કોરોના રોગચાળાના પ્રકોપને જોતા, લોકોમાં સ્વસ્થ રહેવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાગૃતિ વધી છે. વધુ ને વધુ તંદુરસ્ત અને પૌષ્ટિક ખોરાક ખાવા તરફ ધ્યાન વધ્યું છે. આને કારણે, ઘણા સ્વદેશી સુપરફુડ્સ પણ લાઈમ-લાઈટમાં આવ્યા છે, જેમાં સરગવાનાં પાંદડાઓના આરોગ્ય લાભોનો સમાવેશ થાય છે, જેને સજના પાટા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સરગવો ભારતીય ઉપખંડનો મૂળ દુષ્કાળ પ્રતિરોધક પાક છે. શાકભાજીની સાથે આ વૃક્ષના પાંદડાનો ઉપયોગ શાકભાજી, સૂપ અથવા અન્ય વાનગીઓ બનાવવામાં પણ થાય છે. દક્ષિણ ભારતમાં, ડ્રમસ્ટિકને સાંબરમાં મિક્સ કરવામાં આવે છે અને તેના પાંદડા રસમ બનાવવા માટે વપરાય છે.
કેટલાક અહેવાલો દાવો કરે છે કે, અન્ય ફળો અથવા શાકભાજી કરતાં સરગવો વધુ પોષક લાભ ધરાવે છે. ઉદાહરણ તરીકે, સરગવાના પાંદડાઓમાં વિટામિન સીની માત્રા નારંગી કરતા ઘણી વધારે છે. વધુમાં, તેમાં કેલ્શિયમનું પ્રમાણ પણ દૂધની તુલનામાં ઘણું વધારે છે.
ઔષધીય ગુણધર્મો અને પોષક તત્વોથી સમૃદ્ધ
શિશુઓ અને નર્સિંગ માતાઓમાં કુપોષણ સામે લડવા માટે ઘણાં વર્ષોથી સરગવાના વૃક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. અહેવાલો સૂચવે છે કે વિકાસશીલ દેશોમાં, જ્યાં લોકો તેમના આહારમાં પૂરતા પ્રમાણમાં વિટામિન, ખનીજ અને પ્રોટીનનો અભાવ ધરાવે છે, સરગવો આ બધાનો સારો સ્રોત બની શકે છે.

સરગવાના પાંદડા વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ, આવશ્યક એમિનો એસિડ, પ્રોટીન વગેરે જેવા વિવિધ પોષક તત્વોથી સમૃદ્ધ છે. તેમાં એન્ટી-ઈન્ફ્લેમેંટ્રી ગુણોવાળા એન્ટીઓક્સિડેંટ પણ વધારે છે. આ ઉપરાંત, આ પાંદડામાં આઇસોથિઓસાયનેટ્સ નામના પોષક તત્વો વધારે હોય છે, જે લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.
2014માં હાઈ બ્લડ સુગર ધરાવતી 30 મહિલાઓ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમને નિયમિતપણે સાત ગ્રામ મોરિંગા પાવડર (સરગવાનાં પાંદડાનો પાવડર) આપવામાં આવતો હતો. ત્રણ મહિનાના અંતે, બ્લડ ટેસ્ટમાં ખાંડના સ્તરમાં સરેરાશ 13.5% ઘટાડો જોવા મળ્યો છે.
High Blood Pressure માટે ફાયદાકારક
સરગવાના પાનનો બીજો ઔધીય ફાયદો છે. તે બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડે છે, જે જીવલેણ હૃદય રોગોથી બચાવે છે. હાઈ બ્લડ પ્રેશરનું સૌથી મોટું કારણ પોષક તત્વોથી ભરપૂર આહારનો અભાવ છે. નેશનલ હાર્ટ, લંગ એન્ડ બ્લડ ઈન્સ્ટિટ્યૂટ અનુસાર, ફળો, શાકભાજી અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોથી સમૃદ્ધ આહાર બીપીનું સ્તર ઘટાડવા માટે જરૂરી છે.
આ જ અભ્યાસમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા અથવા અટકાવવા માટે પોટેશિયમથી સમૃદ્ધ ફળો અને શાકભાજીનો નિયમિત વપરાશ કરવો જોઈએ. સરગવાના પાંદડા પોટેશિયમ, ખનિજો અને વિટામિન્સથી સમૃદ્ધ છે. અભ્યાસો પુષ્ટિ કરે છે કે એક કપ સરગવાના પાંદડામાં કેળા કરતા ત્રણ ગણા વધુ પોટેશિયમ હોય છે.
સરગવાના પાંદડા પોલિફેનોલ્સ અને આઇસોથિઓસાયનેટ્સ જેવા બાયોએક્ટિવ સંયોજનોથી ભરેલા હોય છે, જે કેન્સર અને હૃદયરોગને રોકવામાં તેમજ બ્લડ પ્રેશર ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

શું કહે છે, ન્યૂટ્રીશનિસ્ટ?
મુંબઈ સ્થિત ન્યુટ્રિશનિસ્ટ, જયશ્રી જૈન કહે છે કે આ બાયોએક્ટિવ સંયોજનો ધમનીઓમાં કોલેસ્ટ્રોલનું નિર્માણ અટકાવે છે. આ ઉપરાંત, તેઓ હૃદયમાં લોહીના પ્રવાહને સરળ બનાવવામાં પણ મદદ કરે છે. તેણી ડાયાબિટીસ અથવા સ્થૂળતાથી પીડાતા તેના મોટાભાગના ગ્રાહકોને સલાહ આપે છે કે તેમના નિયમિત આહારમાં સરગવાના પાંદડા શામેલ કરે.
તેણી કહે છે,“જો કોઈને તાજા પાંદડા ન મળે, તો તેઓ સરગવાના અથવા સૂકા મોરિંગા પાવડર ધરાવતા સપ્લીમેંટ્સ લઈ શકે છે. આ પાવડરને થોડાં લીંબુના રસ સાથે હૂંફાળા પાણીમાં ભેળવી શકાય છે. સવારે તેને પીવાથી આંતરડાની ગતિ સુધરે છે.”
આ YouTube વીડિયોમાં, એક યુવક કહી રહ્યો છે કે દરરોજ સરગવાનાં પાનનું સેવન કરવાથી તેનું બીપીનાં લેવલને ઘટાડવામાં મદદ મળી છે.
વિડીયો મુજબ, ઝહર અહમદ હાઈ બ્લડ પ્રેશરથી પીડિત હતો અને તેનો ઉપચાર કરવા માટે તેને દવાઓ આપવામાં આવી હતી. કેટલીકવાર હાઈ બ્લડ પ્રેશરને કારણે તેને દિવસમાં બે વખત દવા લેવી પડતી હતી. આ પછી, તેમણે નિયમિત રીતે સરગવાનાં પાંદડાનું સેવન કરવાનું શરૂ કર્યું, જેનાથી તેમને ઘણો ફાયદો થયો. આ જ કારણ છે કે તેણે હવે તેની ટેરેસ પરના કુંડામાં સરગવો ઉગાડવાનું શરૂ કર્યું છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: ફિટનેસથી લઈને સ્ટ્રેસ સુધી, ગુણોની ખાણ છે ‘દૂધી’, જાણો હેલ્થ બેનિફિટ અને રેસિપિ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.