આજે અમે તમને એક એવા ખેડૂત સાથે રુબરુ કરાવવા જઈ રહ્યાં છીએ, જે જૈવિક રીતે મોરિંગા (સરગવો)ની ખેતી સાથે પાકનું પ્રોસેસિંગ પણ કરી રહ્યાં છે. ખેતીમાં ટેક્નીકના ઉપયોગથી આ ખેડૂત વાર્ષિક 30થી 40 લાખ રુપિયા કમાઈ લે છે. ગુજરાતના આણંદ જિલ્લાના કુંજરાવ ગામના રહેવાસી દીપેન કુમાર શાહને સરગવાની જૈવિક ખેતી અને તેના વેલ્યૂ એડિશનમાં પ્રયોગો માટે પણ જગજીવન રામ સન્માન સહિત અનેક કૃષિ પુરસ્કારો મળી ચૂક્યા છે.
દીપેને પોતાની આ મુસાફરી વિશે ધ બેટર ઈન્ડિયાને વિસ્તારથી જણાવ્યું. તેમણે કહ્યું કે, 1997માં 12માં ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પછી તે ખેતી કરવા લાગ્યા. તેઓ કહે છે કે,’મારી પાસે 20 એકડ જમીન છે. પિતાજી સાથે હું ટામેટાં, મરચા જેવા શાકભાજી ઉપરાંત તમાકુની ખેતી પણ કરતો હતો. બાકી ખેડૂતની જેમ અમે પણ ખેતરમાં રસાયણનો ઉપયોગ કરતા હતાં. જોકે, વારંવાર મંડી અને કૃષિ મેળામાં જવાથી અમને જૈવિક ખેતી સંબંધમાં અનેક જાણકારી મળી હતી.’

વર્ષ 2009માં તેમણે નક્કી કર્યું કે, ધીરે ધીરે તેઓ જૈવિક ખેતી તરફ આગળ વધશે જોકે, જૈવિક ખેતી પણ ત્યારે જ સફળ થાય જ્યારે યોગ્ય માર્ગદર્શન મળે. ખાસ તો શાકભાજીમાં જૈવિક ખેતીની શરુઆતમાં સારી ઉપજ લેવી ખૂબ જ મુશ્કેલ બનતું હતું. આથી તે એવા કોઈ પાક ઉગાડવા વિશે વિચારવા લાગ્યા જે જૈવિક પદ્ધતિથી જલદી સફળ થાય.
” હું શાકભાજી લઈને યાર્ડમાં ગયો હતો જ્યાં મેં સરગવો વેચવા આવેલા ખેડૂતોને જોયા. આ 2010ની વાત છે. મેં જોયું કે તેમને યાર્ડમાંથી સારો ભાવ મળી રહ્યો હતો. ખેડૂતો સાથે વાત કરીને જાણવા મળ્યું કે સરગવો ઉગાડવો સરળ છે અને ગરમ વિસ્તારમાં સારી રીતે ઉગી શકે છે. બસ મેં તે સમયે જ નક્કી કર્યું કે આની પર હાથ અજમાવવો છે.”

ઘર-પરિવારમાં તેમણે દરેકને રાજી કર્યા. કેટલાક જમીન પર તેમને પ્રયોગો કરવા જોઈએ. તેમનો આત્મવિશ્વાસ જોઈને તેમના પિતાએ તેને 5 એકર જમીન પર સરગવો લગાવવાની અનુમતિ આપી હતી. શરુઆતના વર્ષથી જ તેમને સરગવાની સારી ઉપજ મળી અને બજારમાં સારો ભાવ પણ મળ્યો. આ સાથે જ તેમને વધારે ખર્ચો થયો નહોતો. તેમણે જણાવ્યું કે, સરગવો ગરમીમાં સારો થાય છે અને પછી જે જગ્યાઓએ થોડી ભીનાશ અને પછી વરસાદની ઋતુ હોય છે, ત્યાં તેનું ઉત્પાદન થતું નથી.
”આ કારણે જ ગુજરાતનું વાતાવરણ હંમેશા સારુ રહે છે. અહીં પર તે વાતાવરણમાં પણ સરગવાનું પાક લઈ શકીએ છીએ. જ્યારે બીજા રાજ્યોમાં તેનું ઉત્પાદન ઓછું થાય છે. શિયાળામાં તો અમને સારુ બજાર મળી રહે છે. જોકે, ગરમીમાં તેની કિંમત ઓછી થઈ જાય છે. કારણકે દરેક જગ્યાએ તે મળે છે. આથી પાક વેચવામાં પરેશાની આવવા લાગે છે.” દીપેને જણાવ્યું હતું.

દીપેને આ સમસ્યાનું સમાધાન શોધવાનું શરુ કર્યું કે આખરે એવું શું કરવામાં આવે જેથી સમગ્ર વર્ષ તેને સરગવાની ખેતીથી ફાયદો થાય. આ માટે તેમણે અલગ અલગ જગ્યાઓથી માહિતી એકઠી કરી અને પ્રયોગો કર્યા હતાં. તેમણે પહેલા તો પોતાના સંબંધી પાસેથી જાણ્યું કે, બહારના દેશોમાં સરગવાની ડાળીઓને નાની નાની કાપીને એક ટિનના ડબ્બામાં પાણી અને મીઠું ઘોળીને પેક કરવામાં આવે છે. જેને ડાળીઓમાં કેનિંગ કરવાનું કહેવામાં આવે છે. તેમણે પણ આવી જ કોશિશ કરીને વેચવાની કોશિશ કરી પરંતુ તેમાં મહેનત અને ખર્ચ બન્ને વધારે આવે છે.
”2012-13માં સરગવાને લઈને વધારે જાગૃતતા પણ નહોતી અને મને બધા એ જ સલાહ આપતા હતા કે મારે સરગવાને છોડીને હવે અન્ય પાક તરફ ધ્યાન આપવું જોઈએ. જેના વેલ્યૂ એડિશન માટે પણ હું વધારે રુપિયા લગાવી ચૂક્યો હતો. જોકે, સફળતા મળી નહોતી.”
દીપેને વિચાર્યું કે, જ્યારે હળદર, મરચા વગેરેના પાઉડર બને છે તો સરગવો જ્યારે સૂકાઈ જાય તો તેનો પાઉડર પણ બની શકે છે. તેમણે મિક્સરમાં પાઉડર બનાવ્યો. આ પાઉડરને સાંભાર વગેરે બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમણે અનુભવ્યું કે સરગવાનો પાઉડર નાખવાથી દાળ અને શાકનો ટેસ્ટ વધી જાય છે.

તેમણે વધુ જાણીને અન્યને કોશિશ કરવાનું કહ્યું અને સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ પાઉડરને લઈને તેઓ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પહોંચ્યા અને ત્યાં તેમનું ન્યૂટ્રીશ્યિન વેલ્યૂ આંકવામાં આવી. ”મને આજે પણ યાદ છે કે, ત્યાં એક્સપર્ટ્સે કહ્યું કે, તમે દેશી પાવરહાઉસ બનાવ્યું છે. તેની આગળ દરેક સપ્લીમેન્ટ્સ નિષ્ફળ છે.” દીપેને જણાવ્યુ હતું. જોકે, તેની સમસ્યા અહીં જ પૂરી થઈ નહોતી. એક ગામનો સામાન્ય ખેડૂત આખરે કેવી રીતે અને ક્યાં સુધી તેનું માર્કેટિંગ કરતો હોત. જોકે, દીપેને હિંમત ન હારી. તેમણે કહ્યું કે, કોશિશ કરનારની હાર નથી થતી.
વર્ષ 2013માં તેઓ ફરી તેમની આ નવી પ્રોડક્ટ માટે આણંદના કૃષિ મેળા પહોંચ્યા. ત્યાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને કેટલાક વહીવટી અધિકારીઓ પણ આવ્યા હતાં. મુખ્યમંત્રીએ દરેક ખેડૂતોના પાકને જોયા અને ત્યાં દીપેન જ એકલા એવા ખેડૂત હતાં. જે પાક નહીં પરંતુ વેલ્યૂ એડ પ્રોડક્ટ લઈને આવ્યા હતાં. દરેક તેમના સ્ટોલ પર આવતા હતા અને આ વિશે જાણવા ઈચ્છતા હતાં. ‘મેં જણાવ્યું કે આ સરગવાનો પાઉડર છે અને તેમાં આશરે 22 પોષક તત્વ છે. આપણા દેશમાં સરગવો આટલો વધારે થાય છે પરંતુ બાળકો કુપોષણનો શિકાર છે. આ બધું હું હવામાં નથી કહી રહ્યો પરંતુ મારી પાસે યુનિવર્સિટીના એક્સપર્ટ્સના રિપોર્ટ હતાં.’ તેમણે આગળ ઉમેર્યુ હતું.

આ કૃષિ મેળામાં આશરે એક મહિના પછી દીપેનને ગુજરાત સરકાર તરફથી સરગવાના પાઉડરની પ્રોસેસિંગ તેમજ માર્કેટિંગ કરવામાં પણ મદદ મળી હતી. દરેક સ્કૂલ કોલેજ અને જંગલી વિસ્તારમાં સરગવાના ઝાડ ઉગાડવા માટે તેમજ લોકોની ડાયેટમાં સમાવેશ કરવા પર કામ થવા લાગ્યું. આ માટે દીપેનની મદદ લેવામાં આવી અને પ્રોસેસિંગ યુનિટના સેટઅપ માટે પણ મદદ મળી. તેઓ કહે છે કે, તેમને બિલકુલ વિશ્વાસ થયો નહોતો કે, એક જ વર્ષમાં તેમની તસવીર બદલી ગઈ હતી.
વર્ષ 2015માં તેમની ખેતીમાં પ્રોસેસિંગ યુનિટ બનીને તૈયાર હતું. તેમણે પોતે જ એક વર્કશોપથી પોતાની જ દેખરેખમાં સરગવાની ડાળીઓ અને પાનના પ્રોસેસિંગ માટે એક મશીન બનાવડાવ્યું. પ્રોસેસિંગ યુનિટ સેટઅપ કરવાની સાથે જ તેમણે સરગવાની ખેતી 5 એકડથી વધારીને 12.5 એકડમાં કરવાનું શરુ કર્યું. હવે તેઓ આસપાસના વિસ્તારોના ખેડૂતો પાસેથી પણ સરગવો ખરીદે છે. જે સીઝનમાં ખેડૂતોને બજારમાંથી સારો ભાવ ન મળે તેઓ પોતાનો પાક દીપેનને આપી દે છે.
આ રીતે ખેડૂતોને બન્ને સીઝનમાં બરાબરનો નફો થાય છે. તેમની પ્રોસેસિંગ યુનિટથી આશરે 80 ખેડૂતો જોડાયેલા છે. દર વર્ષે તેઓ લગભગ 15 હજાર કિલો સરગવાની ડાળીઓ અને તેના પાનના પાઉડર બનાવે છે. હાલ તો તેઓ આ બે પ્રોડક્ટ પર જ કામ કરી રહ્યાં છે અને અન્ય પ્રોડક્ટ્સ પર રિસર્ચ ચાલી રહ્યું છે.
આ પ્રોડક્ટ તેઓ 200 અને 250 ગ્રામના ડબ્બાઓમાં પેક કરે છે. દર વર્ષે 60000થી પણ વધારે ડબ્બાઓ વેચાય છે. જે સીધા ગ્રાહકો, કેટલાક સ્ટોર માલિકો તો કેટલાક આયુર્વેદિક કંપનીઓને જાય છે. તેમણે પોતાના માતાપિતાના નામ પુષ્પ અને મુકુંદને સાથે રાખીને ‘પુષ્પમ’ નામ બનાવ્યું. અને પોતાનું બ્રાન્ડ નામ પુષ્પમ ફૂડ્સ રાખ્યું હતું.

તેમની પ્રોસેસિંગ યુનિટમાંથી દર વર્ષે લગભગ 10-12 લોકોને રોજગારી પણ મળે છે. આ ઉપરાંત વર્ષના 3 મહિનામાં ખેતરોમાં કંઈ ખાસ કામ ન હોય તો મજૂરો પાસે રોજગાર ન હોય ત્યારે તે સમયે પણ પ્રોસેસિંગ યુનિટમાં ખાસ્સું કામ હોય છે. આ 3 મહિના દરમિયાન તેઓ 70 મજૂરોને રોજગારી આપે છે.
સરગવાની પ્રોસેસિંગ ટેક્નિક પર પણ તેમની પેટન્ટ છે અને તેમની પાસે એક્સપોર્ટ કરવાનું લાઈસન્સ પણ છે. હાલ તો તે સરગવાની પ્રોસેસિંગ કરીને વાર્ષિક 30-40 લાખની કમાણી કરી લે છે. તેમનો હેતુ સરગવાની અનેક પ્રોડક્ટ્સ બજારમાં ઉતારવાનો છે.
દીપેનની 15 કિલો સરગવાનો પાઉડરથી 15000 કિલો સુધી સરગવાનો પાઉડર બનાવવાની સફર બિલકુલ સરળ નહોતી, જોકે, તેમને પોતાના પર ભરોસો હતો આ કારણે જ તેઓ બાકીના ખેડૂતોને એ પણ કહે છે કે, નાનામા નાનો ખેડૂત પણ આજના જમાનામાં પ્રોસેસિંગ દ્વારા સારુ કમાઈ શકે છે.
‘જ્યારે હું મારી ઓળખ બનાવવામાં લાગ્યો હતો ત્યારે સોશિયલ મીડિયાની પણ બોલબાલા નહોતી અને ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનની વધારે સુવિધા પણ નહોતી. જોકે, હવે તમને ગામમાં પણ વ્હોટ્સએપ, ફેસબૂક અને ગૂગલની જાણકારી રાખનાર લોકો મળી જશે. ખેડૂતોને આગળ વધવા માટે ટેક્નીકનો ભરપૂર ઉપયોગ કરવો પડશે અને પાકના વેલ્યૂ એડિશન પર ધ્યાન આપવું જોઈશે. મુશ્કેલી દરેક કામમાં તમને આડી આવશે. જોકે, તમે હાર માની લો કે તેની સામે લડી લો એ તમારા પર આધાર રાખે છે.’ તેમણે ઉમેર્યુ હતું.
દીપેન કુમાર શાહનો સંપર્ક કરવા માટે તમે અહીં ક્લિક કરો.
મૂળ લેખ: નિશા ડાગર
આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીથી 6 મહિનામાં થયો 2 લાખ રૂપિયા નફો, વ્હોટ્સએપથી કર્યુ માર્કેટિંગ !
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.