Search Icon
Nav Arrow
save nature
save nature

પૉલીથીન આપો, છોડ લઈ જાઓ: પ્લાસ્ટિકનાં બદલામાં વહેંચ્યા લગભગ 1 લાખ છોડ

‘પૉલિથીન ડોનેટ મિશન’ હેઠળ લોકો પાસેથી જૂની પોલીથીન લઈને તેમાં છોડ વાવીને પછી તેમને વહેંચે છે

આપણે બધા જાણીએ છીએ કે પ્લાસ્ટિક પર્યાવરણ માટે હાનિકારક છે, પરંતુ તે પણ સાચું છે કે, આપણા બધાનાં ઘરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ થયો નથી. આમ, તો એ પણ સાચું છે કે જો આપણે બધા મજબુત ઇચ્છાશક્તિ સાથે આગળ વધીએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ચોક્કસપણે ઓછો થઈ જશે. આવું જ કંઈક ઝારખંડમાં થઈ રહ્યું છે. અહીં, એક દંપતીએ તેમના વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક અનોખી ઝુંબેશ શરૂ કરી છે.

આ કહાની રામગઢનાં ઉપેન્દ્ર પાંડે અને તેમના પત્ની સોના પાંડેની છે જે લોકોને પ્લાસ્ટિક/પૉલીથીનને નદી-નાળામાં અને લેન્ડફિલમાં જતા કેવી રીતે રોકી શકાય, તેનો રસ્તો બતાવી શકાય. આ દંપતી છેલ્લા 6 વર્ષથી સતત તેમના ક્ષેત્રને પોલિથીન મુક્ત બનાવવા માટે પ્રયત્નશીલ છે.

Save nature

કોચિંગ સંસ્થા ચલાવતા પાંડે દંપતી હંમેશાં પર્યાવરણ અને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજી ચૂક્યા છે. તેણે હંમેશાં તેના રહેણાંક સંકુલમાં હરિયાળીને એક સ્થાન આપ્યું છે અને ઓછામાં ઓછા તેના રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. ઉપરાંત, તેમની કોચિંગ સંસ્થા દ્વારા, અન્ય વિદ્યાર્થીઓની સાથે, તેઓ કેટલાક જરૂરીયાતમંદ અને ગરીબ પરિવારોમાંથી આવતા મેઘાવી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પણ આપી રહ્યા છે.

ઉપેન્દ્ર પાંડે અને સોના પાંડેએ એક અભિયાન શરૂ કર્યુ ચે, જેનું નામ છે- ‘પોલિથીન આપો, છોડ લો.’ જી હા, જો તમે પર્યાવરણ પ્રત્યે સભાન છો અને તમારા ઘરે પોલિથિનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો પછી તમે પોલિથીન એકત્રિત કરી શકો છો અને તેમને આપી શકો છો. બદલામાં તે તમને તેમના બગીચામાંથી તૈયાર છોડ આપશે.

આ અભિયાન વિશે ઉપેન્દ્રએ ધ બેટર ઈન્ડિયાને કહ્યું, “અમે આ પહેલ 2014માં શરૂ કરી હતી. કેન્દ્રમાં નવી સરકારની રચના કરવામાં આવી હતી અને લોકોને તેમની પાસેથી ઘણી આશા હતી કે તેઓ ઘણું બધુ કરશે. આવી સ્થિતિમાં, એક દિવસ અમારા બગીચામાં બેઠા હતા, ત્યારે અમે પતિ-પત્ની વાત કરી રહ્યા હતા આપણે શું કરી શકીએ? તો પત્નીજીએ સૂચન કર્યું કે,રામગઢને પોલિથીન મુક્ત ન બનાવવું જોઈએ.”

Plastic free country

તેમના અભિયાન વિશે વિચાર્યા પછી, તેમણે તેમની વ્યૂહરચના ઘડી કે તે લોકોને પોલિથીનના બદલામાં છોડ આપશે. તે સમયે તેમના ઘરમાં મુશ્કેલથી 150 છોડ હતા. પરંતુ આ પહેલ અંગે નિર્ણય લઈ તેણે વધુ છોડ તૈયાર કરવાનું શરૂ કર્યું. સોનાએ તેના ઘરે કામ કરતી બાઇ સાથે વાત કરી. સોનાએ તેને જણાવ્યુકે, તે જ્યાં કામ કરે છે ત્યાં લોકોને કહે કે, પોલિથીન ફેંકી દેવાને બદલે તેને આપી દે.અને તે જે પણ પોલિથીન લાવીને તેમને આપશે તેના બદલામાં તેઓ તેમની પાસેથી છોડ લઈ જઈ શકે છે.

“અમારું અભિયાન આ રીતે શરૂ થયું. પહેલાં અમારા ઘરે આવતી દીદી, પછી તેમના કેટલાંક સાથીઓએ પોલીથીન લાવીને આપી હતી. પછી અમે જે લોકો કચરો એકત્રિત કરીને તેને બાળી નાંખે છે, અમે તેમને અમારી સાથે જોડ્યા. આ પછી સફાઇ કર્મચારીઓને કહ્યું કે, તેઓ કચરામાં પોલિથીન ન નાંખીને તેને અમને લાવીને આપે.આ રીતે જ અમારી સ્ટોરી શરૂ થઈ અને જોત જોતામાં લોકો જોડાતા ગયા, ”તેમણે કહ્યું.

ઉપેન્દ્ર અને સોનાને જે પણ પોલીથીન મળે છે, તેમાં તેઓ નવા છોડ તૈયાર કરે છે. અત્યાર સુધી તેમને જે પણ પોલીથીન મળે છે, તેની સંખ્યા હવે તેનાં છોડ કરતાં વધારે છે. એટલા માટે તેમણે ઘણી બધી પૉલીથીન રીસાઈક્લિંગ માટે મોકલી છે. તેઓ કહે છે, “અત્યાર સુધી અમને લગભગ ટ્રક કરતાં પણ વધારે પોલીથીન અલગ-અલગ જગ્યાએથી મળી છે. તેમાંથી જે થોડી મજબૂત અને એ રીતની હોય છે કે, વર્ષો સુધી છોડને સંભાળી શકે. તેમાં અમે છોડ વાવીએ છીએ. પછી જ્યારે કોઈ પોલીથીન આપવા આવે છે તો તેને પોલીથીનનાં બદલામાં તે છોડ આપીએ છીએ. છોડ કેટલો મોટો કે નાનો આપવો છે તે જે લોકો પોલીથીન લઈને આવે છે તેઓ કેટલી પોલીથીન લઈને આવે છે તેની ઉપર નિર્ભર કરે છે.”

ઉપેન્દ્રનું કહેવું છે કે જો કોઈ તેમનો ઉદ્દેશ્ય સમજીને તેમની પાસે આવી રહ્યા છે, તો પછી જો તે ભલે એક પોલિથીન લાવે તો પણ તે તેની માંગ પ્રમાણે છોડ આપશે. પરંતુ જો કોઈ ફક્ત દેખાડો કરવા માટે જોડાશે, તો પછી તેઓ ગમે તેટલી પોલિથીન લાવે છે, તો પણ તે ફક્ત એક કે બે છોડ આપશે.

“સૌથી મહત્વની વાત એ છે કે લોકો અમારા ઉદ્દેશને સમજે. નહીં તો કોને પ્લાસ્ટિક એકત્ર કરવાનું પસંદ છે? અમે પણ નથી ઈચ્છતા કે કોઈ અમને પ્લાસ્ટિક લાવીને આપે પરંતુ આ ત્યારે જ સંભવ છે જ્યારે અમે પોલીથીનને આમારા જીવનમાંથી ઘટાડવાનો પ્રયત્ન કરીએ. ધીરે ધીરે, આ પ્રયત્નોનો રંગ લાવશે અને પછી એવો દિવસ આવે જ્યારે લોકો પાસે અમને પોલિથીન આપવા માટે હોય જ નહી.”

Plastic free India
Plastic free India

ઉપેન્દ્ર અને સોનાએ આ અભિયાનમાં અત્યાર સુધીમાં લગભગ 1 લાખ રોપાનું વિતરણ કર્યું છે. નાના સ્તરથી લઈને મોટા અધિકારીઓ સુધીના લોકો તેમના બગીચામાં આવીને તેમને પોલિથીન આપીને પ્લાન્ટ લઈ ગયા છે. તેમના પોતાના બગીચામાં આજે 10,000થી વધુ છોડ છે. વેલા, ફૂલો, ફળો, ઔષધિઓ, ઈન-ડોર, આઉટડોર અને ઘણાં વિવિધ પ્રકારના છોડ અહીં ઉપલબ્ધ છે. તેમની દેખરેખ માટે તેમણે માળી રાખેલો છે. અને તેમનો આખો પરિવાર, જેમાં તેમનો પુત્ર અને કોચિંગમાં ભણતા તેમનાં વિદ્યાર્થીઓ પણ સામેલ છે – દરેક બગીચાની સંભાળ રાખે છે.

તેમણે તેમના ઘરે જ નર્સરી બનાવી છે. પરંતુ આ નર્સરીમાંથી એક પણ છોડ વેચાણ માટે નથી. પરંતુ લોકો તેમની સુઝબુઝ અને વાતાવરણના પ્રત્યે તેમની સજાગતાને લીધે અહીં રોપાઓ કમાય છે. સોના કહે છે, “અમારો એક જ ઉદ્દેશ છે – પોલિથીન મુક્ત રામગઢ અને અમારા આ ઉદ્દેશ માટે અમે બધા પુરા મન અને કર્મથી સમર્પિત છીએ.”

ઉપેન્દ્ર કહે છે કે તેમનું સ્વપ્ન છેકે, ભારતમાં દરેક પ્લાસ્ટિકનું રિસાયકલ થાય અને લોકો તેમની જવાબદારીઓ સમજે.

ધ બેટર ઇન્ડિયા ઉપેન્દ્ર પાંડે અને સોના પાંડેના પ્રયત્નોની પ્રશંસા કરે છે અને આશા છે કે ઘણા લોકો તેમની પાસેથી પ્રેરણા લેશે.

જો તમે તેમનો સંપર્ક કરવા માંગતા હોય, તો તમે pdmission16@gmail.com પર ઇમેઇલ કરી શકો છો અથવા તેમના ફેસબુક પેજ- પોલિથીન ડોનેટ મિશનને જોઈ શકો છો. અથવા તમે ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી શકો છો.

મૂળ લેખ: નિશા ડાગર

આ પણ વાંચો: માત્ર અડધા વિઘા જમીનમાં ગુલાબ ઉગાડી ગુલકંદનો વ્યવસાય કરે છે નવસારીના નાનકડા ગામની આ મહિલા

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon