‘Be The Change You Want To See In The World’ (એટલે કે, દુનિયામાં તમે જે બદલાવ જોવા ઇચ્છો છો, તેની શરૂઆત તમારા પોતાનાથી કરો) ની પહેલ સાથે ‘ધ બેટર ઈન્ડિયા’ તમારા માટે લાવી રહ્યું છે દિલથી કહેલ બદલાવની વાર્તાઓ.
આજે 2 ઓક્ટોબર, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે અમે જણાવી રહ્યા છે એક એવા કલાકાર વિશે, જેમના હાથની બનેલ ગાંધીજીની ઘણી મૂર્તિઓ ભારતની સાથે-સાથે વિદેશોમાં પણ છે. શિકાગોની ફ્લોરિડા યૂનિવર્સિટીમાં લગાવેલ ગાંધીજીની મૂર્તિ પણ જસુબેને જ બનાવેલ છે. અમેરિકાના કેલિફોર્નિયામાં ત્રિમૂર્તિ એલએલસીની ગાંધીજીની મૂર્તિ પણ જસુબેને બનાવી હતી.
સામાન્ય ગુજરાતી મહિલાઓ જ્યાં સાડીમાં જોવા મળે ત્યાં જસુબેન હંમેશાં ડેનીમ ડંગરીમાં જ જોવા મળતાં અને હાથમાં કળાકારીનાં સાધનો હોય. પરિવારના સહયોગથી તેમણે તેમના શોખને કરિયરમાં પરિવર્તિત કર્યો હતો.
દેશના મહાન શિલ્પકાર રામ વંજી સુથાર અંગે તો તમે બધા જાણતા જ હશો. 92 વર્ષની ઉંમરે પણ તેમણે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ બનાવી ઇતિહાસ રચી દીધો છી. અત્યારે તો તેમની ઉંમર 95 વર્ષ થઈ ગઈ છે, છતાં આજની તારીખે પણ તેમના હાથ અટક્યા નથી, સતત કારીગરી કરી રહ્યા છે.
રામ વંજી સુથારની જેમજ જસુબેન પણ તેમની મૂર્તિકળા માટે આખી દુનિયામાં જાણીતાં હતાં અને જીવનની અંતિમ પળો સુધી તેમના હાથ મૂર્તિકળા જ કરી રહ્યા હતા. પરંતુ દુ:ખની વાત તો એ છે કે, દેશના આ અનમોલ રત્ન વિશે બહુ ઓછા લોકો જાણે છે.

જસુબેન શિલ્પી, એક ભારતીય શિલ્પકાર છે, જેઓ બ્રૉન્ઝ એટલે કે, કાંસાની મૂર્તીઓ બનાવવામાં મહારથી હતાં. એટલે જ તેમને ‘બ્રૉન્ઝ વુમન ઑફ ઈન્ડિયા’ ના નામે ઓળખવામાં આવે છે. 10 ડિસેમ્બર 1948ના રોજ ગુજરાતમાં જન્મેલ જસુબેને તેમના કરિયરકાળમાં 700 કરતાં વધારે મૂર્તિઓ બનાવી હતી અને તેમની બનાવેલ મૂર્તિઓ માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ લગાવવામાં આવી છે.
તેમણે તેમના જીવનકાળમાં કાંસાની 225 મોટી મૂર્તીઓ અને 525 અર્ધપ્રતિમાઓ બનાવી હતી. જેમાં ગાંધીજી, વલ્લભભાઇ પટેલ, ઝાંસીની રાણી, સ્વામી વિવેકાનંદ અને કેટલાંલ દેવી-દેવતાઓની મૂર્તીઓનો સમાવેશ થાય છે. વર્ષ 2005 માં ‘ઝાંસીની રાણી’ ની પ્રતિમા માટે તેમનું નામ ‘લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સ’ માં નોંધાયું હતું.
આ સિવાય, તેમને ઘણાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનોથી નવાજવામાં આવ્યાં હતાં. મિરેકલલ્સ વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ, વુમન ઑફ ધ યર, અબ્રાહમ લિંકન આર્ટિસ્ટ અવોર્ડ-યૂએસ, વગેરે અવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. તેમના નામે દેશમાં સૌથી મોટી કાંસાની મૂર્તિ (રાજસ્થાનના જોધપુરમાં હનુમાનજીની મૂર્તિ) બનાવવાનો રેકોર્ડ છે.
તેમની બનાવેલ દરેક મૂર્તિમાં અદભૂત રચનાત્મકતાનાં દર્શન થાય છે. ગુજરાત સિવાય તેમની મૂર્તિઓ રાજસ્થાન, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, કેરળ, ઉત્તરાંચલ જેવાં રાજ્યોમાં પણ છે. સાથે-સાથે શિકાગોની ફ્લોરિડા યૂનિવર્સિટીમાં લગાવેલ ગાંધીજીની પ્રતિમા અને કેરોલિનામાં લાગેલ કિંગ માર્ટિન લૂથરની મૂર્તિ બનાવવાનો શ્રેય પણ તેમના માથે જ જાય છે.
કહેવાય છે કે, જસુબેનનું સપનું હતું કે, એક બ્રૉન્ઝ મ્યૂઝિયમ બનાવી દેશને સમર્પિત કરે, પરંતુ તેમનું ‘જસુ શિલ્પી સ્ટૂડિયો’ બનાવવાનું આ સપનું પૂરું થાય એ પહેલાં જ તેમનું અવસાન થયું. 14 જાન્યુઆરી 2013 ના રોજ 64 વર્ષની ઉંમરે હ્રદય રોગના હુમલાના કારણે તેમનું અવસાન થયું હતું.
તેમના દીકરા ધૃવના જણાવ્યા અનુસાર, મૃત્યુના એક-બે દિવસ પહેલાં સુધી જસુબેનની તબિયત સારી હતી અને તેઓ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતાં. તેમના આ વારસાને તેમનાં બાળકો ધૃવ અને ધરા આગળ વધારી રહ્યાં છે.
આ પણ વાંચો: આ ગુજરાતી આચાર્ય છેલ્લા 17 વર્ષથી વિદ્યાર્થીઓ માટે શાળામાં ઉગાડે છે ઓર્ગેનિક શાકભાજી