અમુક લોકો એટલા પ્રતિભાશાળી હોય કે એક સાથે ઘણાં કામ પાર પાડતાં હોય છે. તેમની શક્તિ અને કળા એક હટકે લેવલ પર હોય છે. એમાં પણ જો લગ્ન પછી ઘર બહારના કામ કરવાં હોય તો દરેકના હાથની વાત નથી. એમાં પણ સૌથી અઘરી વાત કે એક સ્ત્રી માટે તો આ કામ હિમાલય ચડવા જેટલી મહેનત માંગી લેતા હોય છે. અહીં જે બહેનની વાત કરવી છે એમાં કંઈક એવું જ કૌવત છે. એક કાંકરે અનેક પક્ષીઓ મારવાની જાણે કે તેઓની જૂની ટેવ છે. નામ છે ધારા પુરોહિત ભટ્ટ. લગ્ન પછી પણ અનેક કામો એકસાથે કરતાં બહેન વિશે ઠેરઠેર વાતો કરવામાં આવી રહી છે. ત્યારે આવો જાણીએ ધારા બહેનના કાર્યો વિશે.
25 લોકોના સ્ટાફ સાથે ભગીરથ કાર્ય કરતું ટ્રસ્ટ
જીજે-10 જામનગર આમ તો ઘણી રીતે ગુજરાતમાં વખણાતું રહ્યું છે. અનેકવિધ વાતોએ જામનગરને દરેકના હોઠ પર રમતું રાખ્યું છે. પરંતુ જ્યારે અમુક વર્ષો પછી જામનગરની વાત કરવી હશે તો ધારા બહેનને એકાદ પન્ના પર ટાંકવા પડશે. જરૂરિયાતમંદ બાળકો અને સ્ત્રીઓ માટે અવિરત કામ કરતું એક ટ્રસ્ટ એટલે પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ. આમ તો 25 લોકોનો સ્ટાફ આ કામમાં જોડાયેલો છે. પરંતુ ધારાબહેનને મોભી ગણી શકાય. ધારા બહેનના પતિ પરિમલ ભાઈ ભટ્ટ પણ ધારા બહેનના કદમમાં કદમ મિલાવીને હર હંમેશ સાથ આપી રહ્યા છે. છેલ્લા ૩ વર્ષથી આ ટ્રસ્ટ અવિરત નેક કામ કરતું આવ્યું છે.

એક કાંકરે અનેક તીર મારવાનું કામ કરતું ટ્રસ્ટ
આમ તો માર્કેટમાં રોજ એદાક ટ્રસ્ટ અસ્તિત્વ પામતા હશે. પરંતુ તમે વિચારો કે એક જ ટ્રસ્ટ કેટલું કરી શકતું હશે? આવો અમે તમને ગણાવીએ કે ધારા બહેનનું આ ટ્રસ્ટ કેટલું કામ કરે છે. સલાહ કેન્દ્ર, મેરેજ બ્યુરો, બહેનોને પગભર થવા માટે વિવિધ વર્ગો, કાનૂની શિક્ષણ શિબિર, આરોગ્ય શિક્ષણ શિબિરો, વિવિધ તહેવારોમાં જામનગરના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો સાથે તેઓને વિવિધ મદદ પુરી પાડીને ઉજવણી કરવી, બહેનો-દિકરીઓ માટે હાઈજીન અવેરનેસ કાર્યક્રમો અને સેનેટરી પેડ વિતરણ અને આવું તો કંઈ કેટલુંય. જો તમે પણ માથું ખંજવાળવા લાગ્યા ને! પણ પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ એકસાથે આટલું બધું કરી રહ્યું છે. તમે સાંભળીને થાકી ન જતાં, હજુ મેઈન કામ તો કહેવાનું બાકી જ છે.

જામનગરના આ બે વિસ્તારોને લીધાં છે દત્તક
જામનગરના બે વિસ્તારને આ ટ્રસ્ટ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. હાપાની જવાહરનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર અને ગણપતનગર દિગ્જામ સર્કલ પાસેનો વિસ્તાર આ બન્ને વિસ્તાર પુષ્પાંજલિ દ્વારા દત્તક લેવામાં આવ્યા છે. ત્યાં રહેતા ગરીબ બાળકોનું શિક્ષણ, પોષણ, આરોગ્ય વગેરેની જવાબદારી આ ટ્રસ્ટ લઈ રહ્યું છે. આ વિસ્તારના 150 જેટલા બાળકો આજે જે જીવન જીવી રહ્યા છે અને 3 વર્ષ પહેલાં જીવતાં જીવનમાં હાથી-ઘોડાનો ફરક છે. માત્ર હું નથી કહેતો, બાળકોના માતા પિતા આવીને ધારા બહેનને કહે છે કે અમારા બાળકો પેહલા અમારું પણ નહોતાં માનતા એ આજે સૌનો આદર કરતા થયા છે.

3 વર્ષમાં બાળકોમાં આવ્યું ન ધારેલું અસાધારણ પરિણામ
આ બાળકો માટે ગાળો બોલવી એ ગોળ ખાવા જેવી વાત હતી. પણ અત્યારે પુષ્પાંજલિએ કંઇક હટકે કામ કરીને તેમની શિકલ બદલી નાખી છે. હવે બાળકો જ એકબીજા ગાળો બોલતા હોય તો આપોઆપ અરસ પરસ સમજાવી દે છે. કોઈ મહાપુરુષ એવું કહી ગયા છે કે, માણસના જીવનમાં એક ગુણ લાવવો હોય તો 12 વર્ષ નીકળી જાય છે. તો વિચારો કે માત્ર ૩ વર્ષમાં ધારા બહેન અને એમની ટીમે અસાધારણ બદલાવ માટે કેટલી મથામણ કરવી પડી હશે.

મહિલાઓ માટે પણ અણમોલ કામ કરી રહ્યું છે આ ટ્રસ્ટ
આ સાથે જ મહિલાઓ માટે પણ પુષ્પાંજલિએ કરેલું કામ અવગણી ન શકાય. બહેનો માટે સ્વરોજગારની વાત હોય કે પછી તેમના સ્વાસ્થ્ય માટે કોઈ પગલું હોય. સેનેટરી પેડનું વિતરણ હોય કે પછી અવેરનેસ કાર્યક્રમની વાત હોય, નવરાત્રીમાં જરૂરિયાતમંદ બાળકીઓને અલગ અલગ રીતે પ્રોત્સાહન આપવાનું કામ હોય કે પછી તહેવારો ઉજવવાની પણ વિવિધ રીત હોય. હંમેશા આ બધા કાર્યોમાં પુષ્પાંજલિ આગળ રહ્યું છે. જો આપ પણ જામનગર જાઓ તો અમે નીચે સંસ્થા વિશે માહિતી આપી રહ્યા છીએ. અવશ્ય મુલાકાત લેજો. સાથે જ કોઈ આ ભગીરથ કાર્યમાં જોડાવા માંગતા હોય અથવા પોતાના વિસ્તારમાં કઈ આવું શરૂ કરવા માંગતા હોય તો નીચે આપેલી માહિતી મદદરૂપ થઈ શકે.
પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
રાજરાજેશ્વરી સોસાયટી, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક પાછળ, ઉદ્યોગ નગર જકાતનાકા પાસે, ઈન્દિરા માર્ગ, જામનગર.
સંસ્થા ઓફીસ નંબર: 2561556
મોબાઈલ નંબર : 8000240891, 7874707271

હાલમાં પુષ્પાંજલિ દ્વારા શરૂ કામગીરીમાં ઈચ્છતા હોય તો ભાગીદાર થઈ શકો
પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાર્થક રીતે નવરાત્રી ઉજવવામાં આવે છે. નવરાત્રી દરમિયાન એવા સ્વમાની પરિવાર કે જે મદદ માટે કોઈ પાસે હાથ લાંબો ન કરી શકે કે ન ઘરમાં પુરુ પડતું હોય, એવા અલગ અલગ વિસ્તારમાં આવેલા પરિવારની દિકરીઓ તેમજ અનાથ, માતા-પિતામાથી એક જ હયાત હોય, વિકલાંગ એવી દિકરીઓને પૂજન અર્ચન કરી વસ્ત્રદાન, શ્રૃંગારદાન (જેમાં શ્રૃંગારની તમામ વસ્તુઓ) રોકડદક્ષિણા અને મિષ્ટાન્ન દાન આ તમામની દાનકીટ રૂપિયા 1250માં બનાવી આપવામાં આવે છે. તો આપ પણ આ રીતે નવરાત્રી દરમિયાન કુમારિકાને દાન કરવા ઈચ્છતાં હોય તો સંપર્ક કરો આ નંબર પર, 8140321110, 2) 7874707271 તેમજ Phonepay-9978540321.
આ પણ વાંચો: ‘બાઈક એમ્બુલન્સ’થી ગરીબ દર્દીઓને પહોંચાડે છે હોસ્પિટલ, ફ્રી સેવા કરે છે આ યુવાન