શહેરોમાં બનેલાં કોંક્રિટનાં મોટા-મોટા ઘરો અને આધુનિક ફર્નિચરના ચલણ સાથે, હરિયાળી અને પ્રકૃતિ સાથે જોડાણ ઓછું થઈ રહ્યું છે. આવા ઘરોની દિવાલો પરના પેઇન્ટથી લઈને એસીની હવા સુધી, બધા આપણા પર્યાવરણ માટે જોખમી છે. શહેર તો શહેર, આજકાલ ગામડાઓમાં પણ કાદવને બદલે પાકું મકાન બનાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, બેંગ્લોર શહેરમાં ઘોષ પરિવારના ઘરમાં, માટીથી બનેલાં ઘર જેવી ઠંડક રહે છે. એટલું જ નહીં, આ ઘર એક સસ્ટેનેબલ ઘર પણ છે, જે તેની મૂળભૂત જરૂરિયાતો માટે માત્ર પ્રકૃતિ પર આધાર રાખે છે.
2014થી, દેબાશીષ, તેની પત્ની મૌશમી, તેમની માતા અને પુત્ર આ ઈકો-ફ્રેન્ડલી ઘરમાં રહે છે, જેનું નામ છે- ‘પ્રકૃતિ!’
ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતા, મૌશમી કહે છે, “જ્યારે અમે નવું ઘર બનાવવાનું વિચાર્યું, ત્યારે મારો આખો પરિવાર કોંક્રિટ અને ગ્રેનાઈટથી બનેલાં ઘરમાં રહેવા માંગતા હતા. દરમિયાન, અમે આર્કિટેક્ટ ચિત્રા વિશ્વનાથ વિશે સાંભળ્યું, જે આવા પર્યાવરણને અનુકૂળ ઘરો બનાવવા માટે જાણીતા છે. તેમની મદદથી, અમે અમારા સપનાનું ઘર બનાવી શક્યા.”
4000 સ્ક્વેર ફૂટના વિસ્તારમાં બનેલા આ ઘરના અડધાથી વધુ ભાગમાં બગીચો છે. એટલે કે, વૃક્ષો અને છોડ વચ્ચે બનેલું આ ઘર કુદરતી રીતે એક સારી ઇકો-સિસ્ટમ બનાવે છે.

ઇકો ફ્રેન્ડલી માળખું
કેમકે તેઓ કોંક્રિટથી બનેલું સામાન્ય ઘર ઇચ્છતા ન હતા, એટલે ઘરની દિવાલો હાથથી બનાવેલી ઇંટોથી બનાવવામાં આવી છે. આ બધી ઇંટો એક ભઠ્ઠામાં સળગાવીને નહીં પણ 21 દિવસ સુધી તડકામાં સૂકવીને બનાવવામાં આવે છે. તેણે બધી દિવાલોને ગામઠી દેખાવ આપવા માટે પેઇન્ટ, રંગ વગેરેનો પણ ઉપયોગ કર્યો નથી.
આ પણ વાંચો: અમદાવાદનો મોહ છોડી આર્કિટેકે ગામડામાં બનાવી ઈકો-ફ્રેન્ડલી ઑફીસ અને ઘર, વાવે છે ઘર માટે ફળ-શાકભાજી પણ
જ્યારે, ઘરના ફ્લોર માટે વધુ અને વધુ ટેરાકોટા ટાઇલ્સ અને રેડ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઘરને ઠંડુ કરવાનું કામ કરે છે. આ સિવાય, મૌશમી કહે છે કે આવા ફ્લોરિંગને કારણે, તેને અને તેની માતાના ઘૂંટણના દુખાવામાં પણ ઘણી રાહત મળી છે.
તે ડુપ્લેક્સ હાઉસ છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ રૂમ, રસોડું અને એક રૂમ છે. પહેલા માળે બે રૂમ છે. રસોડામાં અને ઉપરના માળના રૂમમાં સ્કાઈ વિંડોઝ બનાવવામાં આવી છે. જેથી દિવસ દરમિયાન કુદરતી પ્રકાશ રહે. રૂમમાં મોટી બારીઓ છે અને દરેક બારીમાંથી બગીચાનો સુંદર નજારો જોવા મળે છે.

સસ્ટેનેબલ વ્યવસ્થાઓ
ઘરની રચનાને જ માત્ર કુદરતી રાખવામાં આવી નથી, પણ કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘરની આવશ્યક સુવિધાઓ માટે કરવામાં આવી રહ્યો છે. ઘરમાં પંખા અને એસી ની જરૂર નથી અને મહત્તમ સૂર્યપ્રકાશનો ઉપયોગ થાય છે. તેથી, ઘરની વીજળીની જરૂરિયાત એકદમ ઓછી છે. રસોડાના ઇન્ડક્શન સિવાય, ઘરની તમામ લાઇટ, કોમ્યુટર વગેરે સૌર ઉર્જા પર ચાલે છે. સોલર પેનલ્સમાંથી દર મહિને માત્ર એક કિલોવોટ ઉર્જા ઘરની જરૂરિયાતોને પૂરી કરવા માટે પૂરતી છે.
આ સિવાય, જે વાત આ ઘર અને ઘોષ પરિવારને અન્યથી અલગ બનાવે છે તે વરસાદી પાણી અને ગ્રેવોટરની વ્યવસ્થા છે જે ઘરમાં કરવામાં આવી છે. રસોડું, બાથરૂમથી લઈને પીવા સુધી, તેઓ વરસાદી પાણીનો ઉપયોગ કરે છે. વરસાદના પાણીને એકત્ર કરવા અને ફિલ્ટર કરવા માટે ટાંકીઓ બનાવવામાં આવી છે. 10 હજાર લિટરની ટાંકી ભર્યા બાદ વરસાદના દિવસોમાં વધારાનું પાણી બોરવેલમાં જાય છે. આ રીતે, વરસાદી પાણી તેમના ઘરની જરૂરિયાતોને પૂરી કરે છે એટલું જ નહીં, પણ જમીનના પાણીના સ્તરને વધારવા માટેનું પણ કામ કરી રહ્યું છે.
મૌશમીએ કહ્યું, “થોડા વર્ષો પહેલા, અમારા ઘરના બોરવેલમાં પાણી સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું. પરંતુ જ્યારથી અમે અહીં રહેવા આવ્યા છીએ, ત્યારથી બોરવેલનાં પાણીનું સ્તર ખૂબ સારું બની ગયું છે.”

ઉપયોગમાં લેવાયેલા વેસ્ટ પાણીથી ગાર્ડનમાં હરિયાળી રહે છે
મૌશમીએ કહ્યું કે સુશોભન છોડની સાથે સાથે તેના ઘરમાં ઘણા ફળોના વૃક્ષો પણ રોપવામાં આવ્યા છે. જોકે, અગાઉ તે શાકભાજી પણ ઉગાડતી હતી. પરંતુ તેના કામમાં વ્યસ્ત હોવાને કારણે તે શાકભાજીના છોડની યોગ્ય કાળજી લઈ શકતી ન હતી. તેથી જ અત્યારે તેણે શાકભાજીના છોડ વાવ્યા નથી. તે કહે છે, “જ્યારે અમે અહીં રહેવા આવ્યા ત્યારે આ જમીન પર એક પણ છોડ રોપવામાં આવ્યો ન હતો અને માત્ર પાંચ વર્ષમાં અહીં હરિયાળી છવાઈ ગઈ છે અત્યારે અમારી પાસે દાડમ, કેળા, નાળિયેર, સીતાફળ, લીંબુ સહિત બીજા ઘણા મોટા વૃક્ષો છે.
આ પણ વાંચો: દાહોદના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષકે ઘરમાં બનાવ્યું મીની જંગલ, દેશી-વિદેશી ફળ-શાકભાજી, ફૂલો છે અહીં

બગીચાના વૃક્ષો અને છોડને પાણી આપવા માટે, તેઓ વપરાયેલ ગ્રેવોટરનો ઉપયોગ કરે છે. કપડાં, વાસણો અને સ્નાન કર્યા બાદ જે પાણી બહાર આવે છે તેને ફિલ્ટર કરીને ઉપયોગમાં લેવાય છે. જેના માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. એક, સાત ફૂટ ડ્રેઇન દ્વારા, ગંદુ પાણી ગ્રેવોટર ટાંકીમાં જાય છે. તે ડ્રેઇનમાં પત્થરો અને કાંકરા સાબુ અને અન્ય રસાયણોને પાણીથી અલગ કરે છે. જોકે, મૌશમીએ કહ્યું કે તે ઘરમાં ઓછામાં ઓછા રસાયણોનો ઉપયોગ કરે છે.
છેલ્લે, તે કહે છે, “આવા ઘર બનાવવાનો પ્રારંભિક ખર્ચ થોડો વધારે છે, પરંતુ જો તમે દૂરનું વિચારો છો, તો લગભગ બે થી ત્રણ વર્ષમાં તમારો બાંધકામ ખર્ચ પણ વસૂલ થઈ જશે. કારણ કે પાછળથી, ઘરની વીજળી અને પાણીનો ખર્ચ ના બરાબર હોય છે.”
એટલે કે, એવું કહેવું ખોટું નહીં હોય કે જેવું આ ઘરનું નામ છે, આ ઘર બિલકુલ એવું જ, કુદરત સાથે જોડાયેલું છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: એસી તો દૂરની વાત, ઘરમાં કેટલાય મહિનાઓ સુધી પંખો ચલાવવાની પણ જરૂર નથી પડતી
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.