ખેડૂતોને જગતના તાત કહેવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં સૌથી દયનિય સ્થિતિ ખેડૂતોની જ હોય છે. આખા વર્ષની તનતોડ મહેનત બાદ ખેડૂતોને તેમની ઉપજના ભાવ વ્યાપારી જે આપે તે લઈ લેવા પડે છે. આ પરંપરાને તોડતાં હિંમતનગરના મહેરપુરના ખેડૂત સલમાનઅલી નૂરભાઇ ડોડિયાએ અપનાવ્યો નવો જ રસ્તો. આજે સલમાનભાઇ દેશના હજારો ખેડૂતો માટે પ્રેરણા બન્યા છે.
મધ પાલનના વ્યવસાય અંગે વાત કરતાં સલમાનભાઇએ કહ્યું, “લગભગ 17-18 વર્ષ પહેલાં સલમાનભાઇ તેમના પિતા સાથે સાપુતારા ગયા હતા અને ત્યાંથી જ તેમને મધપાલન અંગે જાણવા મળ્યું. આ અંગે વિચાર કર્યો અને પૂરતી તપાસ કરી લગભગ બે વર્ષમાં તેમણે પણ આમાં ઝંપલાવ્યું.” સલમાનભાઇ પાસે 40 એકર જમીન છે, જેમાં તેઓ 100% ડીપ ઈરિગેશન પદ્ધતિથી ચીકુ, દાડમ, વરિયાળીની ખેતી કરે છે.

મધપાલનની શરૂઆત સલમાનભાઇએ 50 પેટીથી કરી હતી. જેમાં સફળતા મળતાં ધીરે-ધીરે સલમાનભાઇએ પેટીઓમાં વધારો કર્યો અને અત્યારે સલમાનભાઇ પાસે અંદાજે 2300 પેટીઓ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમણે પદ્ધતિસરનું મધ્યપાલન શરૂ કર્યું છે અને લગભગ 100 જેટલા ખેડૂતો પણ તેમનાથી પ્રેરાઇને આ કામમાં જોડાયા છે. આ બોક્સ માટે સલમાનભાઇ ઈટાલિયન એપિસ મેલિફેરા મધમાખી લાવે છે.

મધપાલનમાં પણ સૌથી મોટો પડકાર એ હતો કે, મધના ઉત્પાદન બાદ તેમની પાસેથી વ્યાપારીઓ બહુ સસ્તામાં ખરીદે છે. તેથી સલમાનભાઇએ આમાં એક ડગલું આગળ વધવાનો નિર્ણય કર્યો. અને તેમણે તેમની બધીજ કમાણી, બચત વાપરીને ખેતીની જમીનમાં મધનો પ્લાન્ટ નાખ્યો. આ પ્લાન્ટ તેમણે હિંમતનગર પાસે તેમના વતન મહેરપુરમાં મોટો પ્લાન્ટ નાખ્યો, જેમાં કાચુ મધ નાખતાં જ પ્રોસેસિંગ બાદ સીધુ પેક થઈને બહાર નીકળે છે. મલ્ટીનેશનલ કંપનીઓની જેમજ તેમનો પ્લાન્ટ કામ કરે છે. અત્યારે તેમનો આ પ્લાન્ટ ભારતનો ખેતીલાયક જમીનમાં સૌથી મોટો પ્લાન્ટ છે. આ વાતની પુષ્ટિ એમબીબીના ડિરેક્ટર બીએમ સારસ્વત સાહેબે પણ કરી, જ્યારે તેમણે આ પ્લાસ્ટની મુલાકાત લીધી.

ત્યારબાદ સરકારે પણ મધુક્રાંતિની શરૂઆત કરી જેના અંતર્ગત બનાસ ડેરીનું પેકિંગ પણ સલમાનભાઇના પ્લાન્ટમાં થવા લાગ્યું. સલમાનભાઇના પ્લાન્ટમાં પ્રોસેસ થયેલ મધની ગુણવત્તા એટલી સારી રહેવા લાગી કે, બનાસ ડેરીના બધા જ ખેડૂતોનું મધ અહીં આવવા લાગ્યું. આ પ્રોસેસ મધનો ઉપયોગ ડેરી દ્વારા આઇસ્ક્રિમમાં પણ શરૂ થયો.

ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં સલમાનભાઇએ કહ્યુ, “અમુલના રાજભોગ આઈસ્ક્રીમમાં વપરાતુ મધ આજ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવે છે. હવે એટલી સરસ સાઇકલ બની ગઈ છે અને આખો પ્લાન્ટ એટલી સરસ રીતે બનાવવામાં આવ્યો કે, દુનિયાના 11 દેશોના પ્રતિનિધીઓએ મુલાકાત લીધી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, હંગેરી સહિત ઘણા દેશોના લોકો આવ્યા. ત્યારબાદ અમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની કંપનીઓ પણ સામેથી આવી અને અમારા મધ અને ઉત્પાદનોને પ્લેટફોર્મ મળ્યું. અત્યારે માર્કેટમાં એપેરા ઇન્ડિયાના નામથી અમારું મધ માર્કેટમાં વેચાઇ રહ્યું છે.”
આનાથી એક ડગલું આગળ વધતાં સલમાનભાઇએ મધ સંલગ્ન ઉત્પાદનો બનાવવાનાં અને વેચવાનાં શરૂ કર્યાં. જેમાં 13% મધ વાળો હની-ગ્લિસરિન સાબુ બનાવ્યો, હની ચોકલેટ બનાવી, લીપબામ, હની શેમ્પૂ અને હની ચીકી પણ બનાવી. હની ચીકીનું ઉત્પાદન તો તેમનું બહુ લોકપ્રિય બન્યું, જેમાં તેમણે મધની સાથે-સાથે કાજુ-બદામ, પિસ્તાની સાથે-સાથે શુદ્ધ ઘીનો ઉપયોગ કર્યો.

પછી તો સરકારના વિવિધ અધિકારીઓએ પ્લાન્ટની મુલાકાત લીધી અને અત્યારે સલમાનભાઇ ભારતનો સૌથી મોટો બી કિપિંગ પ્રોજેક્ટ હેન્ડલ કરી રહ્યા છે. એનજીઓના ટેન્ડર અંતર્ગત સરકાર આદિવાસી ખેડૂતોને ઊંચા ભાવની અને ઉચ્ચ ગુણવત્તાની કિટ આપવામાં આવે છે. તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને મધને ભેગું કરવાનું કામ કરવામાં આવે છે.
સલમાનભાઇનો આખો પ્લાન્ટ ઈકો ફ્રેન્ડલી વાતાવરણમાં બનાવવામાં આવ્યો. અહીં આસપાસ પ્રદૂષણનું પ્રમાણ એકદમ નહિંવત છે. અને ટેક્નોલોજી પણ એટલી અદભૂત છે કે, મધને પ્રોસેસિંગથી લઈને પેકિંગ સુધી કોઇને સ્પર્ષ પણ કરવાની જરૂર નથી પડતી, જેથી સ્વચ્છતાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખી શકાય છે.
વિડીયોમાં જુઓ સલમાનભાઇનો પ્લાન્ટ
આ બધાથી ફાયદો દેશના ખેડૂતોને થયો. આઈઆઈએમથી લઈને વિવિધ કૉલેજોના વિદ્યાર્થીઓ પણ તેમની પ્લાન્ટની મુલાકાત લે છે. જેના કારણે આસપાસના ખેડૂતો પણ તેમના પ્લાન્ટની મુલાકાત લેતા થયા. ખેડૂતોને પણ અનુભવાયું કે આપણે લાચાર, બિચારા કે બાપડા નથી. બીજા હજારો ખેડૂતો વેલ્યૂ એડિશન અંગે વિચારવા લાગ્યા. તેમનાં ઉત્પાદનોએ ખેડૂતો ગ્રાહકોની માંગ અનુસાર પેક કરીને જાતે વેચવા લાગ્યા. જેથી તેમની આવકમાં પણ વધારો થયો.
અત્યારે સલમાનભાઇના પ્લાન્ટમાં જ એક મોટી લેબ પણ બનાવવામાં આવી. જેમાં મોટાભાગના ટેસ્ટ કરવામાં આવે છે. અહીં તેમને ખબર પડી જાય છે કે, કયા-કયા ફૂલોમાંથી નેક્ટર આવ્યાં. આ ઉપરાંત બીજી રસપ્રદ બાબત એ છે કે, મધમાખી ફૂલોમાંથી બે વસ્તુઓ લાવે છે. એક નેક્ટર, જેને પાછું કાઢે એટલે એ મધ બને છે. બીજું ફૂલોમાંથી પરાખ લાવે છે. આ પરાગમાં 40% પ્રોટીન હોય છે. સલમાનભાઇએ લોકોને આ પરાખ અંગે પણ લોકોને જાગૃત કર્યા કે, આનો ઉપયોગ ન્યૂટ્રિશન સપ્લિમેન્ટ તરીકે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત તેમાંથી નીકળતા વેક્સમાંથી પણ મીણબત્તી બનાવવામાં આવે છે.

મધ ઉત્પાદનના બીજા ફાયદા અંગે વાત કરતાં સલમાનભાઇ કહે છે કે, જે ખેતરમાં તમે મધ ઉત્પાદનની પેટીઓ મૂકો છો, ત્યાં તમે બીજાં ખેત ઉત્પાદનો પણ લઈ શકો છો. તેનાથી ખેત ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને ખેડૂતને બે તરફથી આવક મળે છે.
મધ ઉત્પાદન અંગેની વાત કરતાં સલમાનભાઇ જણાવે છે કે, એક બોક્સમાંથી વાર્ષિક શૂન્યથી 75 કિલો સુધીનું મધ મળવાની શક્યતા રહે છે. જેના દ્વારા ખેડૂતને એક કિલો દીઠ 150 થી 700 રૂપિયા સુધી મળવાની શક્યતા છે. બોક્સમાં મધ ભેગુ થઈ જાય પછી ખાસ ટ્રેનિંગ આપેલ ટીમ દ્વારા મધપૂડાને જરા પણ નુકસાન કર્યા વગર ખાસ પદ્ધતિથી મધ લેવામાં આવે છે અને પછી આ મધપૂડાને પાછો બોક્સમાં મૂકવામાં આવે છે. જેથી મધમાખી અને અંદર રહેલ તેનાં ઈંડાંને જરા પણ નુકસાન થતું નથી.

ત્યારબાદ સાઇન્ટિફિકલી માપદંડો અનુસાર મધ પર પ્રોસેસ કરવામાં આવે છે, જેથી તેની ગુણવત્તા બગડે નહીં. તેઓ તેમનું મધ કોઇ મૉલ કે વેબસાઇટને આપતાં પહેલાં લેબ રિપોર્ટ મોકલે છે અને પછી જ મધ આપે છે, જેથી કોઇને ગુણવત્તા અંગે કોઇને આશંકા ન રહે.
અત્યારે સલમાનભાઇ સાથે લગભગ 55 ખેડૂતો મધ ભેગુ કરવાનું કામ કરી રહ્યા છે. તો તેમનો પ્લાન્ટ સંપૂર્ણ ઓટોમેટિક હોવાથી, પ્લાન્ટમાં માત્ર 6 લોકો જ કામ કરે છે. સલમાનભાઇ સાથે મળીને 15-16 ખેડૂતો પણ આ જ કામમાં જોડાયા છે. તો આ સિવાય બીજા 100 કરતાં પણ વધુ લોકો આડકતરી રીતે તેમની સાથે જોડાયેલ છે. ગુજરાતમાં બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, છોટાઉદેપુર સહિત ઘણા વિસ્તારના ખેડૂતો સલમાનભાઇ સાથે મળીને ખેત ઉત્પાદનની સાથે મધનું ઉત્પાદન પણ લે છે.

મધની ગુણવત્તા અને ભાવ અંગે વાત કરતાં સલમાનભાઇ જણાવે છે કે, રાઇના ફૂલથી બનતું મધ સૌથી સસ્તુ મધ છે. તો કિકર, જૂજૂબીનું મધ સૌથી મોંઘુ હોય છે. આમ અલગ-અલગ ફૂલોમાંથી મળેલ નેક્ટ્ર્સની કિંમત અલગ-અલગ હોય છે. તો મધ અંગે બીજી રસપ્રદ વાત કરતાં સલમાનભાઇએ કહ્યું કે, મોટાભાગના લોકો એમ માને છે કે, મધ નીચે જામે એટલે તે ખાંડની ચાસણી હોય છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. મધમાં ગ્લુકોઝ અને ફૂટ્રોઝ હોય છે. જે મધમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય તે મધ જલદી જામી જાય છે. જેમાં રાઈ, કેસર, સૂર્યમૂખી અને સીસમનું મધ નીચે જામી જતું હોય છે. પરંતુ ભારતમાં આ બાબતે લોકોમાં જાગૃતિ ન હોવાથી બહારના દેશો ખેડૂતો પાસેથી મફતના ભાવમાં આ મધ લઈ લે છે અને ત્યાં ઊંચી કિંમતમાં વેચે છે.

પહેલાં તો સલમાનભાઇ તેમના મધને વિદેશોમાં પણ મોકલતા હતા. પરંતુ ભારતમાં જ તેમના મધની માંગ એટલી હોવાથી હવે તેઓ તેની નિકાસ કરતા નથી.
વર્ષ 2018 માં કેરળમાં ઇન્ટરનેશનલ વેગા એક્સ્પો હતો. જેમાં સલમાનભાઇ ભારત સ્તરે ગુજરાતને બીજા નંબરે જીતાડીને લાવ્યા હતા.
તમે આ અંગે વધુ જાણવા ઇચ્છતા હોય તો 9099990429 પર સંપર્ક કરી શકો છો. તમે care@aperaindia.com પર ઈમેલ કરી શકો છો અથવા વધુ માહિતી માટે વેબસાઇટ પર જઈ શકો છો.
આ પણ વાંચો: અમદાવાદી કપલ છત ઉપર માટી પાથરી કરે છે ગાર્ડનિંગ, શાકભાજી મળવાની સાથે ઘર પણ રહે છે ઠંડુ
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.