લીલાં મરચાં સ્વાદની સાથે-સાથે સ્વાસ્થ્યના ગુણોનો પણ ખજાનો છે. આપણામાંથી મોટાભાગના લોકોને ભોજનમાં લીલાં મરચાંનો સ્વાદ ગમે છે. નિયમિત લીલાં મરચાંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. એટલે જ મહત્વનું છે કે, ઘરમાં જ મરચાંનો એક છોડ હોય. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ઘરે જ મરચાંનો છોડ વાવવાની સરળ રીત.
લીલાં મરચાં સ્વાદની સાથે-સાથે પોષણમાં પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન એ, બી6, સી, આયર્ન, કૉપર, પોટેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ સહિત ઘણા ગુણ હોય છે. એટલે જ ભોજનમાં લાલ મરચાની જગ્યાએ લીલાં મરચાંનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે.
મધ્યપ્રદેશના છિંદવાડામાં રહેતી ઋતુ સોની છેલ્લાં ઘણાં વર્ષોથી ટેરેસ ગાર્ડનિંગ કરી રહી છે. પોતાના 1200 સ્વેરફૂટના ગાર્ડનમાં તે જાત-જાતનાં ફૂલ, ફળ અને શાકભાજી ઉગાડે છે. પહેલાં તે સ્કૂલમાં શિક્ષિકા હતી, પરંતુ અત્યારે તે તેનો સંપૂર્ણ સમય ગાર્ડનિંગમાં આપે છે. તેણે તેની પોતાની એક યૂટ્યૂબ ચેનલ પણ શરૂ કરી છે, જેના માધ્યમથી તે લોકોને ગાર્ડનિંગ સંબંધિત માહિતી આપે છે.

આજે ધ બેટર ઈન્ડિયાના માધ્યમથી તે જણાવે છે કે, ઘરે કેવી રીતે લીલા મરચાંનો છોડ ઉગાડવો.
ઋતૂ સોની જણાવે છે, “બજારમાંથી આપણે ઘણીવાર લીલાં મરચાં લાવીએ એ થોડા સમયમાં લાલ થઈ જાય છે. તો ઘણાં સૂકાઇ પણ જાય છે. લીલામાંથી લાલ થયેલ આ મરચાંના બીજનો ઉપયોગ તમે છોડ ઉગાડવા માટે કરી શકો છો, તમે ઇચ્છો તો આ બીજ કાઢીને તેને સૂકવી પણ શકો છો અથવા બીજને સીધાં પણ વાવી શકો છો. બીજને મરચાંમાંથી કાઢીને સીધાં વાવવાથી તેમાં ભેજ પહેલાંથી જ હોય છે, એટલે તે જલદી વિકસે છે.”
શું-શું જોઇએ:
- કુંડું કે ગ્રો બેગ,
- પૉટિંગ મિક્સ,
- મરચાંનાં બીજ

યાદ રાખવું, મરચાનો છોડ બને ત્યારબાદ તમારે તેને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડશે. એટલે એકજ કુંડામાં ઘણાં બધાં બીજ ન નાખવાં. મરચાંનો છોડ ઉગાડવા માટે 15 ડીગ્રીથી 25 ડિગ્રી વચ્ચેનું તાપમાન યોગ્ય રહે છે.
કેવી રીતે ઉગાડવું:
- સૌથી પહેલાં પૉટિંગ મિક્સ તૈયાર કરો: માટી 50% + ખાતર 40% (છાણ/ઘરે બનાવેલ વર્મીકંપોસ્ટ) + કોકોપીટ 10%
- તમે ઈચ્છો તો તેમાં નીમખલી પણ મિક્સ કરી શકો છો અને નીમખલી ન હોય તો પત્તાંને સૂકવીને મિક્સ કરી શકો છો.
- પૉટિંગ મિક્સ કર્યા બાદ તેને ગ્રો બેગ કે કુંડામાં ભરી લો.
- હવે મરચાંનાં બીજ લો અને તેને કુંડામાં બધી જ બાજુ થોડા-થોડા અંતરે રાખો.
- હવે આ બધાં બીજ પર થોડી-થોડી માટી નાખો.
- પાણી હંમેશાં થોડું-થોડું છાંટવું, જેથી બીજ આડાં-અવળાં હલી ન જાય.

વધુમાં ઋતુએ જણાવ્યું, “ત્યારબાદ તમે જ્યારે બીજીવાર પાણી નાખો ત્યારે એક વાત ધ્યાનમાં રાખો કે, જ્યારે માટી ઉપરથી સૂકાવા લાગે ત્યારે જ નાખો. ઉપરની તરફ પેપરથી ઢાંકી શકો છો, જેથી થોડું અંધારુ થતાં બીજ જલદી અંકુરિત થશે.”
- કૂંડુ કે ગ્રો બેગ એવી જગ્યાએ રાખો, જ્યાં તડકો મળી શકે.
- લગભગ 10 દિવસ બાદ બીજ અંકુરિત થઈને નાના-નાના છોડ બની જશે.
જરૂર અનુસાર પાણી પાતા રહેવું. લગભગ 18 દિવસમાં છોડ એવડો બની જશે કે, તમે તેને ટ્રાન્સપ્લાન્ટ કરી સકશો. જો બીજ તમે કોઇ પહોળી ગ્રો બેગમાં ઉગાડ્યાં હોય અને તેમાં બે-ત્રણ છોડ જ હોય તો, તેને ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર નથી. પરંતુ જો વધારે પડતા છોડ હોય તો, ગ્રો બેગ કે કુંડુ નાનું પડશે, એટલે તેમને અલગ-અલગ કુંડામાં ટ્રાન્સપ્લાન્ટ કરો.

- બધા જ છોડને ખૂબજ ધ્યાનથી કાઢો. ત્યારબાદ મૂળને ધ્યાનથી ધોઇ લો.
- હવે કોઇપણ મીડિયમ સાઇઝનાં કુંડાં કે પ્લાન્ટરમાં પોટિંગ મિક્સ ભરી એક-એક છોડ ઉગાડી દો.
- ધ્યાન રાખવું કે, દર 15-20 દિવસના અંતરાયમાં એક છોડને ખાતર આપતા રહો.
- પેસ્ટ અટેકથી બચાવવા માટે લીમડાનું તેલ કે ડિશવૉશ લિક્વિડ પાણીમાં મિક્સ કરી સ્પ્રે કરતા રહો.
લગભગ 2 મહિના બાદ છોડમાં લીલાં મરચાં આવવા લાગશે અને ત્રણ મહિનામાં તો ભરપૂર મરચાં આવવા લાગશે. આ છોડમાં લગભગ બે મહિના સુધી મરચાં આવતાં રહેશે.
તમે આ બધી માહિતી આ વીડિયોમાં પણ જોઇ શકો છો:
જો તમે ઘરે જ પોટિંગ મિક્સ અને જાત-જાતનાં જૈવિક પોષણ અને પેસ્ટિસાઇડ બનાવવા ઇચ્છતા હોય તો, આ માટે ઋતૂ સોનીની યૂટ્યૂબ ચેનલ ફોલો કરી શકો છો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: Tips To Grow Methi: અનેક ગુણોથી ભરપૂર એવી મેથી ઘરે જ કેવી રીતે ઊગાડશો?
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.