ભારતમાં, જાળવણીના અભાવને કારણે જાહેર શૌચાલયોમાં પશુઓનો જમાવડો રહે છે, તો ક્યાંક એટલી દુર્ગંધ હોય છે કે, તમારે ત્યાં જતા પહેલાં 100 વાર વિચાર કરવો પડે, પરંતુ જરા વિચારો કે આવા શૌચાલયોની નજીક, જો દુર્ગંધને બદલે ફૂલોની સુગંધ આવે? ચોંકતા નહી, આજે અમે તમને એવા જ ટોઇલેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
હૈદરાબાદ શહેરના ઘણા હિસ્સામાં આવા 200થી વધુ શૌચાલયો છે, જે તદ્દન મફત છે, જેને લૂ કેફે કહેવામાં આવે છે.
લૂ કેફેનો પાયો હૈદરાબાદ સ્થિત એક્ઝોરા એફએમ કંપની દ્વારા મૂકવામાં આવ્યો છે, જે જાહેર શૌચાલયને નવું રૂપ આપવાની સાથે સાથે, લોકોની વચ્ચે તેના વ્યવહારને પણ પ્રોત્સાહન આપી રહી છે.

લૂ કાફે સ્ટાર્ટઅપના સંસ્થાપક અભિષેક નાથ કહે છે, “લૂ કાફે રિસાયકલ શિપિંગ કન્ટેનરથી બનાવવામાં આવે છે અને તે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. તેમાં સેન્સર છે, જે શૌચાલયને દુર્ગંધથી દૂર રાખવામાં મદદ કરવાની સાથે જ, ટાંકીમાં પાણીનું સ્તર ઘટી જાય તો હાઉસકીપરને સૂચિત કરે છે.”
આ શૌચાલયો પુરુષો, મહિલાઓ અને દિવ્યાંગો માટે અલગ-અલગ બનાવવામાં આવ્યા છે. આ માટે એક નિયંત્રણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે, જ્યાંથી વ્યાવસાયિકોની ટીમ દ્વારા ચોવીસ કલાક તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.
શૌચાલયની આસપાસ તેની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુગંધિત ફૂલો અને છોડ લગાવવામાં આવ્યા છે.

મોલ્સ અને શોપિંગ કોમ્પલેક્ષનાં સફાઇ અને સેનિટાઈઝેશન ક્ષેત્રે 20 વર્ષ સુધી કામ કર્યા પછી, અભિષેકને જાણવા મળ્યું કે આપણા દેશમાં સ્વચ્છતા અને હાઈજીન અંગે ઘણી ચિંતાઓ છે.
તે કહે છે, “અહીં જાહેર શૌચાલયોની કમી નથી, પરંતુ દુર્દશાને કારણે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ રીતે, શૌચાલયનું નિર્માણ કરવું સરળ છે, પરંતુ જાળવણી કરવી મુશ્કેલ છે.”
જેમ કે લૂ કેફેની સુવિધા લોકો માટે બિલકુલ નિશુલ્ક છે, તો તેની જાળવણીના ખર્ચને કાઢવા માટે અભિષેકે અહીં નાસ્તા અને પીણા માટેની સુવિધા વિકસાવી છે.
શૌચાલયના ઉપયોગને પ્રોત્સાહન
અભિષેક જણાવે છે, “લાંબી મુસાફરી દરમિયાન સારા જાહેર શૌચાલયોના અભાવથી મને સ્વચ્છ, ફ્રેન્ડલી અને ઉપયોગમાં સરળ શૌચાલય બનાવવાની પ્રેરણા મળી. અમે જાહેર શૌચાલયોના ઉપયોગ અંગે બનેલી ધારણાઓને તોડવા માંગીએ છીએ.”

અભિષેક કહે છે કે, પહેલું શૌચાલય બન્યા પછી, શહેરમાં 20 × 8 ફુટથી 4 × 5 કદના શૌચાલયો લાગી રહ્યા છે. તેમના કહેવા મુજબ, દરરોજ આશરે 200 થી 1,500 લોકો દરેક શૌચાલયમાં જાય છે.
આ સુવિધા પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડેલ દ્વારા વિકસાવવામાં આવી છે. આ અંતર્ગત, ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી) દ્વારા સ્થળની ખાતરી કરવામાં આવી છે, જ્યારે આ રચના અભિષેક દ્વારા બનાવવામાં આવી છે.
આ કડીમાં કે.એસ રવિ જે જીએચએમસીના સહાયક તબીબી અધિકારી છે, તેઓ કહે છે “લોકો બસ સ્ટેશનો અને એરપોર્ટ નજીક આ શૌચાલયોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. એટલે સુધી કે લોકો તેને અન્ય શૌચાલયો કરતા વધારે પસંદ કરે છે.”
તે જણાવે છે કે ઉપયોગકર્તા શૌચાલયમાં કેટલીક દવાઓ અથવા દૈનિક જરૂરિયાતની વસ્તુઓ માટે પણ વિનંતી કરે છે.
શું છે પડકારો
“અમારે પેવમેન્ટ્સ, ફૂટપાથ અને શૌચાલયો બનાવવાની જગ્યાની પસંદગી કરવામાં ખૂબ કાળજી લેવી પડે છે. કારણ કે, ઘણા લોકોને તેમના ઘર અથવા હાઉસિંગ સોસાયટીઓ સામે જાહેર શૌચાલયો પસંદ નથી,” અભિષેક કહે છે.
તે કહે છે, “ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે પણ ખાસ કાળજી લેવામાં આવે છે. અમે પાછલા વર્ષોમાં ઘણું શીખ્યા અને વધુ સારું કરવાનો પ્રયાસ કર્યો. અમારી પાસે એક સર્વે ટીમ છે, જે કોઈ ચોક્કસ ક્ષેત્રના વપરાશકર્તાઓની માનસિકતાને સમજવા માટે સમર્પિત છે. અમે તે મુજબ શૌચાલયો બનાવીએ છીએ.”

શું છે ભવિષ્યની યોજના
અભિષેક કહે છે કે, તે શૌચાલયમાં ઇલેક્ટ્રિક સોલર પાવર, માનવ કચરાના વહન માટે બાયો-ડાઈજેસ્ટર જેવી અનેક નવી ટેક્નોલોજીનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ શૌચાલયોને ગટરની લાઇનોમાંથી મુક્ત બનાવવાનો અને માનવ કચરામાંથી ઉપયોગી “પોષક તત્વોથી ભરપુર ઉત્પાદન” બનાવવાનો છે. આ ઉપરાંત શહેરના કેટલાક ભાગોમાં વરસાદી પાણીનો સંગ્રહ અને વોટર લેસ યુરિનલથી સંબંધિત પ્રયોગો પણ ચાલુ છે.
તે કહે છે, “યૂવી સ્ટ્રીપ્સવાળા એક પ્રોટોટાઈપની મદદથી એલ્કલાઇન વોટર શૌચાલયોને બેક્ટેરિયાથી મુક્ત રાખે છે. તેને ટૂંક સમયમાં બંજારા હિલ્સના લૂ કેફેમાં રજૂ કરવામાં આવશે.”
અન્ય શહેરો અંગે અભિષેક કહે છે કે, શ્રીનગરમાં લૂ કેફેનું ઓપરેશન શરૂ થઈ ચૂકયુ છે. આ પ્રોજેક્ટ ચેન્નઈમાં શરૂ થવાનો છે. જ્યારે, બેંગ્લોર અને પુણેમાં વાતચીત ચાલી રહી છે.
આ પણ વાંચો: 24 વર્ષીય યુવકે પોતાના ગામમાં પરત ફરીને શરૂ કરી ‘3 Idiots’ જેવી ઇનોવેશન સ્કૂલ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.