રાજકોટમાં ગવર્નમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ (સ્પીપા) ના જોઈન્ટ ડિરેક્ટર એવા સિનિયર ક્લાસ વન ઑફિસર શૈલેષભાઈ સાગપરિયાએ તાજેતરમાં જ ધ બેટર ઈન્ડિયા સાથે વાત કરતાં એટલી હ્રદયસ્પર્ષી વાત શેર કરી કે, ખરેખર સલામ કરવાનું મન થઈ જાય ડૉ. રોહિત ભાલાળા.
લગભગ 15 દિવસ પહેલાં અચાનક જ શૈલેષભાઈ પર ડૉ. રોહિતનો ફોન આવ્યો. ડૉ. રોહિતે એમ.બી.બી.એસ અને એમ.ડી. કર્યા બાદ કોરોનરી હાર્ટ ડિઝિસમાં પીએચડી પણ કર્યું છે. રશિયન ભાષા પર પણ સારું પ્રભુત્વ ધરાવતા આ યુવાન ડૉક્ટર મોસ્કોની પીપલ્સ ફ્રેન્ડશિપ યુનિવર્સિટી ઓફ રશિયામાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે પણ સેવા આપે છે. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી અને ભારતના વધાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે જુદા જુદા કાર્યક્રમમોમાં રશિયા ગયેલા ત્યારે દુભાષીયા તરીકે ડો.રોહિતે સેવા આપેલી. તો જેમને મોટાભાગના ગુજરાતીઓ ઓળખે છે, એવા હ્રદયરોગ નિષ્ણાત પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ સાહેબ સાથે પણ તેમણે દોઢ વર્ષ કામ કર્યું છે. આજથી 15 દિવસ પહેલાં તેઓ અમદાવાદની કૉર્પોરેટ હોસ્પિટલમાં સેવા આપતા અને પોતાની મેડિકલ પ્રેક્ટિસ પણ કરતા. નાની ઉંમરમાં મોટી સફળતા મેળવેલ ડૉ. રોહિત ભાલાળા મહિને 10-12 લાખ રૂપિયા કમાઈ લે છે.
ડૉક્ટર રોહિતે શૈલેષભાઈને ફોન કરી કહ્યું, “શૈલેષભાઈ, કોરોનાના કારણે ગામડાઓની સ્થિતિ ખરેખર ખૂબજ દયનિય થઈ ગઈ છે અને આ બધું જોઈને મને ખૂબજ દુ:ખ થાય છે. મને સતત એમ જ અનુભવાય છે કે, હું આટલું બધું ભણ્યો પરંતુ જે ગામડાએ મને ઉછેર્યો તેના માટે પણ હું કરી ન શકું તો મારું આ ભણતર શું કામનું? મારે ગામડાંના કોરોનાગ્રસ્ત લોકો માટે કઈંક કરવું છે.” તેમની વાત સાંભળીને પહેલાં તો શૈલેષભાઈને એમજ લાગ્યું હતું કે, હમણાં ડૉ. રોહિત આર્થિક મદદની વાત કરશે, પરંતુ તેમણે જે કહ્યું તે સાંભળીને તો શૈલેષભાઈની આંખો પણ ભીની થઈ કહે.

ડૉ. રોહિતનાં માતા હંમેશાંથી દીકરાને એમજ કહેતાં હતાં કે, જો આપણું ભણતર આપણે જ્યાં ઉછર્યા છીએ, મોટા થયા છીએ એ લોકો માટે પણ કામમાં ન આવે તો તેનો કોઈ અર્થ નથી, એટલે તું એમના માટે ચોક્કસથી કઈંક કરજે. અને ડૉક્ટર રોહિતના મનમાં પણ એવું જ કઈંક રમી રહ્યું હતું. ડૉક્ટર રોહિતે કહ્યું, “અમદાવાદમાં ઘણી અધ્યતન હોસ્પિટલો છે, એટલે હું અહીં હોઉં કે ન હોઉં તેનાથી શહેરને ખાસ ફરક નહીં પડે. મેં હાઈકોર્ટના જજની પણ સારવાર કરી છે અને તેમને સાજા કર્યા છે, પરંતુ હવે મારે ગામલોકો માટે કઈંક કરવું છે. એટલે હું અહીં રાજીનામુ આપી દઉં અને મારી ક્લિનિક પણ બંધ કરીને મોવિયા આવી જઉં. અહીં આપણે સાથે મળીને એક કોવિડ કેર સેન્ટર બનાવીએ. જ્યાં ગામલોકો અને આસપાસના લોકોની મફતમાં સેવા અને સારવાર કરીએ.”

મોવિયા ગામ એટલે ડૉ. રોહિત અને શૈલેષભાઈ સાગપરિયા બંનેનું વતન, સૌરાષ્ટ્રનું નાનકડું ગામ. અહીં જ નળિયાંવાળા ઘરમાં ડૉક્ટર રોહિતનો ઉછેર થયેલો. નાનપણમાં જ પિતાના અવસાન બાદ માતાએ મજૂરી કરી તેમને ઉછેરેલા અને બીએપીએસ સંસ્થાની મદદથી તેઓ ભણી-ઘણી આટલા હોશિયાર ડૉક્ટર બનેલા એટલે ગામ સાથેનો તેમનો નાતો ગાઢ હોય તે પણ સમજાય તેવી વાત છે.

ડૉ. રોહિતની વાત સાંભળી પહેલાં તો શૈલેષભાઈએ તેમને પત્ની અને પરિવાર સાથે ચર્ચા કરી નિર્ણય લેવા કહ્યું. ડૉ. રોહિતનાં પત્ની ડૉ. ભૂમિએ તરત જ પતિને પોતાને દિલથી જે કરવાની ઈચ્છા હોય તેમાં આગળ વધવાનું કહ્યું અને પછી તો પૂછવાનું જ શું! શરૂ થઈ ગયો તેમનો માનવતાનો યજ્ઞ. ડૉ. રોહિત પોતાનું ઘર બનાવવા ભેગી કરેલ બધી જ બચત લઈને પહોંચી ગયા મોવિયા. શૈલેષભાઈ અને ડૉ. રોહિત ગામના મોભી, સભ્યો અને કેટલીક સંસ્થાઓના સભ્યોને મળ્યા. ગામલોકોએ પણ તેમના વિચારને હર્ષભેર સ્વિકાર્યો. તો ગામમાં જ કડવા પાટિદાર સમાજનું ભવ્ય બિલ્ડિંગ હતું, જેમાં આગળ વિશાળ પાર્ટી પ્લોટ છે અને પાછળ ચાર મોટા એસી હૉલ છે, બધી જ સુવિધાઓ સાથે. તો તેમણે તરત જ કોઈપણ જાતના ભાડા વગર આખી જગ્યા આ શુભ કાર્ય માટે આપી દીધી અને તેમાં યોજાનાર આગામી લગ્નસમારંભો અને અન્ય કાર્યક્રમોને અન્યત્ર ખસેડવામાં આવ્યા. આમ જગ્યાની સમસ્યાનું સમાધાન આવી ગયું. અને આગળ રહેલ ખુલ્લા પાર્ટીપ્લોટમાં ટેન્ટ બાંધીને દર્દીઓના પરિવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી.

ગામના યુવાનોની ટીમ પણ હોંશે-હોંશે મદદે લાગી. ડૉ. રોહિતે અહીં પોતાના ખર્ચે અહીં આખી લેબોરેટરી બનાવી, જેથી ગામલોકોને રિપોર્ટ માટે બહાર ન જવું પડે, ફાર્મસી બનાવી, જેથી ગામલોકોને જરૂરી દવાઓ માટે પણ બહાર ન જવું પડે. અહીં દર્દીઓની તપાસ અને સારવાર તો એકદમ મફતમાં કરવામાં આવે જ છે, સાથે-સાથે લેબોરેટરી ટેસ્ટ અને દવા માટે પણ તેમની પાસેથી એકદમ નજીવો ચાર્જ લેવામાં આવે છે. એસી હોલમાં 30 બેડની ઑક્સિઝન પાઈપલાઈન સાથેની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે.

ગામલોકોની સાથે-સાથે હવે બીજા ઘણા લોકો તેમને આર્થિક મદદ કરવા આગળ આવ્યા છે. જેથી અહીં દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ડૉ. રોહિતની સાથે-સાથે બીજા ચાર ડૉક્ટર અને બાર નર્સને પણ પગાર પર લેવામાં આવ્યા છે. જેમાંથી ડૉક્ટર અને નર્સની એક-એક ટીમ બનાવવામાં આવે છે. જેઓ દરરોજ આસપાસના ગામડાંમાં જાય છે અને ત્યાં 4-5 કલાકનો કેમ્પ કરે છે, તેમની તપાસ કરે છે અને જરૂર અનુસાર તેમનો લેબ ટેસ્ટ પણ કરવામાં આવે છે. તેમને જરૂર અનુસાર દવાઓ પણ આપવામાં આવે છે અને જરૂર લાગે તો તેમના આ કોવિડ કેરમાં દાખલ પણ કરવામાં આવે છે.

અત્યારે રોજ 70-80 લોકો કોવિડ તપાસ માટે આવવા લાગ્યા છે. તેમાંથી જેને જરૂર લાગે તેમને દાખલ પણ કરવામાં આવે છે અને હળવાં લક્ષણોવાળા દર્દીઓને આઈસોલેશનમાં રહેવાની સલાહ આપે છે. ગામલોકો પણ આ કાર્યથી ખૂબજ ખુશ છે. સરકારની સાથે-સાથે આવા લોકો અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી બધાં આ સમસ્યામાંથી બહાર નીકળવા પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે.
જો તમને પણ ડૉ. રોહિતનું કાર્ય ગમ્યું હોય અને તમે તેમને આર્થિક રૂપે મદદરૂપ થવા ઈચ્છતા હોવ તો નીચે આપેલ બેન્ક વિગતો પર ઈચ્છા અનુસાર મદદ કરી શકો છો.
Bank Name : State Bank of India
Account Name : રામગરબાપુ ગૌ સેવા ટ્રસ્ટ – મોવિયા
Account No. 56084000519
IFSC code : SBIN0060084
આ પણ વાંચો: અમદાવાદના આ વ્યાપારી રોજના 1200 કોરોનાગ્રસ્ત લોકોને ઘરે જઈને પહોંચાડે છે નિશુલ્ક ટિફિન
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.