અન્યને સલાહ આપવી ખૂબ જ સરળ છે. પરંતુ તેને જાતે અનુસરવી, ઘણીવાર તદ્દન મુશ્કેલ હોય છે. જેઓ સલાહ આપવા કરતાં વધુ અમલ કરવા પર વિશ્વાસ રાખે છે, તેઓ ડો.મુકુલ કુમાર ભટનાગર જેવા છે. હિમાચલ પ્રદેશનાં કાંગડાનાં કાર્ડિયોલોજી વિભાગમાં એસોસિયેટ પ્રોફેસર, ડૉ. મુકુલ કુમાર ભટનાગરે માત્ર ચાર મહિનામાં 15 કિલો વજન ઘટાડ્યું છે. આમ કરીને, તેમણે ફેટી લીવર અને હાઈ બીપીને પણ દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આજે તે વજન ઘટાડવા (Weight Loss Tips) સંબંધિત કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી રહ્યા છે.
44 વર્ષીય ડો.ભટનાગરે પોતાના માટે એક દિવસનો નિત્યક્રમ બનાવ્યો હતો. જેમાં યોગ્ય આહાર અને વ્યાયામ યોજનાનો સમાવેશ થતો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ નિત્યક્રમનું પાલન કરીને, તે 15 કિલો વજન ઘટાડવામાં સફળ રહ્યા છે.
તેમણે ધ બેટર ઈન્ડિયાને પોતાની દિનચર્યા વિગતવાર સમજાવી છે. તેથી જો તમે પણ વજનને લગતી સમાન સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ લેખ ધ્યાનથી વાંચો.
ડો.ભટનાગર કહે છે, “હું ક્યારેય ખૂબ જ એથ્લેટિક કે સ્પોર્ટ્સ પર્સન રહ્યો નથી. હું શરૂઆતથી જ પુસ્તકો અને અભ્યાસમાં ડૂબેલો રહેતો હતો.”
વર્ષ 2013માં પીજીઆઈ, ચંદીગઢથી મેડિસિનમાં ડોક્ટરેટ (ડીએમ) કર્યા પછી, ડૉ. ભટનાગર કાંગડાનાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સરકારી મેડિકલ કોલેજમાં જોડાયા અહીં તેમણે કાર્ડિયોલોજી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે જણાવે છે, “હું કામમાં સંપૂર્ણપણે વ્યસ્ત હતો. જાન્યુઆરી 2015 માં, મને ખબર પડી કે મને પોટ્સ સ્પાઇન (કરોડરજ્જુ સંબંધિત રોગ) છે.”

ત્યારબાદ, ડો.ભટનાગર ચાર મહિના સુધી બેડ-રેસ્ટ પર રહ્યા. તેમણે જુલાઈ 2016 સુધી એન્ટી-ટ્યુબરક્યુલર સારવાર લીધી હતી. તે કહે છે કે આ તે સમય હતો જ્યારે તેણે વજન વધારવાનું શરૂ કર્યું. તેનું વજન 78 કિલોથી વધીને 85 કિલો થઈ ગયું. જાન્યુઆરી 2017માં, તેણે હળવું વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. ડો.ભટનાગરનો આખો સમય અને ઉર્જા કામમાં લાગતી હતી અને તેનું વજન ક્યારે 90 કિલો સુધી પહોંચી ગયું તેનો તેમને ખ્યાલ ન આવ્યો.
ડો.ભટનાગર કહે છે કે લોકડાઉન દરમિયાન વધુ સમય મળવાથી તેમને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી. લોકડાઉનની શરૂઆતમાં, ડો.ભટનાગરનું વજન 93 કિલો હતું અને તેઓ હાઈ બીપીથી પણ પીડાતા હતા. આ સાથે, તે કોલેસ્ટ્રોલના વધતા સ્તર અને ફેટી લીવરની બીમારી સાથે પણ લડી રહ્યા હતા. તે કહે છે, “હું આ માટે તાત્કાલિક દવાઓ લેવા માંગતો ન હતો અને આ જ વાતથી મને વજન ઓછું કરવાની પ્રેરણા મળી.”
ડૉ.ભટનાગરનું રૂટીન
ડૉ.ભટનાગર સવારે 4:45 વાગ્યે જાગે છે. સૌથી પહેલાં તે બદામ અને અખરોટ સાથે મધ અને લીંબુનું પાણી પીવે છે. આ પછી, ડો.ભટનાગર એક કલાક ચાલે છે અને પછી HIIT (હાઇ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ) અથવા અડધા કલાક માટે વેઇટ ટ્રેનિંગ કરે છે.

તેમના નાસ્તામાં સામાન્ય રીતે પરાઠા, પીનટ બટર સાથે બ્રાઉન બ્રેડ, બ્રેડ ઓમેલેટ, બાફેલા ઇંડા, દૂધ સાથે ઓટ્સ/મુસલી, મગની દાળનાં ચીલાનો સમાવેશ થાય છે. સવારે 11 વાગ્યાની આસપાસ ડૉ.ભટનાગર એક કપ આદુની ચા, ક્યારેક લસ્સી અથવા છાશ અથવા નાળિયેર પાણી લે છે.
તેમના ભોજનમાં પૂરતા પ્રમાણમાં લીલા શાકભાજી, દાળ, દહીં, સલાડ અને ભાત સાથે બે રોટલીઓ હોય છે. બપોરે 2 વાગ્યાની આસપાસ, તેઓ ગ્રીન ટી અને પ્લમ અને સાંજે 4 વાગ્યે એક કપ આદુની ચા લે છે.
ડો.ભટનાગર થોડા અંતરાલે ઉપવાસ (Intermittent Fasting)કરે છે, એટલે કે તેઓ દરરોજ સાંજે 5 વાગ્યા સુધી ભોજન લે છે. રાત્રિભોજન માટે, તે ઘણીવાર પૌવા,ઇડલી, ડોસા, દલિયા, ઢોકળા, ખીચડી, ચીઝ સેન્ડવીચ, સ્પ્રાઉટ્સ અથવા ક્યારેક ફળો પણ ખાય છે.
રાત્રિભોજન પછી, ડો.ભટનાગર એક કલાક સાયકલ ચલાવે છે અને બે કલાક ચાલે છે. તે કહે છે, “હું હંમેશા વહેલા ઉંઘવામાં અને વહેલા ઉઠવામાં માનતો હતો. મને પણ તેનાથી ઘણો ફાયદો થયો છે.”
ડૉક્ટરની ટીપ્સ
એક કસરત પ્લાન (કસરત યોજના) બનાવો અને તેને અનુસરો. વરસાદ હોય કે તડકો, ડો.ભટનાગર દરરોજ બહાર નીકળે છે અને શરીરને ફિટ રાખવા માટે જરૂરી હોય તેટલા વૉકિંગ સ્ટેપ્સ પુરા કરે છે અથવા ચાલે છે.
એવા લોકો શોધો જે તમારી જેમ વજન ઘટાડવા માગે છે અને ફિટનેસ તરફ આગળ વધો. તે કહે છે કે જો તમે એકલા હોવ તો પણ તમારા માટે કામ કરો અને તમારી જાતને પ્રેરિત કરવાની રીતો શોધતા રહો.

તમારી પોતાની જાત માટે કેટલાંક નાના માપદંડો નક્કી કરો, જે તમે સતત પ્રાપ્ત કરીને ખુશ અનુભવી શકો છો. તમે કદાચ ઝડપથી વજન ઘટાડતા નથી, પરંતુ તમે તમારા ‘ફેટ સ્ટોરેજ’ ના થોડા ઇંચ ઘટાડી શકો છો અથવા તમારા ‘બ્લડ માર્કર્સ’ સતત સુધારો થઈ રહ્યો છે.
દિનચર્યાને એક આદત બનાવવા માટે, તેને લાંબા સમય સુધી ચાલુ રાખો. તેઓ કહે છે કે એકવાર તે આદત બની જાય, પછી તમને દરરોજ કસરત કરવા માટે નવી રીતો મળી જ જશે.
સ્વચ્છ, પૌષ્ટિક ખોરાક ખાવા પર ધ્યાન આપો. તમારા ડૉક્ટરને પૂછો કે શું તમે વિશેષ ડાયટનું પાલન કરી શકો છો કે નહી. ડો.ભટનાગર સમયાંતરે ઉપવાસ કરવાનું ઉદાહરણ આપીને કહે છે કે તે તેનું પાલન કરે છે, પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય નથી.
શાકભાજી અને કઠોળનું સેવન વધુમાં વધપ કરો અને કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછું કરવાનો પ્રયાસ કરો. મોસમી અને તાજા ફળો અને શાકભાજી ખાવાનું ચાલુ રાખો.
કોલ્ડ સ્ટોરેજ ફળો અને શાકભાજી અને પ્રોસેસ્ડ ફૂડથી પણ દૂર રહો.
વધુ માહિતી માટે, તમે ડૉ. ભટનાગરના ફેસબુક પેજ ને પણ ફોલો કરી શકો છો.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: માત્ર 6 મહિનામાં ડાયટ વગર જાતે જ ઘટાડ્યું વજન, પછી ‘2500’ લોકોને પણ બનાવ્યા ‘ફેટમાંથી ફિટ’
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.