Search Icon
Nav Arrow
Anupam Sharma IFS
Anupam Sharma IFS

IFS ઓફિસરનો હટકે ઉપાય, 4900 કિલો પ્લાસ્ટિકમાંથી 59000 રૂપિયાની કમાણી કરી ગામને આપી સુવિધાઓ

IFS ઓફિસરને આંખમાં ખુંચી પ્લાસ્ટિકની પૉલી બેગ્સ, અને તેમના એક વિચારે કરી દીધી આ કમાલ. પ્લાસ્ટિક કચરો વેચી ગામલોકો માટે ખરીધ્યાં આવકનાં સંસાધનો.

ભારતમાં વન વિભાગ દર વર્ષે કરોડોની સંખ્યામાં રોપાઓ રોપે છે. જૂન-જુલાઈ, 2021માં માત્ર મધ્યપ્રદેશમાં લગભગ 2.7 કરોડ રોપાઓ રોપવામાં આવ્યા હતા અને સતના જિલ્લાના મેહર સબ ફોરેસ્ટ વિભાગમાં લગભગ 4.5 લાખ રોપાઓ રોપવામાં આવ્યા હતા. મેહર, અમરપાટણ અને મુકુંદપુર પ્રદેશો મેહર પેટા વિભાગ હેઠળ આવે છે. છોડ રોપણનું અભિયાન સફળ રહ્યુ હતુ અને તમામ છોડની સારી રીતે કાળજી લેવામાં આવી રહી છે.

પરંતુ જ્યારે મેહર સબ ફોરેસ્ટ ડિવિઝનલ ઓફિસર અનુપમ શર્મા નિરીક્ષણ માટે પહોંચ્યા ત્યારે એક દ્રશ્ય તેમને ખૂબ જ પરેશાન કરી ગયું. તે પોલીબેગ્સનું, જેમાં રોપાઓ રોપવા માટે આવ્યા હતા. રોપાઓ રોપ્યા પછી, આ પોલી-બેગ માત્ર અહીં-તહીં ફેંકી દેવામાં આવી હતી અને તે પર્યાવરણને પ્રદૂષિત કરી રહી હતી.

IFS (તાલીમાર્થી) અનુપમ શર્માએ ધ બેટર ઇન્ડિયાને જણાવ્યું હતું કે, “આ વિસ્તારમાં 4.5 લાખ રોપાઓ વાવવામાં આવ્યા હતા. આનો અર્થ એ થયો કે સાડા ચાર લાખ પોલી બેગ પર્યાવરણમાં હતી. મારી પત્ની, ભાવના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં નિષ્ણાત છે. મેં આ બાબતે ભાવનાનો અભિપ્રાય લીધો. આ પછી તેમણે ‘પ્લાસ્ટિક ફ્રી પ્લાન્ટેશન‘ અભિયાન શરૂ કર્યું.”

અનુપમે વિભાગ અને ગ્રામ વન સમિતિના તમામ કર્મચારીઓને પર્યાવરણ પર આ પોલી બેગની હાનિકારક આડઅસરોથી વાકેફ કર્યા. ત્યારબાદ, તમામ સ્થળોએથી આ પોલીબેગ્સ એકત્રિત કરવા માટે એક ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. આ અભિયાનમાં, મેહર ફોરેસ્ટ રેન્જ ઓફિસર સતીશ મિશ્રા, અમરપાટન ફોરેસ્ટ રેન્જ ઓફિસર મુકુલ સિંહ અને મુકુંદપુર ફોરેસ્ટ રેન્જ ઓફિસર નરબદ સિંઘ સહિત વિક્રમસિંહ બઘેલ અને મનોજ સિંઘ જેવા તમામ કર્મચારીઓએ તેમને ટેકો આપ્યો હતો.

Working For Environment
IFS Anupam Sharma Planting trees with team

4900 કિલો પ્લાસ્ટિક એકત્રિત કર્યુ
અનુપમ જણાવે છે કે છોડની તૈયારી માટે વપરાતી આ કાળા રંગની પોલી ગ્રો બેગ LDPE (Low-density polyethylene)પ્લાસ્ટિકની બનેલી છે. આ પ્લાસ્ટિકને રિસાયકલ કરી શકાય છે. પરંતુ લોકો તેના વિશે જાગૃત નથી. તમામ વિસ્તારોમાંથી પોલી બેગ એકત્રિત કર્યા બાદ, મેહર વન વિભાગે તમામ સ્થળોને ‘પ્લાસ્ટિક ફ્રી પ્લાન્ટેશન’ તરીકે જાહેર કરીને પ્રમાણિત કર્યા.

“પ્લાસ્ટિક પહેલેથી જ એકઠું થઈ ગયું હતું અને હવે પ્રશ્ન એ હતો કે તેનું શું કરવું? મેં ભાવના પાસેથી માહિતી લીધી અને પછી જુદા જુદા પાસાઓ પર વિચાર કર્યો. આનો ઉપયોગ ગ્રેન્યુલ્સ અથવા બ્રિકેટ્સ બનાવવા માટે થઈ શકે છે, પરંતુ આ માટે હાઇ-ટેક મશીનરીની જરૂર છે. સિમેન્ટ ફેક્ટરીઓએ પણ તેમને લેવાનો ઇનકાર કર્યો હતો અને મેહરમાં એવી કોઈ સુવિધા નથી જ્યાં પ્લાસ્ટિકમાંથી ઉર્જા બનાવવામાં આવે.” તેમણે જણાવ્યુ.

એક સૂચન તેમણે મનપાને પણ આપવાનું હતું. આને કારણે વન વિભાગને કોઈ આવક મળતી નથી અને સાથે જ, આ પ્લાસ્ટિક લેન્ડફિલમાં સમાપ્ત થાય છે. તેથી અનુપમ અને તેની ટીમે નક્કી કર્યું કે તેઓ તેને ભંગારના વેપારીને આપશે. અનેક ડીલરોની શોધખોળ બાદ તેણે પ્લાસ્ટિક એક ભંગારના વેપારીને આપ્યું. તેના કારણે તેને 12 રૂપિયા/કિલોના દરે પૈસા મળ્યા. તેમણે કહ્યું કે જ્યારે 4.5 લાખ પ્લાસ્ટિક બેગનું વજન કરવામાં આવ્યું ત્યારે તે કુલ 4900 કિલો પ્લાસ્ટિક હતું. આ પ્લાસ્ટિકના બદલામાં તેમણે 59000 રૂપિયા કમાયા.

Earn By Plastic Selling
Plastic Free Plantation Initiative

અનુપમ કહે છે, “આ પહેલ ખૂબ સારી છે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે પ્લાસ્ટિકને એકત્ર કર્યા પછી તેને સાફ કરવું. કારણ કે તમે સ્ક્રેપ ડીલરો અથવા રિસાયકલર્સને જેટલું વધુ સ્વચ્છ પ્લાસ્ટિક આપો છો, તેના બદલામાં તમને ઉંચા ભાવ મળશે. તેથી તમામ પોલી બેગને પહેલા સારી રીતે સાફ કરવામાં આવી હતી. તેમાંથી માટી, છોડના નાના મૂળ અથવા પાંદડા દૂર કરવામાં આવ્યા હતા. પોલી બેગ પણ જરૂરિયાત મુજબ ધોવાઇ હતી અને પછી આગળ આપવામાં આવી હતી. આ બેગ્સને સ્ક્રેપ ડીલર સુધી પહોંચાડવા માટે વધારે ખર્ચ કરવો પડ્યો ન હતો કારણ કે કર્મચારીઓએ તેમને પહેલેથી જ એક જગ્યાએ એકત્ર કરી હતી, જ્યાંથી વેપારીની ટીમે તેમને એકત્રિત કરી લીધી હતી.”

ગ્રામજનો માટે સુવિધાઓ:
અનુપમ જણાવે છે, “ટીમે ચર્ચા કરી અને નક્કી કર્યું કે ગામડાંના કલ્યાણ માટે શું વાપરી શકાય. તેથી અમે ગ્રામજનો માટે કામ કર્યું જે જુદી જુદી સંયુક્ત વન વ્યવસ્થાપન સમિતિ (JFMC) હેઠળ આવે છે. આ નાણાંથી ત્રણ અલગ અલગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેનાથી ગ્રામજનોને મદદ મળશે.”

Environment Friendly Products
Processing wet waste to make bio gas

બાયો મીથેનેશન પ્લાન્ટ
આ બાયોગેસ પ્લાન્ટ માતા શારદા દેવી મંદિર વ્યવસ્થાપન સમિતિના વૃદ્ધાશ્રમમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. પ્લાન્ટ દરરોજ 5 કિલો કાર્બનિક કચરા પર પ્રક્રિયા કરી શકે છે. જેના કારણે વૃધ્ધાશ્રમમાં દરરોજ આશરે 450 ગ્રામ ગેસ આપવામાં આવી રહ્યો છે. વૃદ્ધાશ્રમના રસોડામાંથી ઓર્ગેનિક કચરાને પ્રોસેસ કરીને બાયોગેસ અને ઓર્ગેનિક સ્લરી બનાવવામાં આવી રહી છે.

વૃદ્ધાશ્રમના સંચાલક ગૌરી શંકર કહે છે કે અત્યારે આ ગેસની મદદથી સવારે અને સાંજે વૃદ્ધાશ્રમના રહેવાસીઓ માટે ચા તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ જેમ ગેસ ઉત્પાદન સ્થિર થવાનું શરૂ થશે, તેઓ તેમાંથી નાસ્તો તૈયાર કરવાની યોજના ધરાવે છે. આ એલપીજી પરની તેમની નિર્ભરતા ઘટાડશે અને તેમના કેમ્પસને સ્વચ્છ રાખવામાં મદદ કરશે. અનુપમ કહે છે કે વન વિભાગે આ બાયોગેસ પ્લાન્ટને ખર્ચ પર લગભગ 50% ના ડિસ્કાઉન્ટ પર સ્થાપ્યો છે.

Environment Friendly Products
Machine to make oil

તેલ કાઢવાનું મશીન
આ મશીનથી એક કલાકમાં ચારથી આઠ કિલો તેલીબિયાની પ્રક્રિયા કરી શકાય છે. તેમણે આ મશીન બરેહ બાડા ગામના JFMCને આપ્યું છે અને સ્થાનિક લોકોને તેનો ઉપયોગ કરવાનું પણ શીખવ્યું છે. આ મશીનની મદદથી ગ્રામજનો તેલ તૈયાર કરવા માટે મગફળી, અળસી, સરસવ, સોયાબીન અથવા લીમડો, કરંજ વગેરે જેવા તેમના પાકની પ્રક્રિયા કરી શકે છે. તેલ બનાવ્યા પછી જે ઓર્ગેનિક ઓઇલ કેક બચે છે તે પશુઓ માટે ચારા તરીકે વાપરી શકાય છે.

મસાલા અને જડીબુટ્ટીઓ પીસવાનું મશીન
તેને તાલા ગામની JFMCને આપવામાં આવ્યું છે. આ મશીનની ક્ષમતા 500 ગ્રામ/કલાક છે. તેમણે કહ્યું કે આ મશીનથી તમામ પ્રકારના મસાલા અને જડીબુટ્ટીઓ પીસી શકાય છે. લવિંગ, કાળા મરી, હળદર, તજ, લાલ મરચું, ધાણા, મેથી વગેરે પીસીને મસાલા તૈયાર કરી શકાય છે.

આ સિવાય બાકીની રકમમાંથી 500 સેનેટરી પેડ પેકેટ પણ ખરીદવામાં આવ્યા અને ગ્રામીણ મહિલાઓને વહેંચવામાં આવ્યા. વિવિધ ગામોની મહિલાઓને માસિક ધર્મ અંગે જાગૃત કરવામાં આવી હતી.

અનુપમ કહે છે કે આ તમામ પ્રોજેક્ટ ખૂબ જ નાના પાયે શરૂ કરવામાં આવ્યા છે. જો આ પ્રોજેક્ટ સફળ થશે તો એવી અપેક્ષા છે કે ભવિષ્યમાં આવા પ્રોજેક્ટ મોટા પાયે કરવામાં આવશે. જેના કારણે ગ્રામજનો માટે રોજગારી પણ ઉભી થશે.

Sustainable Employment

મેહર વન વિભાગની આ પહેલ માત્ર સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન જ નથી આપી રહી છે. પરંતુ તે ગ્રામજનો માટે સુવિધાનું કારણ પણ બની છે.

અનુપમ કહે છે, “LDPE પ્લાસ્ટિકનું કાર્બન ફુટપ્રિંટ 6 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઈડ પ્રતિકિલો પ્લાસ્ટિક છે. આ રીતે, આ અભિયાને 30000 કિલો કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટકાવ્યું છે. વળી, અમે બાયો ગેસ પ્લાન્ટ દ્વારા અમુક અંશે ભીના કચરાનું સંચાલન કરવામાં સક્ષમ છીએ. દર વર્ષે ભારતમાં આટલું છોડોની વાવણી થાય છે જે સારી બાબત છે. પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે આપણે પણ આ બાબતો પર ધ્યાન આપીએ. જેથી સાચા અર્થમાં પર્યાવરણનું રક્ષણ થઈ શકે.”

આ બાબતમાં કોઈ શંકા નથી કે અનુપમ શર્મા અને તેની આખી ટીમના પ્રયાસો પ્રશંસનીય છે. અમે આશા રાખીએ છીએ કે ઘણા વધુ લોકો આ અભિયાનમાંથી પ્રેરણા લેશે.

મૂળ લેખ: નિશા ડાગર

સંપાદન: નિશા જનસારી

આ પણ વાંચો: 4 કરોડ ઝાડ વાવીને બ્રહ્મપુત્રનાં તટને બનાવ્યુ જંગલ, મેક્સિકો સુધી પહોંચ્યુ જાદવનું નામ

જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.

close-icon
_tbi-social-media__share-icon