમાં કારખાનામાંથી નીકળતા ગંદા પાણીને રિસાયકલ કરી પાણી સીંચ્યું

કંકુબેન જ્યારે કચ્છના કુકામા ગામનાં સરપંચ બન્યાં ત્યારે, તેમને બે મુખ્ય પ્રશ્ન હલ કરવાના હતા – સતત ઘટી રહેલ વૃક્ષો અને કંપનીઓમાંથી આપતું પ્રદૂષિત પાણી. તેમને એ જ નહોંતુ સમજાતુ કે, માંડ 8,200 લોકોની વસ્તીવાળા આ ગામમાં આટલું બધુ પ્રદૂષણ કેવી રીતે, વધુમાં આખો જિલ્લો પાણીની સમસ્યા સામે તો ઝઝૂમી જ રહ્યો હતો.

કચ્છનાં બીજાં ગામડાંની સરખામણીમાં થોડાં વર્ષ પહેલાં સુધી કુકમા ગામમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચું હતું, લગભગ 200 ફૂટ. પરંતુ આજુબાજુનાં ગામમાં સતત ભૂગર્ભ જળનો ઉપયોગ વધતાં કુકમા ગામમાં પણ પાણીનું આ સ્તર 600 ફૂટની ઊંડાઈએ પહોંચી ગયું. એટલે જ ઝાડ-છોડ માટે ભૂગર્ભ જળ વાપરવું પણ અશક્ય બની ગયું.

પંચાયતમાં સંખ્યાબંધ વાર ચર્ચા અને ઘણા લાંબા રિસર્ચ બાદ કંકુબેન એક નિષ્કર્ષ પર પહોંચ્યાં, જેનાથી બે સમસ્યાઓ હલ થઈ શકે છે. તેમણે ગંદા પાણીના રિસાયકલ માટે વિશાળ પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચાર્યું, જેની મદદથી હરિયાળી વધારી શકાય. આ મિયાવાકી જંગલ બનાવવાનો અને તેના વિકાસ માટે રિસાયલ કરેલ પાણીના ઉપયોગનો વિચાર હતો.

Miyawaki Forest

કેટલી સફળતા મળી?

હા, આ ગામમાં આજે 7,500 ઝાડ વિકસી રહ્યાં છે. દરરોજ 10,000 લિટર ગંદા પાણીને આરઓ પ્લાન્ટમાં રિસાયકલ કરી ઝાડને પાવામાં આવે છે.

આ બાબતે કંકુબેન કહે છે, “આ સૌની સહિયારી મહેનતનું ફળ છે. જેમાં ગામલોકો, પંચાયત કમિટી અને અમારા સ્પોન્સર્સની મહેનતથી આજે સફળતા મળી છે. અમે વાવેલ વૃક્ષોમાં 85% વૃક્ષો બહુ સરસ વધી રહ્યાં છે અને ફળ-ફૂલ આપી રહ્યાં છે, જેનાથી ખુશ થઈને આસપસનાં ઘણાં ગામના લોકો સુધી તેના સમાચાર ફેલાઈ ગયા અને એક્સપર્ટ્સ અમારા આ વિલેજ મોડેલની મુલાકાત લેવા આવે છે.”

અહીં જુઓ ગામલોકોની આખી સફર

પહેલાં તો ગામલોકો પણ આ ટકાઉ પ્રોજેક્ટને ટેકો આપવામાં અચકાતા હતા. મોટાભાગના લોકો એમજ કહેતા હતા કે, તેનાથી કોઈ સીધો ફાયદો નહીં મળે. તો કંકુબેને મનરેગા દ્વારા દસ મહિલાઓને રોજગારી આપવાની બાંહેધારી આપી. આ ઉપરાંત તેમના ખેતરમાં ભવિષ્યમાં થનાર નુકસાન અંગે જાગૃત કરવામાં આવ્યા. ફેક્ટરીઓમાંથી વહીને ખેતરોમાં આવતા પાણીથી તેમની જમીનને નુકસાન થઈ શકે છે. ત્યારબાદ લગભગ 40 જેટલા યુવનો આ મિયાવાકી જંગલમાં શ્રમદાન કરવા તૈયાર થઈ ગયા.

Kachchh

એકવાર ગામલોકો સહમત થઈ ગયા પછી, કંકુબેને ભંડોળ ભેગુ કરવાનું શરૂ કર્યું. માંડવીમાં આવેલ વિવેકાનંદ રિસર્ચ અને ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ આરઓ પ્લાન્ટ માટે ફંડ આપવા તૈયાર થયું અને વર્ષ 2017 માં 7,50,000 માં આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યો.

મિયાવાકી જંગલ પાછળનું વિજ્ઞાન સમજાવતાં કંકુબેન કહે છે, “આ પદ્ધતિની શોધ જાપાનના વનસ્પતિશાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા કરવામાં આવી હતી. આ પદ્ધતિ અંતર્ગત ડઝન જેટલી સ્થાનિક પ્રજાતિનાં ઝાડ એકબીજાની નજીક વાવવામાં આવે છે અને તેમાં એક બાબતનું ખાસ ધ્યાન ત્રાખવામાં આવે છે કે, દરેક વૃક્ષને પૂરતો સૂર્યપ્રકાશ મળે અને આજુ-બાજુ ફેલાવાની જગ્યાએ સીધાં ઊંચાં વધે. આ બહુ સ્તરવાળી પ્રક્રિયા છે, જેમાં નાના છોડની વિવિધ જાતોને (6 ફૂટ), પેટા ઝાડનું સ્તર (6-12 ફૂટ), ઝાડનું સ્તર (20-40 ફૂટ) અને કેનોપી લેયર (40 ફૂટથી ઉપર)ની બાજુએ વાવેતર કરવામાં આવે છે. છોડનો વિકાસ દસઘણી વધારે ઝડપથી થાય છે.”

ગામલોકો અને મનરેગાના કામદારો એક મીટર ઊંડો ખાડો ખોડે છે અને દરેક સ્ક્વેર મીટરમાં 3-5 સ્થાનિક ઝાડના રોપા વાવે છે. બે રોપાની વચ્ચે ઓછામાં ઓછું 40-60 સેમીનું અંતર રાખવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં લગભગ 15 દિવસનો સમય લાગે છે.

Miyawaki Forest

સરપંચ દ્વારા એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, વિવિધ પ્રકારનાં ફળ-ફૂલ આપતાં ઝાડ ઉગાડવામાં આવે. આ જંગલમાં લીમડો, કરંજ, બદામ, ગુલમહોર, દાડમ, સીતાફળ અને જામફળ સહિત અનેક ઝાડ ઉગાડવામાં આવ્યાં છે.

પંચાયતનું કામ ઝાડને વાવી દેવાથી પૂરું નથી થઈ જતું. પહેલા વર્ષે તેમને બીજી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો, જેમ કે, જંગલમાં પ્રાણીઓ ઘૂસી જતાં અને છોડનો નાશ કરતાં. કેટલીકવાર તો ગામલોકો પણ તેને નુકસાન પહોંચાડતાં. આ બધાથી બચવા તેમણે વાડ બનાવી.

Kukma Village

બહુ જલદી કંકુબેનને સમજાઈ ગયું કે, આ જંગલની સંભાળ અને જાળવણી કરવાનું કામ સમાજની મદદથી કરવું જોઈએ. એટલે તેમણે સ્થાનિક ગામલોકોની કમિટીઓ બનાવી, જેથી તેઓ હાજર ન હોય તો પણ જંગલનો વિકાસ અટકે નહીં. આ રીતે તેઓ નિવૃત્ત થાય તો પણ જંગલોની સાચવણી થઈ સકશે.

કંકુબેને કહ્યું, આ મિયાવાકી સિવાય બીજાં 50,000 કરતાં વધારે વૃક્ષો પંચાયત દ્વારા વાવવામાં આવ્યાં છે. આગામી મહિનાઓમાં તેમનો આ ટાર્ગેટ આ આંકડો એક લાખ સુધી પહોંચાડવાનો છે. જો આ ટાર્ગેટ પૂરો થઈ જાય તો, તેમની પછીની યોજના લોકો દ્વારા અને લોકો માટે ઓર્ગેનિક ગાર્ડન બનાવવાનો છે.

પહેલાંથી જ દુષ્કાળથી વ્યથિત એવા આ જિલ્લામાં કંકુબેનના નવીન વિચારથી પાણીની નદીઓ પર આધારિત રહ્યા વગર હરિયાળી ફેલાવવામાં આવે છે અને તે ખરેખર બહુ સારું સમાધાન છે.

મૂળ લેખ: ગોપી કારેલિયા

આ પણ વાંચો: ન વિજળીનું બિલ, ન શાકભાજીનો ખર્ચ, ન પાણીની ચિંતા, સૌરાષ્ટ્રના શિક્ષક આધુનિક સુવિધાઓ સાથે જીવે છે સાત્વિક જીવન

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon