કહેવાય છે કે, “શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો.” શિક્ષક ઈચ્છે તો હજારો બાળકોનું ભવિષ્ય સવારી શકે છે. તેમને સારા સંસ્કાર આપવાની સાથે-સાથે તેમને ભણાવી-ગણાવી મોટા ઓફિસર બનવાનો રસ્તો ચીંધે છે. આવા જ એક શિક્ષક વિશે જણાવી રહ્યા છીએ આજે અમે.
ખેડા જિલ્લાના નાનકડા ગામ છાપરાની પ્રાથમિક શાળામાં નોકરી કરતા વિશાલ પારેક અમદાવાદમાં મણિનગરમાં રહે છે. અહીં માત્ર 20 ટકા લોકો જ એવા છે જેમને સધ્ધર કહી શકાય, બાકી બધાં છૂટક મજૂરી કે ખેત-મજૂરી કરી પેટીયુ રળે છે. એટલે અહીં નોકરી મળી ત્યારથી જ વિશાલભાઈના મનમાં તેમના માટે કઈંક કરવાની તલપ રહી છે.

અહીંનાં બાળકોને ભણાવવાની સાથે-સાથે તેજસ ભાઇ છેલ્લાં 10 વર્ષથી બીજી પણ ઘણી સેવાઓ કરે છે. શાળા સમય બાદ ઘરે આવી તેઓ અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ફરીને પહેરવા યોગ્ય કપડાં, બૂટ-ચપ્પલ, રમકડાં, પુસ્તકો વગેરે ભેગાં કરે છે અને છાપરા અને આસપાસનાં ગામનાં જરૂરિયાતમંદ બાળકો અને લોકોને આપે છે.
પરંતુ અચાનક કોરોનાનો સંક્રમણ શરૂ થતાં એક નવી સમસ્યા શરૂ થઈ. શાળાઓ બંધ થઈ ગઈ અને ઓનલાઇન શિક્ષણ શરૂ થયું. અહીં મોટાભાગનાં લોકોના ઘરે ટીવી કે સ્માર્ટફોન જેવી સુવિધા નહોંતી, જેથી બહુ ઓછાં બાળકો ભણી શકતાં. આ સમસ્યાની ચિંતા વિશાલભાઇને અંદરથી કોરી ખાતી હતી. તેઓ ઇચ્છતા હતા કે, કોઇપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.

વિશાલભાઈએ વૉટ્સએપ પર સેવાગૃપ નામનું ગૃપ બનાવ્યું છે, જેના પર બાળકોની આ સમસ્યા વિશે કહ્યું અને મદદ કરવા વિનંતિ કરી. તો સેવાગૃપના ગૌતમભાઈ પટેલે આ બાળકો માટે પ્રથમ ટીવી આપ્યું અને પછી વિશાલભાઇ પોતાના ખર્ચે ડીસ ટીવી લીધી.
ત્યારબાદ એક બાળકના વાલી સાથે ચર્ચા કરી. પહેલાં તો તેમણે આનાકાની કરી, કારણકે 4-5 કલાક ટીવી ચાલુ રહેવાથી લાઇટ બીલ વધે અને આસપાસનાં બાળકો પણ તેમના ઘરે ભણવા આવે. પરંતુ વિશાલભાઇની સમજાવટથી તેઓ માની ગયા અને પહેલું ટીવી ડીશ ટીવી સાથે લાગી ગયું. જેથી ગુજરાત સરકાર દ્વારા ડીડી ગિરનાર પર લેવામાં આવતા વર્ગો દ્વારા બાળકો ભણી શકે. ત્યારબાદ તો વાલીઓએ પણ આસપાસનાં બાળકો ભણવા આવે તેમના માટે પાણીની વ્યવસ્થા કરી.

આ અંગે ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં વિશાલભાઇએ કહ્યુ, “એક ટીવી લાગ્યા બાદ, અમારો પણ ઉત્સાહ વધ્યો અને ધીરે-ધીરે દાતાઓનો સંપર્ક કરી 30 ટીવી, 14 ડીશ કનેક્શન લગાવ્યા અને બે બાળકોના ઘરે લેપટોપ પણ આપ્યાં. આજે ગામનાં બાળકો હોંશે-હોંશે ભણી રહ્યાં છે. વચ્ચે કેટલીક અડચણો પણ આવી. કેટલાંક વાલીઓ બહુ સમજાવટ છતાં ન માન્યાં, પરંતુ કઈંક કરવાનું નક્કી કરી જ લીધુ હોય પછી એ અડચણો બહુ નાની લાગે અને અમે કામ ચાલું જ રાખ્યું.”
વધુમાં વાત કરતાં વિશાલભાઈએ કહ્યું, “અમે બે ટીવી બાજુના ગામના જરૂરિયાત લોકોને પણ આપ્યાં છે. અને હજી શાળાઓ ક્યારે શરૂ થશે તેનું કઈં નક્કી જણાતું નથી. બાળકો નાનાં હોય એટલે તેમની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. એટલે અમે પ્રયત્ન કરીએ જ છીએ કે, આસપાસનાં નાનાં-નાનાં ગામડાંનાં બાળકો સુધી પણ ટીવી પહોંચાડી શકાય. જેથી તેમનું શિક્ષણ પણ અટકે નહીં.”

વિશાલભાઇ પારેખના સેવાયજ્ઞને Foundation For Augmenting Innovation And Research In Education (FAIR-E) અને Education Innovation Bank (www.inshodh.org) તેમજ ધ બેટર ઈન્ડિયા દ્વારા ખૂબ-ખૂબ શુભેચ્છાઓ અને આશા રાખીએ છીએ કે, તેઓ તેમનાં આ કાર્યો આમજ ચાલુ રાખે.
જો તમને વિશાલભાઇનું કામ ગમ્યું હોય અને તેમનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો, તેમને Veshal.parekh@gmail.com પર ઈમેલ કરી શકો છો.
આ પણ વાંચો: ફૂટપાથ પર ભીખ માંગતાં બાળકો માટે ખાસ ‘ભાઇબંધ’ની નિશાળ, રાત્રે 7 થી 11 ભણાવે છે આ પ્રોફેસર
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.