1885માં અમદાવાદના સમૃદ્ધ સારાભાઈ પરિવારમાં જન્મેલી અનસૂયા માત્ર નવ વર્ષની હતી ત્યારે તેણે તેના માતા-પિતા બંને ગુમાવ્યા હતા. અનસૂયા્બેન અને તેમનના બે નાના ભાઈ-બહેનોનો ઉછેર તેમના પિતાના નાના ભાઈ ચીમનભાઈ સારાભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. 13 વર્ષની ઉંમરે, અનસૂયાની અનિચ્છા હોવા છતાં તેમના કાકા દ્વારા તેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. તેમનાં લગ્ન બહુ ઓછો સમય ટક્યાં અને સુખદ ન રહ્યા; અનસૂયા તેના પતિને છૂટાછેડા આપીને પોતાના પરિવારમાં પાછી આવી.
પાછ્યા ફર્યા બાદ પોતાના ભાઈની મદદથી તેઓ ઇંગ્લેન્ડ આગળ અભ્યાસ કરવા ગયા અને 1913 માં, તે ભારત પરત ફર્યા અને અશક્ત સમુદાયો માટે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે તમામ જાતિના ગરીબ વિદ્યાર્થીઓ માટે શાળા ખોલીને શરૂઆત કરી. આગળ જતાં, તેમણે તેમના ઘરમાં મહિલાઓ માટે શૌચાલય, એક પ્રસૂતિ ગૃહ અને હરિજન છોકરીઓ માટે હોસ્ટેલ પણ ખોલી. ત્યારબાદ તેમણે મિલ કામદારોના પ્રશ્નોને ઉકેલવાનું નક્કી કર્યું.
જ્યારે અનસૂયાબેન ઈંગ્લેન્ડથી પરત ફર્યા ત્યારથી જ મહિલાઓ અને નીચલી જાતિઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પહોંચી વળવા માટે કામ કરી રહી હતી.

જીવન બદલતા અનુભવને પોતાના શબ્દોમાં વર્ણવતા, અનસૂયાબેને એકવાર કહ્યું હતું કે,
“એક સવારે, હું બહાર કમ્પાઉન્ડમાં બેઠી હતી અને બાળકોના વાળ ઓળી રહી હતી ત્યારે મેં જોયું કે 15 કામદારોનું એક જૂથ કોઈ પૂતળાંની જેમ પસાર થઈ રહ્યું છે. હું તેમને સારી રીતે ઓળખાતી ન હોવા છતાં, મેં તેમને બોલાવ્યા, અને તેમને પૂછ્યું, “શું વાત છે? તમે આટલા સુસ્ત કેમ દેખાઓ છો?’
તેમણે કહ્યું, “બહેન, અમે હમણાં જ 36 કલાકનું કામ પૂરું કર્યું છે. અમે બે રાત અને એક દિવસ આરામ વગર કામ કર્યું છે, અને હવે અમે અમારા ઘરે જઈ રહ્યા છીએ. આ શબ્દોએ મને હચમચાવી દીધી. સ્ત્રીઓ જે પ્રકારની ગુલામીનો સામનો કરતી હતી તેનાથી આ કંઈ અલગ ન હતું!”
આ જે સાંભળ્યું તેના આઘાતમાં, અનસૂયાબેને નક્કી કર્યું કે તેમણે આ પરિસ્થિતિને બદલવા માટે કંઈક નક્કર કરવું જ જોઈએ. મિલ કામદારો કઈ પરિસ્થિતિમાં રહેતા હતા અને કામ કરતા હતા તે વિશે અનસૂયાબેને વધુ જોયું અને જાણ્યું – ભયંકર ગરીબી, શોષણ, કામદારોની શક્તિહીનતાની ભાવના વગેરે જોઈ તેઓ જાતે જ સંગઠિત થઇ અવાજ ઉઠાવે તે માટે કંઈક કરવા માટેની અનસૂયાબેનની ભાવના વધારે પ્રબળ બની.

1914માં અમદાવાદમાં પ્લેગ રોગચાળો ફેલાયો હતો. આ વિનાશક હોનારતને પહોંચી વાળવા માટે કામદારો અસમર્થ હતા તેઓ અનસૂયાબેન પાસે આવ્યા અને મદદ માંગી ત્યારે અનસૂયાબેને સૌ પ્રથમ સાબરમતી નદી કિનારે કામદારોની બેઠકને સંબોધિત કરી.
જેમાં કામદારો માટે સારું વેતન અને સારી કામ કરવાની સ્થિતિની માંગણીઓ હતી, અને તેમણે મિલ માલિકોને તે પૂરી કરવા માટે અડતાળીસ કલાકનો સમય આપ્યો હતો, જેના પછી કામદારો હડતાળ પર જશે. કામદારોના હકના લેણાં મેળવવા માટે, અનસૂયાબેને તેમના ભાઈ અંબાલાલની નારાજગીનો પણ સામનો કર્યો, જેઓ મિલ ઓનર્સ એસોસિએશનના તત્કાલીન પ્રમુખ હતા.
અનસૂયાબેનના વિચારો અને ભાવના મહાત્મા ગાંધીના વિચારો જેવા જ હતા. તેઓ હડતાળને ઉત્સુકતાથી જોતા હતા અને તેમણે મિલ માલિકોને કામદારોના વેતનમાં વધારો કરવા માટે પત્ર પણ લખ્યા હતા. હડતાલ લગભગ 21 દિવસ સુધી ચાલી, જેના અંતે વાટાઘાટો શરૂ થઈ અને મિલ-માલિકો આખરે કામદારોને વધુ વેતન ચૂકવવા સંમત થયા. આમ, ભારતમાં ટ્રેડ યુનિયન ચળવળના બીજ વાવવામાં આવ્યા.
પાછળથી, અનસૂયાબેને ખેડા સત્યાગ્રહમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી, અને તેઓ રોલેટ બિલનો વિરોધ કરવા ગાંધીજી દ્વારા બનાવવામાં આવેલ ‘સત્યાગ્રહ સંકલ્પ’ના પ્રથમ સહીકર્તાઓમાંના એક હતા.
1918માં, અમદાવાદના વણકરોએ વેતનમાં વ્યાજબી 35% વધારાની માંગ કરી હતી, પરંતુ મિલ માલિકો માત્ર 20% ઓફર કરી રહ્યા હતા. મહાત્મા ગાંધી, અનસૂયા અને શંકરલાલ બેંકર સાથે, સાબરમતી નદીના કિનારે એક ઝાડ નીચે સભાઓને સંબોધિત કરી. તે એક શાંતિપૂર્ણ હડતાળ હતી જેમાં હજારો કામદારોએ ભાગ લીધો હતો, આખરે તે ત્યારે સફળ થઇ જ્યારે ગાંધીજીએ 12 માર્ચ, 1918ના રોજ આમરણાંત ઉપવાસ કરવાનું નક્કી કર્યું.
આ ચળવળએ ગુજરાતના સૌથી જૂના મજૂર સંઘ, મુખ્ય મહાજન સંઘ (અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન અથવા TLA)નો પણ પાયો નાખ્યો હતો, જેની સ્થાપના 25 ફેબ્રુઆરી, 1920ના રોજ કરવામાં આવી હતી. પ્રથમ બેઠક અનસૂયાબેનના મિર્ઝાપુર બંગલામાં થઈ હતી જ્યાં ગાંધીજીએ અનસૂયાબેનને આજીવન પ્રમુખ જાહેર કર્યા હતા. 1927 માં અનસૂયાબેને અમદાવાદના કાપડ કામદારોની દીકરીઓ માટે એક શાળાની પણ સ્થાપના કરી.

આ અનસૂયાબેન જ હતાં કે જેમણે ગાંધીવાદી વિચારધારાને વ્યવહારમાં અસરકારક રીતે મૂકી. કામદારો માટે તેમની અંગત ચિંતા, મિલ માલિકો પ્રત્યેનો તેમનો ખુલ્લો અભિગમ અને અહિંસામાં તેમની માન્યતાએ કામદારો અને મિલ માલિકો વચ્ચે સુમેળભર્યા સંબંધનો વિકાસ સુનિશ્ચિત કર્યો. અનસૂયાના સક્ષમ માર્ગદર્શન હેઠળ, 1978 સુધીમાં, યુનિયન ગુજરાતમાં 65 કાપડ મિલોના લગભગ 1.5 લાખ કામદારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું હતું.
અમદાવાદના સૌથી પ્રખ્યાત વેપારીઓમાંના એકની બહેન તરીકે, અનસૂયાબેન સારાભાઈ કલ્પના પણ ના થાય તે રીતે ટ્રેડ યુનિયનના નેતા રહ્યા. અને તેમ છતાં, ના માત્ર તેઓ કામદારોના વિશ્વાસુ નેતા બન્યા, પરંતુ તેમણે ભારતના શ્રમ ઇતિહાસનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમણે લગભગ બે લાખ કાર્યકરોનું નેતૃત્વ કર્યું – અનસૂયાબેને પોતાના પદનો ક્યારેય દુરુપયોગ કર્યો ન હતો કે ક્યારેય કોઈ ક્રેડિટ અથવા હોદ્દાનો દાવો કર્યો ન હતો. ગાંધીજીએ તેમના જીવનમાં જેના માટે ‘પૂજ્ય’ અથવા ‘ધન્ય’ તરીકે સંબોધન કર્યું હોય તેવી તે એકમાત્ર મહિલા પણ હતી.
એક હિંમતવાન મહિલા કે જેણે પોતાનું જીવન દલિત લોકોના સશક્તિકરણ માટે સમર્પિત કર્યું, અનસૂયાબેન સારાભાઈ ભારતના શ્રમ અને લિંગ અધિકાર ચળવળના ઇતિહાસમાં તેમના યોગ્ય સ્થાનને માટે હંમેશા એક અચલ પાત્ર છે.
સંપાદન: નિશા જનસારી
આ પણ વાંચો: કચ્છની વર્ષો જૂની કળા છે લુપ્ત થવાના આરે, આખા ગુજરાતમાં માત્ર બે કારીગરો સાચવે છે આજે
જો તમને આ લેખ ગમ્યો હોય અને જો તમે પણ તમારા આવા કોઇ અનુભવ અમારી સાથે શેર કરવા ઇચ્છતા હોય તો અમને gujarati@thebetterindia.com પર જણાવો, અથવા Facebook અમારો સંપર્ક કરો.સકારાત્મકતાની ઝુંબેશ આગળ વધારવામાં અમને મદદ કરો